એકસો ને સતાવનમું પ્રકરણ

પૂર્વછાયો -
વળી કાનમદેશ આમોદમાં, દ્વિજ ભટ્ટ દીનાનાથ । સંશયવત સતસંગમાં, હતો અણસમજે અનાથ ।।૧।।
એવા સમામાં આવિયો, વિમુખ અતિ મતિમંદ । અભાગ્ય જોગે આવી મળ્યો, જે નિર્વિકલ્પાનંદ ।।૨।।
તેણે ભટ્ટ ભરમાવિયો, આવિયો તેણે અભાવ । પૂરણ સંશય પાડિયો, તે વિમુખે ભજવ્યો ભાવ ।।૩।।
મેલ્યું શરણ મહારાજનું, ત્યારે ભૂતે વરત્યો લાગ । આવી લાગ્યાં અપત્યને, જ્યારે કર્યો સતસંગ ત્યાગ ।।૪।।

ચોપાઇ-
સ્તોત્ર અષ્ટક વળી આરતી, તેણે કરીતી હરિની વિનતિ । ઔમાટે ભૂતનું તૂત ત્યાં નોય, વળગે હરિ વિમુખ જે હોય ।।૫।।
માટે એની સુતા જે વિમુખ, વળગ્યું ભૂત તેને દિયે દુઃખ । જાય ઘરમાંથી ચીજ ઉપાડી, નાખે પહેર્યાનાં લુગડાં ફાડી ।।૬।।
રાંધી રસોઇ કરે તૈયાર, આવી વિષ્ટા નાખે તે મોઝાર । ગોળ ઘૃત જળ દુધ દહિ, તેમાં નાખે નરક ભૂત લઇ ।।૭।।
એમ આપે દુઃખ ભૂત આવી, નાખી જમુનાને અકળાવી । તેને કાઢવાને બહુ કર્યું, તોય ભૂત કેણે ન નિસર્યું ।।૮।।
પછી ભટ્ટ ઘટે પામી ત્રાસ, આવ્યા સુતા તેડી પ્રભુ પાસ । શિશ નમાવી હરિચરણે, કહે નાથ આવિયો હું શરણે ।।૯।।
મારી સુતા આ જમુના જેહ, આજ થકી તમારી છે તેહ । એને ભવિષ્યે વળગ્યું ભૂત, તેનું તન મનમાં છે તૂત ।।૧૦।।
તેણે કરી બેહાલ બીચારી, માટે આવી એ શરણ તમારી । ધારી નિયમ કરશે ભજન, તે સામું તમે જોજ્યો જીવન ।।૧૧।।
ત્યારે શ્રીહરિ બોલિયા એમ, દેવ બ્રાહ્મણ ને ભૂત કેમ । તારે દ્વિજ કહે જોડી હાથ, દેવ બ્રાહ્મણ પણ અનાથ ।।૧૨।।
માટે આજથી નાથ તમારો, પ્રભુ ગુનો જોશો માં અમારો । એમ કહીને નામિયું શિશ, ત્યારે ભૂત ભાગ્યું નાખી ચીસ ।।૧૩।।
તેહ જણાણું સર્વે જનને, જોઇ આશ્ચર્ય માન્યું મનને । થયો પરચો પ્રકટ પ્રમાણ, ગયું ભૂત જે કરતું હેરાણ ।।૧૪।।
દેશ દંઢાવ્યે વિશનગર, દ્વિજ શોભારામ ત્યાં નાગર । તેણે રાખી રાક્ષસની રીત, કરે સતસંગનો દ્રોહ નિત ।।૧૫।।
કાવે સતસંગી જે નરનાર, તેને લઇ કર્યા નાત બાર । વળી સરકારમાં કરી ચાડી, સતસંગીને વિપત્ય પાડી ।।૧૬।।
હરે ફરે કરે કાંઇ કામ, નિંદે સતસંગીને આઠું જામ । એમ કરતાં વીત્યા કાંઇ દન, પછી બોલ્યો થઇને પ્રસન્ન ।।૧૭।।
બહુ દિવસથી દ્વેષ કરૂંછું, તોય સાજો સુખીયો ફરૂંછું । પછી સતસંગીને એમ કહ્યું, સ્વામી જુઠા કાં ફુટયું છે હૈયું ।।૧૮।।
જો સ્વામીજી સાચા ભગવાન, તો હું માગુંછું એ વરદાન । આજ થકી આઠ દનમાંઇ, થાઉં આંધળો ન દેખું કાંઇ ।।૧૯।।
તો સાચા સ્વામી ને સતસંગ, જો થાઉં આઠ દનમાં અપંગ । ત્યારે સતસંગી કહે વિમુખ, શીદ મુખે માગી લેછે દુઃખ ।।૨૦।।
સ્વામી શીદ કરે કેને અંધ, એવું માગીયે ન મતિમંદ । ત્યારે શોભારામ બોલ્યો મુખે, મેં માગ્યું તે થાય મર સુખે ।।૨૧।।
ત્યારે શ્રીહરિ છે કલ્પવૃક્ષ, તિયાં ચિંતવ્યું થાવા અચક્ષ । પછી વાયદો વેગળો રહ્યો, દિન ચ્યારમાં આંધળો થયો ।।૨૨।।
એવી વિમુખ જીવની રીત, સમુ ચિંતવી ન શકે ચિત્ત । પછી તેને જોઇ બીજે જને, માન્યો પ્રકટ પરચો મને ।।૨૩।।
એમ પરચા અપરમપાર, આપે હરિ હજારે હજાર । ઔતે કહેતાં લખતાં ન આવે અંત, સમજી લેજ્યો સદ્બુદ્ધિવંત ।।૨૪।।
વળી વાત કહું એક સારી, લેજ્યો હરિજન હૈયે ધારી । કચ્છ દેશમાં ભુજનગર, તિયાં સુતાર નામ સુંદર ।।૨૫।।
તે સત્સંગમાં શિરોમણી, પણ રાખતો પ્રવૃત્તિ ઘણી । મોટામોટા માણસનો મોબતી, શેઠ શાહુકારનો સોબતી ।।૨૬।।
તેતો સર્વે હરિથી વિમુખ, તેની રાખે નિત્ય પ્રત્યે રૂખ । એમ ગઇ આયુષ સઘળી, તોય ચેતી શક્યો નહિ વળી ।।૨૭।।
ઔત્યાંતો આવિયો દેહનો કાળ, થયું તન પરવશ તતકાળ । જાગ્રત અવસ્થામાં ન રહેવાય, સદ્ય સ્વપ્ન અવસ્થામાં જાય ।।૨૮।।
જ્યારે બોલે સ્વપ્નમાં રહી, કરી ઉપાધિ દેખાડે કહી । પછી આવે જાગ્રતમાં જ્યારે, થાય અતિશે ઓરતો ત્યારે ।।૨૯।।
પછી પસ્તાપ કરીને બોલે, કોઇ મૂરખ નહિ મુજતોલે । આવા સતસંગી ને શ્રીમહારાજ, તેને મૂકી મેં કર્યું અકાજ ।।૩૦।।
માટે શઠમાં હું શિરોમણિ, એમ કરે છે પસ્તાપ ઘણી । ઔહવે પ્રભુ છે અધમઉદ્ધાર, એ પક્ષે કરે તો કરે વાર ।।૩૧।।
પણ મુજથી કાંઇ ન સર્યું, એમ કહીને સ્તવન કર્યું । ઔત્યારે હરિ છે દીનદયાળ, જાણી દીન આવ્યા તતકાળ ।।૩૨।।
દિધું દાસને દર્શનદાન, નિરખ્યા સુંદરે શ્રીભગવાન । નિર્ખિ હરખ પામિયો અતિ, પછી કરવા લાગ્યો વિનતિ ।।૩૩।।
જેવા દિઠા અંતસમે નાથ, તેવા કહેવા લાગ્યો જોડી હાથ । કહે નમો અનંત અપાર, જેની મૂર્તિ હજારે હજાર ।।૩૪।।
વળી હજારે હજારે ચર્ણ, નેત્ર હજારે હજાર કર્ણ । શિર ઉરૂ હજારે હજાર, બહુ બાહુ ને નામ અપાર ।।૩૫।।
આદિ અંતે મધ્યે અવિનાશ, કોટિ કલ્પ ગિયે નહિ નાશ । એવું દીઠું સુંદરજીએ રૂપ, તેવું કહ્યું સ્વામીનું સ્વરૂપ ।।૩૬।।
વળી સતસંગી નરનાર, તે પણ દિઠા તેજના અંબાર । એવા દિઠા હરિ હરિજન, જોઇ કરે છે પસ્તાપ મન ।।૩૭।।
કહે હું ન સમજ્યો લગાર, આતો વાત અતોલ અપાર । ખોટ સંસારી સ્વારથમાંઇ, આવ્યો અંત કમાઇ કમાઇ ।।૩૮।।
તેતો ન આવ્યું આ સમે કામ, સુત વિત ભાઈ વળી ભામ । સર્વે વહાલાં તે થયાં છે વૈરી, એમ કરે શોચ ફેરીફેરી ।।૩૯।।
ઔપછી કહી છે સહુને વાત, હવે તન થાશે મારૂં પાત । આવ્યા છે મને તેડવા નાથ, હું જાઉં છું મહારાજને સાથ ।।૪૦।।
કઇ વારના ઉભા છે આવી, મુજ કારણે વિમાન લાવી । એમ કહિને શિખજ માગી, પછી તરત દિધું તન ત્યાગી ।।૪૧।।
તજ્યું દેહ તેહ તતકાળ, તેડી ચાલ્યા છે પોતે દયાળ । જોઇ આશ્ચર્ય પામિયા જન, પછી કહેવા લાગ્યા ધન્યધન્ય ।।૪૨।।
થયો પરચો સહુએ પ્રમાણ્યું, એવું જોઇને આનંદ આણ્યું । એવા પરચા અપરમપાર, થાય આ સમે લાખો હજાર ।।૪૩।।
તેનો કહેતાં આવે કેમ અંત, થોડે ઘણું માનો બુદ્ધિવંત । દેશોદેશ વળી ગામોગામ, કરે દયાળુ દાસનાં કામ ।।૪૪।।
જન જન પ્રત્યે જુજવા જેહ, થાય પરચા ન લખાય તેહ । સર્વે દાસને સુખ દિધું છે, એવું બિરૂદ પહેલાંથી લીધું છે ।।૪૫।।
સ્વામી રામાનંદજીની પાસે, માગી લીધું છે પોત્યે હુલાસે । કહે સતસંગી નામ કહેવાય, કોઇ રીત્યે એ દુઃખી ન થાય ।।૪૬।।
એનું આવે અમને એ દુઃખ, એહ ભોગવે સદાય સુખ । તે વચન વાલે સત્ય કિધું, સર્વે સત્સંગીને સુખ દિધું ।।૪૭।।
એવો સત્સંગી કોઇ ન કાવે, જેને તેડવા નાથ ન આવે । જાણો અવશ્ય ટેક એ ખરી, છુટે તન આવે જ્યારે હરિ ।।૪૮।।
એનું આશ્ચર્ય ન માને કોય, પ્રભુ હોય તિયાં એમ હોય । ઔસ્વયં પ્રભુ આજ સહજાનંદ, તેણે વરતે છે સહુને આનંદ ।।૪૯।।
કોઇ વાતની ન રહી ખામી, મળ્યા જેને સહજાનંદ સ્વામી । કૃપાનિધિ જે કરૂણાકંદ, મળ્યે મગન કહે નિષ્કુળાનંદ ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને સતાવનમું પ્રકરણમ્ ।।૧૫૭।।