પૂર્વછાયો-
સામર્થી શ્રીમહારાજની, વળી સાંભળજ્યો સહુ જન । સુંદર પરચા સાંભર્યા, જે પૂર્યા શ્રી ભગવન ।।૧।।
ડંઢાવ્ય દેશમાં નાર્દિપુરે, દ્વિજ તિતારામ નામ । ભક્ત એક મહારાજનો, બીજું વિમુખ સઘળું ગામ ।।૨।।
વિમુખ મુખથી એમ વદે, આ ભક્તિ બીજા ભેદની । આવશે વિમાન તેડવા, તમે માનજ્યો વાણી વેદની ।।૩।।
પરધન પરત્રિયા પરહરી, પરહરિયાં બીજાં નામ । સ્વામિનારાયણ નામને, સમરે છે આઠું જામ ।।૪।।
ચોપાઇ-
બોલે ખળતાએ મુખ મીઠું, આવું ભજન તો ક્યાંઇ ન દીઠું । આતો ભક્ત છે મોટોજ બહુ, એની રાખજ્યો ખબર સહુ ।।૫।।
એને આવશે લેવા વિમાન, પધારશે પોતે ભગવાન । માટે સાવધાન સહુ રહેજ્યો, જેને મળે તે બીજાને કહેજ્યો ।।૬।।
ઔરખે રહિ જાઇએ દર્શન વિના, રહેજ્યો સચેત રાત્ય ને દિના । એક કયે હું જાઇશ સાથ, ઝાલી વિમાન ડાંડિયો હાથ ।।૭।।
એમ બોલે ખળાઇમાં બહુ, બાળ જોબન ને વૃદ્ધ સહુ । એમ કહેતાં વીત્યા કાંઇ દન, તજ્યું કાળેકરી તિતે તન ।।૮।।
આવ્યાં તેડવા તેને વિમાન, ઘણા સંત ભેળા ભગવાન । કોટિકોટિ સૂર્યને સમાન, શોભે અલૌકિક તે વિમાન ।।૯।।
તેના તેજમાં ઢંકાણું ગામ, પામ્યા આશ્ચર્ય પુરુષ ને વામ । સહુ કહે મારા ઘર માથે, હાંક્યો રથ તે તિતાને નાથે ।।૧૦।।
ભાઇયો આપણે કરતાં ખળાઇ, આતો કુડું પડયું નહિ કાંઇ । ગયું વિમાન તિતાને ઘેર, તેડિ ચાલ્યા તેને રૂડિપેર ।।૧૧।।
જેમ શીખ માગી જાય ગામ, તેમ ચાલ્યો તિતો કરી કામ । જોઇ આશ્ચર્ય પામિયા જન, સહુલોક કહે ધન્યધન્ય ।।૧૨।।
આવું ન દીઠું ને ન સાંભળ્યું, પ્રકટ વિમાન તેડિને વળ્યું । સાચી ભક્તિ એ ભગતતણી, થયો પર્ચો કહિયે શું ઘણી ।।૧૩।।
ઔવળી ડંઢાવ્ય દેશમાં ગામ, વસે ભક્ત ત્યાં પ્રાંતિજ નામ । થાય હરિવાત ત્યાં હમેશ, આપે સંત સાચો ઉપદેશ ।।૧૪।।
ઔઆવે સાંભળવા સહુ જન, સુણી વાત થાય પરસન । ઔએક કંસારો નામ કાનજી, થયો સત્સંગી કુસંગ તજી ।।૧૫।।
તેતો હતો કબીરનો વળી, આવ્યા કબીરિયા ઘેર મળી । કહે ભાઇ કબીરમાં શી ખામી, કેમ સાચા જાણ્યા કહે સ્વામી ।।૧૬।।
તેનું પારખ્યું આપ અમને, સાચા સ્વામી હોય તો ખા સમને । એમ કહિ લાવ્યા ગોળો એક, કર્યો તપાવી રાતો વિશેક ।।૧૭।।
કહે ઉપાડી લે હવે આને, જ્યારે સ્વામીને સાચા તું માને । ઔનહિ બળવા દિયે તે તમને, રહીશ સાજો તો મનાશે અમને ।।૧૮।।
ત્યારે કંસારે કરી વિનતી, કરજ્યો સાર શ્રીગોલોકપતિ । એમ કહિને ગોળો ઉપાડયો, લઇ હાથમાં સહુને દેખાડયો ।।૧૯।।
કહે પાપિયો પરચો આ જુવો, થાઓ સત્સંગી જન્મ કાં ખુવો । આ જો દાઝયા નહિ હાથ રતી, સ્વામી સાચા છે માનો કુમતિ ।।૨૦।।
એમ કરે ભક્તની સહાય, સહજાનંદજી સંકટમાંય । એમ પર્ચો પૂર્યો ભગવાને, પણ હોય પાપી તે ન માને ।।૨૧।।
ઔદેશ ચડોતરે વસો ગામ, દ્વિજભક્ત દાદોભાઈ નામ । તેની તનયા જમુનાં જેહ, અતિસુખી સમાધિએ તેહ ।।૨૨।।
ઔએક દિવસ સમાધિમાંઈ, આવી મહારાજ પાસે એ બાઈ । કર્યાં મહાપ્રભુનાં દર્શન, નિર્ખિ નાથને થઇ મગન ।।૨૩।।
ઔજેજે કરી શ્રીમહારાજે વાત, તેતે સુણી લીધી છે સાક્ષાત । અતિરાજી દિઠા જ્યારે નાથ, બોલી જમુનાં જોડી બે હાથ ।।૨૪।।
કરો પ્રસાદીની મને મહેર, આપો વસ્ત્ર લઇ જાઉં ઘેર । તેહ સમે નાતા હતા નાથ, નાઇ લુયું અંગ નિજહાથ ।।૨૫।।
ઔલુયું શરીર જેહ રૂમાલે, દીધો જમુનાને તેહ વાલે । જમુનાં જા હવે તું તારે ઘેર, આંહિ આવ્યા થઇ ઘણી વેર ।।૨૬।।
ઔપછી જમુનાં દેહમાં આવી, પ્રકટ એક રૂમાલ લાવી । અલૌકિક લૌકિકમાં નાવે, જે આવે તે અલૌકિક કાવે ।।૨૭।।
એમ અલૌકિક એક રૂમાલ, પામી જમુનાં થઇ નિહાલ । એવો પ્રતાપ મહારાજતણો, શું કહીએ મુખથી ઘણોઘણો ।।૨૮।।
વળી ચડોતરે ચાંગા ગામ, તિયાં ભક્ત ભાટ નથુ નામ । તેનાં સંબંધી તે સતસંગી, ભજે અર્ભકાં નાથ ઉમંગી ।।૨૯।।
સર્વે બાળકાં સમાધિવાન, કરે પ્રકટ પ્રભુજીનું ધ્યાન । જાય ધારણામાં પ્રભુ પાસે, કરે દર્શન અતિહુલાસે ।।૩૦।।
અતિહેતે બોલાવે દયાળ, જાઓ ઘેર હવે સહુ બાળ । એમ કહી આપી પરસાદી, પેંડા પતાસાં સાકર આદિ ।।૩૧।।
ફુલ હાર તોરા ને ગજરા, આપ્યા ગુચ્છ તે ગુલાબકેરા । આપી પ્રસાદી આવિયાં બાળ, આવી કરી દેહની સંભાળ ।।૩૨।।
જાગી જોયું બાળકે જે વારે, દીઠું પ્રકટ પ્રમાણ ત્યારે । પેંડા પતાસાં સાકર જેહ, વહેંચી આપી સરવેને તેહ ।।૩૩।।
તોરા ગજરા ફુલની સજગ, દેખી પ્રકટ પામ્યાં આશ્ચર્જ । લોકમાં અલૌકિક ચીજ જોઇ, કહે ધન્યધન્ય સહુ કોઇ ।।૩૪।।
વળી ત્યાંની કહું એક વાત, સારી સાંભળ્યા જેવી વિખ્યાત । એક કણબી વસનદાસ, તેને અતિ ખેતીનો અધ્યાસ ।।૩૫।।
કરે આઠ પોર એહ કામ, મુખે ન લિયે પ્રભુનું નામ । અતિક્રોધી ને રીસાળ બહુ, એથી ડરી ચાલે ગામ સહુ ।।૩૬।।
પછી કાળે કર્યું તન ત્યાગ, મુવા કેડયે થયો કાળો નાગ । રહ્યો વાડી પોતાનીમાં વ્યાળ, અતિ તિખો અગનિની ઝાળ ।।૩૭।।
ઢોર ચોર ઢુંકવા ન દિયે, પેસે પરાણે તેનો જીવ લિયે । એમ કરતાં આવ્યા મહારાજ, એહ વાડીયે નાવાને કાજ ।।૩૮।।
દિઠા દાતણ કરતા દયાળ, જોઇ વિસ્મય પામ્યો તે વ્યાળ । આતો પૂરણ બ્રહ્મ છે આપ, એને નિરખી હું થયો નિષ્પાપ ।।૩૯।।
હવે આજ થકી એમ ધારૂં, જીવું ત્યાં લગી જીવ ન મારૂં । રહું નિરવિષ થઇ નેક, છાંડી રીશ ક્રોધ વળી છેક ।।૪૦।।
આજથકી ધરૂં વ્રતમાન, રહેવું મારે અતિ નિરમાન । એવી સાધુતા ગ્રહિ છે સાપે, પછી જે મળે તે દુઃખ આપે ।।૪૧।।
એક દને સુતસુત મળી, માર્યો એહ વિયાળને વળી । ત્યારે ડશી વસ્યો તે દેહમાં, લાગ્યો બોલવા ભોયંગ તેમાં ।।૪૨।।
કહે વણ વાંકે કેમ મારે, શિયું થયું મુંથી દુઃખ તારે । ઔમને મળ્યા જે દિના મહારાજ, તે દિનું મારૂં થયું છે કાજ ।।૪૩।।
હું તો નિર્વિષ થઇ ફરૂં છું, સ્વામી સંતનાં દર્શન કરૂં છું । એમ કરી કરીશ તનત્યાગ, તો મારા જેવાં નહિ કેનાં ભાગ્ય ।।૪૪।।
તજીશ હું તન જેહ વારે, આવશે નાથ તેડવા ત્યારે । તેતો માનજ્યો સહુ તમે સત્ય, એમાં નથી લગાર અસત્ય ।।૪૫।।
એમ બોલિયો વ્યાળ વચન, સુણિ આશ્ચર્ય પામ્યાં સહુ જન । જોજ્યો સ્વામી શ્રીજીનો પ્રતાપ, જે થકી મુક્તિ પામિયો સાપ ।।૪૬।।
ભાઇયો આતો અલૌકિક વાત, થયો પરચો માનો સાક્ષાત । એક વળી પિપળાવ્ય ગામે, દ્વિજભક્ત હેતબાઇ નામે ।।૪૭।।
તેને થાય સમાધિ હમેશ, કરે પ્રભુ પાસે પરવેશ । પામે ધારણામાં જે પ્રસાદી, રહે પ્રકટ તે રાયજાદી ।।૪૮।।
સારી સાકર આપે સહુને, જોઇ અચંબો થાય બહુને । કહે આ રીત્ય નોય કોઇ કાળે, કરી આ સમે દીનદયાળે ।।૪૯।।
પળેપળે જે પરચા થાય, તેતો લખતાં કેમ લખાય । પ્રભુ હોય ત્યાં આશ્ચર્ય શાની, કહું સહુ જન લેજ્યો માની ।।૫૦।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને ચાલીશમું પ્રકરણમ્ ।।૧૪૦।।