શ્રીનારાયણ કહે છે- હે નારદ ! પૂજક ભક્ત પોતાના મનથી ઉપકલ્પેલા બહુવિધ ઉપચારોવડે રાધાકૃષ્ણનું પોતાના હૃદયકમળમાં રૂડી રીતે પૂજન કરીને, પછી પ્રતિમામાં ઉક્ત આવાહન પ્રકારથી તેમનું આવાહન કરીને ઉક્ત સ્થાપન પ્રકારથી તેમનું સ્થાપન કરે. ।।૧।।
ત્યાર પછી પૂજક શ્રીકૃષ્ણના અંગદેવ સંકર્ષણાદિકને તે તે દેવોના વૈદિક તાંત્રિક મંત્રોવડે અથવા તે તે દેવોના નામમંત્રવડે પૃથક્ પૃથક્ પ્રતિમામાં આવાહન કરવા પૂર્વક રૂડી રીતે સ્થાપન કરે. ।।૨।।
તે પછી પૂજક ઘંટાદિ વાદ્યને વજાડે અથવા તેના અભાવમાં હસ્તવડે તાળીયોના ધ્વનિને કરે, તે પછીના ક્ષણમાંજ શ્રીકૃષ્ણને 'પ્રથમ પોઢી ગયેલા અને પછીથી ઉઠેલા' એમ માનીને દંતધાવન કરાવે. એટલે હે 'ત્રિલોકીમંગળ ! મેં અર્પણ કરેલું આ દંતશુદ્ધિમાં હેતુભૂત જળાદિ સ્વીકાર કરો.' એમ પ્રાર્થના કરીને જળાદિકવડે દંતશુદ્ધિને કરાવે (એવી ભાવના કરે) ।।૩।।
શ્યામાક નામનું એકજાતનું વનમાં થતું તૃણધાન્ય, વિષ્ણુકાંતા નામનું સુગન્ધિ દ્રવ્ય, (જેનું બીજું નામ ગિરિકર્ણી ઔષધિ છે.) દુર્વા અને કમળ આ બધાથી મિશ્રિત એવું જે જળ તે પ્રભુને પાદ્ય માટે અર્પણ કરે. એટલે 'હે ભગવાન ! તમને નમસ્કાર છે' શ્યામાક આદિક સુગન્ધિ દ્રવ્યથી મિશ્રિત અને વળી કનકપાત્રમાં રહેલું મેં અર્પણ કરેલું આ ગંગાજળ પાદપ્રક્ષાલન માટે તમો ગ્રહણ કરો એમ આદર પૂર્વક પ્રાર્થના કરીને અર્પણ કરે. ત્યાર પછી અર્ઘ્ય-હસ્તપ્રક્ષાલન માટે જળ અને આચમનીયક- મુખપ્રક્ષાલન માટે જળને અર્પણ કરે. ।।૪।।
અર્ઘ્ય તથા આચમનીય જળમાં વિશેષ કહે છે- જળથી ભરેલા અર્ઘ્યપાત્રમાં ચંદન, અક્ષત, પુષ્પ, દર્ભાગ્ર, તિલ, સર્ષપ, યવ અને દુર્વાને નાખીને અર્પણ કરે. અર્થાત 'હે ભક્તાભયંકર ! ચંદનાદિ સુગન્ધિ પદાર્થોએ યુક્ત અને વળી સુવર્ણમય પાત્રમાં રહેલું આ ગંગોદક હસ્તપ્રક્ષાલન માટે તમો ગ્રહણ કરો' એમ બોલીને અર્પણ કરે. જાયફળ, લવીંગ, એલાયચી, કંકોળ અને વીરણના વાળાવડે વાસિત એવા આચમનીય જળને અર્પણ કરે. અર્થાત 'હે દેવદેવ ! તમને નમસ્કાર હો, જાયફળ વિગેરે સુગંધિ પદાર્થોથી મિશ્રિત અને વળી સુવર્ણમય પાત્રમાં રહેલું આ ગંગાજળ મુખપ્રક્ષાલન માટે તમો ગ્રહણ કરો' એમ પ્રાર્થના કરીને અર્પણ કરે. ત્યાર પછી 'હે ભગવન્ ! તમો સ્નાન કરો' એમ સવિનય પ્રાર્થના કરીને સ્નાન કરાવે. ।।૫-૬।।
તેજ સ્નાનના પ્રકારને કહે છે- પ્રથમ ભગવાનના અંગમાં મોગરો ચંપો વગેરે સુગન્ધિ પુષ્પોથી વાસિત કરેલા તેલ (અત્તર) થી મર્દન કરે. તે પછી સુગન્ધિ કુંકુમ અગરુ આદિકના ચૂર્ણથી ઉદ્વર્તન કરે- પ્રથમ ચોળેલા તેલને આકર્ષણ કરીલે. ।।૭।।
તે પછી પૂજકે અવ્યગ્ર મનવાળા થઇને પંચામૃતથી સ્નાન કરાવવું. કેવા પ્રકારે ? તો દુધ, દહીં, ઘી, મધ અને સાકરવડે અનુક્રમે પૃથક્ પૃથક્ તેના તેના વૈદિક તાંત્રિક મંત્રો ઉચ્ચારવા પૂર્વક ભગવાનને સ્નાન કરાવે.।૮
તે પછી સુગન્ધિ શુદ્ધ ઉષ્ણ જળવડે ભગવાનને સ્નાન કરાવીને, અભિષેક સ્નાનને ઉચિત એવા પાત્રમાં ચંદન પુષ્પાદિવડે સંક્ષેપમાં પૂજન કરે. ।।૯।।
ત્યારપછી પૂજક દ્વિજ, નિર્માલ્ય પુષ્પાદિકને ઉત્તર દિશા તરફ કાઢી નાખીને, રાજન રૌહિણ આદિક સામગીતમંત્રો બોલવા પૂર્વક અભિષેક કરે. અથવા ''जितं ते पुण्डरीकाक्ष'' આ મહાપુરૂષવિદ્યાના મંત્ર બોલીને અથવા ''हिरण्यवर्णां हरिणीं'' આ શ્રીસૂક્તના મંત્રો બોલીને અથવા ''अतो देवा अवन्तु नः'' ઇત્યાદિ વિષ્ણુસૂક્તના મંત્રો બોલીને અથવા ''सहरुशीर्षा पुरुषः'' ઇત્યાદિ પુરુષસૂક્તના મંત્રો બોલીને અભિષેક સ્નાન કરાવે. ।।૧૦।।
દીક્ષા પામેલી સ્ત્રિયો તથા શૂદ્રો તો ભગવાનનાં સહસ્ર નામો અથવા ૧૦૮ નામો બોલવા પૂર્વક અભિષેક કરે. ।।૧૧।।
તે પછી ભગવાનને વસ્ત્રથી માર્જન કરીને, અમૂલ્ય વસ્ત્રો પ્રેમપૂર્વક પહેરાવે. એવીજ રીતે રાધિકાજીને તથા બીજા સંકર્ષણાદિક અંગ દેવોને યથાશક્તિ વસ્ત્રોને ધરાવે. ।।૧૨।।
ત્યારપછી ભગવાનને શ્વેત સૂક્ષ્મ ઉત્તમ ઉપવીત આપે અને અંગદેવોએ સહ વર્તમાન ભગવાનને રત્નજડિત સુવર્ણમય સુંદર કેયૂર કિરીટ આદિક અલંકારોને યથાસ્થાન ધરાવે. ।।૧૩।।
અનંતર શિશિરાદિ ઋતુને અનુસારે અને લલાટાદિ સ્થાનને અનુસારે યથોચિત તિલક તથા અનુલેપન (અર્ચા) ને કેસર કપૂર કસ્તુરી આદિકથી મિશ્રિત એવા ચંદનવડે કરે. ભગવાનને ચંદનથી તિલક કરે તથા અર્ચાને કરે. ।।૧૪।।
રાધિકાજીને પણ યથોચિત અલંકારો ધરાવીને, પત્રલેખા (જેને પીલ કહેછે) અને કુંકુમ મિશ્રિત અક્ષતોવડે ચંદ્રક કરે. ।।૧૫।।
અનંતર ભગવાનને દર્પણ દર્શાવીને, પુષ્પહારો, તોરાઓ, હજાર તુલસીપત્રો કે માંજર્યો આદિકવડે ભગવાનનું પૂજન કરે. ।।૧૬।।
તુલસીવડે અથવા પુષ્પવડે પ્રભુ શ્રીકૃષ્ણનું પૂજન કરે તેમાં આવો પ્રકાર લેવો. એક એક માંજર્ય પ્રત્યે કે એક એક પત્ર પ્રત્યે કે એક એક પુષ્પ પ્રત્યે વિષ્ણુના નામને અંતે ચતુર્થી વિભક્તિ આવે અને તેને અંતે નમઃ શબ્દ આવે એવાં "विष्णवे नमः'' ઇત્યાદિ નામોને ઉચ્ચારણ કરે. એક એક નામને બોલતો થકો એક એક પત્રાદિકને અર્પણ કરે.।।૧૭।।
ત્યારપછી સૌભાગ્યસૂચક સુગન્ધિ પદાર્થનાં ચૂર્ણો જે અબીર ગુલાલ આદિક તે ભગવાનને અર્પણ કરીને, દશાંગ (દશ વસ્તુથી બનાવેલો) અથવા અમૃતાદિ સંજ્ઞાવાળા ધૂપને કરે. (દશાંગ તથા અમૃતધૂપનું લક્ષણ ભવિષ્યોત્તર પુરાણમાં આ પ્રકારે કહ્યું છે- ''षडभागकुष्ठं द्विगुणो गुडश्च लाक्षात्रयं पञ्च नखस्य भागाः । हरितकी सर्जरसः समासी भागैकमेकं त्रिलवं शिलाजम् ।। घनस्य चत्वारि पुरस्य चैको धूपो दशाङ्गः कथितो मुनिन्द्रैः ।। अगुरु चन्दनं मुस्ता सिहल्कं वृषणं तथा । समभागं तु कर्तव्यं धूपो।यममृताह्वयः ।।'' ઇતિ અર્થ- નાગરવેલના પાનની જડના છ ભાગ, ગોળના બાર ભાગ, લાખના ત્રણ ભાગ, નખલાના પાંચ ભાગ, નાની હરડ રાળ અને જટામાસીનો એક એક ભાગ, શિલાજીતના ત્રણ ભાગ, કપૂરના ચાર ભાગ, ગુગળનો એક ભાગ, આ સર્વને ભેગાં મેળવીને બનાવેલા ધૂપને મુનિઓ દશાંગ નામથી કહે છે. અગરુ ચંદન મોથ શિલાજીત અને કસ્તુરીને સરખે ભાગે લઇને ભેગાં મેળવીને બનાવેલા ધૂપને અમૃત નામથી કહે છે.) ।।૧૮।।
ત્યાર પછી બે દીવેટોવાળો ઘીનો દીવો પ્રગટાવે. તે પછી યથા શક્તિ કરેલું શુદ્ધ મહાનૈવેદ્ય પકવાન્નાદિ ભગવાનને નિવેદન કરે. કેવું નૈવેદ્ય ? તો શીરો, લાપશી, દુધપાક, માલપુવા, જલેબી, ખાંડનાલાડુ, પુરીઓ, રોટલીઓ, મગદળ, ભાત, બહુ પ્રકારનાં શાકો, દહીં, દુધ અને ઘી આદિક ઉત્તમ સ્વાદિષ્ટ પદાર્થો જુદાં જુદાં પાત્રોમાં ભરેલા ને ચાર પાયાવાળા પીઠ ઉપર સ્થાપન કરે. ।।૧૯-૨૦।।
તે પછી પૂજક તે સ્થાપેલું પકવાન્નાદિ નૈવેદ્ય ભગવાનને અતિપ્રેમથી મધ્યે પાનીય અર્પણ કરતો થકો થાળ બોલવા પૂર્વક જમાડે. જમાડતાં અર્ધો મુહૂર્ત (એક ઘડી) થયા પછી હસ્ત પ્રક્ષાલન જળને અર્પણ કરે. ('વિષ્ણુસહસ્રનામ સ્તોત્રનો પાઠ થઇ રહે એટલો સમય જમાડે' એમ વૈષ્ણવોનું કહેવું છે.) ।।૨૧।।
ત્યારપછી ભગવાનનો ઉચ્છિષ્ટ પ્રસાદ વિશ્વક્સેન આદિક પાર્ષદોને નિવેદન કરીને, તે પ્રસાદને પોતા માટે બીજા સ્થળમાં સ્થાપી આવીને, જ્યાં નૈવેદ્ય ધરાવ્યું હોય તે પૃથ્વીને ધોઇ લીંપીને શુદ્ધ કરે. ।।૨૨।।
ત્યારપછી ભગવાનને મુખવાસ માટે રૂડી રીતે બનાવેલી, સોપારીનું ચૂર્ણ લવીંગ એલાયચી જાયફળ જાવંત્રી આદિક ઊચિત પદાર્થોએ યુક્ત એવી તાંબુલબીડી અર્પણ કરે. ।।૨૩।।
તે પછી નાળીયેર કેળાં ખજૂર કેરી આદિક ફળ અર્પણ કરીને યથાશક્તિ દક્ષિણા અર્પણ કરીને, ગીત ગાવા પૂર્વક તેમજ વાજીંત્ર વજાવવા પૂર્વક આરતી કરે. ।।૨૪।।
અનંતર પુષ્પાંજલી આપીને, ભગવાનની તેમનાજ સ્તોત્રોવડે સ્તુતિ કરે. પછીથી ભગવાનની સન્નિધિમાં ગાન કરતો થકો અને નૃત્ય કરતો થકો તેમનાં મંગળ નામોનું કીર્તન કરે. ।।૨૫।।
પૂજક જન આ પ્રકારે એક મુહૂર્તપર્યંત કરીને, પછી પ્રદક્ષિણા કરે. પછી પ્રતિમાના દક્ષિણ ભાગમાં ભૂમિઉપર વક્ર થઇને દંડવત્ પ્રણામ કરે. એટલે 'ભગવાનના જમણા ચરણને જમણા હાથથી હું ગ્રહણ કરૂં છું અને ડાબા ચરણને ડાબા હાથથી હું ગ્રહણ કરૂં છું' એવી મનમાં ભાવના કરતો થકો પ્રતિમાથી કિંચિત્ દૂર ભાગમાં દંડવત્ પડીને પ્રણામ કરે ।।૨૬।।
હે મુનિસત્તમ ! અષ્ટાંગ અને પંચાંગ એવા ભેદથી પ્રણામ બે પ્રકારનો કહ્યો છે. તેમાં પુરૂષ જાતિ, અષ્ટાંગ અથવા પંચાંગ પ્રણામને કરે. નારી જાતિ તો પંચાંગજ પ્રણામને કરે પણ અષ્ટાંગને ન કરે. આવો પ્રણામમાં વિશેષ સમજવો. ।।૨૭।।
અષ્ટાંગ પંચાંગ બે પ્રણામનું લક્ષણ કહેછે- બે પગ, બે હાથ, બે ઢીંચણ, ઉરઃસ્થળ, મસ્તક, દૃષ્ટિ, વચન અને મન આ આઠ અંગોએ કરીને જે પ્રણામ કરવો તે અષ્ટાંગ નામથી કહ્યો છે. બે હાથ, મસ્તક, દૃષ્ટિ, વચન અને મન આ પાંચ અંગોએ કરીને પ્રણામ કરવો તે પંચાંગ નામથી કહેવાય છે. પૂજાવિધિમાં આ બે પ્રણામો શ્રેષ્ઠપણે માન્યા છે. ।।૨૮।।
ત્યાર પછી હે પ્રભો ! વારંવાર જન્મમરણરૂપ સંસાર થકી ભય પામેલો, માટેજ તમારા શરણને પામેલો હું તે મારી તમે રક્ષા કરો, આ રીતે પ્રાર્થના કરીને, પ્રતિદિન કરવાપણે કહેલો સ્વાધ્યાય જે વેદપુરાણ સ્તોત્રાદિકના પાઠરૂપ તેને યથાશક્તિ કરે. ।।૩૦।।
ત્યારપછી ભગવાને મને પોતાનો ચંદન પુષ્પાદિરૂપ શેષ પ્રસાદ આપ્યો અને તે મેં આદરથી મસ્તકે ગ્રહણ કર્યો એવી મનમાં ભાવના કરીને, રાધાકૃષ્ણને જેમ પ્રથમ આવાહન કર્યા હતા તેમજ હૃદયકમળમાં સ્થાપન કરે અને તેમના અંગદેવોને પોત પોતાના સ્થાન પ્રત્યે વિસર્જન કરે. ।।૩૧।।
ભગવાનની પ્રતિમાને કરંડીયામાં અથવા શય્યામાં અથવા મંદિરમાં પોઢાડીને, તેના દ્વારા બંધ કરીને, પછીથી પંચ મહાયજ્ઞારૂપ વૈશ્વદેવ કર્મને કરે. ।।૩૨।।
વૈશ્વદેવ કર્યા પછી પૂજક જન, ભગવાનના પ્રસાદભૂત અન્નનો પોતાના પિતા પ્રમુખ પોષ્યવર્ગને યથોચિત વિભાગ કરી આપીને પછીથી પોતે જમે. અવશિષ્ટ દિવસને વૃથા નહિ પણ ભગવાનની કથાનું શ્રવણ કીર્તન સ્મરણ આદિક નવધા ભક્તિ કરવાની સાથે નિર્ગમન કરે. ।।૩૩।।
જે જન પ્રતિદિન મેં કહેલા આ મહાપૂજાવિધિને અનુસારે પ્રેમપૂર્વક ભગવાનનું પૂજન કરે તે ભગવાનનો પાર્ષદ થાય છે. ।।૩૪।।
પૂર્વોક્ત પ્રકારે પૂજા કરનારો જન, દેહને અંતે દિવ્ય તનુને પામીને બ્રહ્માદિ દેવોએ પણ વાંછના કરેલા દેદીપ્યમાન દિવ્ય વિમાનમાં બેસીને ગોલોક નામના શ્રીહરિના ધામને પામે છે. ।।૩૫।।
નિષ્કામ ભક્તને મળતું પૂજાફળ કહીને, હવે સકામ ભક્તને મળતું તે કહે છે- જે પૂજક ધર્માદિ ફળનું અનુસંધાન રાખીને પણ ભગવાનનું દિને દિને પૂર્વોક્ત વિધિને અનુસારે પૂજન કરે છે તે સકામ ભક્ત પણ પોતે ઇચ્છેલા ધર્મ અર્થ કામ અને મોક્ષને પણ પામે છે. ।।૩૬।।
આ પ્રકારનો પૂજાવિધિ કરવા અસમર્થ એવો ભક્તજન, રાધા સાથે એક (અંગદેવતાના સ્થાપન વિના) ભગવાનનું જેવા મળે એવા ઉપચારોવડે ભક્તિપૂર્વક પૂજન કરે. ।।૩૭।।
દ્વિજશબ્દવાચ્ય ત્રૈવર્ણિક છે પણ વેદાદિ સચ્છાસ્ત્રને ભણ્યો નથી એવો અને મહાપૂજા કરવામાં અસમર્થ એવો ભક્તજન ''ઁ नमो भगवते वासुदेवाय'' આ દ્વાદશાક્ષર મંત્રવડે પૂજન કરે. જે બીજો મહાપૂજા કરવામાં અસમર્થ સ્ત્રીશૂદ્રાદિ જન છે તેતો ''केशवाय नमः'' ઇત્યાદિ નામમંત્રવડે શ્રીરાધાકૃષ્ણનું પૂજન કરે. ભગવાનના પૂજનમાં અતિ પ્રીતિરૂપ ભક્તિજ મહાફળને આપનારી છે પણ અન્ય સાધન નથી. ।।૩૨।।
સર્વ વૈષ્ણવોએ એકાદશીને દિવસે અને ભગવાનના જન્મોત્સવાદિ દિવસે તો અધિકપણે મહાપૂજા યથાશક્તિ કરવીજ. ।।૩૯।।
બીજા કોઇએ કરાવેલાં મંદિરમાં યથાશાસ્ત્ર પ્રતિમા પ્રતિષ્ઠામાત્રને પણ જે પુરૂષ કરાવે તે સમગ્ર પાપે રહિત થઇને સાર્વભૌમ રાજ્યને નિશ્ચે પામે. ।।૪૦।।
ધનાઢય જે પુરૂષ ભગવાનનું દૃઢ સુંદર મંદિરમાત્ર પણ કરાવે તે તો ત્રિલોકીના પણ નિષ્કંટક રાજ્યને પામે. ।।૪૧।।
જે પુરૂષ ક્ષેત્રાદિ જીવિકાવૃત્તિ આપીને પૂજાપ્રવાહને વધારી આપે તેતો વિષ્ણુલોકમાં મહાસુખને નિશ્ચે પામે. ।।૪૨।।
જે પુરૂષ આ લોકમાં મંદિર, પ્રતિષ્ઠા અને પૂજા આ ત્રણેયને કરાવે તેતો નિશ્ચે ભગવાનના જેવાં ઐશ્વર્ય (સાધર્મ્ય) ને પામે છે. ।।૪૩।।
જે પુરૂષ પોતે અથવા બીજાએ બાંધી આપેલી દેવની જીવિકા વૃત્તિને હરી લે તે તો એક કલ્પપર્યંત નરકમાં યમયાતનાને નિશ્ચે ભોગવે છે. ।।૪૪।।
પુણ્યનો તથા પાપનો કરનાર, કરાવનાર, સહાય કરનાર અને અનુમોદન આપનાર આ ચારેય જણને પુણ્યનો તથા પાપનો ફળમાં સમાન ભાગ નિશ્ચે મળે છે, માટે પુણ્ય કરવું પણ પાપ કરવું નહિ. ।।૪૫।।
હે નારદ ! આ પ્રકારે ક્રિયાયોગનો વિધિ કે જે પ્રેમપૂર્વક કરવાથી આ લોકમાં ભગવદધીનપણે વર્તનારા ભક્તજનોને એકાંતિક ધર્મની સિદ્ધિને કરી આપનારો છે તે મેં તમને કહી સંભળાવ્યો. ।।૪૬।।
બીજાને તો ઇષ્ટ ફળની સિદ્ધિ થતી નથી એમ કહે છે- ચિત્તમાં શબ્દાદિ ગ્રામ્ય વિષયોનું ચિંતવન કરતો પુરૂષ ભલે મોટી મોટી બહુ સામગ્રીવડે બહાર ભગવત્પૂજાને કર્યા જ કરે પણ શાસ્ત્રમાં જે મહાપૂજાનું ફળ કહ્યું છે તેને પામતોજ નથી. ।।૪૭।।
માટે ગ્રામ્ય સુખમાં અહીં તહીં ભમતા પોતાના મનને વશ કરીને, મુમુક્ષુ જન વિષ્ણુપૂજામાંજ તત્પર થાય. ।।૪૮।।
આવો પૂજાવિધિજ એકાંતિક ભક્તિરૂપ ફળને આપનાર હોવાથી તેનું સર્વ સાધનોની અપેક્ષાએ શ્રેષ્ઠપણું કહે છે- કેટલાક અહિંસાદિ પાંચ યમરૂપ મહાવ્રતને અથવા સનત્સુજાત ઋષિએ કહેલા બ્રાહ્મણના બાર ધર્માદિ ગુણરૂપ મહાવ્રતને ધારી રહેલા છે, કેટલાક કૃચ્છ્ર ચાંદ્રાયણાદિ મહાતપને કરનારા છે. કેટલાક ઋગાદિ વેદોને યથાર્થ ભણનારા છે. કેટલાક રાજ્ય વ્યવહાર વિગેરે વિષયમાં બહુ બુદ્ધિવાળા છે. કેટલાક સાંખ્યશાસ્ત્રના પરિશીલન પરાયણ છે. કેટલાક યોગશાસ્ત્રના પરિશીલનપરાયણ છે. આ સર્વે પોતપોતાના અર્થમાં અત્યંત કુશળ છે. તથાપિ પૂર્વોક્ત ભગવત્પૂજન વિના વાંછિત ફળને પામતાજ નથી. માટે સર્વ કોઇએ આ કહ્યું એવું ભગવત્પૂજન અવશ્ય કરવું. ।।૪૯।।
ઇતિ શ્રીસ્કંદપુરાણે વિષ્ણુખંડે શ્રીવાસુદેવમાહાત્મ્યે ક્રિયાયોગે શ્રીવાસુદેવપૂજાવિધિ નિરૂપણ નામા એકોનવિંશઃ અધ્યાયઃ ।।૨૯।।