બોંતેરમું પ્રકરણ

રાગ સામેરી-
એમ નિત્યે નવી નાથજી, કરે લીળા સુંદર શ્યામ । સંત રહ્યા ગુજરાત્યમાં, પોતે આવ્યા ગઢડે ગામ ।।૧।।
અતિરાજી અલબેલડો, કરે હસી હસીને વાતડી । સંતમંડળને શ્યામળો, ઘણું સરાય છે ઘડી ઘડી ।।૨।।
પરમહંસ જેવા પૃથ્વીમાં, આજ નથી કોઇ અંગે । તન મનનાં સુખ ત્યાગી, રાચ્યા છે પ્રભુને રંગે ।।૩।।
ત્યાગ વૈરાગ્યે ત્રણ્યે લોકમાં, નાવે જોડયે કોઇ જન । તેને જોઇ અંતર મારૂં, થાય છે પ્રરસન ।।૪।।
એમ કહે અલબેલડો, મોટયપ મુનિજનની । સુણી હરિજન મનમાં, ઇચ્છા કરી દર્શનની ।।૫।।
જને વહેલ્યું જોતરી, ચાલ્યા સર્વે સખા સાથજી । સંગે સુંદર શ્યામળો, પોતે પધાર્યા નાથજી ।।૬।।
વાટ માંહિ વિવિધ ભાત્યે, લીળા લાલ કરે ઘણી । જોઇ જન મન મોદ પામ્યા, સામર્થી શ્રીહરિતણી ।।૭।।
પછી જઇ જેતલપુરમાં, છબીલો છાના રહ્યા । દિન દો ચારેક ત્યાં રહી, પછી વાલમજી વળી આવિયા ।।૮।।
ત્યાર પછી પધારીયા તે, વળી વરતાલ ગામ । દેવા દર્શન દાસને, આવ્યા તે સુંદર શ્યામ ।।૯।।
સંત સર્વે સાંભળી વળી, આવ્યા અલબેલા કને । સુંદર શ્યામ સલુણી મૂર્તિ, નિર્ખિ નયણાં ભરી જને ।।૧૦।।
સંતને બહુ સુખ આપ્યાં, કરી હરિ વાત હિતની । સુણિ જન મન મગન થયાં, સ્થિર થઇ વૃત્તિ ચિત્તની ।।૧૧।।
પછી બીજે દિન બોલિયા, સંત સાંભળો સહુ વાત । અમે આંઇથી સધાવશું, આપો શિખ દઇ રળિયાત ।।૧૨।।
રાજી થઇ શિખ આપશો, તો રાખશું ખબર અમે । પણ સત્સંગમાં નહિ રહીએ, જો રાખશો તાણી તમે ।।૧૩।।
માટે આપો આગન્યા, કહું કરગરી તમ આગળે । પ્રસન્ન થઇ પધારશું, તો રહેશે મેળાપ કાગળે ।।૧૪।।
સુણી સંત શોકે પડિયા, રાજી નહિ રૂવે ઘણું । પ્રાણગતવત થયા, સુણી વચન જીવનતણું ।।૧૫।।
ટગ મગ જુવે રૂવે વળી, બોલી ન શકે વદને । અલબેલાની ઉદાસી જોઇ, રહી નહિ ધીરજ મને ।।૧૬।।
પછી સાધુ રામદાસજીયે, કરજોડી કહ્યું કરગરી । જેમ કહો તેમ કરશું, તમે રહો સતસંગમાં હરિ ।।૧૭।।
પછી પ્રભુજી પ્રસન્ન થઇ, કહી વાત સર્વે અંગની । મોટા સંત રાખજ્યો તમે, ખબર સતસંગની ।।૧૮।।
એમ કહીને પધારીયા, ગયા ગામ ડભાણ । સતસંગી ને સંત સર્વે, સંગે ચાલ્યા સુજાણ ।।૧૯।।
તિયાં દિન એક રહીને, વળી આવિયા વરતાલ । ત્યાંથી આપી આગન્યા, આવો મોટા મોટા મરાલ ।।૨૦।।
ત્યાંથી પ્રભુજી પધારીયા, ગયા બોચાસણ ગામ । સુંદર વૃક્ષ જોઇને, કર્યો વાડીએ વિશ્રામ ।।૨૧।।
પછી ત્યાંથી ચાલિયા, વળી ગુવાસદ ગામે ગયા । આપી અંબર સોખડે, વળી ટંકારિયે રજની રહ્યા ।।૨૨।।
ત્યાંથી ચાલ્યા ચોપશું, નાથ નર્મદા ઉતર્યા । મનિપુરમાં મહારાજ રહી, સવારે ત્યાંથી સંચર્યા ।।૨૩।।
ચોકીમાં પહોર ચાર રહી, પ્રભાતે ત્યાંથી પધારીયા । સુરત શહેરને સમીપ ગામે, ઉધનામાં આવી રહ્યા ।।૨૪।।
શહેરમાં સંભળાવીયું, સતસંગી આવ્યા સહુ મળી । ભોજન વ્યંજન પૂજાવિધિ, લાવીયા લાખો વળી ।।૨૫।।
હાર અપાર પહેરાવીયા, કરે ધૂપ દીપ આરતી કઇ । ઉત્તમ વસ્તુ આગળ મુકી, સુખડીની સીમા નહિ ।।૨૬।।
સંધ્યાસુધી સતસંગીએ, લિધો લાવ લોચનભરી । પછી આપી આગન્યા, જાઓ ઘેર સહુ કહે હરિ ।।૨૭।।
ત્યાંથી નાથ પધારીયા, વળી રહ્યા રજની વનમાં । વાઘનું વિઘન ટાળી, ચાલ્યા ત્યાંથી મગનમાં ।।૨૮।।
ચિખલિયે પોર ચાર રહી, ધર્મપુર પોતે રહ્યા । નયણે નિર્ખિ નાથને, સહુ સંતજન સુખી થયા ।।૨૯।।
ગયાં હતાં બાઇ ગામ બીજે, નામ કુશળ કુંવરજી । તર્ત ત્યાંથી આવિયાં, સુણી પ્રભુ પધાર્યા ઘેરજી ।।૩૦।।
નયણે નિરખિ નાથને, સનાથ થઇ એમ જાણીયું । અહો મારાં ભાગ્ય મોટાં, એમ કહી આનંદ આણીયું ।।૩૧।।
પછી હાથજોડી કહ્યું નાથને, મહારાજ રાજ કરો તમે । તમે અમારા અધિપતિ, સહુ દાસ થઇ રહેશું અમે ।।૩૨।।
અજાણે દિન આટલા, અમે રહ્યાંતાં રાજા થઇ । હવે તમે તમારૂં સાચવો, આ સર્વ તમારૂં મારૂં નહિ ।।૩૩।।
પછી પ્રભુજી બોલિયા, નથી રાજ્ય કરવા આવીયા । અનેક જીવ ઉદ્ધારવા, આ ભૂમિયે ભમિયે રીયા ।।૩૪।।
એ રાજ્ય તમારૂં તમે કરો, પણ અંતરમાં રાખજ્યો હરિ । જો રહેશે ઉપાધિ અંતરે, તો ખોટય મોટી જાશે ખરી ।।૩૫।।
બાઇ કહે હવે તમને મુકી, બીજી બલા કોણ રાખશે । સુધાસમ શ્યામ તમને, મુકી વિષ કોણ ચાખશે ।।૩૬।।
એવું સુણી પ્રભુ પ્રસન્ન થયા, પછી તેડયો સંઘ સુરતતણો । આવ્યા સર્વે સતસંગી, લાવ્યા પૂજવા સમાજ ઘણો ।।૩૭।।
સુંદર વસ્ત્ર પહેરાવિયાં, ધર્યો વડો મુગટ માથે વળી । ધૂપ દીપ કરી આરતી, પછી લાગ્યાં પાયે સહુ લળી ।।૩૮।।
પછી રાજન રાજી થઇ, કરી કરજોડીને વિનતિ । આજ કરો અસવારી હરિ, કૃપા કરો અમારીવતિ ।।૩૯।।
પછી આપી આગન્યા, સારૂં જાઓ અમે આવશું । પછી રાજા રાજી થઇ, શણગારી અસવારી ભાવશું ।।૪૦।।
સુંદર ગજ શણગારીયો, તે ઉપરે બેઠા હરિ । શહેર સર્વે સનાથ થયું, નાથ નિરખ્યા નયણાં ભરી ।।૪૧।।
ત્યાં વાજે વાજાં અતિઘણાં, વળી બળે મશાલો બહોળિયું । એમ અનેક જીવને, આપિયું સુખ અણતોળિયું ।।૪૨।।
એમ અનંત કરી લીળા, પછી વાંસદે આવિયા । સામૈયે સુખપાલ લાવી, રાયે મોતીડે વધાવિયા ।।૪૩।।
પછી પ્રભુ પધરાવીયા, ભૂપે ભુવન પોતાતણે । ધૂપ દીપ કરી આરતી, પ્રભુ પૂજીયા પ્રેમે ઘણે ।।૪૪।।
પછી ચરણ ચર્ચિ ચંદને, વળી તેનાં પગલાં પડાવીયાં । પ્રીત્યે પોતાને પૂજવા, રાયસિંહે શિશ ચડાવીયાં ।।૪૫।।
પછી હતા દાસ પાસ હરિને, તેને કરી પહેરામણી । ત્રણ દિવસ ત્યાં રહી, પછી પધાર્યા ધર્મપુરભણી ।।૪૬।।
આવી ત્યાં ઉત્સવ કર્યો, વસંતપંચમીનો વળી । જોઇ લીળા જન મનમાં, મગન થયાં સહુ મળી ।।૪૭।।
પછી પ્રભુને પૂજીયા, બાઇએ બહુ પ્રેમે કરી । સુંદર વસ્ત્ર અરપિ અંગે, આપ્યા રૂપૈયા થાળ ભરી ।।૪૮।।
પછી હરિયે હાથશું, આપ્યા રૂપૈયા દીન દાસને । સંત પોતે ત્યાગી તને, કોણ રાખે એહ કાશને ।।૪૯।।
અનંત લીળા ત્યાં કરી, તે કહ્યે ન આવે વાતમાં । પછી ત્યાંથી ચાલ્યા હરિ, આવિયા ગુજરાતમાં ।।૫૦।।
સમૈયો સારો કર્યો, મહાશુદી પંચમીને દિને । ધર્મપુરે કુશળકુંવર, ત્યાં કરી લીળા જીવને ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીનારાયણચરિત્રે મહારાજ ધર્મપુર પધાર્યા ને ત્યાં વસંતપંચમીનો ઉત્સવ કર્યો એ નામે બોંતેરમું પ્રકરણમ્ ।।૭૨।।