શ્લોક ૧૫૧

श्रीकृष्णगुरुसाधूनां दर्शनार्थं गतौ पथि । तत्स्थानेषु च न ग्राह्यं परान्नं निजपुण्यहृत् ।।१५१।।


અને વળી ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે, ભગવાન, ગુરૂ, તથા સાધુનાં દર્શનને માટે જ્યારે ગયેલા હોઇએ ત્યારે માર્ગમાં પારકું અન્ન ખાવું નહિ. તથા ભગવાન, ગુરૂ અને સાધુનાં તે તે સ્થાનકોને વિષે પારકું અન્ન ખાવું નહિ. કારણ કે પારકું અન્ન પોતાના પુણ્યને હરી લેનારૂં છે. માટે પોતાની ગાંઠનું અન્ન ખાવું.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આ શ્લોકમાં શ્રીજીમહારાજે ગુરૂ અને સાધુ આ બન્નેનો પૃથક્ ઉલ્લેખ કરેલો છે. સાધુને પણ ગુરૂ કહી શકાય છતાં અહીં ગુરૂ શબ્દનો પૃથક્ ઉલ્લેખ કરેલો છે. તેથી ગુરૂ શબ્દથી અહીં આચાર્ય સમજવા. તો ભગવાન, આચાર્ય અને સંતોનાં દર્શનને માટે આપણે જ્યારે ગયેલા હોઇએ ત્યારે માર્ગમાં જેમ બને તેમ પારકું અન્ન ખાવું નહિ. અહીં પારકું જે કહ્યું એ ભિક્ષા સિવાયનું અન્ન જાણવું. ભિક્ષાનું અન્ન પારકું કહેવાતું નથી. ભિક્ષાનું અન્ન સર્વપ્રકારે પવિત્ર અને પોતાનું જ કહેવાય છે. માટે ભિક્ષાનું અન્ન જમવામાં દોષ નથી. પણ ભગવાન, ગુરૂ કે સાધુનાં દર્શનાર્થે કે યાત્રાએ આપણે ગયેલા હોઇએ, અને ત્યાં જો પારકું અન્ન જમીએ તો દર્શનનું કે યાત્રાનું પુણ્ય તો આપણે જેમનું અન્ન જમેલા હોઇએ તેમને જ મળે છે. પણ આપણને કાંઇ મળતું નથી. આ બાબતમાં સ્મૃતિનું વાક્ય પ્રમાણ રૂપ છે. ''यस्यान्नम् अश्नन् पुरुषस्तीर्थक्षेत्रव्रतानि च । यज्ञां जपं तपो वा।पि कुर्यात् तस्यैव तत्फलम्'' ।। इति ।। આ પદ્યનો એ અર્થ છે કે, જેમનું અન્ન જમીને પુરુષ તીર્થયાત્રા, વ્રત, યજ્ઞા, જપ, કે તપ કરે છે. તો જેનું અન્ન પોતે જમેલો હોય તેને જ તીર્થયાત્રાદિકનું ફળ મળે છે. પોતાને કાંઇ મળતું નથી. માટે ભગવાન, ગુરૂ તથા સાધુનાં દર્શનાર્થે ગયેલા હોઇએ કે પછી યાત્રાર્થે ગયેલા હોઇએ ત્યારે પારકું અન્ન ખાવું નહિ. આવો ભાવ છે. ।।૧૫૧।।