શ્લોક ૪૧

यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा | तत्तदेवावगच्छ त्वं मम तेजोंऽशसम्भवम् ||१०-४१||

શ્લોકાર્થ

આ જગતમાં જે જે વિભૂતિવાળું પ્રાણી-શોભાયમાન કે પ્રભાવશાળી હોય તે તે બધુંય મારા તેજ-સામર્થ્યના એક અંશમાંથી જ થયેલું છે, એમ તું જાણ ! ।।૪૧।।


ભાવાર્થ

માટે હે અર્જુન ! રક્ષણ અને નિયમનાદિક કરવાના સામર્થ્યવાળું, તેમજ શોભાયુક્ત-સુંદરતાવાળું, અથવા ધન-ધાન્યાદિકની સમૃદ્ધિયુક્ત, અને વળી પ્રભાવ અને બળ વિગેરે ગુણોવાળું, એવું લોકમાં ઉત્કૃષ્ટ જે જે પ્રાણી કે પદાર્થ દેખાય છે, તે તે સર્વ ગુણ અને ઐશ્વર્ય-સામર્થ્યસમ્પન્ન એવા મારા તેજના અંશમાંથી થયેલું છે, એટલે કે-ગુણ ઐશ્વાદિકથી પરનો અભિભવ કરવાનું સામર્થ્ય, તેના અંશે યુક્ત સમ્ભવઉત્પત્તિ જેની છે. તેવું-મારી વિભૂતિરૂપ તું જાણ-સમજ ! ।।૪૧।।