અધ્યાય - ૫૮ - ભગવાન શ્રીહરિએ કાર્તિક માસમાં આવતા અન્નકૂટાદિ ઉત્સવોનું કરેલું નિરૂપણ.

ભગવાન શ્રીહરિએ કાર્તિક માસમાં આવતા અન્નકૂટાદિ ઉત્સવોનું કરેલું નિરૃપણ. અન્નકૂટ તથા ગોવર્ધન મહોત્સવ. ગોપાષ્ટમીનો ઉત્સવ. પ્રબોધનીનો ઉત્સવ. શ્રીધર્મદેવ જન્મોત્સવ. હાટડી ઉત્સવ. તુલસી વિવાહ મહોત્સવ. દેવદીવાળી ઉત્સવ.

श्री नारायणमुनिरुवाच -

सायाह्नव्यापिनी ग्राह्या प्रतिपत्कार्तिके सिता । पूर्वविद्धैव सुखदा प्रोक्ता गोवर्धनोत्सवे ।। १ 

गवां क्रीडादिने यत्र रात्रौ दृश्येत् चन्द्रमाः । सोमो राजा पशून् हन्ति सुरभिपूजकांस्तथा ।। २

संलग्नमेव कर्तव्यं दीपावल्या दिनत्रयम् चतुर्दशी ह्यमावास्या प्रतिपञ्चेति नान्यथा ।। ३

અન્નકૂટ તથા ગોવર્ધન મહોત્સવ :- ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! કાર્તિક માસનો સુદ પડવો સાયંકાળ સુધી વ્યાપ્ત હોય તે જ ગ્રહણ કરવો. કારણ કે ગોવર્ધન ઉત્સવમાં અમાવાસ્યાના વેધવાળો પડવો સુખકારી કહેલો છે. પરંતુ બીજના વેધવાળો સુખકારી નથી.૧ 

કારણ કે ગાયોના ખેલનોત્સવને દિવસે રાત્રીએ જો ચંદ્રમાનું દર્શન થાય તો એ પશુઓ તથા ગાયનું પૂજન કરનારનો વિનાશ કરે છે.૨ 

દીપાવલીના ત્રણ દિવસ ચૌદશ, અમાવાસ્યા અને પડવો એ સાથે ઉજવવા, પરંતુ જુદા જુદા નહિ.૩ 

पीताम्बरं तदा कृष्णं धारयेद्रक्तपल्लवम् । मयूरपिच्छमुकुटं कर्णिकारावतंसकौ ।। ४

पञ्चवर्णैश्च कुसुमैर्मालां विरचितां शुभाम् । वैजयन्तीं शेखरांश्च धारयेन्मुरलीं तथा ।। ५

भूषणानि विचित्राणि तुलसीमालिकां तथा । प्रावारं द्विपटं तिर्यग्धारयेत् स्कन्धलम्बितम् ।। ६

अन्नकूटं विरचयेत्स्वस्य वित्तानुसारतः । नानाविधानि शाकानि भज्यानि विविधानि च ।। ७

घृतपक्व विशेषांश्च कृतान्नानाविधानपि । ओदनादीनि भोज्यानि श्रीकृष्णाय निवेदयेत् ।। ८

ताम्बूलवीटिका दत्त्वा महानीराजनं हरेः । कृत्वा विप्रान्वैष्णवांश्च साधून्प्रीत्यैव भोजयेत् ।। ९

अस्मिन्नेव दिने प्रातः पूजयेग्दाश्च वत्सकान् । वृषान्वत्सतरीश्चापि हरिद्राकुंकुमादिभिः ।।१०

पौष्पैर्हारैः शृङ्गरङ्गैर्नूतनैश्च तृणादिभिः । सम्पूज्य खेलयेत्तांश्च मन्दिरस्याग्रतो हरेः ।। ११

गोवर्धनं गोमयेन कृत्वाऽर्चेच्च ततः परम् । अन्नकूटं तु मध्याह्ने विदधीत हरेः पुरः ।। १२

गोवर्धनोत्सवकथापद्यानि रुचिराणि च । गापयेत्कीर्तयेदत्र वाद्यघोषं च कारयेत् ।। १३

भोजनान्ते वैष्णवानां भुञ्जीत स च सेवकः । एतावान् हि विशेषोऽत्र विधिरन्यस्तु नैत्यकः ।। १४

હે પુત્રો ! આજે શ્રીકૃષ્ણ ભગવાનને લાલ છેડાવાળું પીતાંબર ધારણ કરાવવું, મસ્તક ઉપર મોરપીંછનો મુગટ ધારણ કરાવવો અને કાનમાં કરેણપુષ્પના ગુચ્છ ધરાવવા.૪ 

પાંચ રંગના પુષ્પોથી રચેલી શોભાયમાન વૈજયંતી માલા, પુષ્પોના તોરા તથા મોરલી ધારણ કરાવવી.૫ 

અનંત પ્રકારનાં આભૂષણો, મંજરી યુક્ત કોમળ તુલસીપત્રની માળા તેમજ ખભા ઉપર ત્રાંસો બેવડો પટકો અને ઉત્તરીય વસ્ત્ર ધારણ કરાવવું.૬ 

પોતાની ધન સંપત્તિને અનુસારે અન્નકૂટની રચના કરવી. તેમાં અનેક પ્રકારનાં શાક અને વિવિધ ભજીયાં વગેરેનાં ભોજન ધરાવવાં.૭ 

ઘીથી તૈયાર કરેલાં જલેબી, ખાજા આદિ પકવાનો, ભાત આદિ ભોજ્ય પદાર્થો પણ શ્રીકૃષ્ણ ભગવાનને ધરાવવાં.૮ 

છેલ્લે પાનબીડું અર્પણ કરી ભગવાનની આરતી કરવી, ને વૈષ્ણવ વિપ્રો તથા સંતોને પ્રેમથી જમાડવા.૯ 

આજે પડવાના દિવસે જ પ્રાતઃકાળે ગાય, વાછરડાં, બળદ, નાની નાની વાછરડીઓની પણ હળદર, કુંકુમ આદિ માંગલિક પદાર્થોથી પૂજા કરવી.૧૦ 

પુષ્પોના હાર કંઠમાં ધારણ કરાવવા, સિંદુર કે ગેરુ આદિ રંગોથી શીંગળાં રંગવાં ને નવીન તૃણાદિ તથા યવ આદિ ખવડાવીને તેનું પૂજન કરી ભગવાનનાં મંદિર આગળ ખેલકૂદ કરાવવી.૧૧ 

ગાયના છાણથી ગોવર્ધન પર્વતની રચના કરી, તેનું પૂજન કરવું, ને પછી મધ્યાહ્ને ભગવાન શ્રીહરિની આગળ અન્નકૂટની રચના કરવી.૧૨ 

હે પુત્રો ! આ ઉત્સવમાં રુચિકર ગોવર્ધન ઉત્સવનાં પદો ગવરાવવાં ને ગાવાં ને તેમાં વાજિંત્રોનો નાદ કરાવવો.૧૩ 

પછી મુખ્ય યજમાને વૈષ્ણવ સંતો-ભક્તો અને બ્રાહ્મણોને ભોજન જમાડીને પછીથી જમવું, આ ઉત્સવમાં આટલો વિધિ વિશેષ છે. બાકીનો પૂજનાદિ વિધિ પૂર્વવત જાણવો.૧૪ 

शुक्लाष्टम्यामूर्जमासे कृष्णो वृन्दावने पुरा । प्रथमं चारयामास प्रातर्गाः सह गोपकैः ।। १५

सूर्योदये भवेद्या सा ग्राह्या गोपाष्टमी तिथिः । तिथेर्वृद्धौ क्षये पूर्वा विद्धा ग्राह्या न चान्यथा ।। १६

तस्मिन्दिने गोपवेषं धारयेत्कृष्णमुत्तमम् । कच्छनीं बर्हमुकुटं धारयेत्पीतमम्बरम् ।। १७

चर्चयेच्चन्दनेनाङ्गं पौष्पीर्भूषास्तु भूरिशः । धारयेच्च करे यष्टिं मुरलीं च मनोहराम् ।। १८

नैवेद्ये दधि भक्तं च दधात्पेषितशर्कराम् । कृष्णगोचारणकथापद्यानीह च गापयेत् ।। १९

ગોપાષ્ટમીનો ઉત્સવ :- હે પુત્રો ! પૂર્વે શ્રીકૃષ્ણ ભગવાન કાર્તિક માસના સુદ આઠમના દિવસે પ્રાતઃકાળે પોતાના ગ્વાલબાલ મિત્રોની સાથે વૃંદાવનમાં પ્રથમ ગાયો ચરાવવા નીકળ્યા હતા.૧૫ 

આ ગોપાષ્ટમી તિથિ સૂર્યોદય વ્યાપિની હોય તેજ ગ્રહણ કરવી, જો બે અષ્ટમી તિથિ હોય તો બહુકાળ વ્યાપિની હોવાથી પૂર્વની ગ્રહણ કરવી. અને જો અષ્ટમીનો ક્ષય હોય તો સપ્તમીના વેધવાળી પણ ગ્રહણ કરવી, પરંતુ અન્ય નહિ.૧૬ 

હે પુત્રો ! આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને ઉત્તમ ગોપવેષ ધારણ કરાવવો. તેમાં અંગ ઉપર સૂંથણી ધારણ કરાવવી, મસ્તક ઉપર મોરપીંછનો મુગટ ધારણ કરાવવો, પીળું પીતાંબર ધારણ કરાવવું.૧૭ 

અંગ ઉપર ચંદનની અર્ચા કરવી, સુગંધીમાન પુષ્પોમાંથી તૈયાર કરેલાં અનેક પ્રકારનાં આભૂષણો ધારણ કરાવવાં. હાથમાં અનુપમ મનોહર નેત્રની છડી અને મોરલી ધારણ કરાવવી.૧૮ 

નૈવેદ્યમાં દહીં, ભાત અને પીસેલી સાકર અર્પણ કરવી. આ ઉત્સવમાં ગાયો ચરાવતા શ્રીકૃષ્ણ ભગવાનની લીલાના પદોનું ગાયન કરાવવું. આ રીતે પૂજન કર્યા પછી ભોજન કરવું.૧૯ 

एकादश्यामूर्जशुक्ले शेषशायी जगत्प्रभुः । योगेश्वरो जजागार तेनोक्तैषा प्रबोधनी ।। २०

दशमीवेधरहिता तिथिरेकादशी व्रते । उत्सवे च ग्रहीतव्या न तु विद्धा कदाचन ।। २१

दशमी पञ्चपञ्चाशद्धटिका यावदस्ति च । न तावद्दशमीवेधस्तत ऊर्ध्वं स वै मतः ।। २२

एकादशी द्वादशी वाधिका चेत्त्यज्यतां दिनम् । पूर्वे ग्राह्यं तूत्तरं स्यादिति वैष्णवनिर्णयः ।। २३

नवमी पलमेकं स्याद्दशमी परतो यदि । द्वादश्येव तदा ग्राह्या व्रतेष्वप्युत्सवेषु च ।। २४ 

પ્રબોધનીનો ઉત્સવ :- હે પુત્રો ! કાર્તિક સુદ એકાદશીએ શેષશાયી યોગેશ્વર ભગવાન યોગનિદ્રાનો ત્યાગ કર્યો છે. તેથી તે એકાદશીને પ્રબોધની એકાદશી કહેવાય છે.૨૦ 

આ એકાદશી દશમીતિથિના વેધ રહિતની હોય તો વ્રત ને ઉત્સવમાં ગ્રહણ કરવી. પરંતુ ક્યારેય પણ દશમના વેધવાળી ગ્રહણ કરવી નહી.૨૧ 

જયાં સુધી દશમી તિથિ પંચાવન ઘડી સુધી પ્રવર્તતી હોય ત્યાં સુધી દશમનો વેધ મનાતો નથી. પંચાવન ઘડીથી એક પળ પણ જો વધુ હોય તો તે એકાદશી દશમના વેધવાળી કહેવાય છે.૨૨ 

જો એકાદશીની વૃદ્ધિ હોય તો પૂર્વની સાઠ ઘડીના વ્યાપવાળી પણ છોડી દેવી, પરંતુ બીજી સૂર્યોદય સમયે પળમાત્રની હોય તો પણ તે વ્રતોત્સવમાં ગ્રહણ કરવી. અને જો બારસની વૃદ્ધિ હોય તો આગલી બારસ વ્રત અને ઉત્સવમાં ગ્રહણ કરવી ને પાછલી બારસે પારણાં કરવાં.૨૩ 

નવમી તિથિ એક પલ માત્રની હોય ત્યારપછી દશમી તિથિ બેસી જતી હોય ને એકાદશીનો ક્ષય હોય તો દશમીના વેધવાળી પણ બારસ ગ્રહણ કરવી ને તેરસના પારણાં કરવાં. આ વ્રતની વિશેષ વ્યાખ્યા તૃતીય પ્રકરણના તેત્રીસમા અધ્યાયમાં કરી છે. ત્યાંથી જાણી લેવી.૨૪ 

निशः क्षण उपान्त्येऽत्र समुत्थायाशु वैष्णवः । स्नात्वा सन्ध्याविधिं कृत्वा पूजाद्रव्याण्युपाहरेत् ।। २५

योगेश्वराख्याभ्यर्चेच्छ्रीकृष्णं पुरुषोऽर्चकः । योगेश्वरार्चां हैमीं वा कारयेन्निजशक्तितः ।। २६

पद्मासनसमासीनः किञ्चिन्मीलितलोचनः । घ्राणाग्रे दत्तदृष्टिश्च श्वेतपद्मोपरि स्थितः ।। २७

वामदक्षिणगौ हस्तावुत्तानावङ्कभागगौ । तत्करद्वयपार्श्वस्थे पङ्केरुहमहागदे ।। २८ 

ऊर्ध्वे करद्वये तस्य पाञ्चजन्यसुदर्शने । कारयेद्वामभागे च तस्य लक्ष्मीमवस्थिताम् ।। २९

इत्थं योगेश्वरं कृत्वा महत्या पूजयार्चयेत् । उपचारैः षोडशभिर्गीतवादित्रपूर्वकम् ।। ३०

नैवेद्ये तस्य दद्याञ्च शर्करासहितं पयः । ओदनं चातिमृदुलं द्राक्षादीनि फलानि च ।। ३१

હે પુત્રો ! આ પ્રબોધનીના ઉત્સવમાં વૈષ્ણવ ભક્તોએ રાત્રીના અંતિમ પ્રહરમાં બ્રાહ્મમુહૂર્તમાં તત્કાળ જાગ્રત થઇ સ્નાન સંધ્યાદિ નિત્યવિધિ થકી પરવારી પૂજાના ઉપચારો ભેળા કરવા.૨૫ 

ને પૂજકે યોગેશ્વર નામના શ્રીકૃષ્ણની પૂજા કરવી.તેમાં પોતાની શક્તિ અને સંપત્તિને અનુસારે યોગેશ્વર ભગવાનની મૂર્તિ સુવર્ણની તૈયાર કરાવવી.૨૬ 

તે પદ્માસન વાળીને વિરાજમાન હોય, નેત્રો કાંઇક મીંચેલાં હોય, દૃષ્ટિ નાસાગ્રે સ્થિર હોય, શ્વેત કમળના આસન ઉપર બેઠેલા હોય, ડાબા હાથના તળા ઉપર જમણા હાથના પૃષ્ઠ ભાગ પધરાવી બન્ને હાથ ખોળામાં સ્થાપન કરેલા હોય એવી મૂર્તિ તૈયાર કરાવવી. તેમજ તે બન્ને હાથની પાસેના ભાગમાં પદ્મ અને ગદા સ્થાપેલી હોય તેવી મૂર્તિ તૈયાર કરાવી.૨૭-૨૮ 

તે યોગેશ્વર ભગવાનની મૂર્તિના ઉપરના ડાબા હાથમાં પાંચજન્ય શંખ અને જમણા હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરાવવું. તેની ડાબે પડખે અડગ ઊભેલાં હોય તેવાં લક્ષ્મીજીની મૂર્તિ કરવી.૨૯ 

આ પ્રમાણેના યોગેશ્વર ભગવાનની ગીત વાજિંત્રો વગાડવા પૂર્વક ષોડશોપચારથી મહાપૂજા કરવી.૩૦ 

તેમને નૈવેદ્યમાં સાકરે સહિત દૂધ અને ભાત અર્પણ કરવો ને લીલી દ્રાક્ષ આદિ ફળો અર્પણ કરવાં. ૩૧ 

अत्र मध्याह्नसमये कार्यो धर्मार्चनोत्सवः । धर्मस्यार्चा न चेत्तर्हि हैमं धर्मे तु कारयेत् ।। ३२

भगवन्मदिरस्याग्रे मण्डपं पूर्ववच्छुभम् । कृत्वा च सर्वतोभद्रे यथाशास्त्रं तमर्चयेत् ।। ३३

चतुर्वक्त्रश्चतुर्बाहुश्चतुष्पाच्च सिताम्बरः। सर्वाभरणवाञ्छ्वेतो धर्मः कार्यः सुलक्षणः ।। ३४

दक्षिणे चाक्षमालाऽस्य करे वामे तु पुस्तकम् । मूर्तिमान्व्यवसायश्च कार्यो दक्षिणभागगः ।। ३५

वामभागगतः कार्यः सुखः परमरूपवान् । कार्यौ पद्मकरौ मूर्ध्नि विन्यस्तौ च तथा तयोः ।। ३६

अथवा धर्म एषोऽपि कर्तव्यो मनुजाकृतिः । एकवक्त्रो द्विबाहुश्च द्विपात्सुवसनादिमान् ।। ३७

वामे धर्मस्य कर्तव्या भक्तिः परमरूपिणी । द्विभुजा भूरिभूषाढया कौसुम्भविमलाम्बरा ।। ३८ 

हैमं भृङ्गारकं वामे दक्षिणे बिभ्रती करे । पूजापात्रं भृतं मुक्तास्रग्गन्धकुसुमादिभिः ।। ३९

શ્રીધર્મદેવ જન્મોત્સવ :- હે પુત્રો ! આ પ્રબોધની એકાદશીના દિવસે મધ્યાહ્ને ધર્મદેવના પ્રાદુર્ભાવનો જન્મોત્સવ કરવો. જો ધર્મદેવની પ્રતિમા ન હોય તો સુવર્ણની પ્રતિમા તૈયાર કરાવવી.૩૨ 

તેમાં મંદિરની આગળ પૂર્વની માફક જ શોભાયમાન મંડપની રચના કરાવી સર્વતોભદ્રમંડળની મધ્યે ધર્મદેવનું શાસ્ત્રવિધિ પ્રમાણે પૂજન કરવું.૩૩ 

તે મૂર્તિ ચતુર્ભુજ અને ચતુષ્પાદ હોવી જોઇએ. તેમને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવાં ને સર્વે અલંકારોથી શણગારવા ને શ્વેત ગૌરવર્ણવાળા અને સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા લક્ષણવાળા તૈયાર કરાવવા.૩૪ 

એ ધર્મદેવના ઉપરના જમણા હાથમાં સ્ફાટિકમણિની જપમાળા આપવી. ડાબા હાથમાં ધર્મશાસ્ત્રનું પુસ્તક ધારણ કરાવવું. તેના જમણા ભાગમાં મૂર્તિમાન વ્યવસાય(ઉદ્યોગ)ની સ્થાપના કરવી અને ડાબા ભાગમાં અતિશય રૂપવાન સાક્ષાત્ સુખની મૂર્તિ સ્થાપન કરવી, પછી તે ઉદ્યોગ અને સુખ આ બન્નેની મૂર્તિના મસ્તક ઉપર ધર્મદેવના નીચેના બન્ને હસ્તકમળ સ્થાપન કરેલા હોય તેવી રચના કરવી.૩૫-૩૬ 

એ ધર્મદેવની મૂર્તિ એક મુખવાળી દ્વિભુજ ને દ્વિપાદ અને સુંદર વસ્ત્ર તથા આભૂષણથી સુશોભિત મનુષ્યાકૃતિમાં હોય તેવી કરવી.૩૭ 

તેની ડાબી બાજુએ પરમ રૂપાળાં ભક્તિદેવીની મૂર્તિ સ્થાપન કરવી. એ ભક્તિદેવી દ્વિભુજ, બહુ પ્રકારના આભૂષણોથી સુશોભિત કરવાં અને તેને કસુંબલ વસ્ત્રો ધારણ કરાવવાં.૩૮ 

તેમના ડાબા હાથમાં સુવર્ણી ઝારી ધારણ કરાવવી ને જમણા હાથમાં મોતિઓની માળાઓ તથા સુગંધીમાન પુષ્પની માળાઓ ભરેલા પાત્રને ધારણ કરી રહેલાં હોય તેવાં કરવાં.૩૯ 

मूर्तिमित्थं तयोः कृत्वा स्वशक्तया कनकादिभिः । सप्तर्षिभिररुन्धत्या सह कार्यं तदर्चनम् ।। ४०

दर्भपिञ्जूलकैः कार्या ऋषयः कश्यपादयः । सप्त चारुन्धती वा ते कर्तव्याश्चन्दनादिना ।। ४१

श्रद्धामैत्रीदया शान्तिप्रमुखा इतरा अपि । पूजनीयास्तदानीं च धर्मस्य द्वादश स्त्रियः ।। ४२

तस्मिन्दिने तु सकले कारयेदुन्दुभिध्वनिम् । नामसङ्कीर्तनं विष्णास्तद्गुणानां च गायनम् ।। ४३

नित्यार्च्यां भगवन्मूर्तिं शृङ्गारं धारयेत्तदा । महान्तमेव मुकुटं पीतं चाम्बरमुत्तमम् ।। ४४

अनर्घ्याणि च वासांसि रक्तान्याभूषणानि च । नानारत्नमयान्येव धारयेदर्चकः श्रियम् ।। ४५

विशेषतोऽस्य नैवेद्ये दातव्या घृतपूरकाः । नीराजने च कर्पूरं विधिरन्यस्तु नैत्यकः ।। ४६

હે પુત્રો ! પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણાદિકથી તે ધર્મ ભક્તિની મૂર્તિઓ તૈયાર કરાવી સપ્તર્ષિઓની સાથે તથા અરુન્ધતી દેવીની સાથે તેઓનું પૂજન કરવું.૪૦

કશ્યપાદિ સપ્તર્ષિઓ અને અરુન્ધતીદેવીની મૂર્તિ દર્ભમાંથી તૈયાર કરવી અથવા ચંદનાદિકમાંથી તૈયાર કરવી.૪૧ 

તેવી જ રીતે શ્રદ્ધા, મૈત્રી, દયા અને શાંતિ આદિક બાર ધર્મદેવની અન્ય પત્નીઓની પણ ધર્મ-ભક્તિની સાથે પૂજા કરવી.૪૨ 

તે દિવસે સવારથી સાંજ સુધી દુંદુભિઓના ધ્વનિ અને વિષ્ણુનાં નામકીર્તન તથા ગુણોનું ગાયન કરાવવું.૪૩ 

તે દિવસે નિત્ય પૂજાની મૂર્તિને મહાશણગાર ધરવા. તેમાં ઉત્તમ મુગટ, પીતાંબર, બહુમૂલ્યવાળાં લાલવસ્ત્રો, રત્નો જડીત આભૂષણો આદિ ધારણ કરાવવાં.૪૪ 

તેવીજ રીતે લક્ષ્મીજીને પણ પૂજારીએ અનેક વિધ રત્નો જડિત અમૂલ્ય વસ્ત્રો તથા આભૂષણોના મહાશણગાર ધારણ કરાવવા.૪૫ 

અને એમની આગળ નૈવેદ્યમાં વિશેષપણે ઘેબર, અર્પણ કરવો અને આરતીમાં કપૂરના દીપથી આરતી કરવી. બાકીનો વિધિ હમેશનો સામાન્ય જાણવો.૪૬ 

सायं तदग्रे कुर्वीत वैपणीं रचनामपि । नवीनं स्थापयेदन्नं तत्र पात्रे पृथक् पृथक् ।। ४७

नानाविधानि शाकानि फलानि विविधानि च । इक्षुदण्डान्निदध्याच्च पिण्डकादीन्विभागशः । ४८

अस्मिन् दिने औद्धवीयैरेकादश्यधिकारिभिः । जलं विनाऽन्यत्किमपि भक्ष्यं नैवापदं विना ।। ४९

एकादश्यधिपश्चात्र राधादामोदराभिधः । पूजनीयो हि भगवान् कुम्भीपुष्पैश्च वाम्बुजैः ।। ५०

नैवेद्ये तस्य दातव्या मुद्वचूर्णाख्यलड्डुकाः । सेपतो विधिरिति प्रबोधन्या मयोदितः ।। ५१

प्रत्येकादशि कर्तव्यं श्रीकृष्णस्य महार्चनम् । व्रतग्रन्थोक्तरीत्यैव ज्ञोय एकादशीविधिः ।। ५२

एकादशीषु सर्वासु कथा याः स्युस्तदाश्रिताः । ता एव गापयेत्प्रीत्या शृणुयात्कीर्तयेत्पुमान् ।। ५३

હાટડી ઉત્સવ :- હે પુત્રો ! આ નિત્ય પૂજાની મૂર્તિ આગળ એજ દિવસે સાયંકાળે હાટડી પૂરવી. તે હાટડીની રચનામાં નવાં નવાં ધાન્યો પાત્રમાં ભરીને અલગ અલગ સ્થાપન કરવાં.૪૭ 

અનેક પ્રકારના શાકો તથા ફળો અને શેરડીના સાંઠા, તેમજ પેંડા વગેરે પદાર્થો વિભાગ કરીને તે હાટડીમાં જુદાં જુદાં સ્થાપન કરવાં.૪૮ 

આજે પ્રબોધની એકાદશીનો દિવસ હોવાથી એકાદશીના અધિકારી અને ઉદ્ધવસંપ્રદાયમાં રહેલા સર્વે નર-નારી ભક્તજનોએ એક જળ વિના બીજું કાંઇ પણ આપત્કાળ પડયા વિના ભક્ષણ કરવું નહિ.૪૯ 

આ એકાદશીના અધિપતિ રાધા-દામોદર ભગવાન છે. તેથી તેમનુ પૂજન કુંભીપુષ્પ તથા કમળ પુષ્પથી કરવું.૫૦ 

તે રાધાદામોદર ભગવાનના નૈવેદ્યમાં મગદળના લાડુ અર્પણ કરવા. આ પ્રમાણે મેં આ પ્રબોધની એકાદશીનો વિધિ સંક્ષેપથી તમને કહ્યો.૫૧ 

પ્રત્યેક એકાદશીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાનની મહાપૂજા કરવી, અને તેમનો સર્વેનો વિધિ વ્રતવિધિ ગ્રંથમાં કહેવા પ્રમાણે જાણી લેવો.૫૨ 

તેમજ એકાદશીને આશરી રહેલી જે જે કથાઓ છે તેનું પણ એકાદશીઓના દિવસે ભગવાનના ભક્ત પુરુષોએ પ્રેમથી ગાન કરાવવું ને સ્વયં ગાન કરવું, તથા શ્રવણ કરવું.૫૩ 

ऊर्जे मासि शुक्लपक्षे सायाह्नव्यापिनी तु या । द्वादशी सा ग्रहीतव्या तुलस्युद्वाहकर्मणि ।। ५४

उष्णीषं धारयेत्कृष्णं कौसुम्भं द्वादशीदिने । अनेकमुक्तापुष्पादिशेखरांश्च मनोहरान् ।। ५५

हेमसूत्रमयं रक्तं कञ्चुकं चापि धारयेत् । हेमवर्णो तथा शाटीं लक्ष्मीं तु परिधापयेत् ।। ५६

गुडौदनं च नैवेद्ये विशेषेण समर्पयेत् । सायं विष्णुं च तुलसीं पूजयेच्चारुमण्डपे ।। ५७

शालग्रामं च वा कृष्णप्रतिमां तुलसीं तथा । उपचारैः षोडशभिर्गोधूलिसमयेऽर्चयेत् ।। ५८

पीताम्बरं कण्ठसूत्रं नासाभूषां च कङ्कणान् । हरिद्रां कुंकुमादीनि वृन्दादेव्यै समर्पयेत् ।। ५९

फलानि तत्कालजानि सेक्षुदण्डानि चार्पयेत् । नैवेद्ये पीतसाराणि खाजकानि विशेषतः ।। ६०

कृत्वा नीराजनं वृन्दाकृष्णयोश्चान्तरे पटम् । पठित्वा मङ्गलं दद्यात्तां सङ्कल्प्य च विष्णवे ।। ६१

ब्राह्मणान्भोजयेत्तत्र दद्याद्दानानि शक्तितः । वृन्दाविवाहपद्यानि गापयेदत्र तूत्सवे ।। ६२

તુલસી વિવાહ મહોત્સવ :- હે પુત્રો ! કાર્તિકમાસની સુદ બારસના સાયંકાળે વ્યાપ્તિ હોય તેજ તુલસીવિવાહના ઉત્સવમાં ગ્રહણ કરવી.૫૪ 

આ બારસ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને કસુંબીરંગથી રંગેલાં વસ્ત્રથી મસ્તક ઉપર પાઘ બંધાવવી ને મનોહર અનેક પ્રકારના પુષ્પોના તોરા અને મોતીઓના તોરા ધારણ કરાવવા.૫૫ 

સુવર્ણના તારથી ભરેલા લાલરંગનું અંગરખુ પણ શ્રીકૃષ્ણ ભગવાનને ધારણ કરાવવું. તેમજ લક્ષ્મીજીને તો સોનેરી રંગની સાડી ધારણ કરાવવી.૫૬ 

નૈવેદ્યમાં બિરંજ વિશેષપણે ધરવો. સાયંકાળે શોભાયમાન મંડપની મધ્યે શ્રીવિષ્ણુ ભગવાન અને તુલસીની પૂજા કરવી.૫૭ 

શાલિગ્રામ અથવા શ્રીકૃષ્ણની પ્રતિમા તથા તુલસીદેવીની, ગાયોના ધાણ ગામમાં પધારે ને ખરીથી રજ ઉડતી હોય તે સમયે ષોડશોપચારથી પૂજા કરવી.૫૮ 

પીળું વસ્ત્ર, કંઠસૂત્ર, નથડી,હળદર અને કુંકુમાદિક તુલસીજીને અર્પણ કરવાં.૫૯ 

તે સમયે નવા ઉત્પન્ન થયેલા શેરડીના સાંઠાએ સહિત ફળો અર્પણ કરવાં ને નૈવેદ્યમાં પતાસાં અને ખાજાં વિશેષપણે અર્પણ કરવાં.૬૦ 

પછી આરતી ઉતારી તુલસી અને શ્રીકૃષ્ણને મધ્યે એક વસ્ત્ર રાખીને અર્થાત્ છેડાછેડી બાંધીને મંગળ શ્લોકોનું ઉચ્ચારણ કરી મંગળફેરા ફરાવી સંકલ્પ કરાવી તુલસીનો હાથ શ્રીકૃષ્ણ ભગવાન ના હસ્તમાં અર્પણ કરવો. તુલસીજી શ્રીવિષ્ણુ ભગવાનને અર્પણ કરી દેવાં.૬૧ 

આ બારસના તુલસીવિવાહમાં બ્રાહ્મણોને જમાડી પોતાની શક્તિ પ્રમાણે દાન અર્પણ કરવાં. આ ઉત્સવમાં તુલસીવિવાહનાં પદો ગવરાવવાં.૬૨ 

कार्तिके मासि शुक्लायां प्राप्तायामुदयं रवेः । पौर्णमास्यां रमाकान्तं धारयेन्मुकुटं शुभम् ।। ६३

संयावपूरिकाभक्तक्व थिकासूपसूरणान् । वृन्ताकशाकं नैवेद्ये विशेषेण समर्पयेत् ।। ६४

दीपानां राजयः कार्या मन्दिरं सर्वतो निशि । घृतदीपाः प्रभोरग्रे कर्तव्या निशि शक्तितः ।। ६५

चन्द्रोदयोऽत्र कर्तव्यं भक्तिदेव्याः समर्चनम् । धर्मेण सहितायास्तु गीतवादित्रनादयुक् ।। ६६

प्रतिमा यत्र भक्तेस्तु न भवेत्तत्र सेवकः । हैमीं विधाप्य तन्मूर्तिं शक्त्या कुर्वीत् पूजनम् ।। ६७ 

सरामस्यात्र कृष्णस्य निशि गोपीजनैः सह । क्रीडाश्रितानि पद्यानि भक्तो गायेच्च गापयेत् ।। ६८

इत आरभ्य नित्यं च सतूलं कञ्चुकं हरिम् । धारयेच्च श्रियं भक्तया सूक्ष्मां तूलपटीमपि ।। ६९

शयने निशि कृष्णस्य निदध्याद्गुप्तदोरकम् । प्रत्यहं फाल्गुनी यावत्पौर्णमासी भवेत्तिथिः ।। ७०

इत आरभ्य रात्रौ च वैष्णवैरपि मानवैः । स्वापे शीतनिवृत्त्यर्थं प्रावार्थं गुप्तदोरकम् ।। ७१

દેવદીવાળી ઉત્સવ :- હે પુત્રો ! કાર્તિક માસમાં સૂર્યોદય સમયે પ્રાપ્ત થતી સુદ પૂર્ણિમાના દિવસે રમાકાંત શ્રીકૃષ્ણ ભગવાનને શોભાયમાન મુગટ ધારણ કરાવવો.૬૩

આજે શીરો, પૂરી, ભાત, કઢી, દાળ, સુરણ અને વૃંતાકનું શાક નૈવેદ્યમાં વિશેષપણે ધરાવવું.૬૪ 

રાત્રે મંદિરમાં ચારેતરફ દીવાઓની પંક્તિ કરવી ને શક્તિને અનુસાર ભગવાનની આગળ ઘીનો દીવો કરવો.૬૫ 

આજે પૂર્ણિમાના ચંદ્રોદય સમયે સાંજે ધર્મે સહિત ભક્તિદેવીનું ગીત વાજિંત્રોના નાદ સાથે પૂજન કરવું.૬૬ 

જે મંદિરમાં ધર્મ અને ભક્તિની મૂર્તિ ન હોય તે મંદિરમાં સેવકોએ તે બન્ને મૂર્તિ સુવર્ણની કરાવીને પૂજન કરવું.૬૭ 

આ પૂર્ણિમાની રાત્રીના સમયે બલરામે સહિત શ્રીકૃષ્ણ ભગવાનનાં ગોપીજનોની સાથે કરેલી ક્રીડાના સંબંધવાળાં પદો ભક્તજને ગવરાવવાં ને સ્વયં ગાવાં. તેમજ આજે ભક્તિદેવીનો પ્રાદુર્ભાવ હોવાથી ધર્મદેવે સહિત ભક્તિના ગુણોનું વર્ણન કરતાં પદો પણ ગવરાવવાં.૬૮ 

આ કાર્તિકી પૂર્ણિમાથી આરંભીને પ્રતિદિન શ્રીહરિને ભરેલી ડગલી અને સુરવાળ ધારણ કરાવવો. તેમજ લક્ષ્મીજીને પણ રૂ ભરેલી સૂક્ષ્મ સાડી ધારણ કરાવવી.૬૯ 

તેજ રીતે રાત્રે શય્યામાં પણ પ્રતિદિન ગોદડી ઓઢાડવી. આવી રીતના શણગાર ફાગણ સુદ પૂર્ણિમા સુધી ધારણ કરાવવા.૭૦ 

આ તિથિના પ્રારંભથી રાત્રીએ વૈષ્ણવ ભક્તજનોએ પણ સૂવાના સમયે ટાઢની નિવૃત્તિને માટે ગોદડી ઓઢવી.૭૧ 

उक्ता मया कार्तिकमासि विष्णोर्य उत्सवास्ते तनयौ ! युवाभ्याम् ।मार्गादिमासेष्वथ ये भवन्ति तानप्यहं वां सविधीन्वदामि ।। ७२

હે પુત્રો ! આ પ્રમાણે મેં કાર્તિક માસમાં શ્રીવિષ્ણુ ભગવાનના જે ઉત્સવો આવે છે તે તમને કહ્યા. હવે પછી માગસર, પોષ અને મહા માસમાં આવતા ઉત્સવોનો વિધિ કહું છું.૭૨ 

इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे वार्षिकव्रतोत्सवविधौ कार्तिकोत्सवविधिनिरूपणनामाऽष्टपञ्चाशत्तमोऽध्यायः ।। ५८

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં કાર્તિકમાસના ઉત્સવોનું નિરૂપણ કર્યું, એ નામે અઠ્ઠાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૮--