અધ્યાય - ૧૭ - સુરાભક્તને આનંદ ઉપજાવતું લોયા-નાગડકામાં ભગવાન શ્રીહરિનું આગમન.

સુરાભક્તને આનંદ ઉપજાવતું લોયા-નાગડકામાં ભગવાન શ્રીહરિનું આગમન. લોયામાં શાકોત્સવલીલા.

सुव्रत उवाच - 

अथ यानाय पेटासु पुस्तिका दृढबन्धनाः । शुकर्षिणा धापयन्तं हरिं प्रापोत्तमो नृपः ।। १

तथ्यमेव प्रयाणस्य विदित्वा निश्चयं प्रभोः । शनकैः प्रहसन्नूचे भक्त एकान्तिकः स तम् ।। २

उत्तम उवाच - 

प्रयाणनिश्चयं स्वामिंस्तव श्रुत्वा जयादयः । योषितो हृदि खिद्यन्ते शीतग्लानेस्तवाघ्वनि ।। ३

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! કારીયાણીથી પોતાના પ્રયાણને કારણે પુસ્તકોનાં બાંધણાં બંધાવી શુકાનંદ સ્વામી પાસે પેટીમાં મૂકાવી રહેલા શ્રીહરિની પાસે ઉત્તમરાજા આવી ઊભા રહ્યા.૧ 

શ્રીહરિનું જુનાગઢ પ્રત્યે જવું નક્કી છે એમ જાણી એકાંતિક ભક્ત એવા ઉત્તમરાજા હસતાં હસતાં ધીરેથી શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! તમે અહીંથી પ્રયાણ કરી રહ્યા છો તેવા સમાચાર સાંભળી જયાબા આદિક સ્ત્રીઓ માર્ગમાં તમને ઠંડી લાગશે, એવું વિચારી હૃદયમાં ખૂબજ ખેદ અનુભવે છે.૨-૩ 

श्री नारायणमुनिरुवाच - 

हिमाचलोपत्यकैव जन्मभूमिर्ममास्त्यतः । अस्ति शीतसहिष्णुत्वं देहे स्वाभाविको गुणः ।। ४
अतश्चिन्तां न कार्येति ब्रूहि तास्त्वं नराधिप ! । इत्युक्तः सोऽभवत्तूष्णीं तत्स्वान्त्र्यं विदन्नृपः ।। ५
निश्चिकाय ततो राजा भगिनीभ्यां सहैव तम् । स्वपुरं पुनरानेतुं गम्यं तेन सहेति सः ।। ६
अथ द्विजेन्द्रैः कृतमङ्गलाशीर्हयीं समारुह्य च तज्जिनाख्याम् । साकं मुनीन्द्रैर्निजपार्षदैश्च वृतः प्रयाति स्म स नागटङ्कम् ।। ७
तमन्वयुर्वास्तुनृपप्रधानाः सत्कुन्तहस्ता बहवोऽश्ववाराः । हेमन्तसिंहो नृप उत्तमश्च योषा जयाद्याः स्वरथाधिरूढाः ।। ८
આ પ્રમાણે ઉત્તમ રાજાનું વચન સાંભળી શ્રીનારાયણમુનિ કહેવા લાગ્યા કે, હે ઉત્તમનૃપતિ ! મારી જન્મભૂમિ હિમાલયની તળેટીમાં આવેલી છે. તેથી ઠંડી સહન કરવાનો મારા દેહમાં સ્વાભાવિક ગુણ રહ્યો છે.૪ 

એથી મારી ઠંડીની તેઓ ચિંતા ન કરે, આ પ્રમાણે તમો સ્ત્રી ભક્તજનોને કહો. હે રાજન્ ! આવા પ્રકારનાં શ્રીહરિનાં વચનો સાંભળી ઉત્તમરાજા શ્રીહરિની સ્વતંત્રતાને જાણતા હોવાથી આગળ કાંઇ પણ બોલ્યા વિના મૌન રહ્યા.૫ 

ત્યારપછી ઉત્તમરાજા પોતાની જયા અને લલિતા બન્ને બહેનોની સાથે શ્રીહરિને પોતાના ગઢપુર નગર પ્રત્યે ફરી લઇ આવવા માટે તેમની સાથે જ આપણે પણ જવું, આવો નિર્ણય કર્યો.૬ 

પછી બ્રાહ્મણોત્તમ મયારામ ભટ્ટ આદિ વિપ્રોએ મંગલ આશીર્વચનો ઉચ્ચાર્યાં ને ભગવાન શ્રીહરિ તે સમયે તાજણ ઘોડી ઉપર સવાર થઇ પોતાના પાર્ષદોથી વીંટળાઇ સર્વે સંતોની સાથે નાગડકાપુર જવા નીકળ્યા.૭ 

ત્યારે મોટાભાઇ રામપ્રતાપજી અને ઇચ્છારામજી પણ પોતપોતાની ઘોડી ઉપર સવાર થઇ સાથે ચાલી નીકળ્યા. તેમની સાથે હેમંતસિંહરાજા, ઉત્તમરાજા, વસ્તાખાચર આદિ અનેક સવારો હાથમાં ચળકતાં ભાલાઓ ધારણ કરી શ્રીહરિની પાછળ અનુસરવા લાગ્યા. જયાબા, લલિતાબા આદિ સ્ત્રી ભક્તજનો પણ પોતપોતાના રથોમાં બેસી શ્રીહરિની પાછળ ચાલવા લાગી.૮ 

निधाय पेटा भृतपुस्तकाश्च स्वनस्सु सर्वाग्रचरं समं तैः । शुकं मुनिं सोऽथ हरिर्व्यतीत्य सहाश्ववारैः प्रचचाल शीघ्रम् ।। ९

पृष्ठे विधायाखिलसादिवृन्दं मनोजवायाः स्वहयीवरायाः । पुरश्चलन्त्या अपि सोऽग्रयानान् दृा मुनीन्द्रानहसत्सचित्रम् ।। १०

यूथानि भूयांसि महामुनीनां हरेः पुरस्तादथ पृष्ठतश्च । तदा व्यदृश्यन्त च पार्श्वयुग्मे तस्मिंस्तु दीर्घेऽध्वनि सर्वतश्च ।। ११

स सङ्गवान्ते भगवानवाप ग्रामं तु सूरस्य च लौहसंज्ञाम् । सूरोऽपि यत्रैत्य हरेः प्रतीक्षां करोति पाकं स विधाप्य विप्रैः ।। १२

श्रुत्वागतं तं स उपेत्य नेमुर्ग्राम्याश्च पौराश्च जनाः सहर्षम् । ग्राम्याः प्रभुं ग्राममुदारभावा वादित्रघोषैः स ततश्च निन्युः ।। १३

तत्र मुख्यः सिंहसंज्ञाः पट्टलोऽन्ये च ये विशः । ते सर्वे सह सूरेण समुनिं तं सिषेविरे ।। १४

શ્રીહરિ પુસ્તક ભરેલી પેટીઓ ગાડાંમાં મૂકાવી, વેલી તે ગાડાંની સાથે સર્વથી આગળ ચાલી રહેલા શુકાનંદ મુનિને ઓળંગી અન્ય સવારોની સાથે શીઘ્રગતિએ ચાલવા લાગ્યા.૯ 

સમગ્ર ઘોડેસ્વારોના સમુદાયને પાછળ રાખી અતિશય તીવ્રવેગથી સર્વથી આગળ મનની સમાન વેગવંતા ઘોડાની ચાલ કરતાં અધિક વેગથી ચાલતા નિષ્કુળાનંદ સ્વામી આદિ સંતોને જોઇને શ્રીહરિ અતિશય આશ્ચર્ય પામી મંદમંદ હસવા લાગ્યા.૧૦ 

તે સમયે અતિશય લાંબા માર્ગમાં શ્રીહરિની આગળના ભાગમાં અને પાછળના ભાગમાં તથા બન્ને પડખાની બાજુએ પણ સર્વ દિશાઓમાંથી જઇ રહેલા ઘણા બધા મહામુનિઓનાં મંડળોને સર્વે મનુષ્યોએ નિહાળ્યાં.૧૧ 

આમ કરતાં શ્રીહરિ દ્વિતીયાનો ક્ષય હોવાથી સંવત ૧૮૭૭ના કાર્તિક વદ ત્રીજને દિવસે સંગવકાળ પૂરો થતાં મધ્યાહ્નકાળના પ્રારંભ સમયે જ સુરાભક્તના લોયા ગામે પધાર્યા. ત્યાં સુરાભક્ત પણ કારીયાણીથી આવી પહોંચ્યા હતા. અને બ્રાહ્મણો પાસે રસોઇ કરાવી ભગવાન શ્રીહરિના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા.૧૨ 

લોયાના સુરાભક્ત તથા ગામવાસી જનો તથા શ્રીહરિનાં દર્શન માટે પધારેલા નાગડકાના ભક્તો પણ અતિશય હર્ષપૂર્વક શ્રીહરિની સામે જઇ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી નમસ્કાર કરવા લાગ્યા. સુરાભક્ત તથા સર્વે ગામવાસી જનો શ્રીહરિને વાજિંત્રોના મધુર ધ્વનિ કરતા કરતા લોયાપુરમાં પધરાવ્યા.૧૩ 

ત્યાં મુખીયા સિંહજીભાઇ પટેલ તથા અન્ય વૈશ્ય ભક્તજનો પણ સુરાભક્તની સાથે રહી સંતોએ સહિત શ્રીહરિની ખૂબજ સેવા કરવા લાગ્યા.૧૪ 

दिनानि कतिचित्तत्र ग्राम्यानानन्दयन्प्रभुः । तैरर्च्यमानो न्यवसद्वस्त्रालङ्कारभोजनैः ।। १५

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ પણ તે લોયા ગામના ભક્તજનોને ખૂબજ આનંદ આપવા લાગ્યા અને ભક્તજનો પણ વસ્ત્ર અલંકારો તથા ભોજન જમાડી સંતોએ સહિત શ્રીહરિની પૂજા કરવા લાગ્યા. આમ કરતાં તે લોયા ગામમાં શ્રીહરિ કેટલાક દિવસો સુધી નિવાસ કરીને રહ્યા. કાર્તિકવદ પડવાની પ્રાતઃકાળની સભામાં કારીયાણી ગામે સુરાભક્તે અને હેમંતસિંહ રાજાએ પોતપોતાના પુરમાં પધારવાની ભગવાન શ્રીહરિની પ્રાર્થના કરી. તે સમયે બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી સાથે એકાંતમાં મંત્રણા કર્યા પછી સુરા ભક્તને લોયા ગામે જવાનો શ્રીહરિએ આદેશ કરેલો અને સાંજ સુધીમાં સર્વેએ જવાની તૈયારી કરી રાખેલી, કાર્તિકવદ તૃતીયાની તિથિએ નાગડકા જવા શ્રીહરિએ પ્રયાણ કર્યું, માર્ગમાં સુરાભક્તનું લોયા ગામ આવ્યું, અને સુરાભક્તે પણ સંતો-ભક્તોએ સહિત શ્રીહરિને લોયામાં જ નિવાસ કરાવ્યો. આ રીતે કાર્તિક વદ તૃતીયાથી આરંભીને પોષસુદ તૃતીયા સુધી લોયામાં નિવાસ કરીને રહ્યા.૧૫ 

सभायां प्रत्यहं तत्र धर्मान्वर्णाश्रमोचितान् । जनेभ्यः कथयामास भक्तिज्ञानोपबृंहितान् ।। १६

सूरसिंहादिभिर्भक्तैरनर्घ्याण्यंशुकानि च । स्वस्मै दत्तानि स ददौ भ्रातृभ्यां तत्र संसदि ।। १७

ग्रामे तस्मिन्वाटिकाभ्यो वृन्ताकादीनि भूरिशः । ग्रामीणा आहरन्ति स्म तस्मै शाकानि चान्वहम् ।। १८

तेषां संस्कारचातुर्ये पाचकेभ्यः प्रदर्शयन् । संस्कृत्य भूरिणाज्येन पपाचापि स्वयं प्रभुः ।। १९

सन्धुक्ष्योद्धानकेऽग्निं तदुपरि पृथुलं सत्कटाहं निधाय, क्षिप्त्वाज्यं भूरि तस्मिन्नतिकडकडिते चारुवृन्ताकशाकम् । 

क्षिप्त्वा छुंकारकारी करकमललसद्धस्तको वीक्षमाणः, पीतापीतांशुकः स्वान्प्रहसितवदनान्सोऽद्युतत्स्मेरवक्त्रः ।। २०

લોયામાં શાકોત્સવલીલા :- હે રાજન્ ! લોયા ગામની દરરોજની સભામાં શ્રીહરિ પોતાના ભક્તજનોની આગળ ભક્તિ અને જ્ઞાને સહિત વર્ણાશ્રમને ઉચિત ધર્મોનું પ્રતિપાદન કરતા.૧૬ 

સુરાભક્તે તથા સંઘા પટેલ આદિ સર્વ હરિભક્તોએ પૂજામાં પોતાને અર્પણ કરેલાં અમૂલ્ય વસ્ત્રો તથા અલંકારો શ્રીહરિએ સભામાં બેઠેલા પોતાના બન્ને ભાઇઓને અર્પણ કરી દીધાં.૧૭ 

તે લોયાના ભક્તજનો ગામની વાડીમાંથી વૃંતાક આદિક અનેક શાકો પ્રતિદિન શ્રીહરિ માટે લાવતા અને સ્વયં શ્રીહરિ પણ તે શાકોને વઘારવાની ચતુરાઇ અન્ય રસોયાઓને દેખાડી ઘીનો વઘાર કરી શાક બનાવતા.૧૮-૧૯ 

ચૂલા પ્રકટાવી તેના પર મોટાં કડાયાં મૂકતા. તેમાં ખૂબ ઘી નાખી વઘારનો છમકારો બોલાવતા. તે સમયે શોભી રહેલા હળદીવાળા હાથ ધોતીમાં લૂછવાથી શ્રીહરિનાં વસ્ત્રો પણ હળદીવાળાં પીળાં થઇ જતાં, ત્યારે આવી મનોહર મૂર્તિનાં દર્શન કરી ભક્તજનો ખૂબજ હસતા. આ રીતે દર્શન કરનાર ભક્તોને હસાવતા અને સ્વયં હાસ્ય કરતા શ્રીહરિ ચંદ્રમા સમાન મુખથી અતિશય શોભતા હતા.૨૦ 

शाकं संस्कृत्य भक्तान् क्रमरचितमहापङ्किभिश्चोपवेश्य, प्रीत्या पात्रेषु तेषां चपलतरमसौ सन्ददञ्चारुदर्व्या । 

पृच्छंस्तत्स्वादमार्यानतिसुरसतया चास्न्तो भूरि भक्तान्, शृण्वंस्तस्य प्रशंसां प्रभुरतिमुमुदे सञ्चरन्पङ्क्तिमध्ये ।। २१

इत्थं नृनाटयचरितैर्भक्तानानन्दयन्प्रभुः । नागटङ्कं ततः प्रायात्पुरं परिवृतो निजैः ।। २२

स्वावासं तत्र सूरस्य गृहे चक्रे स चापरान् । पुर्यामावासयामास भक्तान्सर्वान् यथोचितम् ।। २३

શ્રીહરિ વૃંતાકના શાકને વઘાર દઇ પકાવી ક્રમ પ્રમાણે સંતો અને ભક્તોની મહાપંક્તિઓની રચના કરાવી. પછી સંતો અને ભક્તોના ભોજનપાત્રોમાં પ્રસન્નતાપૂર્વક મોટો કડછો ભરી ઉતાવળે પીરસતા હતા. અતિશય સ્વાદિષ્ટ બનેલા શાકનું બહુ ભોજન કરતા બ્રહ્માનંદ સ્વામી આદિ સંતો-ભક્તોને શાકના સ્વાદ વિષે શ્રીહરિ પ્રશ્નો કરતા. ત્યારે તેઓ શાકની પ્રશંસા કરતા કહેતા કે, હે ભગવાન ! રસમયમૂર્તિ અને રસનું પોષણ કરનારા આપના દ્વારા રસપૂર્વક રંધાયેલા અને પીરસતા અને અમારા ઉપર અનુગ્રહ કરી મહાપ્રસાદરૂપે અપાયેલા શાકના સ્વાદનાં શું વખાણ કરીએ ? હે રાજન્ ! આવા પ્રકારની શાકના સ્વાદની પ્રશંસા સાંભળતા પંક્તિમાં ફરતા શ્રીહરિ અતિશય આનંદ પામતા હતા.૨૧ 

આ પ્રમાણે મનુષ્યનાટય દ્વારા શાકોત્સવની લીલા કરી ભક્તજનોને ખૂબજ આનંદ પમાડતા શ્રીહરિ લોયા ગામથી સંતો-ભક્તોની સાથે નાગડકાપુર પધાર્યા.૨૨ 

ત્યાં સુરાભક્તના ઘેર શ્રીહરિએ પોતાનો ઉતારો કર્યો. અને અન્ય સર્વે સંતો ભક્તોને પણ યથા યોગ્ય ઉતારા કરાવ્યા.૨૩ 

सभार्यः ससुतः सूरस्तस्य तेषां यथोचितम् । आतिथ्यमकरोद्बक्तया श्रद्धया चाप्युदारधीः ।। २४

पूजां चकार महतीं भक्तया राजा निजप्रभोः । वस्त्रैराभरणैः शक्तया रूप्यमुद्रार्पणेन च ।। २५

चन्दनैः पुष्पहारैश्च सद्वस्त्रैः श्रद्धयान्वितः । स पुपूज सतः सर्वान्भोज्यैर्नानाविधैरपि ।। २६

तेनातिमानितो भक्तया भगवान् दिनपञ्चकम् । उवासानन्दयन्भक्तान्स्थापयन्धर्ममेव सः ।। २७

चतुर्थे दिवसे तत्र सभायामास्थितः प्रभुः । उवाच भक्तान् सकलान् गृहिणस्त्यागिनस्तथा ।। २८

હે રાજન્ ! પત્ની શાંતાબા અને પુત્ર નાથાખાચરની સાથે ઉદારબુદ્ધિવાળા સુરાભક્તે ત્યાં પણ અતિશય પ્રેમ અને આદરની સાથે શ્રીહરિ અને સાથે પધારેલા સંતો-ભક્તોનો યથાયોગ્ય સત્કાર કર્યો.૨૪ 

પછી સુરાભક્તે પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્રો, આભૂષણો તથા રૂપાની મુદ્રાઓ અર્પણ કરીને ભગવાન શ્રીહરિની ભક્તિભાવ પૂર્વક મોટી પૂજા કરી.૨૫ 

તે સમયે શ્રદ્ધાએ યુક્ત થઇ ચંદન, પુષ્પના હારો, વસ્ત્રો, તથા અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ ભોજનો જમાડી સર્વે સંતોની પણ મોટી પૂજા કરી.૨૬ 

સુરાભક્ત દ્વારા પૂજાએલા શ્રીહરિ ભક્તજનોને આનંદ પમાડી ધર્મ મર્યાદામાં રખાવી, પાંચ દિવસ સુધી નાગડકામાં નિવાસ કરીને રહ્યા. ચોથનો ક્ષય હોવાથી પોષ સુદ પંચમીથી આરંભી નવમી પર્યંત ત્યાં રોકાયા તે પાંચ દિવસ દરમ્યાન ચોથા દિવસે પોષસુદ અષ્ટમીની તિથિએ સભામાં બેઠેલા ભગવાન શ્રીહરિ ગૃહસ્થ ભક્તજનો તથા સમગ્ર ત્યાગી સંતોને કહેવા લાગ્યા.૨૭-૨૮ 

श्रीनारायणमुनिरुवाच - 

भक्ताः ! शृणुत सर्वेऽपि श्वो भवत्युत्तरायणम् । स्ननं दानं यथाशक्ति कर्तव्यं तत्र सर्वथा ।। २९

चत्वारिंशत्तु घटिका मकरेऽर्कस्य संक्रमात् । उत्तरः पुण्यकालोऽत्रे ज्ञोयः स्नानादिकर्मसु ।। ३०

माघस्नानस्य चारम्भः पौष्यामत्राखिलैर्जनैः । कर्तव्यस्तत्र मुख्यं तु तिलदानं प्रकीर्तितम् ।। ३१

चान्द्रायणव्रतं चात्र माघमासे विशेषतः । कर्तव्यमुदितं भक्ताः ! सर्वपातकशोधनम् ।। ३२

कृच्छ्रव्रतेषु सकलेष्वपि पुम्भिरेतत् स्त्रीभिस्तथा सुकरमस्ति बृहत्फलं च । प्रोक्तं ततो निजशरीरिविशुद्धिहेतोः कार्यं तपः प्रियरमापतितुष्टये वा ।। ३३

શ્રીનારાયણમુનિ કહે છે, હે સંતો તથા ભક્તજનો ! તમે સર્વે સાંભળો, આવતી કાલે ઉત્તરાયણનો દિવસ છે. તેમાં યથાશક્તિ સ્નાન, દાન સર્વપ્રકારે કરવું જોઇએ.૨૯

મકરરાશિમાં જ્યારથી સૂર્યનું સંક્રમણ થાય ત્યારથી નવ કલાક પર્યંત ઉતરાયણનો સમય સ્નાન, દાન આદિ કર્મ કરવામાં પુણ્યકાળ જાણવો.૩૦ 

તેમજ પોષ મહિનાની પૂર્ણિમાના દિવસથી સમગ્ર મનુષ્યોએ માઘસ્નાનનો પ્રારંભ કરવો. માઘસ્નાનમાં તલનું દાન મુખ્ય કહેલું છે.૩૧ 

હે ભક્તજનો ! પોષમાસની પૂર્ણિમાથી આરંભી આગામી મહામાસની પૂર્ણિમા પર્યંતના માઘમાસમાં સર્વ પ્રકારના પાપનો નાશ કરનારા ચાંદ્રાયણનું વ્રત સર્વેને માટે અવશ્ય વિશેષપણે અનુષ્ઠાન કરવાનું કહેલું છે. મહિના બે પ્રકારના કહેલા છે. એક પૂર્ણિમાના અંતવાળા બીજા અમાસના અંતવાળા; તેમાં માઘ સ્નાન માટે પૂર્ણિમાના અંતવાળો જ મહિનો સ્વીકારવો. એવું સર્વે ગ્રંથકારોનું માનવું છે.૩૨ 

આ ચાંદ્રાયણ વ્રત છે. તે બીજા સર્વે કૃચ્છવ્રતો કે માસોપવાસ કે પારાકાદિ વ્રતોની મધ્યે પુરુષોએ તથા સ્ત્રીઓએ સુખેથી થઇ શકે તેવું સરળ વ્રત છે. અને બહુ મોટા ફળને આપનારું વ્રત કહેલું છે. તેથી પોતાના શરીરની વિશુદ્ધિને માટે કે ત્રણ પ્રકારના પાપનું નિવારણ કરાવી પોતાના આત્માની શુદ્ધિને માટે અથવા તપઃપ્રિય ભગવાન રમાપતિની પ્રસન્નતાને માટે ચાંદ્રાયણ વ્રત આ મહિનામાં સર્વેજનોએ અવશ્ય કરવું.૩૩ 

इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे भगवतो लौहग्रामनाटगङ्कपुरागमननिरूपणनामा सप्तदशोऽध्यायः ।। १७ ।।

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ લોયા ગામે શાકોત્સવની લીલા કરી અને નાગડકા પઘાર્યા એ નામે સત્તરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૭--