શ્લોક ૬

बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः | अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ||६-६||

શ્લોકાર્થ

જેણે પોતાની વિવેકવાળી બુદ્ધિથી પોતાનું મન જીત્યું છે તે આત્માનો બન્ધુ તે જીતેલું મનજ છે. અને જેને પોતાનું મન વશમાં નથી તેને તો તે મનજ અધઃપાત કરનારૂં શત્રુની માફક વર્તે છે. ।।૬।।


ભાવાર્થ

ફરીથી એજ વાત વિસ્તાર કરીને કહે છે - જે સાધક પુરૂષે સારાસારના વિવેકવાળી બુદ્ધિથી પોતાના મનને પ્રાકૃત શબ્દાદિક વિષયો થકી પાછું વાળીને વશ કરેલું છે, તે પુરૂષનેજ પોતાનું મન પોતાને બંધુની પેઠે આ લોક પરલોકમાં સુખ આપનારૂં થાય છે. અને જેણે પોતાનું મન નથી જીત્યું એવા પુરૂષને તો એ મનજ પોતાને શત્રુની પેઠે-નિરન્તર શત્રુભાવથીજ વર્તે છે. તેમાં પ્રમાણભૂત પરાશર મુનિનું વચન આ પ્રમાણે છે-''પોતાનું મનજ મનુષ્યોને બંધન અને મોક્ષમાં કારણભૂત છે. જો વિષયમાં જોડાય તો બંધનનું કારણ થાય છે. અને જો નિર્વિષય થાય છે તો મુક્તિનું કારણ થાય છે." ।।૬।।