अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन | विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ||१०-४२||
શ્લોકાર્થ
અથવા તો હે અર્જુન ! તારે આ બહુ જાણવાથી શો વિશેષ છે ? આ સઘળા જગતને હું મારા એશ્વર્યના એક અંશથી-ઐશ્વર્યલેશથી ધારી રહ્યો છું. ।।૪૨।।
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે વિભૂતિયોગો નામ દશમોડધ્યાયઃ ।।૧૦।।
ભાવાર્થ
હે અર્જુન ! આ બહુ વિભૂતિઓના જાણવાથી-જાણીને તારે શું કરવું છે ? આ સ્થાવર જંગમરૂપ દૃશ્યમાન સઘળું જગત્ અને અદૃશ્ય બ્રહ્માદિક દેવવર્ગો સહિત આ સઘળું જગત્, એટલે કે- સ્થૂળ એટલે કાર્યભાવે રહેલું અને સૂક્ષ્મ એટલે કારણભાવે રહેલું. એવા સઘળા વિશ્વ પ્રત્યે, એક અંશથી મારા ગુણ અને ઐશ્વર્યના હજારો હજારમાં અંશથી ધારીને હું રહેલો છું. એટલે કે - અક્ષરરૂપે ધારીને રહેલ છું. કારણ કે- અક્ષર સર્વાધાર છે. આ બાબતમાં પ્રમાણો કહે છે- પરાશર મુનિનું વચન છે કે- ''જે પરમાત્માના હજારો-હજારમાં અંશાશરૂપ અતિ અલ્પ શક્તિમાં આ વિશ્વશક્તિ રહેલી છે.'' તેમજ ભાગવતમાં પણ વચનો છે કે-''પોત-પોતાના કર્માનુસારે પ્રાપ્ત થયેલાં આ મનુષ્ય શરીર વિગેરે શરીરોમાં રહેલા-પુરૂષ-જીવાત્માને, સમગ્ર શક્તિઓના ધારક એવા આપના ઐશ્વર્યના અંશે યુક્ત કહેવામાં આવે છે, કારણ કે-એ પણ વસ્તુતાએ કાર્ય-કારણ રૂપ બહારનાં અને અંદરનાં આવરણોથી રહિત છે.'' ''અનાદિ, સર્વના આત્મા, માયાના ગુણોથી રહિત. પ્રકૃતિથી પર-નિયંતા અથવા શ્રેષ્ઠ, પ્રત્યક્સ્વરૂપ અને સ્વયંપ્રકાશ એવા પુરૂષ છે, કે જેનાથી આ વિશ્વ સમન્વિત-ધારેલું છે.'' ઇત્યાદિક પ્રમાણો છે. ।।૪૨।।
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતા ભાષ્યે-વિભૂતિયોગવર્ણનનામા દશમોડધ્યાયઃ ।।૧૦।।