શ્લોક ૨૯-૩૦

अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहम् | पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम् ||१०-२९||

प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् | मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ||१०-३०||


શ્લોકાર્થ

નાગોમાં અનન્ત નામે નાગ હું છું. જળવાસીઓમાં વરૂણ દેવ હું છું. પિતૃઓમાં અર્યમા હું છું અને નિયમન કરનારાઓમાં યમરાજા હું છું. ।।૨૯।।


દૈત્યોમાં ભક્તરાજ પ્રહલ્લાદ હું છું. પરિણામ પમાડનારાઓમાં અથવા ગણના કરનારાઓમાં સમર્થ કાળ હું છું. પશુઓમાં મૃગરાજ - સિંહ હું જ છું અને પક્ષીઓમાં પક્ષિરાજ ગરૂડ હું જ છું. ।।૩૦।।


ભાવાર્થ

અનેક મસ્તકવાળા સર્પોના મધ્યે શેષ નામે સર્પરાજ હું છું. જળચર પ્રાણીઓનો સ્વામી વરૂણ-દેવ હું છું. પિતૃદેવોનો અધિપતિ-સ્વામી અર્યમાં દેવ હું છું, બીજાઓનું નિયમન કરનારાઓના મધ્યે યમ-રાજા હું છું.

દિતિ-વંશમાં જન્મેલા દૈત્યોના મધ્યે પોતાના ગુણ-સ્વભાવથી સર્વને આનંદ આપનારા મારા પરમ ભક્ત પ્રહલાદજી હું છું. પ્રાણીમાત્રની ગણના કરનારા અગર વશ કરનારાઓના મધ્યે સમર્થ કાળ હું છું. મૃગ વિગેરે પશુઓના મધ્યે મૃગેન્દ્ર સિંહ હું છું અને સર્વ પક્ષીઓના મધ્યે વિનતાપુત્ર ગરૂડ હું છું. ।।૨૯-૩૦।।