અધ્યાય - ૫ - ભગવાન શ્રીહરિએ ઉત્તમ ભૂપતિને કહેલાં વક્તાનાં લક્ષણો, પાળવાના નિયમો.

ભગવાન શ્રીહરિએ ઉત્તમ ભૂપતિને કહેલાં વક્તાનાં લક્ષણો, પાળવાના નિયમો. ભાગવતકથામાં વિરામના નિષેધ-અધ્યાયો.

श्रीनारायणमुनिरुवाच -

अथ ये नियमा राजन् श्रोतृवक्तृहितावहाः । कथयामि यथावत्तान्पुराणप्रथितानहम् ।। १

गुणभेदाद्वाचकाश्च श्रोतारस्त्रिविधा मताः । उत्तमाः सात्त्विका एव यथोक्तफलभागिनः ।। २

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે ઉત્તમરાજા ! પુરાણોમાં પ્રસિદ્ધ શ્રોતા અને વક્તાઓનાં હિતકારી લક્ષણો તથા નિયમો હું તમને યથાર્થ કહું છું.૧ 

હે રાજન્ ! વક્તા અને શ્રોતા સત્ત્વાદિ ત્રણ ગુણના ભેદને કારણે ત્રણ ત્રણ પ્રકારના મનાયેલા છે. તેમાં સાત્વિક ગુણવાળા ઉત્તમ છે, અને શાસ્ત્રમાં કહેલા યથાર્થ ફળને તે પામે છે. તેમાં ત્રણ પ્રકારના શ્રોતાઓનાં લક્ષણ આગલા અધ્યાયમાં કહેવામાં આવશે, પરંતુ ત્રણ પ્રકારના વક્તાઓનાં લક્ષણ હું તમને કહું છું.૨

असङ्गतमविस्पष्टं बिस्तरं रसवर्जितम् । पदच्छेदविहीनं च तत्तद्बावविर्जितम् ।। ३

उत्साहवर्जितं यश्च वाचयेद्ग्रन्थदूषकः । क्रोधनोऽप्रियवादी च लोभिष्ठः स्त्रीसमीक्षकः ।। ४

सम्यग्ग्रन्थार्थमविदन्भगवद्बक्तिवर्जितः । वाचकस्तामसो ज्ञोयः स चाधम इतीरितः ।। ५

તામસ વક્તાનાં લક્ષણ :- જે વક્તા પૂર્વાપર પ્રસંગની સંગતિનો મેળ રાખ્યા વગર કથાનું વાંચન કરતા હોય, અર્થની સ્પષ્ટતા કર્યા વગર વાંચન કરતા હોય, કથાનો બહુ વિસ્તાર કરી રસરહિતની કથા કરતા હોય, પદના છેદનું જાણે જ્ઞાન ન હોય તે રીતે વાચતા હોય, તે તે શ્લોકના ભાવને પ્રગટ કરે તેવો સ્પષ્ટ અર્થ કરતા ન હોય.૩ 

તેમ જ જે વક્તા ઉત્સાહ વગર કથા વાંચતા હોય, જેવું પોતાના મનમાં આવે તેવું બોલી ગ્રંથને પણ દૂષણ પમાડતા હોય, પોતાને કોઇ સાચો અર્થ સમજાવે તો તેના પર પણ ક્રોધ કરતા હોય, અપ્રિયવાણી બોલતા હોય, ધનના લોભી હોય, કથા સાંભળવા આવેલી સ્ત્રીઓની સામે વારંવાર જોઇ તેઓને ઉદ્દેશીને કથા વાંચતા હોય.૪ 

વળી જે વક્તા ગ્રંથના અર્થને સારી રીતે સમજી ન શકતા હોય, ભગવાનની ભક્તિથી રહિત હોય. હે રાજન્ ! આવા લક્ષણવાળો વક્તા તમોગુણી અને અધમ કહેલો છે.૫

स्पष्टाक्षरपदं शान्तं क्वचिद्दीर्घतरं तथा । कालस्वरसमायुक्तं रसभावविवर्जितम् ।। ६

अद्बुतं वाचयेद्यश्च लुब्धः क्रुद्धः क्वचित् क्वचित् । प्रीतिमांश्च रसास्वादे वस्त्रालङ्कारधारणे ।। ७

अबुध्यमानो ग्रन्थार्थं भक्तो भगवतोऽपि सन् । वाचकः स तु विज्ञोयो राजसो मध्यमश्च सः ।। ८

રાજસ વક્તાનાં લક્ષણ :- હે રાજન્ ! જે વક્તા ક્યારેક સ્પષ્ટ અક્ષરોનું ઉચ્ચારણ કરતા હોય, ક્યારેક વધુ પડતી શાંતિથી કથા વાંચતા હોય, ક્યારેક બહુ જ ઊંચા સ્વરથી તાણીને બોલતા હોય, જે સમયે જે સ્વરની જરૂર હોય તે સ્વર સહિત વાંચન કરતા હોય, કરૂણાદિ છ રસોના ભાવ પ્રગટ કરતા ન હોય,૬ ક્યારેક શ્રોતાઓને રસ પડે તેવી પૂર્વાપરની સંગતિ રાખીને બોલતા હોય, વળી લોભ, ક્રોધ, રસાસ્વાદી અને વસ્ત્રાલંકારાદિ ધારણ કરવામાં પ્રીતિ ધરાવતા હોય,૭ 

જે વક્તા ભગવાનનો ભક્ત તો હોય પરંતુ ગ્રંથના અર્થને યથાર્થ ન જાણી શકતો હોય, તેવો વક્તા રજોગુણી અને મધ્યમ કક્ષાનો કહેલો છે.૬-૮ 

सरसं सुखरं धीरं तत्तद्बावसमन्वितम् । स्पष्टाक्षरविभेदं च सोत्साहं नातिविस्तृतम् ।। ९

शान्तं च वाचयेद्यस्तु श्रद्धालुर्दृढनिश्चयः । सम्प्रदायाध्ययनवान् ग्रन्थार्थं कृत्स्न्शो विदन् ।। १०

जितेन्द्रियः सुशीलश्च दुराग्रहविर्जितः । यथार्थवादी वाग्मी च श्रोतृबोधननैपुणः ।। ११

यदृच्छालाभसन्तुष्टः करुणो निरहङ्कतिः । मृदुस्वभावः शान्तश्च भगवद्बक्तिसंयुतः ।। १२

लोकापवादरहितः प्रतिप्रहपराङ्मुखः । जितकामो जितक्रोधो जितलोभंश्च निःस्पृहः ।। १३

मैत्रो धीरः साधुवृत्तिर्निर्दम्भोऽकिञ्चनस्तथा । उपकारी वाचकस्तु सात्त्विकश्चोत्तमो मतः ।। १४

સાત્વિક વક્તાનાં લક્ષણ :- હે રાજન્ ! જે વક્તા જ્યાં જેવા હાસ્ય અને કરૂણાદિ રસે યુક્ત કથાનું વાંચન કરતા હોય, સુંદર સ્વરાલાપથી અને ધીરજતાથી વાંચતા હોય, ક્યાંય ખોટો લાંબો વિસ્તાર કરે નહિ, જેવો ભાવ હોય તેવા ભાવને પ્રગટ કરતા હોય, સ્પષ્ટ અક્ષરો, પદો અને વાક્યોના વિભાગથી સરસ વાંચન કરતા હોય, અતિશય ઉત્સાહપૂર્વક વાંચન કરતા હોય, અતિશય વિસ્તાર કરીને વાંચતા ન હોય.૯ 

ક્યાંય ક્રૂરતા પ્રગટ નહિ કરતાં શાંત સ્વરૂપ અને શ્રદ્ધાવાન હોય, પુરાણોમાં જે કહ્યું હોય તેમાં દૃઢ નિશ્ચયવાળા હોય, સત્સંપ્રદાયની મર્યાદામાં રહી ગ્રંથોનું અધ્યયન કરેલું હોય, અને તેથી જ ગ્રંથના અર્થને સર્વ રીતે જાણતા હોય.૧૦ 

વળી જે જીતેન્દ્રિય હોય, સુશીલ સ્વભાવના હોય, સદ્વર્તનવાળા હોય, દુરાગ્રહી ન હોય, પરંતુ સરળ સ્વભાવના હોય, જેવું ગ્રંથમાં હોય તેવું યથાર્થ વાંચનારા હોય, કોઇ પ્રશ્ન પૂછે તેનો ઉત્તર આપવામાં શાસ્ત્રની મર્યાદા પ્રમાણે પ્રતિભાયુક્ત ઉત્તર આપી શકતા હોય, શ્રોતાઓને બોધ આપવામાં નિપુણ હોય.૧૧ 

જે કાંઇ મળે તેનાથી સંતુષ્ટ અને દયાળુ સ્વભાવના હોય, નિરહંકારી, કોમળ અને શાંત સ્વભાવના હોય, ભગવાનની ભક્તિયુક્ત૧૨ 

તેમજ લોકાપવાદથી રહિત હોય, ક્યારેય પણ પ્રતિગ્રહ ન કરતા હોય, કામ, ક્રોધ અને લોભ ઉપર વિજયી હોય, નિસ્પૃહી,૧૩ 

ધીરજશાળી અને સર્વની સાથે મિત્રભાવે વર્તતા હોય, નિર્દંભપણે સાધુવૃત્તિથી જીવતા હોય, અકિંચન, ભગવાન સિવાય કોઇને અધિક માનતા ન હોય અને પરોપકારી હોય આવા વક્તા સાત્વિક અને ઉત્તમ કહેલા છે.૧૪ 

सात्त्विकैर्लक्षणैर्युक्तः श्रीभागवतवाचकः । प्रत्यहं स्वाह्निकं कुर्यादुषस्युत्थाय बुद्धिमान् ।। १५

ततः श्रोतृभिराहूतः स कथामण्डपं व्रजेत् । प्रक्षाल्य पाणिपादास्यं कुर्यादाचमनत्रयम् ।। १६

धौतश्वेताम्बरधरः सदुरुं हृदये स्मरन् । विप्रान्साधून्नमस्कृत्य श्रीमद्बागवतं नमेत् ।। १७

ततः स्वपूज्यगुर्वादेराज्ञाया विनयान्वितः । उदङ्मुखः प्राङ्मुखो वा व्यासासनमुपाविशेत् ।। १८

श्रोतृभिः पूजितः सोऽथ कुर्यान्मङ्गलमादितः । यं प्रव्रजन्तमित्यादिश्लोकत्रमुदीरयेत् ।। १९

कस्मै येनेति पद्यं च स्वेष्टपद्यान्यतः परम् । पठित्वा पुस्तकं नत्वा ततः पद्यमिदं पठेत् ।। २०

श्रूयतां देव ! देवेश ! नारायण ! जगत्पते ! । त्वदीयेनावधानेन कथयिष्ये शुभाः कथाः ।। २१

इति पद्यं पठित्वैव वाचयेत्स कथां बुधः । साधून्विप्रान्विलोक्यैव कुर्यादर्थं न योषितः ।। २२

હે રાજન્ ! આવા સાત્ત્વિક લક્ષણોથી યુક્ત જે બુદ્ધિમાન શ્રીમદ્ભાગવતનો વક્તા હોય તેમણે પ્રતિદિન પાંચ ઘડી રાત્રિ બાકી રહે ત્યારે પ્રાતઃકાળે જાગ્રત થઇને પોતાનો સ્નાનસંધ્યાદિ નિત્યકર્મનો વિધિ પૂર્ણ કરીને શ્રોતાજનો જ્યારે બોલાવે ત્યારે વક્તાએ સભામંડપમાં જવું. હાથ, પગ, મુખ ધોઇ ત્રણ વખત આચમન કરવું.૧૫-૧૬ 

ધોયેલાં શ્વેત વસ્ત્રને ધારણ કરેલા તે વક્તાએ પ્રથમ પોતાના હૃદયમાં અધ્યાપક ગુરુ અને ભાગવતી દીક્ષા પ્રદાન કરનાર આચાર્યનું સ્મરણ કરવું, ત્યારપછી વિપ્રો અને સંતોને નમસ્કાર કરી શ્રીમદ્ ભાગવત પુરાણને નમસ્કાર કરવા.૧૭ 

પછી નમ્ર થઇ પોતાના પૂજ્ય ગુરુ આદિકની આજ્ઞા લઇ ઉત્તરમુખે અથવા પૂર્વમુખે વ્યાસાસન ઉપર બેસવું.૧૮ 

હે રાજન્ ! શ્રોતાજનો પૂજન કરી લે પછી વક્તાએ મંગલાચરણ કરવું તેમાં પ્રથમ ''યં પ્રવ્રજન્તમ્'' ''યઃ સ્વાનુભાવમ્'' અને ''નારાયણં નમસ્કૃત્ય'' આ ત્રણ શ્લોકનું ગાયન કરવું.૧૯ 

ત્યારપછી ''કસ્મૈ યેન'' એ શ્લોકનું ઉચ્ચારણ કરીને પોતાના પ્રિય ઇષ્ટદેવના ગુણ ચરિત્રોવાળા શ્લોકનું ઉચ્ચારણ કરી શ્રીમદ્ ભાગવત પુસ્તકને નમસ્કાર કરીને આ શ્લોક બોલવો.૨૦ 

હે દેવોના દેવેશ ! હે નારાયણ ! હે જગત્પતિ ! હું તમારાં ચરિત્ર અને ગુણ સંબંધી પવિત્ર કથા કહું છું.૨૧ 

આ શ્લોકનું ઉચ્ચારણ કરી જાણે ભગવાનને સંભળાવવા બુદ્ધિમાન વક્તાએ કથાનું વાંચન શરૂ કરવું. વાંચતાં વાંચતાં શ્રોતા એવા સાધુ બ્રાહ્મણોની સામે જોતાં જોતાં શ્લોકના અર્થોની વ્યાખ્યા કરવી, પરંતુ સ્ત્રીઓની સામે જોઇને શ્લોકાર્થ કરવો નહિ.૨૨ 

समाप्तिरन्तेऽध्यायस्य यस्य यस्य न सम्मता । न तत्र तत्र विरमेदध्यायांस्तानपि ब्रुवे ।। २३

तत्राद्ये स्कन्ध आद्यश्च ह्यष्टमो दशमस्तथा । चतुर्दशः षोडशश्च निषिद्धा विरताविमे ।। २४

तृतीयश्चाष्टमश्चेति द्वौ द्वितीये निषेधितौ । सप्तर्षिभिस्ततः कार्या तदन्ते विरतिर्नहि ।। २५ ।।

दशमः सप्तमश्चाद्यस्तृतीयेऽष्टादशस्तथा । त्र योविंशश्च विरतौ सम्मता न बुधैर्नृप ! ।। २६

आद्यस्तृतीयो दशमस्तुर्ये सप्तदशस्तथा । अष्टाविंशश्च नाध्याया विरतौ शुभदा नृणाम् ।। २७

पञ्चमे पञ्चमोऽध्यायो निषिद्धश्च त्रयोदशः । षष्ठे षष्ठः पञ्चमश्च प्रथमो दशमस्तथा ।। २८

सप्तमे प्रथमस्तुर्यः षष्ठः स्कन्धेऽथ चाष्टमे । आद्योऽष्टमो द्वितीयश्च दशमश्चैकविंशकः ।। २९

नवमे पञ्चदशको दशमस्तुर्य आदिमः । अध्याया बिरतौ नैते गृहीता मुनिभिर्नृप ! ।। ३०

दशमे दशमश्चाद्यो द्वाविंशो नवमस्तथा । त्रय एकानत्रिंशाच्च द्विषष्टितम एव च ।। ३१

षट्सप्ततितमः सप्तसप्ततितम इत्यमी । निषिद्धा विरतौ सन्ति षङ्भिः पौराणिकैरपि ।। ३२

एकादशे तु दशमो द्वाविंशस्त्रिंश एव च । द्वादशे नवमस्त्वेक इत्यध्याया मयोदिताः ।। ३३

ભાગવતકથામાં વિરામના નિષેધ-અધ્યાયો :- હે રાજન્ ! જે જે અધ્યાયને અંતે કથાવિરામની સંમતિ આપવામાં આવી નથી, ત્યાં કથાનો વિરામ કરવો નહિ. તે વિરામના નિષેધ અધ્યાયો હું તમને કહું છું.૨૩ 

તેમાં પ્રથમ સ્કંધનો પહેલો, આઠમો, દશમો, ચૌદમો, અને સોળમો અધ્યાય નિષેધના કહેલા છે. તેમાં વક્તાએ વચ્ચે કથાને વિરામ આપવો નહિ.૨૪ તેમજ દ્વિતીય સ્કંધમાં ત્રીજો અને આઠમો આ બે અધ્યાય વિરામમાં ઋષિમુનિઓએ નિષેધ કરેલા છે. તેથી ત્યાં કથાનો વિરામ કરવો નહિ.૨૫ તૃતીય સ્કંધમાં પહેલો, સાતમો, દશમો, અઢારમો, અને ત્રેવીસમો આ અધ્યાયને બુદ્ધિમાન પુરુષો વિરામમાં નિષેધ કરેલા છે.૨૪ 

ચતુર્થ સ્કંધમાં પહેલો, ત્રીજો, દશમો, સત્તરમો, અને અઠયાવીસમો, આ અધ્યાયોમાં કથાવિરામ કરવામાં શ્રોતાવક્તાઓને શુભ ફળ પ્રાપ્ત થતું નથી. એથી એ અધ્યાયોના અંતે કથાવિરામ કરવો નહિ.૨૭ 

પંચમ સ્કંધમાં પાંચમો, અને તેરમો, તેમજ છઠ્ઠા સ્કંધમાં પહેલો, પાંચમો, છઠ્ઠો અને દશમો આ અધ્યાયો વિરામમાં નિષેધ કરેલા છે.૨૮ 

સાતમા સ્કંધમાં પહેલો, ચોથો અને છઠ્ઠો તેમજ આઠમા સ્કંધમાં પહેલો, બીજો, આઠમો, દશમો અને એકવીસમો આ અધ્યાયો નિષેધ કહેલા છે.૨૯ 

નવમા સ્કંધમાં પહેલો, ચોથો, દશમો અને પંદરમો અધ્યાય સંતોએ કથાવિરામમાં વર્જ્ય કહ્યા છે.૩૦ દશમા સ્કંધમાં પહેલો, નવમો, દશમો, બાવીસમો, ઓગણત્રીસમો, ત્રીસમો, એકત્રીસમો, બાસઠમો, છોત્તેર અને સીતોતેરમો અધ્યાય ત્રય્યારુણિ કશ્યપ આદિ છ પુરાણીઓએ કથાવિરામ માટે નિષેધ કરેલા છે.૩૧-૩૨

અગિયારમા સ્કંધમાં દશમો, બાવીસમો અને ત્રીસમો, જ્યારે બારમા સ્કંધમાં નવમો એક જ અધ્યાય કથાવિરામમાં નિષેધ કરેલો છે. આ પ્રમાણે મેં તમને નિષેધના અધ્યાયો ગણાવ્યા.૩૩ 

एषामन्ते न विरतिः कार्या पौराणिकैः क्वचित् । नित्यैकाध्यायपाठानामप्येष विधिरिप्यते ।। ३४

मासपक्षादिनियतदिनसङ्खयानुरूपतः । अध्यायान्वाचयेन्नित्यं ततः कुर्यात्समापनम् ।। ३५

मुहूर्तं घटिकां वापि कथान्ते नामकीर्तनम् । कुर्यात्प्रतिदिनं विष्णोरुत्तरेदासनात्ततः ।। ३६

पुनर्नत्वा स गुर्वादीन् गच्छेद्विद्वान्निजं गृहम् । कथासमाप्तिपर्यन्तं नित्यमेवं समाचरेत् ।। ३७

હે રાજન્ ! આ બતાવેલા નિષેધના અધ્યાયોના અંતે વક્તાએ ક્યારેય પણ કથાનો વિરામ ન કરવો. પ્રતિદિન એક અધ્યાયનો પાઠ કરવાના નિયમવાળા માટે પણ આ જ વિધિ જાણવો, જ્યારે નિષેધનો અધ્યાય આવે ત્યારે ત્યાં વિરામ ન કરતાં આગળના અનિષેધ અધ્યાયે વિરામ કરવો.૩૪ 

માસ-પારાયણમાં કે પક્ષ-પારાયણમાં એક દિવસની નક્કી સંખ્યા પ્રમાણે પ્રતિદિન અધ્યાયોનું વાંચન કરવું ત્યાર પછી કથાની સમાપ્તિ કરવી.૩૫ 

અને કથાના વિરામ સમયે વક્તાએ બે ઘડી કે એક ઘડી પર્યંત ભગવાનના નામની ધૂન્ય કરવી. ત્યારપછી જ આસન ઉપરથી નીચે ઉતરવું.૩૬ 

ફરી વક્તાએ ગુરુ આદિકને વંદન કરી પછી પોતાને ઘેર જવું આ પ્રમાણે વક્તાએ કથા-સમાપ્તિ સુધી પ્રતિદિન આચરણ કરવું.૩૭ 

कथारम्भदिनाद्यावत्समाप्त्यन्यस्य नाऽददेत् । अन्नं प्रतिग्रहं वापि पापभीरुः स पण्डितः ।। ३८

न दद्युः स्वस्य पर्याप्तं श्रोतारः प्रत्यहं यदि । अन्नं तदा त्वन्यदत्तं गृहणीयान्नात्र पातकम् ।। ३९

सप्ताहे वा दशाहे च पक्षपारायणे तथा । मासपारायणेऽप्येष विधिस्तस्य प्रकीर्तितः ।। ४०

वातुलं नैव भुञ्जीत न कुर्याञ्चातिभोजनम् । न रोगकृञ्च शाकादि तैलं कटु च वर्जयेत् ।। ४१

ब्रह्मचर्यमहिंसां च सत्यास्तेये च पालयेत् । कथाविघ्नकरं यत्तत्कर्म कुर्यान्न कर्हिचित् ।। ४२

હે રાજન્ ! પાપભીરુ પંડિત વક્તાએ કથાના પ્રારંભના દિવસથી લઇ કથાની સમાપ્તિના દિવસ સુધી અન્યનું અન્ન જમવું નહિ. તેમ જ ગાયનું દાન પણ સ્વીકારવું નહિ.૩૮ 

પરંતુ જો પ્રતિદિન પોતાના કુટુંબનું પોષણ થાય તેટલા પ્રમાણમાં શ્રોતાઓ અન્ન ન આપી શકે તો શ્રોતા સિવાયના જનોએ આપેલું અન્ન ગ્રહણ કરવું. આવી પરિસ્થિતિમાં અન્ય અન્ન ગ્રહણનો દોષ લાગતો નથી.૩૯ 

આ અન્ન સ્વીકારવાનો વિધિ સપ્તાહ, દશાહ, પક્ષ તથા માસ-પારાયણમાં પણ જાણવો.૪૦ 

હે રાજન્ ! વક્તાએ પેટમાં વાયુ થાય તેવું ભોજન ન કરવું, અતિ ભોજન ન કરવું, પિત્ત આદિ રોગ ઉત્પન્ન કરનારાં શાક આદિનું પણ ભોજન ન કરવું, તેલવાળું,કડવું તથા તીખું ન ખાવું.૪૧ 

બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય અને અસ્તેયનું યથાર્થ પાલન કરવું, તેમજ જે ક્રિયા કથામાં વિઘ્ન કરે તેમ હોય તેવી કોઇ પણ ક્રિયા ન કરવી.૪૨ 

पुराणवक्तुर्नृपते ! मयेत्थं प्रोक्तानि लक्ष्माणि यमाश्च सर्वे । लक्ष्माणि वक्ष्याम्यधुना च तुभ्यं तच्छ्रोतृपुंसां नियमांश्च पाल्यान् ।। ४३

હે રાજન્ ! આ પ્રમાણે કથા કરનાર વક્તાનાં લક્ષણો યમો અને નિયમો પણ મેં તમને કહ્યાં. હવે કથા સાંભળનારા શ્રોતાઓનાં લક્ષણો અને તેઓએ પાલન કરવા યોગ્ય નિયમો હું તમને કહું છું.૪૩ 

इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे पुराणश्रवणोत्सवे भागवतश्रवणविधौ वक्तृलक्षणनियमनिरूपणनामा पञ्चमोऽध्यायः ।। ५ ।।

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પુરાણ-શ્રવણના ઉત્સવ પ્રસંગે ભાગવત કથાના શ્રવણવિધિમાં ભગવાન શ્રીહરિએ વક્તાનાં લક્ષણો અને કથાવિરામમાં નિષેધ અધ્યાયોનું નિરૂપણ કર્યું એ નામે પાંચમો અધ્યાય પૂર્ણ થયો. --૫--