પૂર્વછાયો-
ત્યાર પછી એક સમે, બેઠા સભામાંહિ શ્યામ । દિયે દર્શન દાસને, હરિજનની પુરે હામ ।।૧।।
મિઠી મિટે માવજી, જ્યારે જોયા સર્વે જન । દોષે રહિત દાસ દેખી, પોતે થયા પ્રસન્ન ।।૨।।
પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળજ્યો સહુ જન । આપણે સહુ ઉધ્ધવના, તેને કરવું તીર્થ અટન ।।૩।।
મુનિ સંન્યાસી ત્યાગી ગૃહી, સુણો અવધ્યવાસી આપ । જાઓ શ્રીદ્વારામતિ, નાહી લહી આવો સહુ છાપ ।।૪।।
ચોપાઇ-
મળે તીર્થે મોટા મુનિજન, થાય રામકૃષ્ણનાં દર્શન । મારકંડેય ધૌમ્ય લોમશ, ધર્માદિ કરે તીર્થ અવશ ।।૫।।
સર્વે તીર્થ છે સુખરૂપ, તેમાં પણ દ્વારિકા અનૂપ । તમે અવધ્યવાસી રહો દૂર, માટે જાવું તમારે જરૂર ।।૬।।
જેદિ થયો જાદવનો નાશ, પરસ્પર લડી પરભાસ । તેદિ સમુદ્રે જળ હિલોળી, કૃષ્ણભુવન વિના પુરી બોળી ।।૭।।
કુળ સંહારી શ્રીકૃષ્ણ પોતે, રહ્યા નિજઘેર નાથ ગુપતે । માટે મોટું તીર્થ દ્વારામતિ, જીયાં અખંડ રહે યદુપતિ ।।૮।।
માટે ગૃહી ત્યાગીને ત્યાં જાવું, વિધિ સહિત ગોમતીમાં ન્હાવું । યથાયોગ્ય દાન તિયાં દેવું, સત્યપુરૂષ પૂજી ફળ લેવું ।।૯।।
એમ સર્વેને આગન્યા કીધી, નિજદાસને શિક્ષા એ દિધી । પછી કૌશલવાસીને કહ્યું, નિશ્ચે તમારે જાવાનું થયું ।।૧૦।।
મનછારામ નંદરામ દોય, જાઓ ગોપાળ સુફળ સોય । પ્રથમ પહેલા શ્રીરામપ્રતાપ, તે પણ ગયાતા દ્વારકાં આપ ।।૧૧।।
ઉધ્ધવસંપ્રદાયની એ રીત, જાવું દ્વારકાં થાવું પુનિત । નાહિ ગોમતી વિપ્રજમાડો, પિંડ દઇ પિત્રિ પાર પમાડો ।।૧૨।।
છાપે અંકિત કરી શરીર, બેટ જઇ આવો વહેલા વીર । ત્યારે બોલ્યાં છે સંબંધી સઉં, સારૂં જાશું રાજી અમે છઉં ।।૧૩।।
પણ ભોમિયો જોઇએ જરૂર, જાણે વાટ ઘાટ ગામ પુર । ત્યારે સભા સામું જોયું સ્વામી, દીઠા સચ્ચિદાનંદ નિષ્કામી ।।૧૪।।
દૃઢસમાધિ નિર્ભય નચિંત, જેને પ્રગટ પ્રભુશું પ્રીત । તેને આગન્યા આપી છે નાથે, તમે જાઓ ધર્મકુળ સાથે ।।૧૫।।
તમે જઇ પાછા આવો જન, કરી રણછોડજીનાં દર્શન । પછી આવશે મુનિ સમસ્ત, જ્યારે થાશે શીત ઋતુ અસ્ત ।।૧૬।।
હશે વાસુદેવની ઇચ્છાય, મુનિ ને અમે આવશું ત્યાંય । તમે તો સહુ થાઓ તિયાર, બાંધો ટીમણ મ કરો વાર ।।૧૭।।
પછી મુનિ બોલ્યા કર ભામી, સુખે યાત્રા કરાવીશ સ્વામી । પછી તીરથે જાવાને કાજે, જોવરાવ્યું મુહૂર્ત મહારાજે ।।૧૮।।
ભટ્ટ મયારામે એમ કાવ્યું, શુદી નવમીનું મુહૂર્ત આવ્યું । પછી નાથે આજ્ઞા તેને કરી, ચાલ્યા દ્વારકાં સ્મરતા હરિ ।।૧૯।।
માઘવદી એકમને દન, નાહ્યા વિપ્ર ગોમતી દઇ ધન । દેખી પરદેશી ધાયા ગુગળી, જેમ પિંડે આવે કાક મળી ।।૨૦।।
કરી ટિલાં ને કહે અમે ગોર, લેવા નાણું થયા તતપર । નોય ત્યાગીને તીરથે આડી, પણ મુનિને નહાતાં ના પાડી ।।૨૧।।
વાયસ સરખે વિંટિને લીધા, મોટા મુનિને નાવા ન દીધા । બાળ જોબન ને વૃધ્ધ વળી, દિયે ડારા કહે મારશું મળી ।।૨૨।।
તું તો સિધ્ધનું કુપળું દિસે, નાણાં વિના નાવા મન હિસે । કાઢય કંથા કોપીનેથી દામ, એમ બોલે પુરૂષ ને વામ ।।૨૩।।
તોય મુનિનું મન ન ક્ષોભ્યું, કૃષ્ણ રમણ રજે મન લોભ્યું । ચિત્તે ચડી શ્રીકૃષ્ણ મૂરતિ, હવી મુનિને અંતરવરતિ ।।૨૪।।
થઇ સમાધિ ભૂલ્યા શરીર, પડયું પિંડ ગોમતીને તીર । તિયાં આવ્યા અયોધ્યા રહેનાર, મુનિ ન જાગે કરે પોકાર ।।૨૫।।
કહે ગોપાળ સહુ સગાને, કેમ લઇ ચાલશું સંગે આને । દિન પાંચ દશમાં જાગશે, રહેશું તો દન બહુ ભાંગશે ।।૨૬।।
માટે મ કરો ચિંતા એની કાંઇ, ચાલો છાપું લઇ બેટમાંઇ । મુનિ મેલી ગયા આરાંભડે, લીધી ચોંપે છાપો દામવડે ।।૨૭।।
બેસી વાણે ગયા બેટમાંઇ, કર્યાં દર્શન પૂજા દામે ત્યાંઇ । કરી તીરથવિધિ શોભતી, પંચ દન રહી આવ્યા ગોમતી ।।૨૮।।
શોધ્યા સચ્ચિદાનંદ ન મળ્યા, અવધ્યવાસી સહુને પૂછી વળ્યા । હવે કહું મુનિને જે વીતિ, સહુ સુણો એ ધામની રીતિ ।।૨૯।।
મુનિ અન્ન તજી ત્રણ દહાડે, નાહ્યા વિના ગયા આરાંભડે । જઇ ઉતર્યા લાંઘણ ચોરે, જ્યાં અન્ન વિના જન બકોરે ।।૩૦।।
તિયાં તીર્થવાસી તાવે ઘણું, પડે ઉપરા ઉપર લાંઘણું । બાલ જોબન ને વૃધ્ધ બહુ, વિના અન્ને વ્યાકુળ છે સહુ ।।૩૧।।
કૈક કુટે પેટ શિશ છાતી, ભાઇયો ભૂખ નથી જો ખમાતી । માટે દીયો છાપો દયા કરી, અમે અન્ન વિના જાશું મરી ।।૩૨।।
નાપે છાપ દ્રવ્યના લેનાર, જેને નહિ દયા મહેર લગાર । તીર્થવાસી પાડે બુંમરાણ, આપો છાપો આપ્યા જાણું પ્રાણ ।।૩૩।।
તૈયે બોલ્યો ચારણીયો આપ, ધન વિના તો નહિ દૈયે છાપ । મરીમટો જાઓ ઠાલાં ઘેર, તેની અમારે નહિ દયા મહેર ।।૩૪।।
એવું દેખી આરાંભડામાંહિ, મુનિ કરવા લાગ્યા ત્રાહિ ત્રાહિ । આતો ગામ યમપુરી જેવું, કહીએ કુરુક્ષેત્ર વળી એવું ।।૩૫।।
જેવા ગોમતીમાંહિ ગુગળી, પાપી અધિક એથી આ વળી । સર્વે દુઃખતણા જે દેનાર, આંહિ આવી વશ્યાં નરનાર ।।૩૬।।
ઔમાટે નહિ દયા કેને લેશ, વારું પુછી જોઉં ખોટી મેશ । કહે મુનિ સુણો ભાઈઓ વાત, તમે કૃષ્ણભક્ત છો સાક્ષાત ।।૩૭।।
દિયો છાપો તમે દયા કરી, જાઉં બેટ હું નિરખી હરિ । તૈયેં સાંભળી મુનિના બોલ, હસી કહ્યું તું છો પશુતોલ ।।૩૮।।
આવે ધુતા ઘણા તુજ જેવા, વિના ધને છાપો બહુ લેવા । ગર્જ હોય તો ધન દેઇને, બુઢા જા ઘેર છાપો લઇને ।।૩૯।।
તૈયેં બોલ્યા મુનિ સુભાગી, ભાઈ ધન ત્રિયા અમે ત્યાગી । ઔકહે તું જેવા ત્યાગીને જાણું, રાખે કંથા કોપીનમાં નાણું ।।૪૦।।
પછી કંથા દિધી મુનિ હાથે, જોઇ પટકી પૃથવી માથે । કહે જટામાં જ્યાં ત્યાંહિ રાખે, સાધુ નોય કોઇ ધન પાખે ।।૪૧।।
અમેતો નહિ સાધુ તે જેવા, અમે સ્વામિનારાયણ સેવ્યા । જ્યારે તુંજ સ્વામીજીનો સાધુ, ત્યારે તો નાણું બેસશે વાધુ ।।૪૨।।
તારા સ્વામી પાસે બહુ ધન, કરે છે મોટામોટા જગન । માટે શીદ ખોટી થાછ ઠાલો, છાપ લેતો ધન લાવી આલો ।।૪૩।।
એવે સમે આવ્યો એક ખાખી, રોળી રાખમાંહિ દેહ આખી । લોહ ચિપિયો લીધો છે હાથે, જટા મોટી વિંટિ વળી માથે ।।૪૪।।
કીધી કેફે કરી આંખ્યો રાતી, ચાલે મરડાતો કાઢતો છાતી । ભાંગ્ય ગાંજાની ભેળી કોથળી, બોલે ગળેથી વાણી ગોગળી ।।૪૫।।
આવી અટક્યો કહે દ્યો મને છાપું, અમે ત્યાગી તુંને ધન નાપું । બોલ્યો અડબંગાઇમાં ગાળ, સુણી ઉઠયો ચારણ તતકાળ ।।૪૬।।
ઝાલી ડાઢી ચુંથી ઝટા વળી, મહોર પાંચ માથેથી નિકળી । કહ્યું જો મુનિ આંહિની રીત્ય, અમારે તો પૈસા સાથે પ્રીત ।।૪૭।।
સાધુ તું ધન આપ્ય ને લાવી, નહિ તો થાશે ગતિ તારી આવી । કહે મુનિ જટા મારે નથી, કંથા કૌપીનમાં ધન ક્યાંથી ।।૪૮।।
પછી ચાલ્યો ચારણ હાંસી કરી, શીદ વણમોતે જાછ મરી । જો આવે તારા બાપનો બાપ, ધન વિના નવ આપિયે છાપ ।।૪૯।।
પછી મુનિ થયા છે ઉદાસી, દીઠાં પીડાતાં તીરથવાસી । પરદુઃખે દુઃખાણું છે મન, ચાલ્યા કહે ન લેવું આંહિ અન્ન ।।૫૦।।
બેસી બેડિમાંહિ પહોત્યા બેટ, પડી લાંઘણે મળિયું પેટ । કરવા દર્શન પોળ્યમાં પેઠા, છાપ વિના દરવાણિયે દીઠા ।।૫૧।।
કહે જાછ ભાગ્યો કિયાં ભગવા, તું શું આવ્યો છો અમને ઠગવા । છાપ વિના જાછ છાંનોમાંનો, કપટી છો કોઇ સાધુ શાનો ।।૫૨।।
દઇ ઠેલા ઉગામી ઠપાટ, મુનિ હસી બેઠા સામે હાટ । તિયાં આવ્યો બ્રાહ્મણ ગુગળો, ધરનો ધર્મ થકી વેગળો ।।૫૩।।
તેને કહે એમ મુનિરાજ, મને દર્શન કરાવો મહારાજ । વિપ્ર કહે આંહિની એવી રીત્ય, કેવળ પૈસા સાથે સહુને પ્રીત્ય ।।૫૪।।
નાણું લઇ વેચે નિજનારને, આપે સુતા ભગિની જારને । તેની આ શહેરમાં નહિ લાજ, બીજાં બહુબહુ કરે અકાજ ।।૫૫।।
તારી પાસે હોય ધન કાંઇ, ચાલ્ય ઉતારૂં હું ઘરમાંઇ । સર્વે વાતે થાઇશ સુખિયો, નહિ તો જાઇશ દ્રષ્ણનો દુઃખિયો ।।૫૬।।
તૈયેં કહે મુનિ સ્વામીના છીએ, દામ વામ થકી દૂર રહીએ । તૈયેં બોલ્યો વળી વિપ્ર જન, તારા ગુરુ પાસે બોળું ધન ।।૫૭।।
વળી કહેવાય છે પ્રભુ આપે, તેને મુકી આવ્યો શિયે પાપે । એમ કહિને બ્રાહ્મણ ગયો, મુનિને મન ક્ષોભ ન થયો ।।૫૮।।
બીજાં બહુ આવે પુરવાસી, દેખી નિરધન ને કરે હાંસી । કૈક ડરાવે દેખાડે આંખ્ય, અતિ દુષ્ટ દલે ધનધાંખ્ય ।।૫૯।।
વળતું મુનિયે મન વિચાર્યું, ત્યાગી આવશે આંહિ હજારૂં । તેહ મુનિની શિપેર થાશે, દર્શન વિના દુઃખી થઇ જાશે ।।૬૦।।
પળ એક હું આંહિ ન રહું, વળું વાટ પંચાળની લહું । પણ કરી ગુરુએ આગન્યા, આવિશ માં છાપ દર્શન વિના ।।૬૧।।
એહ વચન ખટકે શરીર, કેમ કરશે હવે બલવીર । છાપ દર્શન વિના પાછો જાઉં, ગુરુજીનો ગુનેગાર થાઉં ।।૬૨।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે અયોધ્યાવાસી ને સચ્ચિદાનંદમુનિ દ્વારિકાં ગયા એ નામે બાણુંમું પ્રકરણમ્ ।।૯૨।।