અધ્યાય - ૫૦ - ભગવાન શ્રીહરિએ કહેલો નૈષ્ઠિક બ્રહ્મચારીઓનો મહાદીક્ષા વિધિ.

ભગવાન શ્રીહરિએ કહેલો નૈષ્ઠિક બ્રહ્મચારીઓનો મહાદીક્ષા વિધિ.

श्री नारायणमुनिरुवाच -

उपनीतो यस्तु विप्रो वेदाध्ययनतत्परः । सञ्जाततीव्रवैराग्यो बुभूषेन्नैष्ठिकव्रती ।। १ 

स औद्धवीयमाचार्ये प्राप्नुयाच्छरणं द्रुतम् । ततस्तस्मै प्रपन्नाय दद्यात्सोऽभयमादितः ।। २

ततो ब्राह्मणमाहूय विधिज्ञां दापयेद्गुरुः । वर्णिना स्वाश्रितेनैव स तस्मै नैष्ठिकव्रतम् ।। ३

मण्डले सर्वतोभद्रे श्रीराधाकृष्णपूजनम् । कारयित्वा तो दद्यात्तस्मै मौञ्जीं तु मेखलाम् ।। ४

कौपीनयुग्मं च वहिर्वाससी च मृगाजिनम् । पालाशं वैणवं वापि दण्डं ताम्रकमण्डलुम् ।। ५

अथ तस्मै स आचार्यो गायत्रीं वैष्णवीं दिशेत् । नारदोऽस्या ऋषिश्छन्दो गायत्री देवता हरिः ।। ६

त्रिरिमं दक्षिणे कर्णे मन्त्रं समुपदिश्य सः । आनन्दान्तं गुरुर्नाम शिष्यस्य विदधीत च ।। ७

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! યજ્ઞોપવિત સંસ્કાર પામેલા અને વેદાધ્યયનમાં તત્પર થયેલા વિપ્રને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થાય તો નૈષ્ઠિક બ્રહ્મચારી થવાની ઇચ્છા કરવી.૧ 

ને તત્કાળ તેણે ઉદ્ધવસંપ્રદાયના આચાર્યને શરણે જવું. અને આચાર્યે શરણે આવેલા વિપ્રને પ્રથમ અભયદાન આપવું.૨ 

ને પછીથી વિધિને જાણતા બ્રાહ્મણને બોલાવી પોતાને શરણે આવેલા તે વિપ્રને પોતાના આશ્રિત નૈષ્ઠિક બ્રહ્મચારી દ્વારા જ નૈષ્ઠિકવ્રત અપાવવું.૩ 

હે પુત્રો ! તેમાં સર્વતોભદ્ર મંડળમાં શ્રીરાધાકૃષ્ણ ભગવાનનું પૂજન કરાવી શિષ્યને મુંજની મેખલા ધારણ કરાવવી.૪ 

બે કૌપીન, બે ઉપર ધારણ કરવાનાં વસ્ત્રો, મૃગચર્મ, પલાશનો દંડ, વાંસનો દંડ તથા તાંબાનું કમંડલું આપવું.૫ 

પછી આચાર્યે તે શિષ્યને વૈષ્ણવી ગાયત્રીમંત્રનો ઉપદેશ કરવો. આ ગાયત્રીમંત્રના નારદજી ઋષિ છે. ગાયત્રી છંદ છે. શ્રીહરિ દેવતા છે. ૬ 

ઋષિ આદિકનું જ્ઞાન ન હોય તો જપનારને કોઇ ફળ મળતું નથી, તેથી તેમના જ્ઞાન સાથે આચાર્યે આ મંત્રનો શિષ્યના જમણા કાનમાં ત્રણવાર ઉપદેશ કરવો. ને 'આનંદ' જેના અંતમાં છે એવા કૃષ્ણાનંદ, નારાયણાનંદ એવું નામ ધારણ કરવું.૭ 

ततस्तस्मै धर्मशास्त्रप्रोक्तान् धमानुपादिशेत् । हितावहान्नैष्ठिकानां ब्रह्मचर्यां तथाष्टधा ।। ८

शिष्यस्तं पूजयित्वाऽथ गन्धाद्यैर्दण्डवन्नमेत् । वर्तेत स्वीयधर्मेषु गुरूक्तेष्वेव सर्वदा ।। ९

यदा नैष्ठिकधर्मेषु धर्मशास्त्रोदितेष्वसौ । पक्वो भवेत्तदाचार्यो महादीक्षां ददीत च ।। १०

परीक्षामादितः कुर्याद्गुरुस्तस्य तु वर्णिनः । धर्मेषु स्थिरतामादौ सद्ग्रन्थाध्यननं ततः ।। ११

सेवकस्यानुकूल्यं च तज्ज्ञातेरनुपद्रवम् । अव्यङ्गत्वादिकं चापि दृा तं दीक्षयेत्ततः ।। १२

उपोषणं कारयित्वा पूर्वेद्युर्देहशुद्धये । एकादश्यां द्वादश्यां वा दद्याद्दीक्षां विधानतः ।। १३

मण्डलं कारयित्वादौ पूर्ववद्ब्राह्मणेन सः । वासुदेवार्चनं होमं कारयेच्च यथाविधि ।। १४

ततस्तस्मै गुरुर्दद्याद्वाससी द्वे सिते शुभे । तुलसीमालिके द्वे च कुर्याद्वाह्वङ्कनं ततः ।। १५

नमस्कृत्य निषण्णाय प्राङ् मुखायाथ वर्णिने । अष्टाक्षरं महामन्त्रमुदङ्मुख उपादिशेत् ।। १६

त्रिर्दक्षकर्ण आदिश्य मनुं धर्मानुपादिशेत् । मात्रा वा गुरुपत्यापि शिष्य ! त्वं न वदेः क्वचित् ।। १७

स्त्रिया मनुष्यजातेस्त्वमाकारं नावलोकयेः । अज्ञानात्स्त्रीमुखे दृष्टे व्यक्त्या कुर्या उपोषणम् ।। १८

હે પુત્રો ! પછી ગુરુએ નૈષ્ઠિક બ્રહ્મચારીઓનું હિત કરતા ધર્મશાસ્ત્રમાં કહેલા ધર્મોનો તથા બ્રહ્મચારીના ધર્મોનો તથા અષ્ટબ્રહ્મચર્યની રીતનો શિષ્યને ઉપદેશ કરવો.૮ 

અને શિષ્યે ચંદન પુષ્પાદિકથી ગુરુનું પૂજન કરી દંડવત્ પ્રણામ કરવા, અને ગુરુએ કહેલા પોતાના ધર્મોમાં સદાય વર્તવું.૯ 

એમ કરતાં આ બ્રહ્મચારી જ્યારે નૈષ્ઠિકધર્મોમાં પરિપક્વ દશા પ્રાપ્ત કરે, ત્યારે આચાર્યે મહાદીક્ષા પ્રદાન કરવી.૧૦ 

તેમાં ગુરૂએ પ્રથમ શિષ્યની પરીક્ષા કરવી, મહાદીક્ષા સ્વીકારવા તત્પર થયેલા તે શિષ્યની નૈષ્ઠિકધર્મમાં સ્થિરતા કેવી છે ? સત્શાસ્ત્રોનું અધ્યયન કેવું છે ?.૧૧ 

જીવન પર્યંત સેવા કરી શકે તેવું સેવકધર્મને અનુકૂળ તેમનું જીવન છે કે કેમ ? તેમના જ્ઞાતિજનોનો ઉપદ્રવ છે કે નહિ ? તેમજ તેમના શરીરમાં કોઇ ખોડ ખાંપણ તો નથીને ? વગેરેની પરીક્ષા કરી પછી તે બ્રહ્મચારીને મહાદીક્ષા આપવી.૧૨ 

હે પુત્રો! દીક્ષાના આગલા દિવસે દેહની શુદ્ધિને માટે ઉપવાસ કરાવવો ને પછી એકાદશી કે દ્વાદશીના દિવસે વિધિપૂર્વક ગુરુએ દીક્ષા આપવી.૧૩ 

તે વિધિમાં ગુરુએ પૂર્વની જેમ પ્રથમ બ્રાહ્મણ દ્વારા સર્વતોભદ્ર મંડલ રચાવી શ્રીવાસુદેવ ભગવાનનું પૂજન અને હોમ વિધિ પ્રમાણે કરાવવો.૧૪ 

પછી ગુરુએ બે શ્વેત વસ્ત્રો,ને બેવળી તુલસીની કંઠી તે બ્રહ્મચારીને અર્પણ કરવી, ને બન્ને બાહુ ઉપર શંખ, ચક્રની ચંદનમુદ્રાની છાપ અર્પણ કરવી.૧૫ 

પછી ગુરુને નમસ્કાર કરી પૂર્વ સન્મુખ બેઠેલા શિષ્ય બ્રહ્મચારીને ઉત્તર સન્મુખ બેઠેલા આચાર્યે અષ્ટાક્ષર મહામંત્રનો ઉપદેશ કરવો.૧૬ 

જમણા કાનમાં ત્રણવાર મહામંત્રનો ઉપદેશ આપી ગુરુએ તેમને ધર્મોનો ઉપદેશ કરવો ને કહેવું કે, હે શિષ્ય ! તમારે આજથી તમારી માતા કે ગુરુપત્ની સાથે પણ ક્યારેય બોલવું નહિ.૧૭ 

તમારે મનુષ્યજાતિની સ્ત્રીનો આકાર જોવો નહિ. અજાણતા પણ સ્ત્રીનું મુખ સ્પષ્ટ દેખાઇ જાય તો એક ઉપવાસ કરવો.૧૮ 

यथा बृहद्वृतं न स्वं च्यवेद्वृत्यं तथा त्वया । योषामिव धनं चापि न स्पृशेत्कर्हिचिद्बवान् ।। १९

नियमेन प्रतिदिनं सच्छास्त्रस्य बृहद्व्रती । निजशक्तयनुसारेण पाठं कुर्यास्त्वमादरात् ।। २०

एवमुक्तः स गुरुणा तथेत्युक्त्वा तमानमेत् । नमस्कृत्य सतो भक्तान्भवेत्तद्वचनस्थितिः ।। २१

एतावान्हि विशेषोऽत्र । विधिरन्यस्तु पूर्ववत् । तस्यापि सकलो ज्ञोयो महादीक्षाग्रहे सुतौ ! ।। २२

दीक्षया द्विजवरस्य महत्या ब्रह्मचर्यमतिपुष्टिमुपैति । तामतः स गुरुतोऽत्र गृहीत्वा पालयेत्तदुदितान्नियमान्वै ।। २३

હે શિષ્ય ! જે પ્રકારે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ભંગ ન થાય એ પ્રકારે જ તમારે વર્તવું. તેમજ જે રીતે સ્ત્રીના સ્પર્શનો ત્યાગ કરવો તેજ રીતે ધનના સ્પર્શનો પણ ત્યાગ રાખવો. તેનો સ્પર્શ કયારેય ન કરવો.૧૯ 

વળી નૈષ્ઠિક બ્રહ્મચારી એવા તમારે પ્રતિદિન સદ્ગ્રંથોનો પાઠ (અધ્યયન) પોતાની શક્તિને અનુસારે આદરપૂર્વક કરવો.૨૦ 

હે પુત્રો ! આ પ્રમાણે ગુરૂ જ્યારે કહે ત્યારે તે નૈષ્ઠિક બ્રહ્મચારીએ ''ભલે,તમે જેમ કહો છો તેમ જ હું કરીશ'' આ પ્રમાણે બોલવું ને ગુરૂને નમસ્કાર કરવા. તેમજ ભક્તજનો તથા સાધુજનોને પણ નમસ્કાર કરવા ને ગુરૂના વચનમાં સ્થિર રહેવાય એમ વર્તવું.૨૧ 

હે પુત્રો ! આ બ્રહ્મચારીની મહાદીક્ષા પ્રદાનમાં આટલો જ વિશેષ વિધિ જાણવો. બાકીનો વિધિ તો પૂર્વની પેઠે જ સર્વે સામાન્ય જાણવો.૨૨ 

મહાદીક્ષા સ્વીકારવાથી બ્રાહ્મણ શ્રેષ્ઠ બ્રહ્મચારીને વ્રહ્મચર્યવ્રતની અતિશય દૃઢતા થાય છે. તેથી આલોકમાં તે બ્રહ્મચારી ઉદ્ધવસંપ્રદાયના આચાર્યના માધ્યમથી મહાદીક્ષા ગ્રહણ કરી તેમણે કહેલા નિયમોનું ચૂસ્તપણે પાલન કરવું.૨૩ 

इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे दीक्षाविधौ ब्रह्मचारिणां महादीक्षाविधिनिरूपणनामा पञ्चाशत्तमोऽध्यायः ।। ५० ।।

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ આચાર્યોને કહેલા બ્રહ્મચારીઓ માટેના દીક્ષાવિધિનું નિરૂપણ કર્યું એ નામે પચાસમો અધ્યાય પૂર્ણ થયો. --૫૦--