સામેરી-
પછી સંતને આપી આગન્યા, જાઓ ફરવા સહુ મળી । જ્યારે અમે તેડાવિયે, આવજ્યો તમે વળી ।।૧।।
અણતેડયે નવ આવવું, વળી લોપી અમારૂં વચન । હેત હોય તો હરિની મૂરતિ, ન વિસારવી નિશદન ।।૨।।
આગન્યા વિના જે આવવું, તેમાં રાજી અમે નહિ રતિ । વચન પ્રમાણે જે વરતે, તે ઉપરે પ્રસન્ન અતિ ।।૩।।
શશિ સૂરજ શેષ સિંધુ, સર્વે રહે અમારા વચનમાં । વારિ વસુધા વહનિ, મરૂત ડરે વળી મનમાં ।।૪।।
ભવ બ્રહ્મા ભુલે નહિ, ડરે વચનથી દિગપાળ । સુરાસુર ઇંદ્ર અંબા, કંપે વચનથી કાળ ।।૫।।
તેહ સર્વે એમ જાણે જે, વડા થયા વચનથી । એવાં વચન આજનાં, તમે જાણ્યાં છે કે જાણ્યાં નથી ।।૬।।
એવાં વચન જો જાણો અમારાં, તો પાળો સહુ સુજાણ । એવું ન મનાય અંતરે, તો કેમ માન્યું છે કલ્યાણ ।।૭।।
માટે સહુ સુજાણ છો, વળી સાંભળી છે બહુ વારતા । છોટાં મોટાં વચન અમારાં, તેને રખે વિસારતા ।।૮।।
એટલી વાત કરી હરિ, પછી શીખ દીધી સંતને । મળી વળી મસ્તાન કરી, મોકલ્યા ગુણવંતને ।।૯।।
નાથ નિરખિ હૈયે હરખી, લખી લીધા અંતરે । સુખ લઇ મગન થઇ, ચાલ્યા દેશોદેશાંતરે ।।૧૦।।
જીયાં જીયાં આપી આગન્યા, તિયાં તિયાં સંત સહુ ગયા । હેત જોઇ હરિજનનાં, ગીરધરજી ગઢડે રહ્યા ।।૧૧।।
નાથ કહે સહુ સાથને, આજ સંત છે જે આપણા । સરવે અંગે મેં શોધિયા, કોઇ રીત્યે નથી મણા ।।૧૨।।
જ્ઞાન ભક્તિ વૈરાગ્ય વળી, તપતણી સહુ મૂરતિ । શમદમાદિ સાધને સંપન્ન, અંગે અઘ નહિ રતિ ।।૧૩।।
એમ વારમવાર વાલો, ગાય તે ગુણ સંતના । પછી કાંઇક દિન વીતે, આવ્યા દિન વસંતના ।।૧૪।।
કર્યો ઉત્સવ આનંદમાં, વસંત પંચમીનો વળી । આસપાસથી દાસ તેડયા, આવ્યા સંત સહુ મળી ।।૧૫।।
તાને ગાન ગાય તિયાં, સર્વે મળી વળી સંત । એમ આનંદ ઉત્સવ કરતાં, વીત્યો વળી વસંત ।।૧૬।।
પછી આવી હુતાસની, ત્યાં હરિજને રંગ ઘોળિયા । અલબેલાને ઉપરે, કળશ કેસરના ઢોળિયા ।।૧૭।।
લાગી ઝડી ત્યાં રંગની, ઉડે ગુલાલ અતિઘણો । ખુબ તિયાં ખેલ મચ્યો, હરિને હરિજનતણો ।।૧૮।।
પછી નાથે હાથશું, રંગે રંગ્યા સહુ સંતને । રસબસ કરી રસિયે, આપ્યાં સુખ અનંતને ।।૧૯।।
એમ રમી હુતાસની, નાહ્યા પછી જઇ નીરમાં । સખા સંગે શ્યામળો, શોભે છે શરીરમાં ।।૨૦।।
પછી સુંદર ભોજન કરી, જને જમાડયા નાથને । જમી સુંદર શ્યામળે, જમાડયા સખા સાથને ।।૨૧।।
એમ લીળા વાલે કરી, ફાગણ શુદી પુન્યમ દને । અચિંતવ્યો ઉત્સવ કર્યો, જનકારણે શ્રીજીવને ।।૨૨।।
એક ઉત્સવ શું કહું, નિત્ય નિત્ય ઉત્સવ થાય છે । નર નારી નિયમ ધારી, ગુણ ગોવિંદના ગાય છે ।।૨૩।।
નિત્ય સંત સમૂહ જમે, તે ગમે મનમાં અતિઘણું । જયા લલિતા જન જોડી, ઉદાર મન ઉત્તમતણું ।।૨૪।।
સદા સમીપે શ્યામને, વીતે વરષ તે પલસમ । આનંદમાં નિશદિન વીતે, તેની ન પડે ગમ ।।૨૫।।
પછી સુંદર શ્રાવણે, આવી છે જન્માષ્ટમી । હરિજન કહે મુનિ તેડીયે, કોઇ વાતની નથી કમી ।।૨૬।।
પછી નાથજી બોલિયા, સહુ સંત છે પરદેશમાં । આસપાસ જે આંહિ છે, એતો આવે છે હમેશમાં ।।૨૭।।
તેને પછી તેડાવિયા, ઉત્સવ કરવા આનંદમાં । સખા સંગે શ્યામળો, રાજી રમવા જનવૃંદમાં ।।૨૮।।
પાપીએ પરીયાણ કીધું, તેમાં વિપત પાડવા વળી । ઉત્સવના દિન ઉપરે, આવિયા અસુરમળી ।।૩૦।।
આશય એનો ઓળખી, વળી કરી હરિએ વારતા । આપણે આંહિથી ચાલિયે, એ જાય પાછા જખ મારતા ।।૩૧।।
પછી હરિજન હરિ પોતે, પ્રભુજી પધારિયા । અસુરનું નવ ઉપજ્યું, જેવા આવ્યા તેવા ગયા ।।૩૨।।
એહ વિઘન ટાળી વળી, અલબેલોજી આવિયા । પછી અન્નકોટ ઉપરે, સંત સહુને બોલાવિયા ।।૩૩।।
કરી ઉત્સવ અન્નકોટનો, પછી સંતને શીખ કરી । નરનારાયણ દેવની, ફેરવી કંકોતરી ।।૩૪।।
સતસંગી સરવે મળી, શ્રીનગર સહુ આવજ્યો । નરનારાયણ દેવની, મૂરતિયો પધરાવજ્યો ।।૩૫।।
અમે પણ ત્યાં આવશું, તે જરૂર તમે જાણજ્યો । સારો સમૈયો સુધારશું, અંતરે પ્રતીત આણજ્યો ।।૩૬।।
આવ્યા પછી અલબેલડો, મહાવદી દશમી દિને । તેદિ પ્રભુજી પધારિયા, શ્રીજેતલપુર પત્તને ।।૩૭।।
દીધાં દર્શન દાસને, હરિજને નિરખ્યા શ્રીહરિ । સતસંગી સુખિયા થયા, નાથ નિહાળ્યા નયણાં ભરી ।।૩૮।।
પછી દિવસ વળતે, શ્રીનગરે શ્યામ સધાવિયા । જોઇ ઉતરવા જાયગા, પાછા જેતલપુરે આવિયા ।।૩૯।।
ભક્ત એક ભાવિક વસે, ગામ અસલાલી તિયાં । તેને ભવન ભોજન કરી, સંઘે સહિત સરે ગયા ।।૪૦।।
કર્યા ઉતારા કાંકરિયે, દેશદેશના દાસ આવિયા । રથ વેલ્ય ને પાલખી, ઉંટ ઘોડાં ગાડલાં લાવિયા ।।૪૧।।
બાળ જોબન વૃધ્ધ વળી, મનુષ્ય ત્યાં મળ્યાં ઘણાં । કોઇ કેને નવ ઓળખે, આવ્યા દાસ બહુ દેશતણાં ।।૪૨।।
ઉચ્ચે આસને બેસી વાલો, દાસને દર્શન દિયે । સનમુખ બેસે સંત સહુ, નિરખિને સુખ લિયે ।।૪૩।।
નરપતિ રાજી અતિ, તે પ્રભુ પાસે આવિયા । પછી દિવસ વળતે, પોતે પ્રભુજી ત્યાં ગયા ।।૪૪।।
અતિ હેતે આસન આપી, પ્રેમેશું પૂજા કરી । પછી જેજે પૂછિયું, આપ્યો ઉત્તર તેનો હરિ ।।૪૫।।
રાજા અતિ રાજી થઇ, પછી પ્રભુને પાય લાગિયા । એનું કારજ કરી હરિ, શ્યામ સંઘમાં આવિયા ।।૪૬।।
પછી દિવસ વળતે, પધરાવી છે મૂરતિ । નરનારાયણ દેવ ડેરે, બેઠા બેઉ બદરીપતિ ।।૪૭।।
અનેક જન તિયાં આવિયા, નિરખવા નરવીરને । દર્શન કરી દયાળનાં, પામિયા સુખ અચિરને ।।૪૮।।
સુંદર માસ સોયામણો, ફાગણ શુદી તૃતીયા તિથિ । તે દિને સ્થાપન કર્યું, વાલો આવ્યા વિશાળાવનથી ।।૪૯।।
વિકટ અદ્રિ બદ્રિ આડા, જઇ ન શકે ત્યાં કોઇ । અતિ અગમ તે સુગમ થયા, હરિજનનાં હેત જોઇ ।।૫૦।।
ભાગ્ય મોટાં એ ભૂમિનાં, જ્યાં પધાર્યા પોતે ધણી । નરનારી નાથ વિના, પીડાતિ પ્રજા ઘણી ।।૫૧।।
પછી ઉતારી આરતી, નાથ રાખજ્યો નજર મહેરની । પછી દિવસ વળતે, કરી ચોરાશી શહેરની ।।૫૨।।
કરી કારજ એટલું, શ્યામળિયો સધાવિયા । ઘણમુલે ઘોડે ચડી, જયતલપુરે જઇ રહ્યા ।।૫૩।।
પછી ત્યાંથી પધારિયા, દયાળુ દેશ પાંચાળ । કરી કારજ એટલું, આવ્યા ગઢડે ગોપાળ ।।૫૪।।
અનંત લીળા કરી હરિ, વળી અનંત લીળા કરશે । એવો કોણ કવિરાજ છે, જે અથ ઇતિ ઓચરશે ।।૫૫।।
શેષ મહેશ શારદા, જેના ગુણ ગાતાં થકે । નેતિનેતિ કહિ રહે નિગમ, તેને કોણ કહી શકે ।।૫૬।।
ગાંધર્વ મુનિ નારદમુનિ, ગણપતિ અતિ ગાયછે । બહુ બળે જાય બોલવા, પણ જેમ છે તેમ શું કહેવાય છે ।।૫૭।।
માટે મનમાં વિચારિયું, એના ગુણ અપાર છે । કહીકહીને કહે કવિ, તોય હારવા નિરધાર છે ।।૫૮।।
ભૂરજ જળકણ જે ગણે, વનપાત ગાતરોમાવલી । મેઘઝણ્યકણ કવિગણે, અનંતના ઉડુગણ મળી ।।૫૯।।
એતો સર્વે અનંત છે, પણ તેનો અંત કોઇક લહે । એવા કોટિ કોટિ મળે, પણ હરિગુણ કોણ કહે ।।૬૦।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે અમદાવાદમાં શ્રીનર-નારાયણ દેવની પ્રતિષ્ઠિા કરી એ નામે છયાશિમું પ્રકરણમ્ ।।૮૬।।