સંવત્ ૧૮૮૪ના શ્રાવણ વદિ અમાવાસ્યાને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.
પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પુછયો જે, હે મહારાજ ! ૧કાળ તો ભગવાનની શકિત છે, ને કર્મ તો જીવે કર્યાં હોય તે છે, પણ સ્વભાવ તે વસ્તુગતે શું હશે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "જીવે જે પૂર્વ જન્મને વિષે કર્મ કર્યાં છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળાં એકરસ થઈ ગયાં છે. જેમ લોઢાને વિષે અગ્નિ પ્રવેશ થઈ જાય, તેમ પરિપક્વ પણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવાં જે કર્મ તેને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ."
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે, "હે મહારાજ ! જીવ સાથે એકરસપણાને પામી રહ્યાં એવાં જે કર્મ એને સ્વભાવ તથા વાસના કરીને કહોછો એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે ?" પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "એ વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મ-નિષ્ઠાએ સહિત શ્રીકૃષ્ણભગવાનની ભક્તિ કરવી એજ ભાસે છે. અને જો આત્મનિષ્ઠા વિના એકલી જ શ્રીકૃષ્ણભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. માટે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળ્યાનો ઉપાય છે. અને આત્મનિષ્ઠાવાળાને પણ જો કોઈક ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને અજ્ઞાનીની પેઠે જ ક્ષોભ થઈ આવે પણ ઝાઝી વાર ટકે નહિ." ઇતિ વચનામૃતમ્ ।।૨૦।। ૨૫૪ ।।
૧ કાળ કર્મ સ્વભાવ આ ત્રણ જીવોને સુખ દુઃખની પ્રાપ્તિમાં નિમિત્ત છે તેમાં.