પૂર્વછાયો-
ધન્યધન્ય ધુવા ગામમાં, જ્યાં ભક્ત રહે ભાવિક । સહાય કરી જેની શ્યામળે, તેહ કહું હવે કાંઇક ।।૧।।
લુવાર ભક્ત લુકી નામે, આવ્યો તેહના દેહનો કાળ । અંતસમે અલબેલડો, આવ્યા તેડવા દયાળ ।।૨।।
સંત સહિત શ્યામળો, પધાર્યા પ્રકટ આપ । દર્શન દીધાં દાસને, સહુ નિરખી થયાં નિષ્પાપ ।।૩।।
સતસંગી કુસંગી સહુએ, દિઠા પ્રકટ પ્રમાણ । નહિ સ્વપ્ન સાક્ષાત જાણો, આવ્યા શ્યામ સુજાણ ।।૪।।
ચોપાઇ-
લુકી લાગ્યો લળીલળી પાય, નિર્ખિ નાથ તૃપત ન થાય । કહે નાથ લુકી તારે કાજ, આવ્યા તેડવાને અમે આજ ।।૫।।
માટે તરત થાઓ તૈયાર, ચાલો વેળ ન કરો લગાર । ત્યારે લુકીએ તજીયા પ્રાણ, ચાલ્યો નાથને સાથે સુજાણ ।।૬।।
સહુ જોઇ રહ્યા બહુ જન, દેખી આશ્ચર્ય કહે ધન્યધન્ય । ઔઘણા મરે છે આ ગામમાંય, આવે જમ લેવા લઇ જાય ।।૭।।
ઔપણ તેડવા આવે મહારાજ, એવું તો અમે દીઠું છે આજ । માટે આતો વારતા અલેખે, થયો પરચો સહુ જન દેખે ।।૮।।
વળી ભક્ત લુવાર તે કહીએ, પ્રાણનાથ નામે તેહ લહીએ । તેને પ્રભુમાંહિ પ્રીત ઘણી, કરે પૂજા નિત્ય પટતણી ।।૯।।
તેને ઘેર પધારી ગોવિંદ, પાડી આપ્યાં ચરણારવિંદ । વળી સહુને દિધાં દર્શન, નિર્ખિ નાથને થયાં મગન ।।૧૦।।
કહે ધન્યધન્ય મહારાજ, આતો પરચો પામ્યા અમે આજ । થયાં પ્રકટ પ્રમાણ દર્શન, પાડયાં પગલાં થઈ પ્રસન્ન ।।૧૧।।
આતો વાત અતિશય મોટી, હશે પાપી તે પરઠશે ખોટી । વળી પ્રાણનાથનો જે તાત, નામ કેશર કહું તેની વાત ।।૧૨।।
હતો કબીરના મતમાંહિ, નોતિ પ્રભુમાં પ્રતીત કાંઇ । તેના દેહનો આવિયો કાળ, આવ્યા તેડવા જમ તતકાળ ।।૧૩।।
તેહ હતો વિષય અભિલાષી, ગયો જમના હાથથી નાશી । તર્ત પામિયો ભૂતનો દેહ, પાછો જઇ રહ્યો નિજગેહ ।।૧૪।।
કરે હોહોકાર વાણી ઘણી, થઇ કબીરિયો બણીઠણી । એની સ્ત્રીના દેહમધ્યે આવી, કરી પ્રવેશ તેને બોલાવી ।।૧૫।।
કહે સ્વામિનારાયણ સત્ય, એહ વિના બીજા છે અસત્ય । સ્વામી પ્રકટ પ્રભુ પ્રમાણ, એહ વિના બીજે નથી કલ્યાણ ।।૧૬।।
કબીરિયા મોટામોટા મેત, માનો સહુ થયા ભૂત પ્રેત । કરતા ખંડન તીર્થ ને વ્રત, તેનું અઘ આવ્યું છે જો તર્ત ।।૧૭।।
કહેતા પ્રભુના અવતાર ખોટા, તેહ પાપે ભૂત થયા મોટા । માટે કબીરિયા કોઇ મ થાજ્યો, થઇ આસ્તિક હરિગુણ ગાજ્યો ।।૧૮।।
પ્રાણનાથની વાતો સાંભળજ્યો, જેમ કહે તેમ સહુ કરજ્યો । પુણ્ય પવિત્ર છે પ્રાણનાથ, તેણેકરી હું થયો સનાથ ।।૧૯।।
સુણી એના મુખનું ભજન, તર્ત છૂટયો હું ભૂતનું તન । હવે જાઉં છું હરિને ધામ, સુણી સ્વામિનારાયણ નામ ।।૨૦।।
એમ બોલ્યો એ બાઇમાં રઇ, સહુએ સાંભળિયું કાન દઇ । કહે ધન્યધન્ય આજ સ્વામી, બીજા મત તે લુણહરામી ।।૨૧।।
જુવો કબીરિયો ભૂત થઇ, બોલ્યો પોતાની સ્ત્રીમાં રઇ । સાચા કહ્યા સહજાનંદ સ્વામી, બીજા કહ્યા તે કપટી કામી ।।૨૨।।
માટે એથી વાત મોટી કહી, થયો સાચો પરચો ફેર નહિ । વળી બીજી વાત છે અનુપ, સુણો સતસંગી સુખરૂપ ।।૨૩।।
વળી એ ગામના હરિજન, કરે પ્રકટ પ્રમાણ ભજન । ખરો વિશ્વાસ તે ઉર આણી, સ્વામી વિના વદે નહિ વાણી ।।૨૪।।
કરે સમૈયા સર્વે સંભાળી, અષ્ટમી એકાદશી દીવાળી । જેજે હરિના જન્મ દિવસ, કરે ઉત્સવ તેદિ અવશ્ય ।।૨૫।।
એમ કરતાં આવી છે હોળી, રમે નરનારી મળી ટોળી । ઔનાખે ધુડય ને ભાખે ગાળિયો, કરે હોહો ને પાડે તાળિયો ।।૨૬।।
એવી રીત્ય સતસંગી જોઇ, એહ પેરે રમે નહિ કોઇ । સહુ બેસે મંદિરમાં મળી, કરે વાત પ્રભુજીની વળી ।।૨૭।।
એમ કરતાં હુતાશની આવી, સર્વે હરિજનને મન ભાવી । લાવ્યા ગુલાલ કઢાવ્યા રંગ, માંહોમાંહિ રમવા ઉમંગ ।।૨૮।।
ઔપછી સજ્જ થયા સહુ જન, જાણી મોટો ઉત્સવનો દન । નાખે રંગ ઉડાડે ગુલાલ, તેણે સહુ થયા રંગલાલ ।।૨૯।।
મુખે બોલે નારાયણ નામ, પાડે તાળી જાણે સહુ ગામ । અતિપ્રેમમાં મગન સહુ, હૈયે હેત પ્રીત્ય વળી બહુ ।।૩૦।।
તેનું હેત જોઇ હરિરાય, આવ્યા અલબેલો તર્ત ત્યાંય । આવી ભળ્યા મંડળીમાં નાથ, રાચ્યા રમવા જનને સાથ ।।૩૧।।
તાળી ભેળી પાડે હાથે તાળી, ધુન્ય ભેળી કરે ધુન્ય વળી । રમે દાસ સાથે રંગભીનો, કરે ઉત્સવ હુતાસનીનો ।।૩૨।।
પ્રભુ પોત્યે પ્રકટ પ્રમાણ, રમે જનને સંગે સુજાણ । સહુ કરે દરશન દાસ, અતિ રૂપરાશિ અવિનાશ ।।૩૩।।
દિઠા સત્સંગી કુસંગી જને, જોઇ આશ્ચર્ય પામિયા મને । કહે મહારાજ છે પરદેશે, આંહિ આવ્યા છે અલૌકિક વેશે ।।૩૪।।
જેને નિરખવા હોય તે નિરખો, વળી પરખવા હોય તે પરખો । એમ કરતાં માંહોમાંહિ ઉચ્ચાર, પ્રભુ અદૃશ્ય થયા તે વાર ।।૩૫।।
પછી સર્વે રહ્યા છે વિમાશી, કહે ક્યાં ગયા અવિનાશી । એક કહે રમ્યા મુજસાથે, એક કહે લીધી તાળી હાથે ।।૩૬।।
એક કહે હતા મારે પાસ, મારે હતી મળવાની આશ । આતો આપણે ન જાણ્યું કાંઇ, ચડયા રમાવાના તાંનમાંઇ ।।૩૭।।
ત્યારે એક કહે સાંભળો જન, મોટાં ભાગ્ય થયાં દરશન । હવે ઓરતો મ કરો કાંઇ, રાખો મૂરતિ અંતરમાંઇ ।।૩૮।।
થયો પરચો જાણજ્યો જન, મોટાં ભાગ્ય માનો ધન્યધન્ય । એહ રીત્યે અપરમપાર, થાય પર્ચા હજારે હજાર ।।૩૯।।
કોઇકને ઘરે જમે આવી, કોઇકને આપે હાર લાવી । કોઇકને કરતાં ભજન, થાય પ્રકટ પ્રમાણ દર્શન ।।૪૦।।
નિત્ય ધુન્ય કરે આવી સાથે, પાડે પ્રકટ તાળી બે હાથે । એમ આપે પરચા અપાર, કહેતાં લખતાં ન આવે પાર ।।૪૧।।
અંતકાળે તો અવશ્ય આવે, એ બિરૂદ કેદિ ન બદલાવે । જે કોઇ સ્વામિનારાયણ કેય, તેના માથે નથી કેનો ભેય ।।૪૨।।
માટે રહો નિર્ભય નિઃશંક, મળ્યે મહારાજ ન રહેવું રંક । જેને પાસે હોય ચિંતામણિ, કેમ દુઃખી રહે તેહ ધણી ।।૪૩।।
તેમાં કંગાલ રહે નર કોય, એના ચિંતવ્યામાં ફેર હોય । તેમ પ્રકટ મળ્યે મહારાજ, સરે સર્વે પેરે વળી કાજ ।।૪૪।।
તેમાં દુઃખી રહે જેહ જન, તેને તેવું જ છે ચિંતવન । હરિ કલ્પવૃક્ષસમ કાવે, નિશ્ચે નિષ્કુળાનંદ એમ ગાવે ।।૪૫।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા નંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને પંચાવનમું પ્રકરણમ્ ।।૧૫૫।।