શ્લોક ૨૧-૨૨

आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान् | मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी ||१०-२१||

वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः | इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ||१०-२२||

શ્લોકાર્થ

બાર આદિત્યોમાં વિષ્ણુનામે આદિત્ય હું છું. પ્રકાશવાળા પદાર્થોમાં અંશુમાન્-સૂર્યદેવ હું છું. ઓગણપચાશ વાયુઓમાં મરીચિનામે વાયુ હું છું અને નક્ષત્રોમાં ચન્દ્રમા તે હું છું. ।।૨૧।।

વેદોમાં સામ વેદ હું છું. દેવોમાં ઇન્દ્ર દેવ હું છું. ઇન્દ્રિયોમાં મન હું છું અને ભૂતોમાં ચેતના-બુદ્ધિતત્ત્વ હું છું. ।।૨૨।।


ભાવાર્થ

બાર આદિત્યોમાં વિષ્ણુ નામે આદિત્ય હું છું. પ્રકાશ કરનારાઓના મધ્યે અંશુમાન્ - રવિ હું છું. ઓગણપચાશ વાયુઓના મધ્યે મરીચિ નામે વાયુ હું છું. તારાગણોનો અધિપતિ અને ઔષધિઓનો પોષક ચન્દ્રમાં હું છું. શરીર - શરીરિ ભાવના સંબંધવાળો આ સમાનાધિકરણ્યથી નિર્દેશ છે. એટલે કે આ સઘળી મારી વિભૂતિ છે.
ઋગ્વેદ વિગેરે ચાર વેદોના મધ્યે ગીતિના પ્રધાનપણાને લીધે સર્વશ્રેષ્ઠ સામનામે વેદ હું છું. દેવોના મધ્યે વાસવ-ઇન્દ્ર હું છું. સર્વ ઇન્દ્રિયોના મધ્યે મન હું છું. અને સર્વ ભૂતોની જે ચેતના - બુદ્ધિ તે હું છું.

આ વિભૂતિવર્ણનમાં આદિત્યાદિક ચેતનવચાક શબ્દોમાં ષષ્ઠી વિભક્તિ નિર્ધારણ અર્થમાં સમજવી. અને ''ભૂતોની ચેતના હું છું.'' ઇત્યાદિક કોઇક કોઇક વાક્યોમાં ષષ્ઠી વિભક્તિ સંબંધરૂપ અર્થમાં જાણવી. ।।૨૧-૨૨।।