શ્લોક ૨૦

अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः | अहमादिश्च मध्यं च भूतानामन्त एव च ||१०-२०||

શ્લોકાર્થ

હે ગુડાકેશ ! સર્વ - પ્રાણીમાત્રના હૃદયમાં રહેલો આત્મા-જીવાત્મા તે હું છું- મારી વિભૂતિ છે. અને સર્વ ભૂતોનો આદિ-કારણ, મધ્ય-સ્થિતિ-રક્ષણ કરનારો, અને અન્ત સંહાર કરનારો પણ હું જ છું. ।।૨૦।।


ભાવાર્થ

હવે-આ બાકીના અધ્યાયથી પોતાની વિભૂતિઓનો વિસ્તાર નિરૂપણ કરતાં પ્રથમ પોતાનું સર્વાત્મપણું અને સર્વકારણપણું એ આદિક લક્ષણરૂપ ઐશ્વર્ય કહે છે--
નિંદ્રાને જીતનાર હે ગુડાકેશ ! સર્વ ભૂત પ્રાણીમાત્રના હૃદય-પ્રદેશમાં અંતર્યામિપણે રહેલો, આત્મા-શરીરી, તે પ્રાણીઓના શરીરિપણે તેમનું ધારણ નિયમન કરનારો તે હું છું, જુઓ ? શ્રુતિ પણ એમજ કહે છે-''જે સર્વે ભૂતોમાં રહેલો છે અને સર્વભૂતો થકી ન્યારો છે.'' એમ અને સર્વ ભૂતોનો આદિ-ઉત્પત્તિ કર્તા અનિરૂદ્ધ અને બ્રહ્મા હું છું, મધ્ય-સ્થિતિકર્તા પણ હું જ છું, અને અંત-પ્રલયકર્તા પણ હું જ છું. ।।૨૦।।