એકસો ને અડતાળિશમું પ્રકરણ

પૂર્વછાયો-
વળી વખાણું વડોદરે, હરિજન મનનું હેત । ભાવે ભક્તિ ભલી કરે, સોંપી તન મન ધન સમેત ।।૧।।
જોયે ન મળે જક્તમાં, એહ જેવા જન એક । પ્રીત્ય જેની પ્રગટ પ્રભુમાં, ગ્રહિ ન મૂકે ટેક ।।૨।।
એવા જન અનેક છે, જેના પૂર્યા હરિએ લાડ । તેની કીર્તિ લખવા, મારા ચિત્તમાં ઘણી ચાડ ।।૩।।
બ્રાહ્મણ નાગરી નાત્યમાં, એક મોંઘિબાઇ હરિજન । અચળમતિ મહારાજમાં, કરે ભાવે સહિત ભજન ।।૪।।

ચોપાઇ-
ભજે ભાવે ભરી ભગવાન, સમજે હરિને સામર્થીવાન । થાય સમાધિ દેખે શ્રીહરિ, અતિ સુખી રહે સુખે કરી ।।૫।।
એક દિવસે ધારણામાંઇ, ગઇ હરિ હતા પોત્યે ત્યાંઇ । કર્યું દર્શન દયાળુતણું, તેણે આવ્યું છે આનંદ ઘણું ।।૬।।
પછી મોંઘિબાઇ કહે મહારાજ, તમે નાથ છો રાજાધિરાજ । સર્વે અવતાર તમેજ ધર્યા, જુગોજુગમાં જન ઉધાર્યા ।।૭।।
કેવો લીધો કૃષ્ણ અવતાર, કેવાં ધાર્યાંતાં આયુધ ચાર ।ઔવળી અષ્ટ પટરાણી જેહ, જેના સુત સુભગ છે તેહ ।।૮।।
એહ સહિત ઇચ્છું દર્શન, દિયો હે પ્રભુ થઈ પ્રસન્ન । પછી હસી બોલ્યા હરિરાય, જોઇ જનમન અભિપ્રાય ।।૯।।
ધર્યું કૃષ્ણરૂપ સુખખાણી, સંગે શોભે અષ્ટ પટરાણી । શંખ ચક્ર ગદા પદ્મ ધરી, શોભે સુતસહિત શ્રીહરિ ।।૧૦।।
એવાં દીધાં આવીને દર્શન, જોઇ જન થયાં છે મગન । દઇ દર્શન પધાર્યા નાથ, નિર્ખિ થકિત થયો સૌ સાથ ।।૧૧।।
કહે આશ્ચર્ય વાત આતો, થયો પરચો કહ્યો નથી જાતો । ઔવળી એક બીજી એની વાત, સહુ સાંભળજ્યો તે સાક્ષાત ।।૧૨।।
કર્યો મહારાજને કાજે થાળ, આવી જમિયા દીનદયાળ । જમ્યા પેંડા પતાસાં ને પાક, વડાં ભજીયાં સુંદર શાક ।।૧૩।।
જમી અર્ધ વડું આપ્યું નાથે, લીધું મોંઘિબાયે હાથોહાથે । આપી પ્રસાદી વેંચીને તેની, વળી વાત કહું બીજી એની ।।૧૪।।
ઔબીજે દિવસે બદ્રિનાં ફળ, જેનાં ઝીણાં બીજ જાડાં દળ । તે આપ્યાં છે પોશભરી પોત્યે, એવાં બીજાં મળે નહિ ગોત્યે ।।૧૫।।
એમ પર્ચા અપરમપાર, આપે વાલોજી વારમવાર । હરિજનમાં મોટેરાં મુખી, અતિ અલૌકિ સુખમાં સુખી ।।૧૬।।
તેને ઘેર બાઇયો હરિજન, નિત્યે સુણે કથા કીરતન । બેસે સભા બાઇયોની મંડળી, કરે વાત પ્રકટની વળી ।।૧૭।।
હૈયે પ્રીત્ય હરિમાંહિ ઘણી, શું કહીએ મોટયપ બાઇયોતણી । તેને એક દિવસ મોઝાર, થઇ પુષ્પની વૃષ્ટિ અપાર ।।૧૮।।
તે સત્સંગી કુસંગી મળી, સૌએ વિણી લીધાં તેહ વળી । એમ થયું દિન દોય ચાર, એહાદિ નહિ પર્ચાનો પાર ।।૧૯।।
એવા પરચા થાય અનંત, કહેતાં લખતાં ન આવે અંત । વળી એક કહું બીજી વાત, સામર્થી શ્રીહરિની સાક્ષાત ।।૨૦।।
એક અંબાબાઇ છે દક્ષણી, કરે ભક્તિ પ્રભુજીની ઘણી । તેના દેહનો આવિયો અંત, આવ્યા તેડવા શ્રી ભગવંત ।।૨૧।।
લાવ્યા વિમાન તે લાખો લેખે, ચાલ્યા તેડી જન સહુ દેખે । સતસંગી કુસંગી સહુને, થયાં દર્શન જન બહુને ।।૨૨।।
ત્યાર પછી એહ અંબાબાઇ, દીઠા જને તે સમાધિમાંઇ । તે સાથે એમ મોકલ્યું કઇ, એક એંધાણી સુંદર દઇ ।।૨૩।।
શ્યામ સાડી પટારામાં મેલી, તે છે બીજી બાઇને આપેલી । એ વાત સર્વે સાચી જો થાય, તો તમે સંશે કરશો માં કાંય ।।૨૪।।
તે કહ્યું આવી સમાધિવાને, માન્યું સત્ય સુણી સર્વે કાને । જેજે વાત મોકલીતી કઇ, તેતે સરવે સાચીજ થઇ ।।૨૫।।
જોઇ આશ્ચર્ય પામિયાં જન, સહુ કહેવા લાગ્યાં ધન્યધન્ય । વળી વાત અનુપમ એક, કહું સામર્થી હરિની વિશેક ।।૨૬।।
એક હરિજન દ્વિજમાંઇ, તેનું નામ છે જમુનાબાઇ । હરિભક્ત અતિ હેતવાન, ધરે પ્રકટ પ્રભુનું ધ્યાન ।।૨૭।।
તેનું હેત જોઇને દયાળ, નિત્યે જમે ભોજનનો થાળ । સારાં પહેરી પીતાંબર શ્યામ, દિયે દર્શન સુખના ધામ ।।૨૮।।
વળી ભૂત ભવિષ્યનું ભાખે, હોય થાવાનું તે કહિ દાખે । થાય સાચું એ સર્વે જ જ્યારે, પામે આશ્ચર્ય સહુ જન ત્યારે ।।૨૯।।
એમ જમુનાબાઇને ઘેર, આવે નિત્ય હરિ કરી મહેર । એક સોની બાઈ હરિજન, નામ પારવતી તે પાવન ।।૩૦।।
જેને હેત અતિ હરિમાંઇ, બીજે પ્રીત્ય જેને નહિ કયાંઇ । તેના ઘરમાં કુસંગ ઘણો, કરે દ્વેષ સહુ બાઇતણો ।।૩૧।।
સતસંગમાં જાવા ન આપે, કહી વાંકાં વચન સંતાપે । સુણી સર્વે બોલે નહિ બાઇ, કરે ભજન બેઠી ઘરમાંઇ ।।૩૨।।
તેની પ્રીત્યે તાણ્યા ભગવાન, દિયે નિત્યે તે દર્શનદાન । જમે થાળ દયાળ આવીને, દિયે પ્રસાદી સારી લાવીને ।।૩૩।।
કોઇ દિવસ એવો ન જાય, જે નાવે નાથજી ઘરમાંય । એમ પાર્વતી બાઇને ઘેર, નિત્ય કરે હરિ લીલાલેર ।।૩૪।।
એમ લાડ પાળે હરિજનનાં, કરે ગમતાં કાજ જનમનનાં । એમ પર્ચો આપે અવિનાશ, ધન્ય હરિજન હરિદાસ ।।૩૫।।
વળી એક દિન આવ્યા હરિ, તેને જમાડયા ભજીયાં કરી । અતિપ્રેમમાં ટેવ ન રહી, આપ્યાં ભજીયાં કાચેરાં લહી ।।૩૬।।
જમી પધાર્યા જગજીવન, બાઇ મોંઘિબાઇને ભવન । કહે આજ પારવતી હાથ, કાચાં ભજીયાં જમ્યા કહે નાથ ।।૩૭।।
એવી વાત અલૌકિક જેહ, જાણી જન મગન રહે તેહ । સર્વે જાણો પ્રકટ પ્રમાણ, રખે સ્વપ્ન સમજો સુજાણ ।।૩૮।।
વળી એક તંબોળી તે માંઇ,નામ તેનું છે જમુનાંબાઇ । તેને ધારણા થાય હંમેશ, કરે પ્રભુ પાસે તે પ્રવેશ ।।૩૯।।
સમાધિમાં કરે હરિસેવા, નિત્ય જમાડે મિઠાઇ મેવા । તેની વાત જાણી જન બીજે, સુણી પામીયાં ન પરતિજે ।।૪૦।।
કહે એ વાત સર્વે છે ખોટી, મુખસ્વાદની કરો છો મોટી । જ્યારે નજરે દેખીયે અમે, ત્યારે માનીયે જે કહો તમે ।।૪૧।।
કરો તમારે ઘેર ભોજન, ભાણે બેસી જમે ભગવાન । જેજે ભોજન ધરીયે થાળે, થાય ઓછું તેમાં તેહ કાળે ।।૪૨।।
તે અમારી આંખ્યે જો દેખીયે, તો સહુ વારતા સાચી લેખીયે । એવું સુણી હરિજન બાઇ, કર્યો થાળ પોત્યે ઘરમાંઇ ।।૪૩।।
થયો સુંદર થાળ તૈયાર, પ્રીત્યે જમિયા પ્રાણઆધાર । જમી પધાર્યા જીવન જ્યારે, ફુલહાર દેતાગયા ત્યારે ।।૪૪।।
જેજે ભોજને ભર્યોતો થાળ, થયું અર્ધું જમિયા દયાળ । દિઠો ફુલનો પ્રકટ હાર, જોઇ થકિત થયાં નરનાર ।।૪૫।।
કહે વાત આ સરવે સાચી, જાણો સત્ય નથી કાંઇ કાચી । જોને હાર સારૂ નરસઇ, કર્યા કાલા વાલા જને કઇ ।।૪૬।।
એવા હજારો આપે છે હાર, વાલો ભક્તને વારમવાર । આજ વાવરે છે જે સામર્થી, એવી કોઇદિ વાવરી નથી ।।૪૭।।
ધન્યધન્ય આજનો પ્રતાપ, કવિ ક્રોડયે થાય નહિ થાપ । વળી કરી છે જનની સાય, તે નિષ્કુળાનંદે ન લખાય ।।૪૮।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને અડતાળિશમું પ્રકરણમ્ ।।૧૪૮।।