૫૪. સર્વાધિક સત્સંગ જેને જાણ્યો હોય તેવા ભક્તનું લક્ષણ

સંવત્ ૧૮૮૦ના જ્યેષ્ઠ શુદિ ૭ સપ્તમીને દિવસ ત્રીજા પહોરને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઇને શ્રીલક્ષ્મીવાડીએ પધાર્યા હતા. ત્યાં ઘણીવાર સુધી તો ઘોડી ફેરવી, પછી તે વાડી મધ્યે વેદી ઉપર વિરાજમાન થયા હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં, અને મસ્તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી, ને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો, ને પાઘને વિષે તોરો વિરાજમાન હતો, અને પોતાના મુુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પુછયો જે, 'એકાદશ સ્કંધના બારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહ્યું છે જે, 'અષ્ટાંગયોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞા અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થાઉ છું.' એમ ભગવાને કહ્યું છે. માટે સર્વે સાધન કરતાં સત્સંગ અધિક થયો. તે જેને સર્વે સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરૂષનાં કેવાં લક્ષણ હોય ?" પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનના સંતને વિષે જ આત્મબુદ્ધિ છે, જેમ કોઇક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ગઢપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે, મુંછો તાણે, તો પણ અભાવ આવે નહિ અને કોઇકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઇ રીતે તેનો અવગુણ આવે જ નહિ, શા માટે જે, એ રાજાને પોતાના દીકરાને વિષે આત્મબુધ્ધિ થઇ ગઇ છે. એવી જેને ભગવાનના ભક્તને વિષે આત્મબુધ્ધિ થાય છે, તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. એ વાર્તા ભાગવતમાં કહી છે જે -
यस्यात्मबुद्धिः कुणपेत्रिधातुके स्वधीः कलत्रादिषु भौम इज्यधीः ।
यत्तीर्थबुद्धिः सलिलेन कर्हिचिज्जनेष्वभिज्ञोषु स एव गोखरः ।।
એ શ્લોકને વિષે એ વાર્તા યથાર્થ કહી છે." ઇતિ વચનામૃતમ્ ।।૫૪।।૧૮૭।।

૧ અર્થ - જે પુરૃષને વાત, પિત અને શ્લેષ્મરૃપ ત્રણધાતુમય શરીરમાં આત્મબુદ્ધિ છે. અને સ્ત્રી પુત્રાદિકમાં આત્મીય બુદ્ધિ છે અને ભૂમિના વિકારભૂત પ્રતિમાદિકમાં પૂજનીય દેવતાબુદ્ધિ છે. અને જળમાં તીર્થબુદ્ધિ છે. તે પુરૃષને જો આત્મ-બુદ્ધ્યાદિક બુદ્ધિયો ભગવાનના એકાંતિક જ્ઞાની ભક્તમાં ન હોય તો તેને પશુઓમાં પણ કનિષ્ઠ ખર (ગધેડો) જાણવો.