પૂર્વછાયો-
વળી પરચા વડોદરે, જે પૂર્યા જગજીવન । અતિ અનુપમ વારતા, સાંભળજ્યો સહુ જન ।।૧।।
સતસંગીની જે શ્રીહરિ, આ સમે કરે છે સહાય । અતિ સામર્થી હરિ વાવરે, તે નાવે લખ્યામાંય ।।૨।।
પણ ગુણ ગાતાં ગોવિંદના, નથી આવતી મને આળસ । શ્રવણ દઇ સહુ સાંભળો, કહું હરિજનના જશ ।।૩।।
ભક્ત એક ભાવિક છે, ખરા તે ખતરી માંઈ । દુર્બળ દાસ દયાળનાં, નામ તેનું શામબાઇ ।।૪।।
ચોપાઇ-
કહું તેહતણી હવે વાત, કરે ભજન બાઇ દિન રાત્ય । રહે ધારણામાં આઠું જામ, કરતાં થાય નહિ ઘરકામ ।।૫।।
જ્યારે આવે સમાધિથી બાર, કરે ભોજન પાન તે વાર । એહ દેહ રેવાનો ઉપાય, કરે ભોજન હરિ ઈચ્છાય ।।૬।।
પણ એમ થયું એક દન, કોણ આપશે વસ્ત્ર ને અન્ન । એવી ચિંતા કરી ચિત્તમાંઇ, બેઠી સમાધિમાં શામબાઇ ।।૭।।
કરી ધારણા જાગી છે જ્યારે, દિઠું સુંદર ભોજન ત્યારે । સારા મોટા રોટા રૂડી દાળ, મુખ આગે મેલી ગયા દ્યાળ ।।૮।।
એમ હમેશ હરિ એ રીત્યે, આપે ભોજન બાઇને નિત્યે । એક દિન મણ લોટ લઇ, શાક વૃંતાકનું ગયા દઇ ।।૯।।
વળી પૂજવા ચરણારવિંદ, આપી ગયા સ્વામી સહજાનંદ । વળી વસ્ત્ર દીઠાં ફાટાં અંગ, આપ્યાં નવીન સારાં સોરંગ ।।૧૦।।
સર્વે આપ્યું એ સમાધિમાંઇ, લાવી પ્રકટ પ્રમાણ તે આંઇ । દીઠાં પગલાં ને પટ નવાં, જોઈ જન તે આશ્ચર્ય હવાં ।।૧૧।।
એમ હરિજનની ચિંતા જેહ, નિત્ય પ્રત્યે હરે હરિ તેહ । વળી જન એક જીવીબાઇ, કાજુ ભક્ત છે કણબીમાંઇ ।।૧૨।।
તેનો પ્રેમ જોઇ ભગવાન, આપે અહોનિશ દર્શનદાન । કેદિ આપી જાય છે પ્રસાદી, પુષ્પ હાર શરકરા આદિ ।।૧૩।।
વળી એકદિ આવ્યા મહારાજ, કહે ભૂખ્યા છીએ અમે આજ । હોય તૈયાર તે આપ્ય અન્ન, નહિતો જાશું બીજાને ભવન ।।૧૪।।
પછી કાજુ કરીતી કોદરી, જમ્યા ભૂધર તે ભાવ કરી । વળી બીજે દિ રોટલી ભાજી, કરી રાખીતી તૈયાર તાજી ।।૧૫।।
આવી જમ્યા તેહ અવિનાશ, પૂરી જનના મનની આશ । સહુ જાણે એમ સાક્ષાત, નથી સ્વપ્ન સમાધિની વાત ।।૧૬।।
જોઇ જન થયાં છે થકીત, કહે ધન્ય બાઈ તારી પ્રીત । વળી હરિજન કહું એક, નામ ઉમૈયાબાઈ વણિક ।।૧૭।।
તેના ઘરમાં કુસંગ ભારી, સતસંગમાં આવતાં વારી । હરિજનમાં જાવા ન આપે, જાય તો સહુ મળી સંતાપે ।।૧૮।।
તેને વીતિ ગયા ત્રણ દન, બાઇયે લીધું નહિ જળ અન્ન । પછી આવિયા દીનદયાળ, લાવ્યા ભોજનનો ભરી થાળ ।।૧૯।।
રૂડો રસ ને રોટલી તાજી, ભેળી રસમાં સાકર ઝાઝી । તેહ જમાડી ગયા જીવન, વળી દીધાં અલૌકિ દર્શન ।।૨૦।।
કરી અલૌકિક એહ કાજ, પછી ત્યાંથી પધાર્યા મહારાજ । વળી ક્ષત્રિકુળે એક બાઇ, નિત્ય બેસતી ધારણામાંઇ ।।૨૧।।
તેની સુતા પ્રેમબાઈ કહીએ, બેસે પાસે તે દેખાદેખીએ । તેનો ભાવ જોઇ ભગવાન, દીધાં પ્રકટ દર્શનદાન ।।૨૨।।
દેખી પાંચ વરસનું બાળ, અતિહેતે બોલાવે દયાળ । પછી કંઠેથી હાર ઉતારી, દીધો બાઇને દેવ મુરારી ।।૨૩।।
વળી ગજરા બાંધી બે હાથ, આપી પ્રસાદી પધાર્યા નાથ । તેહ હાર ને ગજરા જેહ, દીઠા પ્રકટ સહુ જને તેહ ।।૨૪।।
જોઇ આશ્ચર્ય પામિયાં જન, પછી પુછયું કહી ધન્યધન્ય । કહ્યું હાર ગજરા આ ક્યાંથી, કહે બાઇ લાવી ધ્યાનમાંથી ।।૨૫।।
દિધા હરિ કરી મને દયા, આપ્યા બ્રહ્મમોલે લાવી ઇયાં । ત્યારે સહુ કહે ધન્ય ધન્ય, પામી પર્ચા તું માનજ્યે મન ।।૨૬।।
એમ જનને જગજીવન, આપે મહાસુખ કરે મગન । વળી હરિજન કહું એક, નામ લક્ષ્મીબાઇ વણિક ।।૨૭।।
નકી સતસંગી નિરધાર, પ્રભુ પ્રકટમાં જેને પ્યાર । અતિહેત પ્રીત્ય હરિમાંઇ, પ્રભુ વિના ગમે નહિ કાંઇ ।।૨૮।।
તેનું હેત જોઇ હરિરાય, પળ એક અળગા ન થાય । જેજે કહે તેતે કરે નાથ, સદા પ્રેમે રહે પ્રેમીસાથ ।।૨૯।।
આપી જાય અલૌકિ પ્રસાદી, જેને ઇચ્છે ભવ બ્રહ્મા આદિ । આપે સુંદર જમેલ થાળ, આવી પ્રકટ પોત્યે દયાળ ।।૩૦।।
આપે સોપારી એલચી પાન, કાથો ચુનો લવિંગ નિદાન । એહ આદિ મુખવાસ જેહ, આપે નિત્ય પ્રત્યે હરિ તેહ ।।૩૧।।
વળી દીનબંધુ એક દિન, આપ્યાં વસ્ત્ર અનુપ નવીન । અન્ન વસ્ત્ર આદિ જોઇએ જેહ, આપે દયા કરી હરિ તેહ ।।૩૨।।
આપે સમાધિમાં અવિનાશ, જાગે ત્યાં રહે પોતાની પાસ । અલૌકિક જે વસ્તુ અનુપ, આવે આ લોકમાં તદરૂપ ।।૩૩।।
સહુ દેખીને કરે વિચાર, ધન્ય સ્વામી સમર્થ અપાર । આવી રીત્ય દીઠી નહિ ક્યાંઇ, જેવી રીત્ય છે સતસંગમાંઇ ।।૩૪।।
ધન્ય પ્રભુ ધન્ય અવતાર, પૂર્યા પરચાનો નહિ પાર । આજ જનનાં કરો છો કાજ, એવાં ન કર્યાં કેદિ મહારાજ ।।૩૫।।
એક વારતા સાંભળો વળી, સહુ થકિત થાશો સાંભળી । એક ભક્ત ઢુંઢુંબા દક્ષિણી, કરે ભક્તિ મહારાજની ઘણી ।।૩૬।।
તેની સુતા તે મથુરાંબાઇ, અતિ સુખી રહે સમાધિમાંઇ । હરિ પાસે હંમેશ તે જાય, નિત્ય દર્શન નાથનાં થાય ।।૩૭।।
જ્યારે આવે સમાધિથી બાર, કરે વારતા મોટી અપાર । તેતો સાંભળી સરવે જન, અતિ મનાણું આશ્ચર્ય મન ।।૩૮।।
પછી કહ્યું નરેશને જઇ, સુણી વાત જાતી નથી કઇ । એક પાંચ વરસની બાઇ, શી કહીએ એહની મોટાઇ ।।૩૯।।
મહા સામર્થીવાન સાક્ષાત, જઇ સાંભળોને એની વાત । ત્યારે રાજા કહે બુદ્ધિવાન, જઇ જોઇ આવો એનું જ્ઞાન ।।૪૦।।
આવ્યા ડાહ્યા શિયાણા ત્યાં મળી, બાઇ મુખની વાત સાંભળી । થયા થકિત ન શક્યા બોલી, હતું પૂછવું તે ગયા ભૂલી ।।૪૧।।
પછી કહી રાજાને એ વાત, એતો દેવ દિસે છે સાક્ષાત । એની સામર્થી સર્વે તે જોઇ, બોલ્યા સ્વામી બીજું નહિ કોઇ ।।૪૨।।
અમે પૂરણ પરચો પામી, આવ્યાં આંહિ અમે શિશ નામી । એમ દેખાડયો ચમતકાર, વળી કહું થયું બીજી વાર ।।૪૩।।
એક વણિક બાઇ અબુજ, નહિ સંત અસંતની સુજ । મળ્યા ગુરૂ ગાફલ ગમાર, તેનો પડયો અંતરમાં ભાર ।।૪૪।।
તેને વહિ ગયાં વર્ષ વિશ, નાવ્યું અંતરમાં સુખ લેશ । પછી મથુરાંબાઇને મળી, કહી પોતાની વાત સઘળી ।।૪૫।।
વિશ વર્ષ વૈષ્ણવમાં રહી, કરી વાત ન કર્યાની કહી । કર્યું સર્વેમેં કલ્યાણ કાજ, શાંતિ ન મળી ન ટળી દાઝ ।।૪૬।।
હવે જેમ કહો તેમ કરૂં, જો હું સંસારસાગર તરૂં । ત્યારે બોલિયાં મથુરાંબાઇ, કાલ્ય વહેલી આવજ્યે તું આંઇ ।।૪૭।।
પછી આવી બાઇ બીજે દન, તેને બેસારી કરવા ભજન । થઇ ધારણા ને દીઠું ધામ, જેનું ગોલોક કહેવાય નામ ।।૪૮।।
દિઠાં ગોપ ગોપી ગાયો ઘણી, દિઠી શોભા વિરજા વનતણી । દિઠા કૃષ્ણ રાધા બહુરાણી, તેની સખિયો તે ન જાય ગણી ।।૪૯।।
એહ આદિ જોયું સર્વે ધામ, જોઇ પોતી છે હૈયાની હામ । પછી આવી કહી વાત એહ, સુણી સર્વે જન મળી તેહ ।।૫૦।।
કહે થઇ કૃતારથ આજ, કરી મહેર મને શ્રીમહારાજ । હું તો પામી છું પરચો મોટો, સત્ય સ્વામી બીજો મત ખોટો ।।૫૧।।
એમ પૂરે પરચા હમેશ, લખી ન શકે ગુણ ગણેશ । કહી વાત વડોદરા તણી, નથી એટલી બીજી છે ઘણી ।।૫૨।।
નથી કીધો મેં બહુ વિસ્તાર, કહી લાખ ભાગની લગાર । આજ સાય કરે છે શ્રીહરિ, તેતો વાત જાતી નથી કરી ।।૫૩।।
જેજે સમરે છે સહજાનંદ, તેતો પામે છે અખંડ આનંદ । તેનો તોલ માપ નવ થાય, તે કેમ નિષ્કુળાનંદે લખાય ।।૫૪।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પુર્યા એ નામે એકસો ને ઓગણપચાશમું પ્રકરણમ્ ।।૧૪૯।।