वक्तुमर्हस्यशेषेण दिव्या ह्यात्मविभूतयः | याभिर्विभूतिभिर्लोकानिमांस्त्वं व्याप्य तिष्ठसि ||१०-१६||
कथं विद्यामहं योगिंस्त्वां सदा परिचिन्तयन् | केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया ||१०-१७||
विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन | भूयः कथय तृप्तिर्हि शृण्वतो नास्ति मेऽमृतम् ||१०-१८||
શ્લોકાર્થ
માટે આપની દિવ્ય-સર્વશ્રેષ્ઠ વિભૂતિઓ મને સમગ્રપણે કહેવાને યોગ્ય છો. કે-જે વિભૂતિઓથી આ સર્વ લોકમાં આપ વ્યાપીને રહેલા છો. ।।૧૬।।
હે યોગેશ્વર ! તમારૂં સદાય પરિચિન્તવન કરતાં તમને હું કેવી રીતે જાણી શકું ? હે ભગવન્ ! કયા કયા પદાર્થોમાં મારે આપનું ચિન્તવન કરવું ? ।।૧૭।।
હે જનાર્દન ! આપનો મહિમા અને આપની વિભૂતિઓ ફરીથી વિસ્તારપૂર્વક મને કહો ? આપનો મહિમા સમજાવનારૂં અમૃત તુલ્ય આપનું ભાષણ સાંભળતાં મને તૃપ્તિ જ થતી નથી. ।।૧૮।।
ભાવાર્થ
લોકમાં પ્રકાશમાન-સર્વથા પ્રસિદ્ધ વર્તતી જે આપની વિભૂતિઓ-સર્વ પ્રાણીમાત્રના ધારણ-પોષણને માટે અને નિયમન-રક્ષણાદિકને માટે ઐશ્વર્યવિશિષ્ટ ભાવો રહેલા છે. તે સર્વ પદાર્થો સમગ્રપણે વિસ્તારથી મને કહેવાને યોગ્ય છો. કે-જે વિભૂતિઓથી આ સઘળા લોકને વ્યાપીને આપ રહેલા છો. મધ્યે અર્જુનની શંકા ઉઠાવીને કહે છે-મારી વિભૂતિઓ જાણવાથી તારે શું પ્રયોજન છે ? તો કહે છે-
યોગમાયા-રૂપ શક્તિએ સમ્પન્ન એવા હે યોગેશ્વર પ્રભો ! સદાય હું તમારૂં પરિચિન્તવન કરતાં આપને કેવી રીતે કયા પદાર્થોથી જાણું-ઓળખું.
હે ભગવન્ ! સકળ ઐશ્વર્યે સમ્પન્ન ! વાયુ-પુરાણમાં અને ભગવાન પરાશર મુનિએ પણ ભગવત્ શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે-''જે સર્વત્ર ભાસે છે અને સર્વત્ર ગતિ કરે છે. માટે એને ભગ શબ્દથી કહેવાય છે અને તે સમગ્ર-સમ્પૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ-કીર્તિ, શ્રી-શોભા, અથવા લક્ષ્મી-સમ્પત્તિ, અને જ્ઞાન અને વૈરાગ્ય, આ છ ઐશ્વર્યની ભગ એવી સંજ્ઞા છે.'' આ પ્રમાણે ભગ શબ્દની નિરૂક્તિ કરેલી છે. વળી ''જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ, આ સમ્પૂર્ણ છ ઐશ્વર્યો, ભગ શબ્દથી કહેવાય છે. અને તે છ ઐશ્વર્યરૂપ ભગ જેનાં સ્વરૂપમાં અખંડ રહે છે. અને તે પણ હેય-પ્રાકૃત ગુણો સિવાય જ હોય છે, તે ભગવત્ શબ્દથી કહેવાય છે. હે મૈત્રેય ! આ પ્રમાણે આ ભગવત્ એવો મહાશબ્દ અન્વર્થ જાણવો.'' માટે કયા કયા પદાર્થોમાં - જુદી જુદી વિભૂતિઓમાં મારે તમો નિરન્તર ચિન્તવન કરવા યોગ્ય છો-તમારૂં ચિન્તવન કરવું.
જે સર્વ જનોમાં-ક્ષેત્રજ્ઞોમાં અંતર્યામિપણે વ્યાપીને રહે છે. અથવા સર્વજનો પોતાના ઇચ્છિત ફળની પ્રાપ્તિ માટે જેની પ્રાર્થના કરે છે, તે જનાર્દન કહેવાય. એવા હે પ્રભો ! આપનો પોતાનો-સર્વજ્ઞાત્વ, સત્યસંકલ્પત્વ, સર્વશક્તિસમ્પન્નત્વ, અને સર્વકર્તુત્વ, એ આદિક સમગ્ર યોગેશ્વર્ય અને આપની વિભૂતિ પણ, વિસ્તારથી ફરીથી કહી બતાવો ? શાથી ? તો કે-આપનાં વાક્યામૃત સાંભળતાં મને અમૃતનું પાન કરનારની પેઠે તૃપ્તિઅલંબુદ્ધિ થતી જ નથી. ।।૧૬-૧૮।।