बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् | मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकरः ||१०-३५||
द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् | जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् ||१०-३६||
શ્લોકાર્થ
તેમજ - સામવેદના મંત્રોના બૃહત્સામ તે હું છું. અને સર્વ છંદોમાં ગાયત્રી છંદ હું છું. બાર મહિનાઓમાં માર્ગશીર્ષ માસ તે હું છું. અને છ ઋતુઓમાં વસંત ઋતુ હું છું. ।।૩૫।।
છેતરનારાઓના દ્યૂત-છળસામર્થ્ય હું છું. તેજસ્વીઓનું તેજ-પ્રભાવ હું છું. વિજય અને વ્યવસાય તે પણ હું છું અને સાત્ત્વિક-સમર્થ પુરૂષોનું સામર્થ્ય હું છું. ।।૩૬।।
ભાવાર્થ
સામ વેદના મન્ત્રોમાં બૃહત્સામ નામે વિભાગ હું છું. ગાયત્રી વિગેરે છન્દોએ યુક્ત ઋચાઓના મધ્યે ગાયત્રી નામે ઋચા હું છું. બાર મહિનાઓના મધ્યે નવાં નવાં સારાં શાકાંકિક ઔષધિઓએ સંપન્ન હોવાથી, તેમજ ટાઢ અને તડકો પણ બહુ નહિ, તેથી સર્વને સુખનો કારણભૂત એવો માર્ગશીર્ષ નામે માસ હું છું અને છ ઋતુઓના મધ્યે કુસુમાકર-સઘળાં સુગન્ધવાળાં પુષ્પોનાં સમૂહોથી ભરપૂર અતિ રમણીય મુખ્ય વસન્ત ઋતુ હું છું.
પરસ્પર છેતરવાનું કામ કરનારાઓનું દ્યુત નામે કર્મ હું છું- મારી વિભૂતિ છે. તેજસ્વીઓનું તેજ-કોઇથી નહિ દબાવારૂપ પ્રભાવ હું છું. વિજય કરનારાઓનો પરાજય પામેલાની અપેક્ષાએ ઉત્કર્ષરૂપ જય હું છું. વિજય કરનારાઓનો પરાજય પામેલાની અપેક્ષાએ ઉત્કર્ષરૂપ જય હું છું. ઉદ્યમ કરનારાઓનો વ્યવસાય નિશ્ચિતપણે ફળ આપનારો જ સફળ ઉદ્યમ હું છું. અથવા તો કોઇ વસ્તુનો નિશ્ચય કરનારાઓનો વ્યવસાય નિશ્ચય હું છું અને સાત્ત્વિકજનોનું સત્ત્વ-ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય વિગેરેરૂપ સત્ત્વ ગુણનું કાર્ય તે હું છું. ।।૩૫-૩૬।।