શ્લોક ૨૫-૨૬

महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् | यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः ||१०-२५||

अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः | गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः ||१०-२६||

શ્લોકાર્થ

મહર્ષિઓમાં ભૃગુઋષિ હું છું. સર્વ વાણીમાં એકાક્ષર-ઓંકાર હું છું. યજ્ઞોમાં જપયજ્ઞા હું છું. અને સ્થાવર એટલે સ્થિર પદાર્થોમાં હિમાચળ હું છું. ।।૨૫।।
સર્વ વૃક્ષોમાં અશ્વત્થ-પીપળો હું છું. દેવર્ષિઓમાં નારદમુનિ હું છું. સર્વ ગંધર્વોમાં ચિત્રરથ હું છું. અને સર્વ સિદ્ધ પુરૂષોમાં કપિલમુનિ હું છું. ।।૨૬।।


ભાવાર્થ

વળી-મરીચ્યાદિક મહર્ષિઓના મધ્યે ભૃગુ ઋષિ હું છું. સર્વ વાણીના મધ્યે એક ઓંકાર નામનો અક્ષર હું છું. એટલે કે - મારૂં વાચક સનાતન નામ ઓંકાર છે. સર્વ યજ્ઞો મધ્યે મારા મંત્રોનો જપયજ્ઞા કરવો તે હું છું. સર્વ સ્થાવર વસ્તુઓના મધ્યે હિમાલય પર્વત હું છું.

પ્રથમ શિખરશોભાવાળા પર્વતોમાં મેરૂં હું છું અને અહીં તો સ્થાવર-પર્વતોમાં હિમાલય હું છું. એમ કહ્યું છે. માટે સ્થાવર પણે અને શિખરશોભાવાળા કરીને અર્થમાં ભેદ હોવાથી પુનરૂક્તિરૂપ દોષ નથી.

સર્વ વૃક્ષોના મધ્યે અશ્વત્થ-પીપળાનો વૃક્ષ હું છું. જે જે દેવો મન્ત્રદર્શિપણાને લીધે ઋષિપણાને પામેલા છે, તે સર્વ દેવર્ષિઓ કહેવાય છે, તે દેવર્ષિઓના મધ્યે મારા પરમ એકાન્તિક ભક્ત નારદમુનિ તે હું છું. ગન્ધર્વોના મધ્યે ચિત્રરથ નામે ગન્ધર્વ હું છું. અને યોગસિદ્ધિ પામેલા સિધ્ધ મહાત્માઓના મધ્યે કપિલ મુનિ હું છું-તે મારો જ અવતાર છે. ।।૨૫-૨૬।।