એકસો ને સડતાળિશમું પ્રકરણ

પૂર્વછાયો-
વળી વડોદરે વાલ્યમે, જેહ કર્યાં જનનાં કાજ । સાંભળજ્યો સંક્ષેપશું, જેહ જેહ કર્યું મહારાજ ।।૧।।
સોની કુળમાં ભક્ત ભલો, ત્રિકમજી તેનું નામ । તેનો સુત દયાળજી, થાય ધારણા દેખે ધામ ।।૨।।
એક દિવસ કરી ધારણા, ગયા જીયાં હતા જગદીશ । તિયાં હતા બહુ દેવતા, કરે સ્તવન ક્રોડય તેત્રિશ ।।૩।।
તેને મહારાજે પૂછિયું, તમે રાજી હો સહુ દેવ । તો નરનારાયણ મૂરતિ, પધરાવિએ તતખેવ ।।૪।।

ચોપાઇ-
ત્યારે દેવ કહે બહુ સારૂં, ઘણું ગમતું છે એ અમારૂં । આ ભૂમિના છે એજ ભૂપતિ, તેની ક્યાંય નથી જો મૂરતિ ।।૫।।
માટે જરૂર કરવું એ કાજ, એમ બોલિયા સુરસમાજ । તે દયાળજી દેખીને આવ્યો, ત્યાંથી ખબર તે આંહિ લાવ્યો ।।૬।।
દિઠા દેવતા સમાધિમાંઇ, તેનાં કહ્યાં નામ રૂપ આંઇ । પામ્યા આશ્ચર્ય સહુ સાંભળી, કહું વાત એની એક વળી ।।૭।।
ત્રિકમજી કહે એનો તાત, તું સાંભળજે દયાળજી વાત । માગ્યે માળા તું ધારણામાંહિ, આપે નાથ તો લાવજે આંહિ ।।૮।।
બોલ્યા ઇચ્છારામ રણછોડ, નાથ હાથની માળાનો કોડ । મળે પ્રસાદીની ક્યાંથી માળુ, માગ્યે દિયે દયા કરી દ્યાળુ ।।૯।।
કહે લાલદાસ રંગનાથ, આલે નાથ માળા તુજ સાથ । તો એ થકી મોટી નહિ વાત, મળે અલૌકિ માળા સાક્ષાત ।।૧૦।।
ત્યારે બોલિયા ભગવાનદાસ, નથી ગઉમુખી મુજ પાસ । ક્યાંથી મળે પ્રસાદીની મને, મળે તો લાવ્યે કહું છું તને ।।૧૧।।
કહે વણારશી સુણ્ય દ્યાળા, મારે નથી બેરખો ને માળા । સહુને આપે નાથ દયા કરી, તો માગજ્યે મારૂં કરગરી ।।૧૨।।
સુણી સંદેશા એટલા કાને, પછી દયાળજી બેઠો ધ્યાને । ગયો ધારણામાં પ્રભુપાસ, અતિહેતે બોલ્યા અવિનાશ ।।૧૩।।
શું શું લેવા આવ્યો છો તું આજ, માગ્ય આપીએ કહે મહારાજ । ત્યારે દ્યાળજી કહે સુણો નાથ, માગી માળા ષટ મુજસાથ ।।૧૪।।
એક બેરખો ગઉમુખી એક, આપો મને તો વળી વિશેક । પછી આપ્યાં સઘળાં એ નાથે, જાગી દયાળજી લાવ્યો સાથે ।।૧૫।।
જેણે જેણે મગાવીતી જેવી, દીધી સહુને માળાઓ તેવી । જાડી ઝીણી સુખડય તુલસીની, આપી ગૌમુખી એક નવિની ।।૧૬।।
સહુ જોઇને આશ્ચર્ય પામ્યાં, ધન્ય સ્વામી કહી શિશ નામ્યાં । ભાઇયો આતો વાતમોટી કહીએ, આથી પરચો બીજો કિયો લહીએ ।।૧૭।।
વળી એક દિવસ દયાળો, કરી સમાધિ થયો સુખાળો । આવ્યો સમાધિમાંહિથી બાર, લાવ્યો જામફળ પાંચવાર ।।૧૮।।
ક્યારે પાંચ ક્યારે સાત સાત, લાવે સમાધિમાંથી સાક્ષાત । આપી પ્રસાદી ને પોત્યે લિયે, એમ પર્ચો નાથ બહુ દિયે ।।૧૯।।
ત્યાર પછી સમાધિમાં વળી, લાવ્યો પાંચ પાકી કેળાફળી । ત્યાર પછી બરફી બહુવાર, પેંડા પતાસાનો નહિ પાર ।।૨૦।।
સાકર વળી શ્રીફળ આદિ, નિત્ય નવી લાવે પરસાદી । આણે અહોનિશ અલૌકી ચીજ, કહેતાં લખતાં ન આવે તેજ ।।૨૧।।
વળી એકદિ દીનદયાળ, આવી પ્રકટ જમીયા થાળ । દીઠા બહુ જને બહુનામી, જમી પધાર્યા અંતરજામી ।।૨૨।।
એમ પરચા થાય છે નિત્ય, ધન્ય ધન્ય એ ભક્તની પ્રીત્ય । વળી વાત કહું માનો સત્ય, એનું ચોરાણું માળા રજત ।।૨૩।।
તેતો ચોરે સંતાડયું છે અતિ, કેને ન જડે ન પડે ગતિ । પછી દ્યાળજી ધારણા કરી, ગયો તિયાં જીયાં હતા હરિ ।।૨૪।।
દેખી દ્યાળને બોલ્યા મહારાજ, તારી ગઇ ચીજ આપું આજ । પછી એજ માળા એજ રૂપું, લઇ દયાળજી કર સોંપ્યું ।।૨૫।।
જાગી દયાળજીએ તેહ દીધું, માળા રૂપું ઓળખીને લીધું । જોઇ આશ્ચર્ય પામિયા જન, સહુ કહેવા લાગ્યા ધન્ય ધન્ય ।।૨૬।।
એવી અલૌકિક રીત્ય જોઇ, માને ભાગ્ય મોટું સહુ કોઇ । વળી વાત કહું એક બીજી, જે વાવરી છે સામર્થી શ્રીજી ।।૨૭।।
એક સોની વલ્લભજી સારો, પ્રેમી ભક્ત પ્રભુજીને પ્યારો । રાખે નિયમ અતિ હેત ધારી, જમે અન્ન જતને સુધારી ।।૨૮।।
પડી એકદિ જંતુની ભ્રાંત, ગયું સુખ ન રહી નિરાંત્ય । પછી એમ વિચારીયું મન, આજ થકી લેવું નહિ અન્ન ।।૨૯।।
તેને વીતિ ગયા બહુ દન, તોય ન થાય જમ્યાનું મન । કરે ભજન મહારાજતણું, તેણે રહે ખુમારીમાં ઘણું ।।૩૦।।
પછી મહારાજે મોકલ્યું કહી, એ ટેક તારે રાખવી નહિ । જમ્ય અન્ન તું દન આજથી, મેલી ખાવું સિધ્ધ થાવું નહિ ।।૩૧।।
કહ્યું વચન એ જ્યારે શ્રીમુખ, ત્યારે લાગી વલ્લભને ભૂખ । એવી સામર્થી નાથની જોઇ, કહે ધન્ય ધન્ય સહુ કોઇ ।।૩૨।।
એવી આશ્ચર્ય કારી છે વાતું, તે મેં લખતાં નથી લખાતું । વળી ભક્ત ખતરી વખાણું, નામ વજેસિંઘ તેનું જાણું ।।૩૩।।
તેના તનમાં આવિયો તાવ, થયો અન્ન જળનો અભાવ । અતિ તાવમાં તવાણું તન, તોય મુખે ન મેલે ભજન ।।૩૪।।
પછી પધાર્યા પ્રાણઆધાર, કહ્યું તાવને નિસર બાર । ત્યારે તાવ નિસર્યો તે વાર, મૂર્તિમાન ઉભો આવી બાર ।।૩૫।।
હતી નાથ હાથે સારી છડી, મારી તાવને ત્રણ્ય તે ઘડી । ભાગ્યો તાવ પાડી કાળી ચીસ, નાથ આવડી મ કરો રીસ ।।૩૬।।
હવે એના તનમાં ન આવું, આવું તો ચોર તમારો કાવું । એમ કાઢયો તાવ જનમાંથી, દઇ દર્શન પધાર્યા ત્યાંથી ।।૩૭।।
વળી ભક્ત આદિત તે કડિયો, તેને પણ તાવ તેમ ચડિયો । કાઢયો એમનો એમ મહારાજે, નાવ્યો ફરી ગયો વાજોવાજે ।।૩૮।।
એમ ઘડી ઘડી પળ પળે, બહુ પરચા જનને મળે । કરે રક્ષા અનંત પ્રકારે, હરે છે જન દુઃખ આ વારે ।।૩૯।।
એક ભક્ત વણિક બાપુજી, થયા સતસંગી કુસંગ તજી । સાચા જાણ્યા સહજાનંદ સ્વામી, બીજા જાણ્યા ક્રોધી લોભી કામી ।।૪૦।।
એમ જાણી કર્યો સતસંગ, ચડયો અંગે ન ઉતરે રંગ । કરે હરિભજન હમેશ, નહિ નિશ્ચયમાં સંશય લેશ ।।૪૧।।
એક દિવસે દર્શન કાજ, બહુ બહુ સંભાર્યા મહારાજ । આવ્યા નાથ અલૌકિકરૂપે, સુંદર ઘનશ્યામ સ્વરૂપે ।।૪૨।।
જોયા બાપુભાઇયે બહુનામી, પધાર્યા પ્રકટ પોત્યે સ્વામી । પછી ઉઠી લાગ્યો પ્રભુ પાય, નિર્ખિ હર્ષ હૈયામાં ન માય ।।૪૩।।
જાણ્યું પધાર્યા પ્રગટ પ્રમાણ, આવી મૂર્તિ ન સમજ્યો સુજાણ । દીધાં દર્શન સહુને બોલાવી, નિર્ખ્યા નાથ બાળ વૃધ્ધે આવી ।।૪૪।।
પછી લેવા ગયો પૂજા સાજ, ત્યાંતો ચાલી નિસર્યા મહારાજ । સહુ જોઇ થયાં છે થકિત, ધન્ય ધન્ય સત્સંગીની રીત ।।૪૫।।
આમ દર્શન દીયે દયાળ, એવું સુણ્યું નોતું કોઇ કાળ । આવા પર્ચા આપે જીયાં હરિ, નથી વાત બીજી એ ઉપરી ।।૪૬।।
ઘણા થયા થાશે અવતાર, વાળ્યો આંક વાલે આણિવાર । આજ આપ્યો છે જેજે આનંદ, લખી નહિ શકે નિષ્કુળાનંદ ।।૪૭।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસોને સડતાળિશમું પ્રકરણમ્ ।।૧૪૭।।