એકોતેરમું પ્રકરણ

ચોપાઇ-
પછી સંત ચાલ્યા સહુ મળી, કરતા વાત વાલ્યમની વળી । એક કહે સુણો મુનિ સાથ, કેવા રમતા નટવર નાથ ।।૧।।
એક કહે સાંભળો મરાલ, કેવી લીધીતી રમતાં ઢાલ । એક કહે સુણો સંત વળી, કેવો નાખતાતા રંગ વળી ।।૨।।
એક કહે સુણો મુનિરાજ, કેવા શોભતાતા મહારાજ । એક કહે જુવોને સંભારી, કેવી નાખતાતા પીચકારી ।।૩।।
એક કહે લટકાળો લાલ, કેવો ઉડાડતાતા ગુલાલ । એમ કહે માંહોમાંહિ મળી, કેવો રહ્યો તો રંગડો ઢળી ।।૪।।
ફરતા પંગત્યમાં પાક લઇ, ના ના કરતાં જાતા જોરે દઇ । એક કહે સુણો ઋષિરાય, લાલ આવ્યા હતા લેરમાંય ।।૫।।
આજ લીળા કરી જે દયાળે, એવી કરી નોતિ કોઇ કાળે । આગે અનેક ધર્યા અવતાર, બહુ જનનો કરવા ઉધ્ધાર ।।૬।।
છેતો એના એજ આ શ્રીહરિ, પણ આવી લીળા નોતિ કરી । આજ આપ્યાં જે સંતને સુખ, તે તો કહ્યાં જાય કેમ મુખ ।।૭।।
માટે મોટાં ભાગ્ય છે આપણાં, આજ ન રાખી મહારાજે મણા । એમ વાત કરતાં તે વળી, ગઇ દેશ પ્રદેશે મંડળી ।।૮।।
કરે વાત ફરે મુનિજન, એમ કરતાં વીત્યા કાંઇક દન । પછી આવી છે જનમાષ્ટમી, સંત આવ્યા ચડોતરે ભમી ।।૯।।
સહુ વિટિ રહ્યા વરતાલ, ઇયાં આવશે લાડીલો લાલ । એમ વાટ જુવે સહુ સાથ, કહે જોબને તેડયા છે નાથ ।।૧૦।।
વાટ જોતાં વાલ્યમજી આવ્યા, તિયાં સર્વે સંતને બોલાવ્યા । સંત આવી લાગ્યા પ્રભુ પાય, નાથ નિરખિ તૃપ્ત ન થાય ।।૧૧।।
દિયે દર્શન પ્રસન્ન કરે, નિજ દાસતણાં દુઃખ હરે । બેઠા ઉચ્ચે આસન અવિનાશ, સામું જોઇ રહ્યા સહુ દાસ ।।૧૨।।
એવે સમે અત્તર એક લાવ્યો, અલબેલાને ચર્ચવા આવ્યો । તેતો લઇ લીધું હરિ હાથે, ચર્ચિ સંતની નાસિકા નાથે ।।૧૩।।
ચર્ચિ નાસિકા ને બોલ્યા નાથ, તમે સાંભળજ્યો સહુ સાથ । બીજા ભેખ થાશે ધૂડયધાણી, રહેશે તમારા મુખનું પાણી ।।૧૪।।
એમ કહીને બેઠા આસન, સુણી સંત થયા છે મગન । પછી સંતે કર્યાં ગુણગાન, તેને સુણી રીઝયા ભગવાન ।।૧૫।।
આપી માથેથી સોનેરી મોળ, કાજુ કસુંબી રંગે ઝકોળ । પછી હરિજને હેત કરી, કાજુ કેવડાની ટોપી ધરી ।।૧૬।।
તેતો હરિએ લીધી છે હાથે, મેલી મુક્તાનંદજીને માથે । બીજા પાસે હતા જે મરાલ, તેને આપીયું ફુલની માળ ।।૧૭।।
પછી સુરતથી સત્સંગી આવ્યા, પૂજા પ્રભુજીને કાજે લાવ્યા । હાર હેમકડાં બાંયે બાજુ, વેઢ વિંટી કુંડળીયાં કાજુ ।।૧૮।।
કડી વેલ્ય ને કટિકંદોરો, માળા માદળિયાં પાયતોડો । શાલ દુશાલા ને જામો જરી, રેંટો ફેંટો ને પાઘ સોનેરી ।।૧૯।।
ધૂપ દીપ અગર આરતી, ફુલ કેસર કપુરબત્તી । એમ લઇ બહુ ઉપચાર, પ્રેમે પૂજ્યા છે પ્રાણઆધાર ।।૨૦।।
કરી પૂજા ને જોડયા છે હાથ, જન ગાય છે જયજય ગાથ । પછી રચ્યો છે હિંડોળો સાર, વાલો ઝુલે છે વનમોઝાર ।।૨૧।।
શોભે શ્યામળિયો ભિને વાન, વાલો ત્રોડે છે તાળીનું તાન । કરે કરનાં લટકાં કાજુ, જોઇ જનતણું મન રાજુ ।।૨૨।।
પછી ઉભા થયા અલબેલ, સ્થંભ ગ્રહિને દીધી છે ઠેલ । હાલે હિંડોળો ઝુલે છે હરિ, જયજય રહ્યા જન કરી ।।૨૩।।
એમ કરે છે લીલા અપાર, નિરખી સુખ લીયે નરનાર । પછી અલબેલા આગળે જન, કરી નૃત્ય ને કરે પ્રસન્ન ।।૨૪।।
પછી રાજી થયા બહુ રાજ, મળ્યા સંત મંડળને મહારાજ । પછી સંત ચંદન ઘસી લાવ્યા, મળી પ્રભુને પૂજવા આવ્યા ।।૨૫।।
પ્રેમે પૂજીયા પ્રાણઆધાર, કંઠે આરોપ્યા ફુલના હાર । ચર્ચ્યાં ચંદને ચરણ દોય, જને ઉરમાં છાપીયાં સોય ।।૨૬।।
અતિ રાજીમાં છે રંગ રસિયો, સર્વે જન તણે મન વસીયો । પછી થયું છે પંગત્યટાંણું, બેઠા સંત શોભા શી વખાણું ।।૨૭।।
જાણે બેઠી છે હંસની હાર, એકએકથી ઓપે અપાર । પછી મોદક લઇ મહારાજ, આવ્યા પ્રભુ પિરસવા કાજ ।।૨૮।।
જેમ જન જમાડે જીવન, બહુભાત્યનાં લાવી ભોજન । એમ આપે છે સુખ અપાર, તેનો કહેતાં આવે કેમ પાર ।।૨૯।।
કરાવ્યાતા હરિજને થાળ, તેતો જમ્યા સંત ને દયાળ । જમી બેઠા મુનિ બહુ મળી, સારી શોભે છે સંત મંડળી ।।૩૦।।
પછી નાથ કહે સંત શૂરા, આમાં કોણ કઠણ વ્રતે પુરા । જેવા છે આ આતમાનંદ, એવા હો તે બોલો મુનિઇંદ ।।૩૧।।
પછી સંત ઉઠયા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ નાથ । કહોતો મટકું ન ભરીયે મિટે, કહોતો અન્ન ન જમીયે પેટે ।।૩૨।।
કહોતો તજીયે છાદનનો સંગ, રહીયે હિમમાં ઉઘાડે અંગ । કહોતો પીવું તજી દૈયે પાણી, રહીએ મૌન ન બોલીયે વાણી ।।૩૩।।
કહોતો બેસીએ આસન વાળી, નવ જોયે આ દેહ સંભાળી । એમ હિંમત છે મનમાંય, તમે કહો તે કેમ ન થાય ।।૩૪।।
એમ બોલ્યા જ્યારે મુનિજન, સુણી પ્રભુજી થયા પ્રસન્ન । કહે નાથ સુણો સાધુ શૂર, એતો અમને જણાય જરૂર ।।૩૫।।
તમે બોલ્યા તે સર્વે સાચું, બીજામાંય પણ નથી કાચું । એકએકથી અધિક છો તમે, એવું જાણ્યું છે જરૂર અમે ।।૩૬।।
એક વાત કહું માનો તેહ, આપણે આતમા નહિ દેહ । માનો ચૈતન્ય રૂપ તમારૂં, દુઃખરૂપ દેહ તેહ ન્યારૂં ।।૩૭।।
એમ કહી છે સંતને વાત, સુણી સાધુ થયા રળિયાત । કહે નાથ સુણો સહુ જન, પૂરો થયો ઉત્સવનો દિન ।।૩૮।।
સર્વે સધાવજ્યો મુનિ તમે, યાંથી ચાલશું સરવે અમે । એમ કહી પ્રભુજી પધાર્યા, સંતે નિર્ખિ અંતરે ઉતાર્યા ।।૩૯।।
આપ્યાં સુખ જનને જીવને, શ્રાવણવદી અષ્ટમીને દિને । તેદિ કર્યો છે ઉત્સવ વાલે, કરાવ્યો જોબન વરતાલે ।।૪૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીનારાયણચરિત્રે જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો એ નામે એકોતેરમું પ્રકરણમ્ ।।૭૧।।