શ્લોક ૨૭-૨૮

उच्चैःश्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् | ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् ||१०-२७||

आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् | प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ||१०-२८||

શ્લોકાર્થ

ઘોડાઓમાં અમૃતની સાથે સમુદ્રમાંથી નીકળેલો ઉચ્ચૈંશ્રવા નામે ઘોડો મને જાણ ! ગજેન્દ્રોમાં ઐરાવત મને જાણ ! અને મનુષ્યોમાં રાજા મને જાણ ! ।।૨૭।।
આયુધોમાં વજ્ર આયુધ મને જાણ ! ધેનુઓમાં કામદુધા ધેનુ હું છું. પ્રજા પેદા કરનાર કંદર્પ-કામ તે પણ હું છું અને સર્પોમાં વાસુકિ સર્વ હું છું. ।।૨૮।।


ભાવાર્થ

સર્વ અશ્વ જાતિના પશુઓ મધ્યે ક્ષીર સાગરના સમયમાં મંથન સમયમાં અમૃતની સાથે ઉત્પન્ન થયેલા ઉચ્ચૈંશ્રવા નામે અશ્વને મારી વિભૂતિ જાણ ! ગજેન્દ્રોના મધ્યે અમૃતની સાથે ઉત્પન્ન ઐરાવત હાથીને, મારી વિભૂતિ જાણ ! અને સર્વ મનુષ્યોના મધ્યે નરાધિપ-પ્રજારક્ષક રાજાને મનેજ જાણ ! મારીજ વિભૂતિ છે.
સર્વ આયુધો-શસ્ત્રસમુદાયના મધ્યે ઇન્દ્રનું આયુધ વજ્ર હું છું. સર્વ ગાયોના મધ્યે સમુદ્રમંથન સમયે ઉદ્ધવ પામેલી દિવ્ય કામધેનું ગાય હું છું. પ્રજાઓને ઉત્પન્ન કરનારો-પ્રજાની ઉત્પત્તિમાં કારણભૂત કંદર્પ-કામ હું છું. પણ કેવળ રતિપ્રધાન કંદર્પ કામ, મારી વિભૂતિ નથી. અને એક મસ્તકવાળા સર્પોના મધ્યે વાસુકિ સર્પ હું છું. ।।૨૭-૨૮।।