શ્લોક ૩૯

यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन | न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् ||१०-३९||

શ્લોકાર્થ

અને વળી-હે અર્જુન ! સર્વ ભૂત-પ્રાણીમાત્રનું જે સનાતન બીજ-કારણ તે પણ હું જ છું. કારણ કે એવું એક પણ ચરાચર-ભૂત પ્રાણી નથી, કે જે મારા સિવાય થયું હોય, કે રહેતું હોય. ।।૩૯।।


ભાવાર્થ

હે અર્જુન ! શું બહુ કહેવાથી ? બ્રહ્માથી આરંભીને સ્થાવર સૂધીના ભૂત-પ્રાણીમાત્રનું બીજ જે કારણ છે, તે પણ હુંજ છું. અને વળી-સ્થાવર કે જંગમ હરકોઇ વસ્તુમાત્ર મારા વિનાનું જે હોય એવું છેજ નહિ. જુઓ ! શ્રુતિઓ એજ પ્રમાણે કહે છે- ''જે સર્વ ભૂતોમાં રહે છે, છતાં સર્વ ભૂતો થકી ન્યારો છે, જેને સર્વ ભૂતો નથી જાણતાં, જેનું સર્વ ભૂતો શરીર છે, જે સર્વ ભૂતોની અંદર રહીને તેનું નિયમન કરે છે, એ તારા અન્યર્યામી અમૃતસ્વરૂપ પરમાત્મા છે.'' ઇતિ ।।૩૯।।