શ્લોક ૧૨-૧૩

પ્રથમ સંક્ષેપથી કહેલી વિભૂતિ અને યોગ એ બન્નેને વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળો અર્જુન શ્રીકૃષ્ણના પ્રત્યે સ્તુતિ કરીને સાત શ્લોકથી પૂછે છે-

પરંબ્રહ્મ, પરમધામ, સર્વના આધારભૂત અને પરમ પવિત્ર, એમ જે સ્વરૂપને શ્રુતિ-સ્મૃતિઓ પ્રતિપાદન કરે છે, તે આપ પોતેજ છો. જુઓ ? - ''શ્રીનારાયણ એજ પરંબ્રહ્મ છે, અને પર તત્ત્વ પણ એજ શ્રીનારાયણજ છે.'' ''જે પવિત્ર પદાર્થોને પણ પવિત્ર કરનારો છે. અને મંગળ પદાર્થોમાં પણ જે સર્વશ્રેષ્ઠ મંગળરૂપ છે.'' ''જે આત્માના આધાર છે. અને સઘળા વિશ્વના પણ આધાર છે.'' આવી અનેક શ્રુતિ-સ્મૃતિઓ આપનું જ વર્ણન કરે છે અને વળી-આપને જ શાશ્વતસ્વરૂપ નિત્ય, દિવ્ય પુરૂષ, અજ આદિદેવ અને વિભુ વ્યાપકસ્વરૂપ, એમ સર્વ ઋષિઓ કહે છે. એમ આગલા શ્લોકની સાથે અન્વય છે.

अर्जुन उवाच | परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् | पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ||१०-१२||

आहुस्त्वामृषयः सर्वे देवर्षिर्नारदस्तथा | असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे ||१०-१३||

શ્લોકાર્થ

અર્જુન પુછે છે-આપજ પરંબ્રહ્મ છો, પરમ ધામ-પ્રાપ્ય સ્થાન, પરમ પવિત્ર પતિતપાવન છો અને આપને જ શાશ્વત પુરૂષ, દિવ્યમૂર્તિ, આદિદેવ, અજન્મા અને વિભુસર્વવ્યાપક છો. એમ બધા મહર્ષિઓ કહે છે. તેમજ દેવર્ષિ નારદમુનિ, અસિત, દેવળ અને વ્યાસમુનિ, એ સર્વે તથા આપ પોતે પણ મને એમ જ કહી સમજાવો છો. ।।૧૨-૧૩।।


ભાવાર્થ

તે ઋષિઓ કયા ? તો કે-દેવર્ષિ-નારદમુનિ, અસિત, દેવળ અને વ્યાસજી, એ વિગેરે મહર્ષિઓ અને આપ પોતે પણ મને કહો છો જ. હવે-તે નારદાદિક ઋષિઓનાં વચનો કહે છે- ''આ શ્રીમન્નારાયણ ભગવાન પોતે ક્ષીર સાગરમાં વાસ કરનારા, તે નાગશય્યાનો પરિત્યાગ કરીને અહીંઆં મથુરાંપુરી પ્રત્યે આવેલા છે. તે ભૂમંડળમાં દ્વારવતી પુરી મહા પવિત્ર છે. કે જ્યાં પુરાણ પુરૂષ મધુસૂદન ભગવાન સાક્ષાત્ નિવાસ કરીને રહે છે. અને એજ સનાતન ધર્મરૂપ છે. જે વેદવેત્તાઓ બ્રાહ્મણો છે. અને જે અધ્યાત્ત્મ તત્વ જાણનારા જ્ઞાની જનો છે. તે સર્વ જનો મહાત્મા શ્રીકૃષ્ણનેજ સનાતન ધર્મરૂપ કહે છે. ગોવિન્દ ભગવાન એ જ સર્વ પવિત્ર પદાર્થોમાં પરમ પવિત્ર છે. સર્વ પુણ્યોના મધ્યે એજ પુણ્યરૂપ છે. અને સર્વ મંગળ પદાર્થોમાં પણ એ જ મંગળસ્વરૂપ છે. અને પુંડરીક-કમળના સરખાં નેત્રવાળા સર્વ દેવોના પણ દેવ-અગ્રપૂજ્ય, સનાતન-નિત્યસિધ્ધ, અચિન્ત્ય સ્વરૂપ, એવા મધુસૂદન શ્રીહરિ ભગવાન, આ ત્રિલોકીમાં ત્યાંજ રહે છે. અને જ્યાં શ્રીનારાયણદેવ પરમાત્મા રહેલા છે, ત્યાંજ હે પાર્થ ! સઘળું જગત્ રહેલું છે. અને સર્વ તીર્થો તેમજ પુણ્ય ક્ષેત્રો પણ ત્યાંજ રહેલાં છે. તેજ પવિત્ર છે, તેજ પરંબ્રહ્મ છે, તેજ તીર્થ અને એ જ તપોવન છે. સર્વ દેવર્ષિઓ, સર્વ સિદ્ધ દેવો, સર્વ તપસ્વિગણો, પણ ત્યાંજ વસે છે કે જ્યાં આદિ દેવ મહાયોગી મધુસૂદન ભગવાન રહે છે અને તે જ સર્વ પવિત્ર પદાર્થોમાં પણ પવિત્ર છે. આ વાતમાં તને સંશય થવોજ ન જોઇએ. કારણકે કૃષ્ણ એજ સર્વ લોકોની ઉત્પત્તિનું મૂળ-કારણ છે અને આ ચરાચર સઘળું વિશ્વ કૃષ્ણને માટેજ રચાયેલું છે.'' આ વિગેરે નારદાદિક મુનિઓનાં વાક્યો છે અને ''હે ધનંજય ! મારાથી પર કે મારાથી મોટું બીજું કોઇ છેજ નહિં, હું જ સર્વનો કારણભૂત છું. અને મારા થકી જ આ સઘળું વિશ્વ પ્રવર્તે છે.'' આ વિગેરે શ્રીકૃષ્ણનાં પોતાનાં વચન છે. ।।૧૨-૧૩।।