पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः | जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ||६-४४||
શ્લોકાર્થ
અને પૂર્વ જન્મના અભ્યાસબળથી જ તેને ઇચ્છા ન હોય તો પણ પરવશપણેજ તે તરફ આકર્ષણ થાય છે. આમ પરમાત્મયોગનો જીજ્ઞાસુજન પણ બ્રહ્મને અતિક્રમણ કરી જાય છે. (એવો યોગનો મહિમા છે) ।।૪૪।।
ભાવાર્થ
એમ થવામાં કારણ કહી બતાવે છે - પૂર્વ જન્મમાં કરેલાં યોગાભ્યાસથી, તે યોગભ્રષ્ટ પુરૂષ જો કે-દેહ અને દૈહિક વસ્તુઓને આધીન હોવાથી પોતે પરવશ છે તો પણ, યોગસાધના કરવામાં જ તે આપો-આપ આકર્ષાય છે. એટલે કે-પૂર્વ દેહે કરેલો યોગાભ્યાસજ મોક્ષસાધનના પ્રત્યે તેને બળાત્કારે ખેંચી જાય છે. એવું યોગાભ્યાસનું માહાત્મય-સામર્થ્ય છે. એમ અર્થ જાણવો. વળી - યોગનો જીજ્ઞાસુ એટલે પોતે યોગ સાધવામાં પ્રવર્ત્યો ન હોય અને કેવળ તેને જાણવાની જ ઇચ્છાવાળો હોય તો પણ, શબ્દ બ્રહ્મ જે વેદ તેને અતિક્રમણ કરી જાય છે. અર્થાત્-વેદમાં કહેલાં કર્મફળને અતિક્રમણ કરીને વર્તે છે.
અભિપ્રાય એ છે કે-વેદોક્ત કર્મફળ કરતાં અધિક ફળને પમાડનારાં કર્મ યૌગાદિક સાધનો કરીને યોગમાં આરૂઢ-પૂરેપૂરો પ્રવૃત્ત થઇને પરમાત્માની એકાંતિકી ભક્તિને પામે છે. જ્યારે યોગના જીજ્ઞાસુને આવું ફળ મળે છે, તો યોગસાધનમાં પ્રવર્તેલાને આવું મહાફળ મળે એમાં તો કહેવુંજ શું ? એ તો મળે જ. ।।૪૪।।