ત્રાંણુંમું પ્રકરણ

પૂર્વછાયો-
જેવી ગણીયે ગોમતી, તેવું જ આરાંભડું ગામ । બેટ પણ બીજું નહિ, જાણું ત્રણે ધર્મનાં ધામ ।।૧।।
બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર, સહુ કરે દામ દામ । પૈસા કારણ પ્રાણ લેવા, બેઠાં પુરૂષ ને વામ ।।૨।।
દામ વિના દરશનની, છુટિ તે ન કરે છેક । આશા તજી મુનિ અંતરે, પછી કર્યો એમ વિવેક ।।૩।।
અંતરજામી આપશે, દર્શન જાણી નિજદાસ । દૃઢ આસને બેઠા મુનિ, મનમાં આણી વિશવાસ ।।૪।।

ચોપાઇ-
પછી મુનિ બેઠા દૃઢ ધ્યાને, માંડયું અખંડ ભજન એકતાને । હતા આપે લક્ષવાન અતિ, હૃદે દેખે હરિની મૂરતિ ।।૫।।
તોય ગુરુએ કહ્યું છે વચન, તેમ કરવા ઇચ્છે છે દર્શન । થયા એ ઠામે ઉપવાસ ચાર, વળી તજી તોયનો આધાર ।।૬।।
મુનિ હાથ જોડી હરિ આગે, કરે સ્તવન દર્શન માગે । જયકૃષ્ણ પ્રસન્ન થાઓ આજ, દિયો દર્શન મને મહારાજ ।।૭।।
જય જદુપતિ જગવંદ, જય રૂકિમણીપતિ રાજંદ । જય ભવ બ્રહ્માપતિ નાથ, જય સ્તવન કરે સુરસાથ ।।૮।।
કીર્તિ ભક્તિ સત્ય ધર્મ કહીએ, તેના આશ્રયરૂપ હરિ લહીએ । દ્વારામતિ પતિ દીન જાણી, કરો મેર લેર મન આણી ।।૯।।
તમે આગે ઉગારિયા દાસ, કરી અસુરજનનો નાશ । પુર્યાં દ્રૌપદી ચિર દયાળ, આવ્યા ગરૂડ તજી તતકાળ ।।૧૦।।
તાણ્યા કેશ દુષ્ટે કરી અન્યા, તેની ત્રિયા કરી કેશ વિના । વળી દુરવાસા દેવા શાપ, આવ્યા શિષ્ય સંગે લઇ આપ ।।૧૧।।
તેથી પાંડવ ઉગારી લીધા, જમી શાક તૃપ્ત સહુ કીધા । પારિજાતક સ્વર્ગથી આણી, રાજી કરી સત્યભામા રાણી ।।૧૨।।
ભૌમાસુર મારી કર્યું કામ, હર્યો ગર્વ સુરેશનો શ્યામ । બીજાં કરી બહુ બહુ કાજ, જન આગે ઉગાર્યા મહારાજ ।।૧૩।।
ઉધ્ધવીય હું તમને આશરી, કોટી કોટી જતન મેં કરી । કેમ દેતા નથી દરશન, રાય રણછોડ થઇ પ્રસન્ન ।।૧૪।।
આવી કેમ કરી કઠણાઇ, હુંતો વિચારૂં છું મનમાંઇ । વસુદેવ દેવકી બંધાવી, કરી લીળા ગોકુળમાં આવી ।।૧૫।।
રાખ્યાં બાર વર્ષ બંધીખાણે, તે તો સહુ જગતમાં જાણે । તેદી કર્યું તું કઠણ મન, નથી તજ્યું શું હજી મોહન ।।૧૬।।
ઘણું હેત કરી ગોપીસાથ, તેને તજી આવ્યા આંહિ નાથ । મેલી રોતી રઝળતી વને, તેની મહેર નહિ કાંઇ મને ।।૧૭।।
તેની તેજ મેલી નથી મતિ, મારી કેમ સાંભળો વિનતિ । વળી કરી નિજકુળ નાશ, આવી આંહિ વશ્યા અવિનાશ ।।૧૮।।
જાણી યાદવ ભૂમિનો ભાર, કર્યો છોટામોટાનો સંહાર । એજ વેગમાં ચઢયું છે મન, તે સારૂં પીડો છો નિજજન ।।૧૯।।
પાપી પાસળે જન પીડાવો, તમે દીનબંધુ શાના કહાવો । ધનવાળા ધક્કા બહુ આપે, નિરધનને નિત્ય સંતાપે ।।૨૦।।
પ્રભુ ત્યાગી જો તમારા જન, તેને પાસળ ક્યાં થકી ધન । તેનું કરતા નથી ઉપરાળું, તમે કાવો છો દીનદયાળુ ।।૨૧।।
નિર્ધનનું ધન છો મહારાજ, વળી કહાવો ગરીબ નિવાજ । અનાથના નાથ ભગવાન, કાંરે ન સુણો વિનતિ કાન ।।૨૨।।
તમને વહાલા ઉધ્ધવ અત્યંત, તેના સંપ્રદાયનો હું સંત । જેવો છઉં તેવો નાથ તમારો, વાલાજી મુજને મ વિસારો ।।૨૩।।
થાય છોરૂં કછોરૂં જો કોય, તજે નહિ તેને તાત તોય । એમ કહીને ધરીયું ધ્યાન, દીઠા અંતરમાં ભગવાન ।।૨૪।।
આરત્યવાનની આરત્ય જાણી, મળ્યા મુનિને સારંગપાણી । મહાવદિ એકાદશી વિજયા, તે નિશિ મુનિપર રિઝિયા ।।૨૫।।
દીધાં અંતરમાં દર્શન નાથે, લક્ષ્મી સત્યભામા છે સાથે । કોટી સૂર્યસમ અજવાળે, ઉધ્ધવ સાત્યકિ ચમર ઢાળે ।।૨૬।।
અર્જુને છત્ર કનકનું ધર્યું, નૌતમ રૂપે મુનિમન હર્યું । નીલ કલેવર નીરદ જેવું, મુનિ કરે દર્શન એવું ।।૨૭।।
દીઠા અંતરે અંતરજામી, વાધ્યું આનંદ વેદના વામી । પછી ભાવે બોલ્યા ભગવાન, મુનિ માગ્ય માગ્ય વરદાન ।।૨૮।।
જે માગિશ મુનિ મુજ પાસે, તે આપીશ અધિક હુલાસે । એમ કહી અંતર્ધાન થિયા, મુનિ ધ્યાનથી તર્ત જાગિયા ।।૨૯।।
થઇ વ્યાકુળ નીસર્યા બહાર, દીઠા તેમના તેમ મુરાર । અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ છે સુખકારી ।।૩૦।।
કંઠે હાર મનોહર મોતિ, પ્રસન્નમુખે શોભે શશિજ્યોતિ । ભુજ ચારમાં આયુધ ચાર, શંખ ચક્ર ગદા પદ્મ સાર ।।૩૧।।
એવા આયુધ ધરીને હાથે, દિધાં દર્શન દ્વારિકા નાથે । વળી પ્રેમાધીન મુનિ જોયા, સહ્યું કષ્ટ જાણી નાથ મોહ્યા ।।૩૨।।
પછી અલબેલો અઢળ ઢળ્યા, મુનિને ઉરમાં લઇ મળ્યા । વાલો કહે તમને જે વહાલું, માગોમાગો મુનિવર આલું ।।૩૩।।
મુનિ કહે જય મંગળ મૂરતિ, યદુપતિ ન મેલું ઉરથી । તમે છો કરુણાના દરિયા, દર્શન દઇ દુઃખ સંકટ હરિયાં ।।૩૪।।
હવે માગું છું હું બહુનામી, સુણો ચિત્ત દઇ મારા સ્વામી । અમારે ગુરૂએ આજ્ઞા કીધી, ત્યાગી ગૃહીએ શિષ ધરી લીધી ।।૩૫।।
દ્વારિકાંની યાત્રા કરી લેવી, હમણાં આજ્ઞા અમને છે એવી । મુનિ કહે ગૃહી ધન ધરશે, ત્યાગી કેમ કરી તીર્થ કરશે ।।૩૬।।
મને જે વીતી તે કહી દાખું, એ વિધ્યે લોક પીડાય લાખું । ગોમતીમાં નાતાં બંધી કિધી, મને છાપો પણ નવ દિધી ।।૩૭।।
થયા ઉપવાસ અગિયાર, ત્યારે તમે મળિયા મુરાર । નમેરા બેઠા પઇસા લેવા, ન મળે ત્યાગીને નાણું દેવા ।।૩૮।।
માટે એ માગું ચિત્ત ધરીએ, સહુને તીર્થ થાય તેમ કરીએ । પછી નાથ બોલિયા વિચારી, કહ્યું વચન સર્વે હિતકારી ।।૩૯।।
મુનિ સત્ય માને વાત મારી, સર્વે પૂરીશ ઇચ્છા હું તારી । લોભી નિર્દય તીર્થ રહેનારા, લુંટે ધન પીડે જન મારા ।।૪૦।।
તે માટે વરતાલ આવીશ, સર્વે તીરથ સંગે લાવીશ । લક્ષ્મીનારાયણની મૂરતિ, તેમાં વસિશ કહે યદુપતિ ।।૪૧।।
છાપ ગોમતી સંગે લઇશ, ત્યાગી ગૃહિને દર્શન દઇશ । થાશે સહુને દર્શન ત્યાંઇ, હવે નથી રહેવું પળ આંઇ ।।૪૨।।
સત્ય વચન માનો મુનિ મારૂં, તમે આવે થયું ઘણું સારૂં । હવે સુખે ચાલો તમે યાંથી, જુવે વાટ ગોમતીએ સંગાથી ।।૪૩।।
એમ મુનિને કહિ ભગવાન, પછી થયા છે અંતરધાન । મુનિએ વિચાર્યું મનમાંયે, થયાં દરશન ગુરૂકૃપાયે ।।૪૪।।
પછી મગન થઇ મુનિ વળ્યા, આવી અયોધ્યાવાસીને મળ્યા । પુછી ખબર પરસ્પરે, કહ્યું ન કહ્યું તે મુનિવરે ।।૪૫।।
હતો દિવસ તે દ્વાદશિ, કરી પારણાં ત્યાં રહ્યા નિશિ । થયું સવાર ચાલિયા સહુ, સાંભરે દ્વારિકાં બહુ બહુ ।।૪૬।।
દલે દુઃખી સુવે સહુ જ્યારે, દેખે સ્વપ્નામાં કૃષ્ણને ત્યારે । જાણું સંગે આવે છે મહારાજ, ભેળો લઇ સર્વે સમાજ ।।૪૭।।
એમ નિત્યે કરતા દર્શન, આવ્યા ગઢડામાં સહુ જન । સંધ્યાસમે સભામાંહિ શ્યામ, બેઠાતા સંતના સુખધામ ।।૪૮।।
તિયાં કર્યાં દંડવત આવી, હેતે લીધા પાસળ બોલાવી । ભલે જઇ આવ્યા દ્વારામતિ, ધન્ય ધન્ય તમારી ભગતિ ।।૪૯।।
પછી બોલ્યા મુનિવર આપે, આવ્યા કુશળ તમ પ્રતાપે । સ્નાન છાપ દર્શનનું દુઃખ, તેતો કેમ કહ્યું જાય મુખ ।।૫૦।।
સુણી ત્યાગી થયા છે ઉદાસે, તિયાં આપણે કેમ જવાશે । વર દીધાની વાત કહી જ્યારે, ત્યાગી પ્રસન્ન થયા સહુ ત્યારે ।।૫૧।।
સુંણી ગુરુએ કર્યો સતકાર, ભાગ્યવાન તું સાધુ અપાર । મુનિ કહે પ્રતાપ તમારો, હવે વરતાલ વહેલા પધારો ।।૫૨।।
સ્વામી પ્રસન્ન થઇ એમ કહ્યું, જાવું વરતાલે નિશ્ચે એ થયું । ફુલદોલ જે ફાગણશુદિ, પહોચવું પુન્યમ દન તેદિ ।।૫૩।।
ત્યાગી ગૃહી બાઇ ભાઇ જેહ, લખી કાગળ તેડાવ્યા તેહ । તે રાત્રિ સહુ સ્મરણ કરતા, સર્વે સંત આનંદમાં સુતા ।।૫૪।।
દિઠા સ્વપ્નામાં લાડિલો લાલ, રમા સહિત જાતા વરતાલ । બોલ્યા પરસ્પર પરભાત, કહી સ્વપ્નાની ગુરૂને વાત ।।૫૫।।
સ્વામી કહે સત્ય વાત સારી, કરો વરતાલ જાવા તૈયારી । ચાલ્યા સાતમ્યે સહુ જનવૃંદ, ગઢડેથી સ્વામી સહજાનંદ ।।૫૬।।
કરી ઉત્સવ પર તૈયારી, સંગે લેઇ ઘોડાની અસવારી । વાજીવાગ ગ્રહી ડાબે હાથે, લીધા સુભટ જન બહુ સાથે ।।૫૭।।
ઘોડી શોભે સોનેરી સાજે, શ્વેત વસ્ત્ર પહેર્યાં છે મહારાજે । કેશર કુંકુમ તિલક કર્યાં, નૌતમ રૂપે જન મન હર્યાં ।।૫૮।।
મજલે મજલે થાય ઉતારા, સંઘ સહિત રહે ગામ બારા । કુંડળ ખસતેથી બોરૂ રહ્યા, સીંજીવાડેથી વરતાલ ગયા ।।૫૯।।
શુદી એકાદશી વરતાલ, આવ્યા નાથ સાથ લઇ મરાલ । આવ્યા તે દિન દ્વારકાંનાથ, રાણી રૂકિમણી લઇ સાથ ।।૬૦।।
લક્ષ્મીનારાયણરૂપે કૃષ્ણ, કરે બહુ દેશનાં જન દ્રષ્ણ । દ્વારિકાંથી રણછોડ આવ્યા, વસ્યા વરતાલે જનમન ભાવ્યા ।।૬૧।।
કર્યો ઉત્સવ ફુલદોલ ભારી, પૂજ્યા શિષ્યે સ્વામીએ મુરારી । દ્વારિકાંથી ચાલ્યા જેદી નાથ, સર્વે દેવ તીર્થ આવ્યાં સાથ ।।૬૨।।
ધાર તળાવ સુંદર અતિ, કૃષ્ણ કહે ત્યાં રહો ગોમતી । બીજા દેવ તીર્થ આસપાસ, વાલે કરાવ્યો વરતાલે વાસ ।।૬૩।।
કહ્યું સ્વપ્નામાં દ્વારિકાનાથે, મારાં આયુધ છાપજ્યો હાથે । વચને છાપ આપી વરતાલ, નરનારી થયાં સહુ નિહાલ ।।૬૪।।
રામનવમીએ પૂજા કરી, વિમળા એકાદશી અર્ચ્યા હરિ । તિયાં જયજય બોલે છે જન, દેખી દુષ્ટનાં દાઝિયાં મન ।।૬૫।।
એમ થાય લીળા નિત્ય નવી, કહે એક મુખે કેમ કવિ । નિત્ય તળાવે બિરાજે નાથ, મુનિ સતસંગી લઇ સાથ ।।૬૬।।
તિયાં થાય ઉત્તર પ્રશન, કરે અનેક જન દર્શન । વાજે વાજીંત્ર તિયાં અપાર, લાવે પૂજા જન બહુ વાર ।।૬૭।।
લઇ પીચકારી હરિ હાથ, રમે રંગે સખા સંગે નાથ । વળી આપી આજ્ઞા અવિનાશ, ગાઓ ગરબી રમો જન રાસ ।।૬૮।।
ગાળે સર સતસંગી સહુ, દેખી રાજી થાય વાલો બહુ । જ્યારે આવે ઉતારે મહારાજ, ઉપડાવે ઇંટયો મંદિરકાજ ।।૬૯।।
એક દિન રાજી થઇ નાથ, મળ્યા મુનિને ભરી ભરી બાથ । વળી જમાડે જનને આપે, એતો વાત આવે કેમ માપે ।।૭૦।।
એમ લીળા કરી બહુ દન, જોઇ જન થયા છે મગન । કર્યો ઉત્સવ એક માસનો, પુરીયો મનોરથ દાસનો ।।૭૧।।
પછી પ્રભુજી ત્યાંથી પધાર્યા, આવી ગઢડે આનંદ વધાર્યા । સુંદર વર્ષ તે સારૂં કહીએ, ચૈત્રશુદી એકાદશી લહીએ ।।૭૨।।
તેદિ ઉત્સવ કરાવ્યો વાલે, આવ્યા દ્વારકાનાથ વરતાલે । સત્ય વાત નજરની દિઠી, લાગે હરિજનને એ મીઠી ।।૭૩।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સચ્ચિદાનંદ સ્વામીએ સ્તુતિ કરીને દ્વારિકાનાથે દર્શન દિધાં ને વરતાલ આવ્યા એ નામે ત્રાંણુંમું પ્રકરણમ્ ।।૯૩।।