પૂર્વછાયો-
એટલી લીળા ત્યાં કરી, પછી પધાર્યા સુંદર શ્યામ । ફુલદોલ ઉત્સવ ઉપરે, ચાલ્યા પંચાળે ગામ ।।૧।।
સંત સહુને જણાવિયું, ધીરેધીરે આવજ્યો ત્યાંય । એમ કહી રથ ઉપર બેસી, પધાર્યા સોરઠમાંય ।।૨।।
ચોપાઇ-
આવે વાટમાંહિ પુર ગામ, સુભાગી નર નિરખે શ્યામ । પ્રથમ પિપરડી ગામે આવ્યા, ભક્ત ભાણજીને મન ભાવ્યા ।।૩।।
રૂડી કરાવી તર્ત રસોઇ, જમ્યા હરિ ભાવ તેનો જોઇ । પછી જમાડિયા મુનિજન, ઘૃત પીરશું પોતે જીવન ।।૪।।
એમ રાજી કરી નિજદાસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ । આવ્યા હાથસણિ રહ્યા રાત, ત્યાંથી પ્રભુ ચાલ્યા પરભાત ।।૫।।
આવ્યા જસદણમાં જીવન, દીધું પુરપતિને દર્શન । રહી મુહૂર્ત એક મુરારી, પછી તર્ત કરી અસવારી ।।૬।।
આવી અરણ્યે નદી નિર્મળી, બેસી જમ્યા ત્યાં સુખડીગળી । ત્યાંથી આવ્યા છે બંધીયે ગામ, સુખસાગર સુંદરશ્યામ ।।૭।।
રહ્યા રાત્ય ત્યાં દોય દયાળ, પછી ત્યાંથી ચાલ્યા તતકાળ । આવ્યા ગોંડળમાંહિ ગોવિંદ, સંગે હરિજનનું છે વૃંદ ।।૮।।
આવી ઉતરીયા ઉપવન, તિયાં જમ્યા હરિ હરિજન । સાત ભાત્યની હતી સુખડી, શાક વૃંતાક ખીચડી રૂડી ।।૯।।
પોતે પીરસી જમાડયા જન, એમ સહુને કર્યા પ્રસન્ન । પછી ત્યાંથી ચાલ્યા અલબેલ, કરી અસવારી ન કરી વેલ ।।૧૦।।
ડયા ગામમાં આવ્યા દયાળ, પોતાકારણે કરાવ્યો થાળ । આપ્યા મુનિને મોદક હાથ, બહુ લીળા કરી ઇયાં નાથ ।।૧૧।।
રહી રાત્ય ચાલ્યા ભગવાન, દેતા જનને દર્શન દાન । આવી સીમમાં સરિતા સારી, તિયાં જમ્યા છે પોતે મુરારી ।।૧૨।।
પછી જમાડિયા નિજજન, અતિ પ્રભુજી થઇ પ્રસન્ન । ત્યાંથી આવ્યા કંડોરડે ગામ, દિધાં દાસને દર્શન શ્યામ ।।૧૩।।
રહ્યા રાત્ય ઝાંઝમેર આવી, નિજકરે રસોઇ બનાવી । પોતે પીરશ્યું પ્રેમે અધિક, કરી ચોકી ટાળી વળી બીક ।।૧૪।।
ત્યાંથી ચાલ્યા છે ઘોડલે ચડી, રહ્યા ઉપલેટે એક ઘડી । પછી જાળિયે આવ્યા જીવન, ભક્ત હીરાભાઇને ભવન ।।૧૫।।
રહી રાત્ય જમ્યા જગવંદ, ત્યાંથી આવિયા ગામ ગણોદ । દેખી ઉપવન આંબાછાંય, રહ્યા રાત્ય પોતે એક ત્યાંય ।।૧૬।।
પુર પતિને કરી પ્રસન્ન, આવ્યા માણાવદરે મોહન । રહ્યા તિયાં પોતે ઘડી ચાર, પછી આવ્યા પંચાળા મોઝાર ।।૧૭।।
ધન્ય ધન્ય પંચાળાના જન, જેનાં નિર્મળ ઉદાર મન । પ્રભુ પધરાવ્યા સારૂ ભવને, નિયમ રાખ્યાંતાં નરનારી જને ।।૧૮।।
તેને વીતિ ગયા કઇ કાળ, ત્યારે પધાર્યા દીનદયાળ । નિરખી હરખિયાં નરનારી, ઘેરે પધાર્યા દેવ મુરારી ।।૧૯।।
બહુ પ્રેમેશું લાગિયા પાય, હેતે આવ્યાં છે હૈયાં ભરાય । બોલે ગદ્ગદ્ ગીરા વયણે, હાલ્યાં હેતનાં આંસુ નયણે ।।૨૦।।
વળી ભૂલિયાં તનભાનને, એમ ભેટિયા ભગવાનને । પછી હરિ કરી કરૂણાદષ્ટિ, જેમ મૃત્યુપર અમૃતવૃષ્ટિ ।।૨૧।।
ત્યારે સર્વે થયા સચેત, બોલ્યા હરિ સાથે કરી હેત । કહે આજ થયાં કૃતારથ, પ્રભુ આવ્યે સર્યા સર્વે અર્થ ।।૨૨।।
આજ ધન્ય ઘડી ધન્ય વાર, તમે પધાર્યા પ્રાણ આધાર । પુણ્ય અમારાનો નહિ પાર, જાગ્યાં ભાગ્ય અતિશે અપાર ।।૨૩।।
આજ બહુ દિનનાં દુઃખ ભાગ્યાં, એમ કહી સહુ પાયે લાગ્યાં । પછી આપી સુંદર આસન, કર્યાં ભાત્ય ભાત્યનાં ભોજન ।।૨૪।।
બહુ હેતે જમાડયા જીવન, પછી પૂછયું પ્રભુને પ્રશન । ક્યારે આવશે બાઇયોનો સંઘ, આજ રાખ્યો ભલો તમે રંગ ।।૨૫।।
ક્યારે આવશે મુનિનો સાથ, એવું સાંભળીને બોલ્યા નાથ । સંઘ સરવે આવશે કાલ્ય, વણ તેડયા નહિ આવે મરાલ ।।૨૬।।
ત્યારે જન બોલ્યા જોડી હાથ, સર્વે તેડાવો મુનિનો સાથ । કોઇ વાતની નહિ આવે ખામી, તેહ તમારે પ્રતાપે સ્વામી ।।૨૭।।
પછી મહારાજે મુનિ બોલાવ્યા, સર્વે સંત તર્ત તિયાં આવ્યા । આવ્યા સંઘને આપ્યા ઉતારા, મુનિ ઉતરિયા પુરબારા ।।૨૮।।
કરી ચાલતી રૂડી રસોયું, પાછું વાળી વાવરતાં ન જોયું । માગે જળ તિયાં આપે ઘૃત, જેવું જોઇએ તેવું મળે તરત ।।૨૯।।
કોઇ વાતની ખોટય ન આવે, જમે જન જેને જેવું ભાવે । જેમ જેમ જમે મુનિજન, તેમ તેમ રાજી થાય મન ।।૩૦।।
સંત સર્વે થયા સુખાળા, નાથ નિર્ખિ મગન મરાળા । થાય આખો દિવસ દર્શન, હોય અતિ ઉત્તર પ્રશન ।।૩૧।।
કરે વાલો વાત અતિ ભારી, સુણી મગન થાય નરનારી । એમ વીતિ ગયા દિન સોળ, આવ્યો નજીક ઉત્સવ ફુલદોળ ।।૩૨।।
આવ્યા દેશ પ્રદેશના સંઘ, કરવા દર્શન મને ઉમંગ । મનુષ્ય ન માયાં ગામ મોઝાર, સર્વે ઉતરીયાં પુરબાર ।।૩૩।।
તિયાં મોટો કર્યો એક મંચ, બહુ મંગાવ્યો રમવા સંચ । કેશુ કેશર ગુલાલ ઘણો, કાઢયો રંગ તે પતંગતણો ।।૩૪।।
પછી મુનિને કહે મહારાજ, ગાઓ ગરબી ઉભા થઇ આજ । ત્યારે મુનિ થયા છે હુલાસ, રચ્યો રંગભર સુંદર રાસ ।।૩૫।।
જોયા રમતાં જીવને જન, પોતે કર્યું રમવાનું મન । સુંદર પહેરી સારો સુરવાળ, ઝગે જરકશી જામાની ચાળ ।।૩૬।।
શીશ બાંધી છે પાઘ સોનેરી, ઉઠયા આપે કમર કશી કરી । આવ્યા સખામાં સુંદર શ્યામ, રમે રંગભર પૂરણકામ ।।૩૭।।
કરે લટકાં વજાડે તાળી, શોભે સંત મધ્યે વનમાળી । વાજે વાજીંત્ર ઢોલ નગારાં, પુરે સ્વર શરણાઇ સારાં ।।૩૮।।
રમે રસિયોજી રંગ રેલ, છોગાંવાળો છબીલોજી છેલ । જોઇ જન કરે જેજેકાર, નિર્ખે નભે અમર અપાર ।।૩૯।।
ખેલ અલૌકિક ખૂબ મચાવ્યો, જોઇ જનને આનંદ આવ્યો । રમે નાથ સાથે નવ હારે, કોયે વચ્ચમાં પડી ન વારે ।।૪૦।।
જાણું અખંડ ખેલ મંડાણો, નહિ આળશે એમ જણાણો । ત્યારે વાલ્યમે વાત વિચારી, આજ સર્વે જાશે જન હારી ।।૪૧।।
ત્યારે કેમ રમશે એ કાલ્ય, એવું જાણી વાલે કરી વાલ્ય । સંતો આળસો આજ રમત્ય, કાલ્યે રમવાની રાખો હીમત્ય ।।૪૨।।
કરી એટલી લીળા એ દને, જન પોતાના સાથે જીવને । એમ રંગે વહી ગઇ રાત, પોઢી પ્રભુ જાગ્યા પરભાત ।।૪૩।।
આવી ઢોલિયે બેઠા ગોવિંદ, કહે લાવો પૂજા મુનિવૃંદ । પછી સંત લાવ્યા પૂજા સારી, અત્તર કેશર ચંદન ઉતારી ।।૪૪।।
આવી ચરચ્યું વાલાને અંગે, ચરચ્યાં ચરણ અતિ ઉમંગે । તિયાં મંગાવ્યો રંગ સોરંગ, નાખ્યો અલબેલે સખાને અંગ ।।૪૫।।
બહુ મચાવી રંગની ઝડી, નાખે ગુલાલ ભરે આંખડી । પછી સખે લીધો રંગ હાથે, નાખ્યો અલબેલાજીને માથે ।।૪૬।।
ત્યારે ઘાંઘા થયા ગિરિધારી, કરી તર્ત ઘોડે અસવારી । પછી પધારિયા પુરબાર, સંગે સખા હજારો હજાર ।।૪૭।।
આવી બેઠા છે મંચે મહારાજ, કહે સાંભળો સહુ મુનિરાજ । લાવો રંગ છાંટું મારે હાથે, જેજે જન રહ્યા તેને માથે ।।૪૮।।
પછી રંગ લઇ અલબેલે, છાંટયો સહુને ઉપર છેલે । પછી ભરી ગુલાલની ઝોળી, નાખી નાથે રંગી સંતટોળી ।।૪૯।।
ઉડે ગુલાલ અંબર છાયો, ચડી ગર્દમાં સુર છપાયો । પછી મહારાજ કહે મુનિરાય, હવે રમો પરસ્પર માંય ।।૫૦।।
સારો રંગ ભરાવ્યો છે હોજે, બેઉ ટોડાં કરી રમો મોજે । પછી સખા થયા સાવધાન, મચ્યો ખેલ જુવે ભગવાન ।।૫૧।।
ચાલે પરસ્પર પીચકારી, ઉડે રંગ સોરંગનાં વારી । જાણું આવિયો મેઘ અષાડે, ચાલ્યાં પૂર ભર્યાં નીર ખાડે ।।૫૨।।
મચી ઝડી ચાલ્યો રંગ રેલી, થયો કીચ રચી જાણું એલી । એમ રમે મુનિ માંહોમાંય, વાજે બહુ વાજિંતર ત્યાંય ।।૫૩।।
હોડાહોડમાં કોઇ ન હારે, જીત્યા જીત્યા ત્યાં શબ્દ ઉચ્ચારે । એમ ખુબ મચાવિયો ખેલ, જોઇ એમ બોલ્યા અલબેલ ।।૫૪।।
સંતો રાખો રાખો રમવાનું, થાય છે અવેર જમવાનું । ચાલો નાવાને સરવે સાથ, એમ કહ્યું વજાડીને હાથ ।।૫૫।।
પછી આપે કરી અસવારી, ચાલ્યા સખા સંગે સુખકારી । પોતે પહેર્યાં હતાં વસ્ત્ર અંગે, તેતો સર્વે રંગાણાંતાં રંગે ।।૫૬।।
આપ્યાં ઉતારી ઝીણાભાઇને, એમ આવિયા નાથ નાઇને । પછી જને કરાવ્યાં ભોજન, ઘડી પોઢીને જમ્યા જીવન ।।૫૭।।
મુનિ કાજે મોદક મોતૈયા, કરી રાખ્યાતા સારા સેવૈયા । તે પીરશ્યા પંગત્યમાં નાથ, જન જમાડિયા નિજહાથ ।।૫૮।।
અતિ આનંદે જમિયા જન, તોય ખાતાં ખુટયું નહિ અન્ન । પછી મોદક લઇ મુરારી, આપ્યા સર્વે સંઘને સંભારી ।।૫૯।।
એમ લીળા કરી અલબેલે, કરાવી ઝીણેભાયે એકિલે । આપ્યાં સહુને સુખ અનેક, કરી લીળા તે કહી કાંયેક ।।૬૦।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે શ્રીજી મહારાજે ફુલદોલનો ઉત્સવ કર્યો એ નામે અઠયાશિમું પ્રકરણમ્ ।।૮૮।।