શ્લોક ૩૩-૩૪

अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च | अहमेवाक्षयः कालो धाताहं विश्वतोमुखः ||१०-३३||

मृत्युः सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम् | कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा ||१०-३४||

શ્લોકાર્થ

અક્ષરોમાં અ અક્ષર હું છું. સમાસોમાં ઉભયપદપ્રધાન દ્વન્દ્વ સમાસ હું છું. સર્વ કાળના વિભાગોમાં અક્ષય કાળ હું છું. અને ચોતરફ મુખવાળો ધાતા-બ્રહ્મા તે પણ હું જ છું. ।।૩૩।।

સર્વને હરનારો મૃત્યુ-કાળ હું છું અને ઉત્પન્ન થનારાઓનો ઉદ્ભવ-ઉત્પત્તિનું સ્થાન હું છું અને સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા , એ સર્વ હું જ છું. ।।૩૪।।



ભાવાર્થ

સર્વ વર્ણો-અક્ષરોના મધ્યે શ્રેષ્ઠ અને મુખ્ય હોવાથી અકાર હું છું. જુઓ ! શ્રુતિ પણ એમજ કહે છે-''અકાર એજ સર્વ વાણી છે.'' છ પ્રકારના સમાસના સમૂહ મધ્યે દ્વન્દ્વ નામનો સમાસ હું છું. એનું કારણ કહે છે-દ્વન્દ્વ સમાસમાં બન્ને પદનું સરખું પ્રધાપણું હોવાથી એ શ્રેષ્ઠ છે. માટે અને પૂર્વ પદાર્થના પ્રધાપણાને લીધે, ઉત્તર પદાર્થના પ્રધાનપણાને લીધે, અને અન્ય પદાર્થના પ્રધાપણાને લીધે, અવ્યયીભાવ, તત્પુરૂષ અને બહુવ્રીહિ, એ ત્રણેય સમાસમાં બન્ને પદાર્થના સમાનપણાના અભાવને લીધે અપકૃષ્ટપણું છે, માટે. ક્ષય ભાવે રહિત કાળાભિમાની દેવ તે હું જ છું. ''ગણના કરનારાઓના મધ્યે કાળ હું છું.'' એ ઠેકાણે તો સંવત્સર આદિક આયુષ્યની ગણના રૂપકાળ કહેલો છે અને અહિંયાં તેનો અભિમાની દેવ કહેલો છે. એમ ભેદ સમજવો અને સર્વદૃષ્ટા-સર્વસાક્ષી, શુભ-અશુભ કર્મના ફળનો વિધાતા-પમાડનાર હું છું. સર્વનો સંહારકર્તા મૃત્યુદેવ હું છું. ઉદ્ભવ-અભ્યુદય-વૃદ્ધિ પામનારાઓનો અભ્યુદય હું છું. સર્વ સ્ત્રીઓના મધ્યે કીર્તિ આદિક સાત દેવીઓ અને ચકાર છે માટે મૂર્તિ આદિક દેવીઓ પણ હું જ છું. કે-જેઓના સંબંધથી-આશ્રયથી મનુષ્યો અતિ વખાણને પાત્ર બની જાય છે. તે કીર્તિ વિગેરે મારી વિભૂતિરૂપ છે. એ અભિપ્રાય છે. ।।૩૩-૩૪।।