પૂર્વછાયો-
કહું લીળા વળી લાલની, જે કરી હરિ અવિનાશ । સંત સમીપે રાખિયા, રાજી થઇ ષટમાસ ।।૧।।
તેહમાંહિ જેજે કર્યું, તે કહું સાંભળજ્યો જન । ચરિત્ર સુણતાં શ્યામનાં, વળી થાય પરમ પાવન ।।૨।।
ચોપાઇ-
ઘણું રહ્યા છે ગઢડામાંઇ, કરી હુતાશની વળી ત્યાંઇ । ઉષ્ણઋતુ વીતિ એહ ઠામ, બહુ રાજી છે સુંદરશ્યામ ।।૩।।
પછી આવિયું ચાતુરમાસું, દુષ્ટે દુષ્ટપણું પરકાશું । પછી ત્યાંથી ચાલિયા મોરાર, આવ્યા સારંગપુર મોઝાર ।।૪।।
સાથે હતું સંતનું મંડળ, મહામુક્ત અંતરે અમળ । તે સહિત સારંગપુર આવ્યા, ઘણું જન તણે મન ભાવ્યા ।।૫।।
ભક્ત ભાવિક જીવો ખાચર, હરિ ઉતરિયા તેને ઘેર । સુંદર ભોજન કરી રસાળ, જમ્યા નાથ જમાડયા મરાળ ।।૬।।
વળતો આવ્યો અષ્ટમીનો દન, સર્વે વ્રત રહ્યા મુનિજન । પછી પોતે પધારિયા બાર, આવ્યાં દર્શને બહુ નરનાર ।।૭।।
સુંદર ગાડલે પલંગ ઢાળી, તે ઉપર બેઠા વનમાળી । કરે ઉત્તર પ્રશ્ન ત્યાં અતિ, શ્વેત વસ્ત્રે શોભે છે મૂરતિ ।।૮।।
દિયે દર્શન પ્રસન્ન ઘણું, નિર્ખિ હર્ષે મન જનતણું । એમ અષ્ટમી ઉત્સવ કીધો, જને લાવ અલૌકિક લીધો ।।૯।।
જને રાખ્યાતાં નિયમ જુજવાં, ઉપવાસ અલુણાં જમવાં । તેને પ્રભુજીએ કહ્યું કથી, તમે વાલા છો મને આજથી ।।૧૦।।
પછી પરમહંસને કાજે, કરી રસોઇ સુંદર સાજે । પોતે પીરશ્યું પંગત્યમાંઇ, કરી વાત તે હેતની ત્યાંઇ ।।૧૧।।
સર્વે સંતે એ વાત સાંભળી, ગયા ફરવા બાંધી મંડળી । બીજા આવ્યા હતા હરિજન, તે પણ ગયા પોતાને ભવન ।।૧૨।।
પોતે રહ્યા સારંગપુર ગામ, સંત ગયા કાંઇ રહ્યા એ ઠામ । જોઇ મરજી મહારાજ કેરી, સંત આવે જાય વારિફેરી ।।૧૩।।
વીતિ ગયો તિયાં દોઢ માસ, નિત્ય દર્શન કરતાં દાસ । કર્યો સમૈયો સારો મોહને, શ્રાવણવદી અષ્ટમીને દને ।।૧૪।।
પછી પધાર્યા ગઢડે નાથ, સંત લીધા છે સરવે સાથ । રહ્યા દન દશ એહ ઠામે, પછી આવ્યા કારિયાણી ગામે ।।૧૫।।
સુણી સતસંગી સહુ આવ્યા, પાયે લાગી ઘેરે પધરાવ્યા । આપી આસન કરાવી રસોઇ, જમ્યા હરિ ભાવ તેનો જોઇ ।।૧૬।।
પછી જમાડીયા મુનિજન, એમ આનંદે વિત્યો એ દન । નિત્ય નાથ દિયે દરશન, થાય ઉત્તર ને પરશન ।।૧૭।।
એમ કરતાં વીત્યા કાંઇ દન, બોલ્યા પ્રભુજી થઇ પ્રસન્ન । આસુના દિન કેટલા ગયા, ક્યારે આવશે દશમી વિજ્યા ।।૧૮।।
ત્યારે બોલિયા વસતો ખાચર, છે નજીક કહી જોડયા કર । નાથ માગું છું એક વચન, આપો આગન્યા થઇ પ્રસન્ન ।।૧૯।।
કરો ઉત્સવ દશરાતણો, તેડો સંત તો હું રાજી ઘણો । એવું સુણીને બોલિયા નાથ, સારૂં તેડાવો સંતનો સાથ ।।૨૦।।
પછી સંત આવ્યા સહુ મળી, હતી દેશોદેશ જે મંડળી । આવી લાગ્યા પ્રભુજીને પાય, નિર્ખી હર્ષ હૈયામાં ન માય ।।૨૧।।
પછી નાથે જોયું સંત સામું, પુરી નિજ સેવકની હામું । પછી બોલિયા જગજીવન, સંતો આજ ઉત્સવનો દન ।।૨૨।।
ગાઓ ગરબી ઉત્સવ કરો, આજ અંગમાં આનંદ ભરો । પછી સંતે ઉત્સવ આદર્યો, સારો સમૈયો સુંદર કર્યો ।।૨૩।।
પછી રૂડી કરાવી રસોઇ, જમ્યા જીવન ને જન સોઇ । પછી સંત રાખ્યા નિજસાથ, દિયે દરશન પ્રસન્ન નાથ ।।૨૪।।
ત્યાં આવ્યા દિવના હરિજન, વણિક પ્રેમબાઇ પાવન । લાવ્યાં પોશાગ પ્રભુને કાજે, પહેર્યો પાસે જઇને મહારાજે ।।૨૫।।
સુરવાળ જામો ને પાઘડી, રેંટો ફેંટો ચકમો ચાખડી । ધર્યું છત્ર છબિલાને શીશ, ઘણે પ્રેમે પૂજ્યા જગદીશ ।।૨૬।।
પછી પ્રભુજી થયા પ્રસન્ન, આવી બેઠા પોતાને આસન । ભટ્ટ દીનાનાથ બડભાગ્ય, આપ્યો વાલે તેને એ સુવાગ્ય ।।૨૭।।
એમ કરતાં આવી દિવાળી, ત્યારે બોલ્યા વાલો વનમાળી । આતો આવ્યો ઉત્સવ અન્નકૂટ, કરવો સારો ન રાખવી ખોટ ।।૨૮।।
જાઓ લાવો સુખડિયા આ ઘડી, કરાવો બહુ ભાત્યે સુખડી । જેમ કહ્યું છે જગજીવન, જોઇ મરજી કર્યું તેમ જન ।।૨૯।।
કરી દીપમાળા બહુ સારી, મધ્યે બેઠા છે પોતે મુરારી । પહેરી સુરવાળ જામો જરી, શિર બાંધી છે પાઘ સોનેરી ।।૩૦।।
કંઠે પહેર્યા છે ફુલના હાર, જુવે જન કરી મન પ્યાર । હસિહસિ જુવે હરિ સામું, પૂરે જનના મનની હામું ।।૩૧।।
પછી બોલિયા શ્રીમહારાજ, સંતો ગાઓ ને ગરબી આજ । પછી સંત થયા સાવધાન, રચ્યો રાસ કર્યું બહુ ગાન ।।૩૨।।
પછી રિઝી બોલ્યા અલબેલ, સંતો ખૂબ કરો આજ ખેલ । એમ કહીને ખેલ ખમાડયો, જનને મન મોદ પમાડયો ।।૩૩।।
એમ કરતાં વિતિ મધ્ય રાત, વાલે કરી બહુ બહુ વાત । પછી પોઢીયા પ્રાણજીવન, સંત ગયા આપણે આસન ।।૩૪।।
એમ કરતાં થયું સવાર, પોઢી જાગીયા પ્રાણઆધાર । દીધાં સંતને દર્શન દાન, બેસી પર્યંક પર ભગવાન ।।૩૫।।
પછી કરાવિયો અન્નકોટ, શાક પાક ને અન્ન અબોટ । ભાત્ય ભાત્યની સુખડી સારી, બહુભાત્યે તળી તરકારી ।।૩૬।।
જમ્યા પ્રેમેશું પોતે જીવન, પછી જમાડીયા સર્વે જન । પોતે પિરશ્યું પંગત્યમાંય, કર્યા સંત રાજી બહુ ત્યાંય ।।૩૭।।
એમ કર્યો ઉત્સવ આનંદે, લીધું સુખ બહુ સંત વૃંદે । થાય રસોઇ નિત્ય નવલી, એકએક થકી ઘણું ભલી ।।૩૮।।
એમ વીતિ ગયા ત્રણ માસ, રાખ્યા સંત સરવેને પાસ । પછી એક દિવસે મહારાજે, મૂળા મંગાવ્યા સંતને કાજે ।।૩૯।।
કૈક સંતને આપિયા હાથે, બીજા ઉછાળી નાખિયા નાથે । લીધા જને જાણી પરસાદી, ઉઠયા સંત મોટા મરજાદી ।।૪૦।।
કર્યો ઉત્સવ અનુપમ જાણો, આસોવદી દિવાળી પ્રમાણો । કર્યો કારિયાણી માંહી સંતે, કરાવ્યો ભાવે ભક્ત વસતે ।।૪૧।।
બહુ લીળા કરી એહ ઠામ, પછી ત્યાંથી ચાલ્યા સંત શ્યામ । બહુ સત્સંગી બોટાદમાંય, રહ્યા રાત્ય એક હરિ ત્યાંય ।।૪૨।।
જમી જીવને જમાડયા જન, પછી ત્યાંથી ચાલ્યા ભગવન । મોટા ભક્ત છે સુરોખાચર, આવ્યા ગામ લોયે તેને ઘેર ।।૪૩।।
થયા રાજી બહુ સહુ જન, કરી પ્રભુજીનાં દર્શન । અતિ હેતેશું આપ્યા ઉતારા, જેને જેમ ઘટે તેમ સારા ।।૪૪।।
કરી ચાલતી રૂડી રસોયું, દેતાં પાછું વાળી નવ જોયું । થાય વૃંતાકનાં શાક ઘણાં, કરેલ શ્રીહરિ હાથતણાં ।।૪૫।।
કરે એકલા ઘૃતમાં શાક, જમે સંત તજી પરો પાક । નિજકરે પીરસે છે નાથ, જોરે જોરે જમે સંત સાથ ।।૪૬।।
નિત્ય કરે છે નવલી લીળા, સર્વે સંતને રાખ્યા છે ભેળા । એમ કરતાં વીત્યા ઘણા દન, દિધાં જનને બહુ દર્શન ।।૪૭।।
પછી બોલિયા શ્રીમહારાજ, તમે સાંભળો સહુ મુનિરાજ । જે દિનાં આવ્યાં અયોધ્યાવાસી, થયું સારૂં મેં જોયું તપાસી ।।૪૮।।
સતસંગનું જામિયું મૂળ, જ્યારે આવ્યું એ ધર્મનું કુળ । એમ કહી બોલાવ્યા બે ભાઇ, આપ્યાં વસ્ત્ર સારાં સુખદાયી ।।૪૯।।
પછી સંત બોલ્યા જોડી હાથ, અતિ સારૂં થયું કૃપાનાથ । એહ આવતાં હરખ્યા છું અમે, તેતો જાણો છો સરવે તમે ।।૫૦।।
ભાઇ આવતાં થઇ ભલાઇ, દુષ્ટ બોલતા રહ્યા લજાઇ । હરિજનને હર્ષ ન માય, નિત્યે આનંદ ઉત્સવ થાય ।।૫૧।।
એમ કરતાં આવ્યો વસંત, આવ્યા દર્શને જન અનંત । પ્રેમે લાગ્યાં પ્રભુજીને પાય, નાથ નિર્ખિ તૃપ્ત ન થાય ।।૫૨।।
વાલે જાણી ઉત્સવનો દન, પોતે થયા અતિશે પ્રસન્ન । પહેરી વસંતી વસન લાલ, લીધો ફાંટમાં ભરી ગુલાલ ।।૫૩।।
નાખ્યો નાથે હાથે જનમાથે, જોઇ લટકાં લીધું સુખસાથે । ચડી ગરદી ગુલાલની ઘાટી, ફેંકી ફાંટું બાંય જામાની ફાટી ।।૫૪।।
એમ ઉત્સવ કર્યો આનંદે, જોઇ લાવો લીધો જનવૃંદે । પછી મંગાવી પ્રસાદી ઘણી, તર્ત તાજા ગોળ તલતણી ।।૫૫।।
દિધી દાસને દોવટ નાથે, દયા કરી હરિ દોય હાથે । એમ કરતા લીળા અપાર, પછી બોલિયા જગદાધાર ।।૫૬।।
બહુ સારો થયો આ સમૈયો, હવે સહુ સંતને શીખ દિયો । પછી સંત ગયા આસપાસ, હુતાશનીના ઉત્સવની આશ ।।૫૭।।
પછી આવી છે પૂરણમાસી, લીધી રાકેશ રાહુએ ગ્રાસી । મોટું ગ્રહણ થયું મહાભારી, થઇ નિશા અતિશે અંધારી ।।૫૮।।
જ્યારે શુધ્ધ થયો શશિ અંગે, ત્યારે નાવા ચાલ્યા નાથ સંગે । ગાડાં ઘોડલાંનો નહિ પાર, ચાલ્યા જન હજારો હજાર ।।૫૯।।
ગાતાં વાતાં નાયા ભદ્રાવતી, પછી આવ્યા આસન પ્રાણપતિ । એમ કરે લીળા નિત્ય નાથ, જોઇ સુખી થયા જન સાથ ।।૬૦।।
કર્યો ઉત્સવ આનંદે તે કૈયો, મહાશુદી પંચમી સમૈયો । કર્યો ગામ લોયે રૂડી પેર, ભક્ત સુરાખાચરને ઘેર ।।૬૧।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે હરિચરિત્રે શ્રીહરિએ લોયે વસંતપંચમીનો સમૈયો કર્યો એ નામે સત્યાશિમું પ્રકરણમ્ ।।૮૭।।