શ્લોક ૧૧-૧૨

शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः | नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ||६-११||

तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः | उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये ||६-१२||

શ્લોકાર્થ

બહુ ઊંચુ નહિ તેમ બહુ નીચું પણ નહિ એવું દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર, તે એક બીજાની ઉપર રાખીને, તેવું પોતાનું સ્થિર આસન પવિત્ર જગ્યામાં સ્થાપન કરીને.
તે આસન ઉપર બેસીને મનને પરમાત્મસ્વરૂપમાં એકાગ્ર કરીને ચિત્ત અને ઇન્દ્રિયોના વ્યાપારને કાબૂમાં કરીને આત્મસ્વરૂપની વિશુદ્ધિ માટે યોગાભ્યાસ કરે. ।।૧૧-૧૨।।


ભાવાર્થ

હવે-યોગનાં ઉપકરણો આસન વિગેરે કેવાં રાખવાં એ કહી બતાવે છે - દુષ્ટજનોના ઉપદ્રવ સિવાયનું, તેમજ અપવિત્ર પદાર્થના સંસર્ગ-સંસ્પર્શથી રહિત એવા સ્થાનમાં, અથવા સ્વભાવથી જ શુદ્ધ અને સંસ્કારથી પણ જે શુદ્ધ પવિત્ર સ્થાન હોય તેવા સ્થાનમાં પોતાનું આસન સ્થાપન કરીને. હવે તે આસન કેવું રાખવું ? તે કહે છે-સ્થિર નિશ્ચળ, અતિ ઊચુ નહિ તેમ અતિ નીચું પણ નહિ અને વસ્ત્રનું આસન, મૃગચર્મનું આસન અને દર્ભનું આસન, એ આસનો ઉત્તરોત્તર- એક બીજાના કરતાં શ્રેષ્ઠ જાણવાં, એટલે કે-વસ્ત્રના આસન કરતાં મૃગચર્મ શ્રેષ્ઠ અને તેનાં કરતાં દર્ભ શ્રેષ્ઠ એમ જાણવું. આવાં લક્ષણોથી યુક્ત યોગ્ય આસન સ્થાપન કરીને તેના ઉપર બેસવું. ।।૧૧।।

ઉપર કહ્યું તેવા આસન ઉપર બેસીને સર્વ વિક્ષેપથી રહિત મનને સ્થિર કરીને, ચિત્ત-અન્તઃકરણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓ જેણે સર્વથા ઉપરત કરેલી છે.
એવો સ્વસ્વરૂપની સર્વથા વિશુદ્ધિને માટે, એટલે કે-પરમેશ્વરમાં પરા ભક્તિનો અધિકાર પ્રાપ્ત થવા માટે યોગાભ્યાસ કરે. ।।૧૨।।