શ્લોક ૩૭-૩૮

वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जयः | मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः ||१०-३७||

दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् | मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ||१०-३८||

શ્લોકાર્થ

સર્વ યાદવોમાં વાસુદેવ તે હું છું અને પાંડવોમાં ધનંજય-અર્જુન તે હું છું. મુનિઓના મધ્યે પણ વ્યાસમુનિ તે હું છું અને કવિઓમાં - જ્ઞાનિજનોમાં ઉશના-શુક્રાચાર્ય કવિ હું છું. ।।૩૭।।

નિયમન કરનારાઓમાં દંડ હું છું અને જયની અભિલાષા સેવનારાઓની નીતિ-ગુહ્ય વિચારણા હું છું. રહસ્યોમાં મૌન અને જ્ઞાનવાળાઓનું પરમ જ્ઞાન તે પણ હું છું. ।।૩૮।।



ભાવાર્થ

વૃષ્ણિઓ-યાદવોના મધ્યે વસુદેવના પુત્ર રૂપે પ્રગટ થયેલો હું પુરૂષોત્તમ છું. ''જે અસમ્મૂઢ સમ્યક્ જ્ઞાની મને પુરૂષોત્તમને જાણે છે'' એમ પોતેજ કહ્યું છે માટે. પાંડવો-પાંડુપુત્રોના મધ્યે ધનંજય નરના અવતારરૂપે પ્રસિદ્ધ વર્તતો અર્જુન જે તું તે હું છું. મુનીઓ-આત્મા-પરમાત્મારૂપ તત્ત્વનું મનન કરવાના સ્વભાવવાળા ઋષિઓના મધ્યે વ્યાસ-પુરાણકર્તા અને વેદના વિભાગ કરનારા પરાશરના પુત્ર વ્યાસમુનિ હું છું. અને બુદ્ધિમાન કવિજનોના મધ્યે કવિ-બુદ્ધિશાળી ઉશના-શુક્રાચાર્ય હું છું.
ધર્મનો વ્યતિક્રમ કરનારને દંડ કરનારાઓનો દંડ-નિગ્રહ હું છું. જય ઇચ્છનારાઓની નીતિ - જયનું સાધન હું છું. ગુહ્ય-ગોપનીય વસ્તુને છાની રાખવાનું સાધન જે મૌન તે હું છું. તત્ત્વજ્ઞાન સંપન્ન-જીવ, ઇશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એમના સ્વરૂપને યથાર્થ જાણનારા જ્ઞાની જનોનું જ્ઞાન-યથાર્થ સમજવું તે હું છું. ।।૩૭-૩૮।।