શ્લોક ૧૪

सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव | न हि ते भगवन्व्यक्तिं विदुर्देवा न दानवाः ||१०-१४||

શ્લોકાર્થ

હે કેશવ ! આપ મને જે કહો છો, તે સઘળું હું સત્ય જ માનું છું. ખરે-ખર- હે ભગવાન્ ! આપના વ્યક્તિ-ભાવને તો નથી દેવો જાણતા, કે નથી દૈત્યો જાણતા. ।।૧૪।।


ભાવાર્થ

હે કેશવ ! મારા પ્રત્યે જે વાક્ય આપ કહો છો, તે સઘળું હું સાચુંજ માનું છું. એટલે કે- મારી સાથે દેહના સંબંધી પણું, મિત્રતા, ગુરૂતા અને શરણ્યતા આદિક અનેક ગુણોએ આપ યુક્ત હોવાથી હું તે આપનું કહેવું સઘળુંય સત્ય જ માનું છું. હે સમર્થ પ્રભો ! સકળ ઐશ્વર્યે સમ્પન્ન અને સર્વેશ્વર એવા આપનો વ્યક્તિ-ભાવ, એટલે કે-દેવ મનુષ્યાદિકરૂપે પ્રાદુર્ભાવ થવો, તેને દેવો કે જેઓ પરિમિત જ્ઞાનવાળા છે, તેથી તેઓ નથી જાણતા નિશ્ચેજ, અર્થાત્-''અમારા અનુગ્રહને માટે ભગવાનનો આ પ્રાદુર્ભાવ થાય છે,'' એમ તેઓ નથી સમજતા, તેમજ-દાનવો પણ આપના વ્યકિતભાવને નથી જાણતા, એટલે કે- ''અમારા સંયમનને માટે આ પ્રાદુર્ભાવ થાય છે,'' એમ નથી સમજતા એ અર્થ છે. ।।૧૪।।