શ્લોક ૧૩-૧૪

समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः | सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ||६-१३||

प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थितः | मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः ||६-१४||

શ્લોકાર્થ

શરીરનો મધ્ય ભાગ, મસ્તક અને ગ્રીવા એ અંગોને સીધાં, સરખાં અને નિશ્ચળ રાખીને, પોતે સ્થિર થઇને, આસ-પાસ દિશાઓ પણ નહિ જોતાં પોતાની નાસિકાના અગ્ર સામું જ જોઇ રહીને.
અને પોતાના મનને સર્વથા શાન્ત રાખીને, ટળી ગયો છે ભય જેને, બ્રહ્મચારી ધર્મમાં દૃઢ રહીને, મનનો સંયમ કરીને, મારામાં જ ચિત્ત રાખીને, મત્પરાયણ થઇને, સાવધાન યોગાભ્યાસ કરવા બેસે-વર્તે. ।।૧૩-૧૪।।


ભાવાર્થ

કાયશબ્દથી શરીરનો મધ્યભાગ જાણવો. એટલે કે-શરીરનો મધ્યભાગ, મસ્તક અને ગ્રીવા-ડોકી, એ સર્વ અંગો સરખાં-સીધાં રાખીને, અર્થાત્-મૂળાધાર ચક્રથી આરંભીને મસ્તક સુધીનાં સર્વ અંગો સીધાં અને નિશ્ચળ-અતિ સ્થિર રાખીને, એ પ્રમાણે પોતે સ્થિર થઇને પોતાની નાસિકાના અગ્ર ભાગને જોઇને, એટલે કે-અર્ધાં મીંચેલાં છે નેત્ર જેણે, એવો અને આમ-તેમ આજુ-બાજુમાં પણ નહિ જોતાં સ્થિરતાથી બેસીને યોગ સિદ્ધ કરે. ।।૧૩।।

હવે યોગસિદ્ધિમાં પ્રધાન ઉપકારક કહી બતાવે છે - બ્રહ્મચર્ય વ્રતમાં દૃઢ રહેલો, મત્પર-સાંખ્ય-યોગાદિક સાધનોથી સર્વોસ્કૃષ્ટ પ્રાપ્યભૂત જેને હુંજ છું. અને તેથીજ-કર્મયોગથી, સાંખ્યયોગથી અને શ્રવણાદિક સાધન ભક્તિથી નિર્દોષ અને બ્રહ્મરૂપ થઇને ''હું પરાત્પર પુરૂષોત્તમ ભગવાનને પામીશ" એમ આવા અનન્ય ભાવથી મારા સ્વરૂપમાંજ જેનું ચિત્ત સ્થિર રહેલું છે. અને તેથીજ કાળભયથી પણ રહિત થઇ ગયેલો. અને તેથીજ સર્વથા શાન્ત-અવ્યાકુળ મન જેનું છે, એવો થકો પોતાનું મન સર્વથા નિયમમાં રાખીને, એટલે કે પુરૂષોત્તમ એવો જે હું તે મારામાં સ્થિર કરીને, યુક્ત-મુક્તિદશા અનુભવવાને યોગ્ય થઇને વર્તે છે. ।।૧૪।।