અખંડાનંદ બ્રહ્મચારીના પ્રશ્નથી શ્રીહરિએ દ્વૈત અને અદ્વૈત, જીવ અને ઇશ્વરનું વેદોની શ્રુતિઓ પ્રમાણે પ્રતિપાદન કર્યું. શુદ્ધાદ્વૈતમત. વિશિષ્ટાદ્વૈતમત. બન્ને મતનું સત્યપણું સમજાવવા દૃષ્ટાંત. પ્રથમકોટીના મહામુક્ત. દ્વિતીય મધ્યમ કોટીના મહામુક્ત. તૃતીય ઉત્તમકોટીના મહામુક્ત.
अखण्डानन्द उवाच -
भगवन् ! ब्रह्मविद्यायाः सम्यग्वेत्ता प्रवर्तकः । एक एव त्वमेवासि यत्र मुह्यन्ति सूरयः ।। १
पृच्छाम्यतो महर्षीणामेषां प्रष्टुमभीष्टकम् । प्रश्नमेकं हि तं श्रुत्वा ब्रूहि तस्योत्तरं प्रभो ! ।। २
एकमेवाद्वितीयं वै ब्रह्मेति वदति श्रुतिः । ब्रह्मैव खल्विदं सर्वमित्यपि श्रुतिशासनम् ।। ३
एतन्मतमुपाश्रित्य जीवेश्वरजगन्त्यपि । मायामयानि मिथ्येति प्राहुः केचन पण्डिताः ।। ४
नित्यानां नित्य इत्याद्याः श्रुतीरालम्ब्य केचन । जीवेश्वराणां नित्यत्वं विद्वांसोऽत्र वदन्ति हि ।। ५
एतयोर्मतयोः स्वामिन् निर्णयं वक्तुमर्हसि । उभे सत्ये किमथवा तयोरेकमृतं मतम् ।। ६
અખંડાનંદ વર્ણી કહે છે, હે ભગવાન ! બ્રહ્મવિદ્યાને યથાર્થ જાણનારા અને પ્રવર્તાવનારા એક જ તમે છો. જે બ્રહ્મવિદ્યામાં શુદ્ધ પરંપરાના જ્ઞાનયુક્ત મુનિવરો પણ આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાનનું નિરૂપણ કરવામાં મોહ પામી જાય છે.૧
હે પ્રભુ ! તેથી આપની સન્મુખ બેઠેલા આ મુક્તાનંદ સ્વામી આદિ સંતોને પણ અતિશય પ્રિય એવો એક પ્રશ્ન હું તમને પુછું છું. તેનો ઉત્તર મને કહો.૨
''એકમેવાદ્વિતીયં બ્રહ્મ'' બ્રહ્મ એક જ છે તેમજ અદ્વિતીય પણ છે, એમ શ્રુતિમાં કહ્યું છે. તેમજ ''સર્વં ખલ્વિદં બ્રહ્મ'' આ બધું જ બ્રહ્મ છે. એ પ્રમાણે પણ શ્રુતિ વર્ણન કરે છે.૩
આ બે શ્રુતિમાંથી પોતાના મનો કલ્પિત સિદ્ધાંતનો આશ્રય કરી કેટલાક શુદ્ધાદ્વૈતવાદી વિદ્વાનો જીવ, ઇશ્વર અને જગતને માયા કલ્પિત કહે છે. તેથી તે મિથ્યા છે, એમ પણ કહે છે.૪
બીજી બાજુ ''નિત્યો નિત્યાનામ્'' એ આદિ શ્રુતિનો આશ્રય કરી આલોકમાં કેટલાક રામાનુજાચાર્યે પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતના વિદ્વાનો જીવો તેમજ ઇશ્વરોને નિત્ય અને સત્ય કહે છે, હે સ્વામિન્ ! આ બે મતનો નિર્ણય શું છે ? તે અમને તમે કહો. બન્ને મત સત્ય છે કે, તેમાંથી એક મત સત્ય છે ?.૫-૬
सुव्रत उवाच -
इति श्रुत्वा वचस्तस्य प्रोवाच स जगद्गुरुः । हर्षयन्मधुरैर्वाक्यैः सदःसंस्थानृषींश्च तम् ।। ७
श्रीनारायणमुनिरुवाच -
मुनयः ! शृणुत त्वं चाखण्डानन्द ! महामते ! द्वैताद्वैते वदन्तीनां श्रुतीनामाशयं ब्रुवे ।। ८
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણેનો અખંડાનંદ વર્ણીનો પ્રશ્ન સાંભળી જગદ્ગુરુ શ્રીહરિ મધુર વચનોથી સભામાં બેઠેલા મુક્તાનંદ સ્વામી આદિ સંતો તથા અખંડાનંદ બ્રહ્મચારીને અતિશય આનંદ ઉપજાવતા કહેવા લાગ્યા.૭
શ્રીનારાયણ ભગવાન કહે છે, હે સંતો ! હે બ્રહ્મચારીઓ ! તમે સર્વે સાંભળો. જીવ-ઇશ્વરાદિકના અલગ અસ્તિત્ત્વનું વર્ણન કરતી દ્વૈતમતની શ્રુતિઓનો અભિપ્રાય તથા પરમાત્માની ઉપાસનાના બળે પ્રાપ્ત થયેલી નિર્વિકલ્પ સમાધિની સ્થિતિને કારણે સર્વત્ર દેખાતી એક પરમાત્માકારપણાની વૃત્તિને કારણે ઉચ્ચારાયેલી અદ્વૈતમતની શ્રુતિઓનો અભિપ્રાય હું તમને કહું છું.૮
ब्रह्मशब्दो मुख्यतया कृष्ण एव प्रवर्तते । भगवच्छब्दवद्विद्वन्निति जानीहि निश्चितम् ।। ९
स्वरूपेण गुणैश्चापि निरवध्यतिशायिता । तस्यैवास्तीति ब्रह्माख्यामन्वर्थां श्रुतयो विदुः ।। १०
ततोऽन्यत्र तु विज्ञोया तद्धयानोपासनेन वै । तत्साधर्म्यात्तदात्मत्वाब्रह्मसंज्ञानुरागतः ।। ११
स्वरूपं च स्वभावश्च विभूतिश्च तथा गुणाः । नित्याः सन्ति हरौ ह्येतेऽन्यत्र त्वागन्तुका मताः ।। १२
શુદ્ધાદ્વૈતમત :- હે વિદ્વાન વર્ણી ! બ્રહ્મ શબ્દ છે તે ભગવત્ શબ્દની જેમ મુખ્યપણે પરમાત્મા શ્રીકૃષ્ણને માટે જ વપરાય છે. એમ પહેલું તમે નક્કી માનો.૯
કારણ કે પોતાના સ્વરૂપથી જ્ઞાનાદિક ગુણોથી અને સ્વભાવ, વિભૂતિ આદિકના કારણે પણ કોઇ પણ જાતની અવધિ રહિતનું અનંતપણું તે બ્રહ્મ શબ્દવાચી પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનનું જ છે. તેથી સર્વે શ્રુતિઓ તેને આવા પ્રકારના અર્થ સભર ''બ્રહ્મ'' એવા નામથી સંબોધે છે.૧૦
હે વર્ણી ! એ પરમાત્મા શ્રીકૃષ્ણ સિવાય અક્ષરપુરુષાદિકને વિષે અન્યત્ર જે બ્રહ્મ નામથી સંબોધન કરવામાં આવ્યું છે, એ તો શ્રીકૃષ્ણ ભગવાનના ધ્યાન અને ઉપાસનાના બળને લીધે તેને વિષે થયેલા અતિશય સ્નેહપૂર્વકના તદાત્મ્યભાવને કારણે પ્રાપ્ત થયેલા સાધર્મ્યપણાથી જ કહેલું છે એમ જાણવું.૧૧
એક પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનને વિષે સ્વરૂપ, સ્વભાવ, ગુણ અને વિભૂતિ નિરંતર રહ્યા છે, જ્યારે અન્યત્ર આ ગુણો આગંતુક રહેલા છે. તેની સાક્ષી ''નિરંજન પરમં સામ્યમુપૈતિ'' એ શ્રુતિમાં તથા ''ઇદં જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતાઃ'' ઇત્યાદિ સ્મૃતિમાં સ્પષ્ટ મળે છે.૧૨
सत्यं ज्ञानमनन्तं च यः सर्वज्ञाश्च सर्ववित् । इत्याद्याः श्रुतयोऽतस्तं तादृशं वर्णयन्ति हि ।। १३
ईदृग्ब्रह्माभिधः कृष्णो लये ह्यात्यन्तिकेऽक्षरे । विलाप्य पुम्प्रकृत्यादि शिष्यते एक एव सः ।। १४
''સત્યં જ્ઞાનમનન્તં બ્રહ્મ'' બ્રહ્મ સત્ય સ્વરૂપ જ્ઞાનસ્વરૂપ ને અનંત સ્વરૂપ છે. ''યઃ સર્વજ્ઞાઃ સર્વવિત્'' બ્રહ્મ સર્વજ્ઞા અને સર્વવિત્ છે, ઇત્યાદિ અનંત શ્રુતિઓ છે તે સ્વરૂપ, સ્વભાવ, વિભૂતિ અને ગુણથી યુક્ત પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનનું જ વર્ણન કરે છે.૧૩
આવી રીતના અપાર મહિમાવાળા તેમજ અનંત જગ્યાએ બ્રહ્મ શબ્દથી સંબોધન કરાયેલા પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન આત્યંતિક પ્રલયમાં અક્ષરબ્રહ્મશબ્દવાચી પોતાના પ્રકાશમય ધામને વિષે મહાપુરુષ તથા મહાપ્રકૃતિને તેમના કાર્યરૂપ અનંતકોટી બ્રહ્માંડોની સાથે લીન કરી એકલા જ વિરાજમાન રહે છે. સર્વેને લીન કરી દેતા હોવાને લીધે એકલા જ રહેતા હોવાથી અદ્વિતીય કહેલા છે. પરંતુ વસ્તુગત એકલા નથી. કારણ કે તે સમયે પણ પોતાના ભક્ત અનંત કોટિ મુક્તો પોતાની સાથે હોય છે. તે પણ શ્રુતિમાં કહેલું છે કે, ''સ એકાકી ન રમતે'' ''યઃ સ્વભક્તેભ્યો રમતે'' જેની શ્રીકૃષ્ણ ભગવાનના ધ્યાનના બળે કારણ શરીરની વાસના નષ્ટ થઇ જવાને લીધે ભગવાનની કૃપાથી દિવ્ય શરીરની પ્રાપ્તિ થઇ છે એવા અનંત પોતાના મુક્તભાવને પામેલા ભક્તોની સાથે જ તે સદાય આનંદ કરે છે. તે એકલા રમતા નથી.૧૪
तमेकं चाद्वितीयं च वदन्ति श्रुतयो द्विजः ! । स्थितं दिव्ये ब्रह्मपुरे निर्गुणं चेश्वरेश्वरम् ।। १५
उपासनेन यस्तस्य प्राप्त आत्यन्तिकं लयम् । निर्विकल्पस्थितौ तं स योगी पश्यति केवलम् ।। १६
ब्रह्मैव ब्रह्मविदिति श्रुतिवर्ण्यः स योगिराट् । महामुक्त इति प्रोक्तस्तत्त्वविद्बिर्द्विजोत्तम् ! ।। १७
स सर्वे खल्विदं ब्रह्म तज्जलानिति पश्यति । शान्त आनन्दरूपं च सं शुद्धं ब्रह्मवित्तदा ।। १८
विना ब्रह्मस्वरूपं स नोर्ध्वं नाधो न चान्तरे । न विश्वं नेश्वरं नैव जीवान् किञ्चिदपीक्षते ।। १९
હે દ્વિજ ! એટલા માટે જ વેદની શ્રુતિઓ દિવ્ય અક્ષરબ્રહ્મધામના નિવાસી પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનને એક અદ્વિતીય નિર્ગુણ તેમજ ઇશ્વરોના પણ ઇશ્વર કહેલા છે.૧૫
જે યોગીપુરુષ તે પરમાત્માની ઉપાસનાના બળે જ્ઞાનદ્વારા આત્યંતિક લયરૂપ મૂળપુરુષ અને પ્રકૃતિ આદિ સર્વસ્વનો અક્ષરબ્રહ્મના તેજમાં લય થયેલો જુએ છે. તે સમયે તે યોગીપુરુષ એક પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન સિવાયના ઇતર સર્વે વિકલ્પો જેના નાશ પામ્યા છે એવી નિર્વિકલ્પ સ્થિતિમાં રાચે છે, ત્યારે તેને કેવળ એક પરમાત્મા શ્રીકૃષ્ણ જ દેખાય છે. પોતાની નિર્વિકલ્પ સ્થિતિને કારણે બીજું સત્ય હોવા છતાં દેખાતું નથી. તેથી તે કહે છે કે એક બ્રહ્મ સત્ય છે, તે અદ્વિતીય છે. બાકી સર્વે મિથ્યા છે.૧૬
હે વિપ્રોમાં ઉત્તમ બ્રહ્મચારી ! આ પ્રકારે બ્રહ્મ એવા શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપને જાણનારો યોગી બ્રહ્મ થાય છે. શ્રીકૃષ્ણ સિવાય અન્ય આકારોની તેને સ્ફુરણા જ થતી નથી. એક શ્રીકૃષ્ણમય થઇ જાય છે. એટલે બ્રહ્મને જાણનારો બ્રહ્મ થઇ જાય છે એમ શ્રુતિમાં કહ્યું છે. તેથી આવી રીતે બ્રહ્મના સાધર્મ્યપણાને પામેલા યોગીન્દ્રને તત્ત્વવેત્તા પુરુષો ''મહામુક્ત'' કહે છે.૧૭
આ રીતે બ્રહ્મના સ્વરૂપને જાણનારો શાંતયોગી સર્વેમાં અંતર્યામીપણે રહેલા પરમાત્માને નિહાળી આ બધું જ બ્રહ્મ છે. તે પરમાત્મામાંથી જ મહાપુરુષ દ્વારા અનંતકોટિ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. તે પરમાત્મા બ્રહ્મ જ આનંદરૂપ છે. તે સર્વે શુદ્ધ થકી પણ અતિશય શુદ્ધ છે. આવા બ્રહ્મશબ્દવાચી એક ભગવાન શ્રીકૃષ્ણને જ તે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિવાળો મહામુક્ત યોગી જુએ છે.૧૮
તે મહામુક્તયોગી બ્રહ્મસ્વરૂપ એવા શ્રીકૃષ્ણ ભગવાનના આકાર વિના ઉપર, નીચે અને મધ્યભાગે બીજું કાંઇ પણ નિહાળતો નથી. આ આખું જગત રહેલું હોવા છતાં પણ તેને કાંઇ પણ દેખાતું નથી. ઇશ્વરો એવા મહાપુરુષ, પ્રધાનપુરુષ કે વૈરાજપુરુષ રહેલા હોવા છતાં તેને દેખાતા નથી. વિશેષમાં શું ? અરે ... સર્વે જીવ પ્રાણીમાત્ર પોતાની આગળ જ રહેલા હોવા છતાં પણ નિર્વિકલ્પ સમાધિની સ્થિતિના ભાવમાં તે નિમગ્ન રહેતો હોવાથી તેને કંઇ દેખાતું નથી. માત્રને માત્ર સર્વત્ર કેવળ એક બ્રહ્મ એવા પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણજ દેખાય છે.૧૯
ईदृक्स्थितिं प्रापयितुं तीव्रवैराग्यवेगिनम् । गुरुश्चैकमिति श्रुत्या शिष्यं बोधयते विदम् ।। २०
एकं ब्रह्मास्तीति वर्णिन्नेवं श्रुतिभिरुच्यते । नित्यानां नित्य इत्येवं यथोक्तं तच्च वच्मि वः ।। २१
હે વર્ણી ! સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનની આવી એકાંતિક ભાવે ઉપાસના કરનારો ગુરુ તીવ્રવૈરાગ્યના વેગવાળા અને આત્મા પરમાત્માનું યથાર્થ જ્ઞાન ધરાવતા શિષ્યને આવી ઉપરોક્ત લક્ષણવાળી સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે જ ''એકમેવાદ્વિતીયં બ્રહ્મ'' ''સર્વંખલ્વિદં બ્રહ્મ'' એ શ્રુતિઓનો બોધ આપે છે.૨૦
હે વર્ણી ! આ પ્રમાણેની પરિસ્થિતિમાં શ્રુતિઓમાં ''બ્રહ્મ'' એક જ છે તેમજ અદ્વિતીય છે. આ બધુંજ બ્રહ્મ છે આવું ઉચ્ચારણ કરેલું છે. આ પ્રમાણે શુદ્ધાદ્વૈતવાદની કેમ પ્રવૃત્તિ થઇ તે સિદ્ધાંત કહ્યો. હવે ''નિત્યો નિત્યાનાં'' ઇત્યાદિ શ્રુતિઓના માધ્યમથી જીવો-ઇશ્વરો આદિકનું જેવી રીતે નિત્યપણું કહેલું છે તે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત તમને સમજાવું છું.૨૧
सेश्वराणां हि जीवानां लये प्राकृतिके तथा । आत्यन्तिकेऽपि नैवास्ति स्वरूपस्य विनाशनम् ।। २२
लये प्राकृतिके देहौ विराट्सूत्रात्मसंज्ञिातौ । ईश्वरस्य विलीयेते द्वावेव वर्णिसत्तम ! ।। २३
अव्याकृतेन देहेन स आस्ते प्रकृतौ तदा । स्थूलसूक्ष्मौ तथा देहौ जीवानामपि नश्यतः ।। २४
तिरोभवन्ति प्रकृतौ ते कारणशरीरिणः । प्रधानसंज्ञा वर्णीन्द्र ! सा तु प्रकृतिरुच्यते ।। २५
तिरोभवति सा मूल प्रकृतौ च सपूरुषा । नतु स्वरूपतो नाशो ह्येतेषां भवति क्वचित् ।। २६
વિશિષ્ટાદ્વૈતમત :- હે વર્ણી ! પ્રાકૃતપ્રલયમાં તેમજ આત્યંતિક પ્રલયમાં પણ વૈરાજપુરુષાદિ સર્વે ઇશ્વરોએ સહિત સર્વે જીવોના પોતપોતાના સ્વતઃસિદ્ધ સ્વરૂપોનો વિનાશ થતો નથી. તો કોનો વિનાશ થાય છે ? તે કહું છું.૨૨
હે વર્ણિશ્રેષ્ઠ ! પ્રાકૃત પ્રલયમાં વિરાટ અને સૂત્રાત્મા નામના ઇશ્વર એવા વૈરાજપુરુષનાં બન્ને શરીરો જ માત્ર કાળશક્તિના વેગે વિનાશ પામે છે.૨૩
તે સમયે તે ઇશ્વર વૈરાજપુરુષ પોતાના ત્રીજા અવ્યાકૃત નામના શરીરવડે મૂળ પ્રકૃતિમાં તિરોભાવ પામીને રહે છે, અને તે જીવાત્માઓનાં પણ સ્થૂલ અને સૂક્ષ્મ આ બન્ને પ્રકારનાં શરીરો કાળશક્તિથી નાશ પામે છે, ત્યારે તે જીવાત્માઓનાં કારણ શરીર માત્ર રહે છે.૨૪
તે કારણ શરીરે યુક્ત સર્વે જીવાત્માઓ જેમ ઉનાળામાં સર્વે બીજ પૃથ્વીમાં લીન રહે છે તેમ પ્રકૃતિમાં લીન થઇને રહે છે. હે વર્ણીન્દ્ર ! આ રીતે જીવ, ઇશ્વરો પોતાનામાં પ્રલયકાળે લીન થઇને રહે છે ત્યારે તે પ્રકૃતિને પ્રધાન એવા પ્રસિદ્ધ નામે કહેવામાં આવે છે.૨૫
તે સમયે પોતાના પતિ એવા પુરુષની સાથે તે પ્રધાનપ્રકૃતિ મૂળપ્રકૃતિ એવી મહામાયાને વિષે લીન થઇ જાય છે. આ રીતે જીવ, ઇશ્વર, પ્રધાન અને પુરુષોનો પોતપોતાના સ્વરૂપનો ક્યારેય વિનાશ થતો નથી.૨૬
आत्यन्तिके च प्रलये प्रकृतिः सापि पूरुषे । तिरोभवति सूर्यस्य प्रकाशे रजनी यथा ।। २७
स महान्पुरुषः साकं महत्या मायया तया । शेतेऽक्षरस्य प्रकाशे तदैकः कृष्ण एव हि ।। २८
नष्टकारणदेहा ये मुक्ता ध्यानबलेन तु । कृष्णस्य दिव्यदेहैस्ते ब्रह्मण्येवासतेऽक्षरे ।। २९
હે વર્ણી ! અને તે મૂળપ્રકૃતિ એવી મહામાયા પણ જીવ, ઇશ્વર, પ્રધાન અને પુરુષને પોતાના ઉદરમાં લઇ આત્યંતિક પ્રલયના સમયે સૂર્યના પ્રકાશમાં જેમ રાત્રી લય પામે તેમ તે મૂળપુરુષ એવા મહાપુરુષને વિષે લીન થઇને રહે છે.૨૭
તે સમયે મહાપુરુષ પણ તે મહામાયાએ યુક્ત થઇ ભગવાનના અક્ષરબ્રહ્મધામના મહાતેજના એક પ્રદેશમાં ઉપશમ અવસ્થામાં બેસી જાય છે. તે સમયે પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન કેવળ એકલા જ રહે છે. અર્થાત્ જગતના કારણભૂત મૂળપુરુષ સુષુપ્તિમાં ચાલ્યા ગયા હોવાથી એકલા રહેલા છે, એમ કહ્યું. પરંતુ વસ્તુગતે એકલા રહેતા નથી.૨૮
કારણ કે સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનના ધ્યાનના બળે કારણ શરીરની વાસના નષ્ટ થઇ જવાને લીધે ભગવાનની કૃપાને કારણે દિવ્ય બ્રહ્મમય શરીરને પામેલા મુક્ત પુરુષો અક્ષરબ્રહ્મધામમાં ભગવાન શ્રીકૃષ્ણની સેવામાં હાજર રહેલા હોય છે.૨૯
लयद्वयेऽपि नैतेषां स्वरूपेण विनाशनम् । भवतीति श्रुतिः सर्वान्नित्यानाह महामते ! ।। ३०
उत्पत्तिकाले सर्वेऽपि पुंप्रकृत्यादयः पुनः । आविर्भवन्त्यमी विप्रः यथापूर्वे तदिच्छया ।। ३१
अप्राकृतशरीरा ये मुक्तास्ते तु निजेच्छया आविर्भवन्ति ह्यथवा तेनावतरता सह ।। ३२
नित्यानेताञ्छ्रुतिप्रोक्ताञ्ज्ञानिमुक्ता विदन्ति हि । कृष्णोपास्तिबलेनापि वीक्षन्ते च यथातथम् ।। ३३
योगिनस्ते तु सम्पन्ना भक्तिज्ञानविरक्तिभिः । समाधिं सविकल्पं हि प्राप्ता इत्यवगम्यताम् ।। ३४
હે મહાબુદ્ધિશાળી વર્ણી ! આ પ્રમાણેના બે પ્રકારના પ્રાકૃતપ્રલય અને આત્યંતિક પ્રલયમાં પણ સર્વે મહાપુરુષાદિકનો સ્વરૂપથી વિનાશ નથી થતો. તેથી જ વેદની ''નિત્યો નિત્યાનાં'' ઇત્યાદિ શ્રુતિ સર્વે જીવ ઇશ્વરાદિકને નિત્ય કહે છે.૩૦
હે વિપ્ર ! ફરી શ્રીકૃષ્ણ ભગવાનના સંકલ્પથી બ્રહ્માંડોના ઉત્પત્તિ સમયે મહાપુરુષ, મહાપ્રકૃતિ, પ્રધાન પુરુષ, વૈરાજપુરુષ, બ્રહ્માદિક દેવતાઓે અને સર્વે જીવો પોતાના અવ્યાકૃત ભાવને છોડી પૂર્વની માફક જ અલગ અલગ સ્વસ્વરૂપના નામરૂપના વ્યક્ત ભાવને પામે છે.૩૧
હે વર્ણી ! આત્યંતિક પ્રલયમાં પણ અક્ષરબ્રહ્મધામને વિષે બ્રહ્મમય દિવ્ય શરીરે ભગવાનની સેવામાં રહેલા મુક્ત પુરુષો પણ મુમુક્ષુજીવોના આત્યંતિક કલ્યાણ કરવા પોતાની ઇચ્છામાં આવે તો અથવા પોતાના સ્વામી એવા પરમાત્માની ઇચ્છારૂપ આજ્ઞા થાય તો ભગવાન વિના કેવળ એકલાજ આ બ્રહ્માંડમાં પ્રગટ થાય છે. અથવા પોતાના ભક્તજનોના આનંદ માટે કે સદ્ધર્મની સ્થાપના માટે બ્રહ્માડોમાં અવતાર લેતા સ્વયં ભગવાનની સાથે મુક્તો પ્રગટ થાય છે.૩૨
આવા પ્રકારના સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનની એકાંતિકી ઉપાસનાના બળે પ્રાપ્ત થયેલી સામર્થીવાળા ''જ્ઞાની મુક્ત'' નામવાળા યોગીપુરુષો છે. તે ''નિત્યો નિત્યાનાં'' એ આદિ શ્રુતિમાં બતાવેલા નિત્ય જીવાત્માઓના સ્વરૂપને તેમજ નિત્ય વૈરાટાદિ ઇશ્વરોના સ્વરૂપને યથાર્થ જાણે છે. અને પ્રત્યક્ષ જુએ છે પણ ખરા.૩૩
સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત એવા જ્ઞાની મુક્તપુરુષો સવિકલ્પ સમાધિને પામ્યા છે. એમ તમે જાણો.૩૪
मेरौ स्थिता यथा तस्मादवरान्पर्वतान्नराः । वीक्षन्ते च द्रुमान्सर्वांस्तदाधारं च भूतलम् ।। ३५
सविकल्पसमाधिस्था ज्ञानिमुक्तास्तथेश्वरम् । मायां जीवांश्च वीक्षन्ते ब्रह्म चेति पृथक् पृथक् ।। ३६
બન્ને મતનું સત્યપણું સમજાવવા દૃષ્ટાંત :- હે વર્ણી ! જ્ઞાનીમુક્તો છે તે સર્વે નિત્ય સ્વસ્વરૂપે રહેલા જીવાત્માઓ તથા ઇશ્વરોને યથાર્થપણે સદાય નિહાળે છે. પરંતુ મહામુક્તો છે તે સર્વે નિત્ય હોવા છતાં પણ તેને નિહાળતા નથી. કેવળ એક ભગવાનને જ નિહાળે છે. તેથી જ શ્રુતિઓમાં આવા પ્રકારનું જુદું જુદું વર્ણન કરેલું છે. તે બન્ને બાબત સત્ય છે. તે તમને દૃષ્ટાંતથી સમજાવું છું. જેવી રીતે મેરુ પર્વત ઉપર ઊભેલા મનુષ્યો તે પર્વતથી નીચે રહેલા સર્વે નાના નાના પર્વતો, સર્વે વૃક્ષો, તેના આધારભૂત પૃથ્વીનું તળિયું એ સર્વેને અલગ અલગ જોઇ શકે છે. તેમજ ઉપર દૃષ્ટિ કરે તો સૂર્ય આદિક સર્વેને પણ અલગ અલગ જોઇ શકે છે.૩૫
તેવીજ રીતે સવિકલ્પ સમાધિવાળા જ્ઞાનીમુક્તો છે તે સર્વે જીવપ્રાણી માત્રને જોઇ શકે છે. વૈરાટાદિ ઇશ્વરોને પણ જોઇ શકે છે. બે પ્રકારની પ્રધાન અને મૂળમાયાને પણ જોઇ શકે છે. મૂળપુરુષને અને સર્વેનો આધાર એવા અક્ષરબ્રહ્મધામને પણ જોઇ શકે છે, અને પોતાના ઇષ્ટદેવ એવા પરમાત્મા ભગવાનને પણ જોઇ શકે છે. આ રીતે જ્ઞાનીમુક્તો સર્વેને અલગ અલગ જોઇ શકે છે.૩૬
लोकालोकाचलस्थाश्च यथा वा पुरुषा द्विज ! । पश्यन्त्येकं भूतलं नो सर्वानपि नगान् द्रुमान् ।। ३७
तथैव ते महामुक्ता निर्विकल्पसमाधयः । ब्रह्मैकमेव वीक्षन्ते जीवेशादीन्न तु पृथक् ।। ३८
कृष्णोपास्तिबलस्याथ तारतम्यवशादमी । त्रिविधा भुवि कथ्यन्ते निर्विकल्पसमाधयः ।। ३९
અને જ્યારે મહામુક્તભાવને પામેલા યોગીપુરુષો આ રીતે જોઇ શકતા નથી. હે વર્ણી ! જેવી રીતે લોકાલોક પર્વત ઉપર ઊભેલા મનુષ્યો બહુ જ ઊંચે હોવાથી નીચે સમાનતળે દેખાતી કેવળ એક પૃથ્વીને જ જુએ છે. પરંતુ તે પૃથ્વી પર રહેલા સર્વે અલગ અલગ પર્વતો કે વૃક્ષોને જોઇ શકતા નથી.૩૭
એવી રીતે નિર્વિકલ્પ સમાધિના ભાવને પામેલા મહામુક્તો છે તે કેવળ એક ''બ્રહ્મ'' એવા શ્રીકૃષ્ણ ભગવાનને જ જુએ છે. પરંતુ વસ્તુગતે અલગ અલગ અસ્તિત્વ ધરાવતા જીવ ઇશ્વરાદિકને અલગપણે જોઇ શકતા નથી. કારણ કે તેની સ્થિતિ બહુજ ઊંચી છે.૩૮
હે વર્ણી ! આવી નિર્વિકલ્પ સમાધિની સ્થિતિને પામેલા મહામુક્તોમાં પણ શ્રીકૃષ્ણ ભગવાનની ઉપાસનાના તારતમ્યતાના ભેદથી અર્થાત્ ન્યૂનાધિક ભાવના ભેદથી આ પૃથ્વી પર તે મહામુક્તોમાં પણ ત્રણ પ્રકારના ભેદ કહેલા છે.૩૯
सुषुप्ताविह जीवस्य बुद्धिन्द्रियमनोलयात् । सुखं चोपशमो यादृग्वर्तते वर्णिसत्तम ! ।। ४०
क्षात्कृष्णे यस्य पुंसो बुद्धीन्द्रियमनोलयात् । तादृक् सुखं चोपशमो जाग्रति स्यात्स आदिमः ।। ४१
પ્રથમકોટીના મહામુક્ત :- હે વર્ણીશ્રેષ્ઠ ! આલોકમાં જેવી રીતે સુષુપ્તિ અવસ્થામાં ચાલ્યા જતા જીવને બુદ્ધિ, ઇન્દ્રિય તેમજ મનનો લય થવાથી જે આનંદ અને ઉપશમ અવસ્થાનું સુખ વર્તે છે.૪૦
તેવી જ રીતે જે નિર્વિકલ્પ સમાધિ સ્થિતિના ભાવને પામેલા મહામુક્ત યોગીપુરુષને જાગ્રત સ્વપ્નમાં પણ સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિષે બુદ્ધિ, ઇન્દ્રિયો અને મન લય થઇ જતા હોવાથી, તેવું જ સુખ, આનંદ અને ઉપશમ અવસ્થાની સ્થિતિ રહે છે. તેને પ્રથમ કોટીના મહામુક્ત કહેલા છે.૪૧
सुषुप्तौ प्रलयाख्यायां ब्रह्माण्डस्याभिमानिनः । लयात्त्रिलोक्या ईशस्य सुखं यादृक्र शान्तता ।। ४२
साक्षात्कृष्णे यस्य पुंसो बुद्धीन्द्रियमनोलयात् । तादृक् सुखं चोपशमो जाग्रति स्यात्स मध्यमः ।। ४३
દ્વિતીય મધ્યમ કોટીના મહામુક્ત :- હે વર્ણિશ્રેષ્ઠ ! જેવી રીતે રાત્રી પ્રલય નામની સુષુપ્તિ અવસ્થામાં ત્રિલોકીનો લય થઇ જવાથી આ બ્રહ્માંડાભિમાની વૈરાજપુરુષને જેટલું સુખ તથા ઉપશમની શાંતિ અનુભવાય છે.૪૨
તેવી જ રીતનું જે મહામુક્ત પુરુષને જાગ્રત અવસ્થાને વિષે પણ સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનને વિષે બુદ્ધિ, ઇન્દ્રિય અને મનનો લય થઇ જવાથી તેટલું મહા સુખ તથા શાંતિ અનુભવાતી હોય તેને મધ્ય કોટિનો મુક્ત કહેલો છે.૪૩
विराट्तत्कारणैः साकं प्रधानस्य लयाद्यथा । प्रकृतौ प्राकृतलये सुखं पुंसश्च शान्तता ।। ४४
साक्षात्कृष्णे यस्य पुंसो बुद्धिन्द्रियमनोलयात् । तथा सुखं चोपशमो जाग्रति स्यात्स चान्तिमः ।। ४५
તૃતીય ઉત્તમકોટીના મહામુક્ત :- હે વર્ણીશ્રેષ્ઠ ! જેવી રીતે પ્રાકૃત પ્રલયમાં મૂળપ્રકૃતિરૂપ મહામાયાને વિષે વિરાટ તેમજ તેમની ઉત્પત્તિના કારણભૂત ચોવીસ મહતત્ત્વાદિક તત્ત્વોએ યુક્ત પ્રધાનપ્રકૃતિનો લય થઇ જવાથી જેટલી પ્રધાનના અધિષ્ઠાતા પુરુષને સુખ અને શાંતિ વર્તે છે.૪૪
તેવી જ રીતે મહા મુક્તયોગી પુરુષને જાગ્રત અવસ્થાને વિષે પણ સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પોતાની બુદ્ધિ, ઇન્દ્રિય, અને મનનો લય થઇ રહેતો હોવાથી તેટલી સુખ અને શાંતિ વર્તે છે, તેને ઉત્તમપ્રકારનો મુક્ત કહેલો છે.૪૫
कृष्णसम्बन्धि सौख्यं यत्सर्वसौख्याधिकं हि तत् । दृष्टान्तमात्रमेतत्तु सुषुप्त्यादि समीरितम् ।। ४६
इत्थं हि ते महामुक्ता भवन्ति त्रिविधा द्विज ! । उत्तरोत्तरतः श्रेष्ठाः कथ्यन्ते स्थितिवेदिभिः ।। ४७
निर्विकल्पस्थितिबलादुन्मत्ता ब्रह्मदृष्टयः । जीवेशान्कल्पितान्प्राहुरिति जानीहि निश्चितम् ।। ४८
एकत्वमेवं वर्णीन्द्र ! पृथक्त्वं चावगम्यताम् । श्रुतिप्रामाण्यतो विद्धि सत्यमेव मतद्वयम् ।। ४९
ये तु नैवं स्थितिं प्राप्ता ब्रह्मैक्यं शास्त्रमात्रतः । बुद्ध्वा यथेष्टाचरणं कुर्वते ते पतन्त्यधः ।। ५०
હે વર્ણી ! શ્રીકૃષ્ણ ભગવાન સંબંધી જે સુખ છે એ સુખ અન્ય સર્વ સુખો જેવાં કે સુષુપ્તિ આદિનાં સુખો તથા અક્ષરબ્રહ્મનાં સુખો થકી પણ અતિશય અધિક છે. એમ અનંત શ્રુતિઓમાં કહેલું છે. તે પ્રસિદ્ધ છે. આ રીતે પૂર્વોક્ત સુષુપ્તિ આદિ અવસ્થાનાં સુખ તો માત્ર અહીં દૃષ્ટાંતરૂપે જ કહેલાં છે.૪૬
હે વિપ્ર ! આ પ્રમાણે તે મહામુક્તોના ત્રણ પ્રકારના ભેદ છે. નિર્વિકલ્પ સમાધિના પ્રકારને જાણનારા અનુભવી પુરુષો તેને ઉત્તરોત્તર શ્રેષ્ઠ કહે છે.૪૭
કેવળ એક શ્રીકૃષ્ણ ભગવાનના જ આકારવાળી બ્રહ્મમયદૃષ્ટિને પામેલા મહામુક્તો નિર્વિકલ્પ સ્થિતિના બળથી ઉન્મત્ત જેવી અવસ્થાને પામે છે. ત્યારે સ્વરૂપે વાસ્તવિક હોવા છતાં પણ જીવ, ઇશ્વર, માયા અને પુરુષાદિકને કલ્પિત મિથ્યા કહે છે. અને એ પ્રમાણે જાણે અને જુએ છે પણ ખરા. એમ તમે નક્કી જાણો.૪૮
હે વર્ણીન્દ્ર ! આ પ્રમાણે ''એકમેવાદ્વિતીયં બ્રહ્મ'' એ શ્રુતિમાં કહેલું બ્રહ્મનું એકત્વ અને અદ્વિતીયત્વ સત્ય છે. તથા ''નિત્યો નિત્યાનાં'' એ શ્રુતિમાં કહેલું જીવ, ઇશ્વરાદિકનું પૃથક્ત્વ પણ સત્ય છે. એમ તમે નક્કી જાણો. બન્ને પ્રકારની શ્રુતિના પ્રમાણથી મેં કહ્યું એ રીતે બન્ને મત સત્ય છે.૪૯
પરંતુ જે જ્ઞાની પુરુષો આવા પ્રકારની સ્થિતિ પામ્યા ન હોય છતાં કેવળ શાસ્ત્રના શબ્દમાત્રથી એક બ્રહ્મનું સત્યપણું અને જીવ ઇશ્વરાદિકનું મિથ્યાપણું જાણી પોતે બ્રહ્મભાવને ન પામ્યો હોવા છતાં પોતાને બ્રહ્મથી અભેદ જાણી શાસ્ત્રવિરૂદ્ધ યથેષ્ટ આચરણ કરે છે. તે પુરુષો અધોગતિને પામે છે.૫૦
तादृशाः स्वकृतं पापं स्वशिष्याणां च पातकम् । आर्तनादं प्रकुर्वन्तो बोभुज्यन्ते यमालये ।। ५१
ब्रह्मशब्दद्वयं यत्र प्रोक्तं स्यात्तत्र तु द्विज ! । आद्यं तु भगवद्धाम ज्ञातव्यं बृहदक्षरम् ।। ५२
द्वितीयं तु स्वयं कृष्णः सर्वकारणकारणम् । अक्षरात्पर इत्युक्तो दिव्याङ्गश्चेति बुध्यताम् ।। ५३
હે વર્ણીન્દ્ર ! આવા પ્રકારના જ્ઞાની પુરુષોએ પોતે કરેલાં પાપ તથા પોતાના ઉપદેશથી શિષ્યોએ કરેલાં પાપના ફળને યમપુરીમાં ''એ ... મરી ગયા, બચાવો બચાવો'' આ પ્રમાણે આર્તનાદ કરી કરીને ભોગવે છે.૫૧
હે વિપ્ર ! જ્યાં શાસ્ત્રમાં એક જગ્યાએ બે બ્રહ્મ શબ્દનો પ્રયોગ કર્યો હોય જેમ કે, ''બ્રહ્મૈવસન્બ્રહ્માપ્યેતિ'' ત્યાં પ્રથમ બ્રહ્મ શબ્દથી ભગવાનના અધો ઊર્ધ્વ પ્રમાણે રહિત અક્ષરધામનો વાચક જાણવો.૫૨
અને બીજો બ્રહ્મ શબ્દ તો સર્વ કારણના કારણ અક્ષરબ્રહ્મ થકી પણ પર સદાય દિવ્યમૂર્તિધારી સાક્ષાત્ શ્રીવાસુદેવનારાયણ પુરુષોત્તમ વાચક જાણવો.૫૩
भेदो हि वास्तवो नूनं जीवेशब्रह्मणां हरेः । नित्यानां नित्य इत्यादिश्रुतिभिः प्रतिपादितः ।। ५४
ब्रह्मवित्परमाप्नोतीत्येषा श्रुतिरपि स्फुटम् । प्राह ब्रह्मविदां सेव्यं परंब्रह्मेति सन्मते ! ।। ५५
आत्मा शरीरं यस्यास्ति नैवात्मा वेत्ति यं तथा । य आन्तरो यमयति ह्यात्मानममृतः प्रभुः ।। ५६
शरीरमक्षरं यस्य नैव यं वेत्ति चाक्षरम् । आन्तरो यो यमयति ह्यक्षरं सोऽमृतः प्रभुः ।। ५७
इत्याद्यर्थाः श्रुतिगणास्त्वक्षरब्रह्मणोऽपि च । प्राहुः कृष्णशरीरत्वं तद्बिन्नत्वं तथा स्फुटम् ।। ५८
હે વર્ણીન્દ્ર ! ''નિત્યો નિત્યાનામ્'' એ આદિક શ્રુતિઓએ પ્રતિપાદન કરેલો જીવ, ઇશ્વર, બ્રહ્મ અને સાક્ષાત્ શ્રીહરિના સ્વરૂપનો વાસ્તવિક સ્વસ્વરૂપથી પરસ્પરનો ભેદ પૂર્ણ સત્ય છે.૫૪
હે સદ્બુદ્ધિવાળા વર્ણી ! શ્રીકૃષ્ણ ભગવાનની ઉપાસનાથી બ્રહ્મભાવને પામેલો મુક્તપુરુષ પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનને પામે છે. અર્થાત્ સેવાની યોગ્યતા પ્રાપ્ત કરી લીધી હોવાથી તેમની સેવામાં રહે છે. આ શ્રુતિ પણ બ્રહ્મજ્ઞાનીઓને સેવવા યોગ્ય એક પરબ્રહ્મ જ છે એમ સ્પષ્ટ કહે છે.૫૫
હે વર્ણીન્દ્ર ! ''યઃ આત્મનિ તિષ્ઠન્'' ઇત્યાદિ તથા ''યસ્યાત્મા શરીરમ્'' ઇત્યાદિ તથા ''યસ્યાક્ષરં શરીરમ્'' ઇત્યાદિ શ્રુતિઓમાં જે પરમાત્માનો આ આત્મા પરતંત્ર હોવાથી શરીર છે છતાં એ આત્મા પરમાત્માને જાણતો નથી. તથા જે પરમાત્મા આત્માને વિષે અંતર્યામી સ્વરૂપે વિરાજી આત્માનું નિયમન કરે છે. તે આત્માને પોતપોતાનાં કર્મ પ્રમાણે તેનું ફળ આપી તે કર્મફળ ભોગવે છે. તે પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન અમૃત સ્વરૂપ છે.૫૬
તેનું જે અક્ષરબ્રહ્મ છે તે શરીર છે. છતાં અક્ષરબ્રહ્મ તેને જાણતા નથી. પરમાત્મા અક્ષરબ્રહ્મનું અંતર્યામીપણે તેનામાં રહી તેનું નિયમન કરે છે. તે પરમાત્મા સદાય અમૃતસ્વરૂપ, આનંદસ્વરૂપ છે.૫૭
આ પ્રમાણેનો અર્થ બોધ કરાવનારી શ્રુતિઓનો સમુદાય બ્રહ્મ શબ્દવાચી અક્ષરને પણ અન્ય બ્રહ્મ શબ્દવાચી પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનનું શરીર કહે છે. તેમજ પરમાત્માથી તેનું ભિન્ન સ્વરૂપે સ્પષ્ટપણે પ્રતિપાદન કરે છે.૫૮
अक्षरस्यापि चेन्नास्ति ब्रह्मणः कृष्णरूपता । कुतस्तरां तदेशस्य जीवस्य तु कुतस्तमाम् ।। ५९
ततो निःसंशयो भूत्वा मुमुक्षुः सर्वथा हरिम् । यो भजेत स मुक्तः स्यादितरः संसृतिं व्रजेत् ।। ६०
श्रीमद्रामानुजाचार्यैरयमर्थः सविस्तरम् । निर्णीतोऽस्ति महाभाष्ये सङ्क्षेपात्स मयोदितः ।। ६१
હે વર્ણીન્દ્ર ! જો અક્ષરબ્રહ્મનું પણ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનની સાથે સામ્યપણું ન હોય તો પુરુષાદિ ઇશ્વરોનું તો શ્રીકૃષ્ણ સ્વરૂપે વર્ણન કેવી રીતે કરી શકાય ? તેમાં પણ જીવાત્માઓને તો શ્રીકૃષ્ણ સ્વરૂપે તો કહી જ ક્યાંથી શકાય ? કારણ કે શ્રુતિ પણ ના પાડે છે કે, ''ન તત્સમશ્ચાભ્યધિકશ્ચ દૃશ્યતે''૫૯
માટે જે મુમુક્ષુ હોય તેતો મેં કહેલા અર્થ પ્રમાણે સંશય રહિત થઇને ભગવાન શ્રીહરિનું ભજન કરે છે તે અંતે મુક્ત થાય છે. અને મેં કહ્યું તેવા અર્થમાં સંશયવાળા થઇ ભમે છે તે જન્મ મરણરૂપ સંસૃતિમાં ભમ્યા કરે છે.૬૦
હે વર્ણીન્દ્ર ! મેં આ જે અર્થ કહ્યો તે સિદ્ધાંતનો નિર્ણય શ્રીમદ્ રામાનુજાચાર્યના મહાભાષ્યમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલો છે. તેને મેં સંક્ષેપથી કહેલો છે.૬૧
सुव्रत उवाच -
इत्युक्तं श्रुतिसिद्धान्तं हरिणा स नराधिप ! । वर्णी च साधवः श्रुत्वा तं नेमुर्नष्टसंशयाः ।। ६२
स्वस्वस्थानं ततो गन्तुं तानाज्ञाप्याखिलान्निजान् । प्रभुः स्वयं निजावासमाजगाम दयानिधिः ।। ६३
इत्थं हरिस्तत्र स वाग्विलासैरानन्दतयन्नन्वहमेव भक्तान् । हेमन्तसिंहस्य मनोरथं च सम्पूरयन्भक्तगणैरुवास ।। ६४ ।।
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહેલા શ્રુતિઓના સિદ્ધાંતને સાંભળીને અખંડાનંદ વર્ણી તથા મુક્તાનંદ સ્વામી આદિ સંતો અતિશય નિઃસંશયી થયા ને ભગવાન શ્રીહરિને વંદન કર્યા.૬૨
પછી દયાનિધિ ભગવાન શ્રીહરિએ પોતાના સમગ્ર સંતો, ભક્તોને પોતપોતાના સ્થાને જવાની આજ્ઞા આપી અને સ્વયં પણ પોતાના ઉતારે પધાર્યા.૬૩
હે રાજન્ ! આ રીતે શ્રીહરિ તે પંચાળા ગામમાં પોતાના વાણી વિલાસથી પ્રતિદિન ભક્તજનોને આનંદ આપતા હેમંતસિંહ રાજાનો મનોરથ પૂર્ણ કરતા ત્યાં જ નિવાસ કરીને રહ્યા.૬૪
इति सत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे पञ्चालग्रामे द्वैताद्वैतप्रतिपादकश्रुत्यर्थनिर्णयनिरूपणनामैकविंशोऽध्यायः ।। २१।।
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પંચાળા ગામે ભગવાન શ્રીહરિએ દ્વૈતાદ્વૈત સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારી શ્રુતિઓના અર્થનું નિરૂપણ કર્યું એ નામે એકવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૧--