એકસો ને ઓગણચાલિશમું પ્રકરણ

પૂર્વછાયો-
આશ્ચર્ય વાત છે અતિ ઘણી, કહેતાં આવે અતિ આનંદ । ભક્તની ભીડય ભાંગવા, છે સમર્થ સહજાનંદ ।।૧।।
જળે સ્થળે જવાળાથકી, જે કરી જનની જતન । ભાખું તે હવે ભાવશું, સહુ સાંભળજ્યો દઇ મન ।।૨।।
લૌકિકમાં અલૌકિકની, વળી વર્ણવીને કહું વાત । હરિ હરિજનના, જે સુજશ છે સાક્ષાત ।।૩।।
સાંભળતાં સંકટ ટળે, વળી કહેતાં કલિમળ જાય । દર્દિ સંભારે જે દર્દમાં, તેની શ્રીહરિ કરે સહાય ।।૪।।

ચોપાઇ-
એક રુડું રાજુલું છે ગામ, તિયાં સોનીભક્ત નાગ નામ । ખરો વિશવાસી જન જાણો, સાચો ભક્ત પ્રભુનો પ્રમાણો ।।૫।।
એેક સ્વામીનો સત્ય આધાર, બીજા કોઇનો ન ગણે ભાર । સાચા સંત તે સ્વામીના સાધુ, બીજા અસંત બગડેલ બાધુ ।।૬।।
એમ ઓળખી સત્ય અસત્ય, ભજે સ્વામીને ન ચળે મત્ય । એક દિવસ ઉદ્યમકાજે, ગયો વિદેશ બેસીને ઝાઝે ।।૭।।
કરી કાજ વળ્યો બેસી વાણે, કળ વકળ કાંઇ ન જાણે । બેઠો વાણકિનારે બફોમ, પડયો પાણીમાં ન રહી વ્યોમ ।।૮।।
તન સ્થૂળ ને ન જાણે તરી, ગયું દૂર વાણ વેગ કરી । અતિકષ્ટ આવિયો અલેખે, જીવવાની તો રીત્ય ન દેખે ।।૯।।
પછી સંભાર્યા સોનીએ સ્વામી, આવો આ સમે અંતરજામી । હવે નથી ઇચ્છા મારે અન્ય, નાથ આવી તજાવિયે તન ।।૧૦।।
જ્યારે દાસ બોલ્યો દીન વાણી, ત્યારે આવિયા સારંગપાણી । હેઠયે આવી નાથ હાથે દીધો, જળથી જન ઉંચેરો કીધો ।।૧૧।।
કહે ભય મ રાખીશ કાંઇ, નહિ બુડય આ અર્ણવમાંઇ । ત્યાં તો ખેવટે ખબર લીધિ, ભાઇઓ આપણે ભુંડિજ કીધિ ।।૧૨।।
એક પુરૂષ પડયો પાણીમાંઇ, તેની ગમ રહી નહિ કાંઇ । માટે વાણ વાળો એને કાજે, હોય જીવતો તો લૈયે ઝાઝે ।।૧૩।।
વાળ્યું વાણ આવ્યું જીયાં એહ, જાણી જીવતો લીધો છે તેહ । પછી ખેવટ પૂછે છે મળી, કેમ રહ્યું તન તારૂં વળી ।।૧૪।।
કહે ભક્ત કરી મારી સાય, સ્વામી સહજાનંદે જળમાંય । કહે ખેવટ વાત એ ખરી, તને રાખ્યો એ સાચા શ્રીહરિ ।।૧૫।।
પામ્યો પર્ચો તું નાગ નિદાન, તને રાખ્યો એ સાચા ભગવાન । માટે મેળવ્ય અમને એહ, તારી પાસે હું માગું છું તેહ ।।૧૬।।
પછી ભક્ત ભેળો લઇ તેને, ઓળખાવ્યા અલબેલો એને । તેહ નિશ્ચે કરી ઘેર ગયો, એમ એ ભક્તને પર્ચો થયો ।।૧૭।।
વળી વાત તેના સુત કેરી, નામ ભગો છે ભક્તિ ઘણેરી । કરે સોનીનું સરવે કામ, ભજે સ્વામિનારાયણ નામ ।।૧૮।।
ત્યારે યવન વદિયો વાદ, કહે મેલીદે તું વિખવાદ । સ્વામિનારાયણ તારા ખોટા, મારા અલ્લાથી એ નહિ મોટા ।।૧૯।।
કહે ભગો એહ વાત સાચી, અમે એવા જાણી રહ્યા રાચી । કહે યવન એમ ન થાય, એમ અમને તેં ન જીતાય ।।૨૦।।
આવ્ય ચઢિયે આ ઉંચે ભવન, ત્યાંથી પડતું મેલિયે તન । જો તું જીવતો રહે ત્યાંથી જન, તો હું કરૂં સ્વામીનું ભજન ।।૨૧।।
જો હું જીવતો રહું ભગલા, તો હું તને ભજાવીશ અલ્લા । એમ કહી ઉંચા બેઉ ચડયા, મુલાંજીતો મોરથકી પડયા ।।૨૨।।
ભાંગ્યા હાથ પગ વળી હૈયું, મોઢું ભાંગી લોહીલાણ થયું । વોરો હાય હાય કરે રહ્યો, ભગા તુંતો સાચો ભાઇ થયો ।।૨૩।।
આવ્યાં ગામનાં લોક સાંભળી, કહે માંહોમાંહિ એમ મળી । ભાઇ ભગો જીત્યો હોડ આજે, રાખ્યો એને સ્વામી મહારાજે ।।૨૪।।
આપ્યો પરચો એને ભગવાને, હશે મૂરખ તે નહિ માને । વળી કહું એક વાત વખાણી, લેજ્યો હરિજન સત્ય જાણી ।।૨૫।।
એક ભાવનગર શહેરમાંઇ, રહે ક્ષત્રિ તિયાં રાજોભાઈ । એક રૂપોભાઈ હરિજન, ગયા પોત્યે તેહને ભુવન ।।૨૬।।
તિયાં બેઠા છે ઘડી બેચ્ચાર, કરે મને મૂરતિ વિચાર । વળી વૃત્તિ તે અંતરમાંઇ, દિઠો શ્વેતદ્વીપ વળી ત્યાંઇ ।।૨૭।।
દિઠીમૂર્તિ મહારાજતણી, શ્વેતદ્વીપના જે કોઇ ઘણી । દિઠા મુક્ત ત્યાં બીજા અપાર, દિઠા ઝીણોભાઈ તે મોઝાર ।।૨૮।।
અતિ તેજોમય જેહ ધામ, તેજોમય મુક્ત છે નિષ્કામ । અતિતેજ તેજ ઝળહળે, તેજ વિના તે બીજું ન મળે ।।૨૯।।
તેને જોતાંજોતાં રાજોભાઇ, ગઇ આંખ્યો પોતાની અંજાઇ । સુખસુખ અતિ જીયાં સુખ, તે ન કહેવાય વર્ણવી મુખ ।।૩૦।।
કહે નાથ સુણો રાજાભાઇ, તમે જાઓ પાછા હવે ત્યાંઇ । બોલ્યા રાજોભાઇ તે સાંભળી, હવે નહિ જાઉં પાછો વળી ।।૩૧।।
કહે નાથ ન રહેવાય આંઇ, જાઓ પાછા તમે તનમાંઇ । કહે ઝીણોભાઇ વળી અમે, જાશું કહેશો જરૂર જો તમે ।।૩૨।।
કહે નાથ તજ્યું એણે અંગ, એને તેડી લાવ્યા અમે સંગ । અમે ગયા હતા એને ઘેર, મેલ્યું દેહ તેહ રૂડીપેર ।।૩૩।।
રાખી આવ્યા છીએ સંત તિયાં, અયોધ્યાવાસી તો તિયાં રહ્યા । એમ કહી દેખાડયું મહારાજે, સુણ્યું સરવે તે ભાઇ રાજે ।।૩૪।।
પછી ત્યાંથી આવ્યા દેહ માંઇ, અહો અહો કહે રાજોભાઇ । ઔપછી જોઇ આવ્યાતા જે ત્યાંઇ,તેની વાત કરી સર્વે આંઇ ।।૩૫।।
કહ્યું ઝીણાભાઇનું આગમ, સહુ સુણી ખાઇ રહ્યા ગમ । પછી વાત એ દિન દોચ્યારે, થઇ સાચી તે સર્વે પ્રકારે ।।૩૬।।
એવો દેખાડયો ચમત્કાર, સ્વામી સહજાનંદે નિરધાર । વળી વારતા છે એક સારી, સહુ લેજ્યો અંતરમાં ધારી ।।૩૭।।
એક પાણવી નામે છે ગામ, ક્ષત્રિભક્ત પુંજોભાઇ નામ । અતિ વૈરાગ્યવાન વિશેક, બીજો સમઝે નહિ વિવેક ।।૩૮।।
પાડી અંતરમાં આંટી એહ, મળે નાથ કાં તજું આ દેહ । પછી ગયો સમુદ્ર છે ત્યાંઇ, સુણ્યો મહાદેવ છે જળમાંઇ ।।૩૯।।
આવતી લેરે લિંગ ઢંકાય, વળે લેર તારે ત્યાં જવાય । પછી ગયો પૂંજો તેને પાસ, મળે પ્રભુ અંતરે એ આશ ।।૪૦।।
પોત્યે તિયાં આવ્યું પાછું પાણી, ભરી લિંગ સાથે બાથ તાણી । આવ્યું જળ બળે બહુ ત્યારે, ઠેલી કાઢયો ગાઉ પાછો આરે ।।૪૧।।
ત્યારે અંતરે એમ વિચાર્યું, કેમ થયું નહિ મોત મારું । આતો આશ્ચર્ય વારતા જાણું, અતિ અગાધ જળમાં જીવાણું ।।૪૨।।
હવે મરવું મારે જરુર, પડું જઇ હું આવતે પૂર । એમ નિશ્ચે કરી ચાલ્યો જ્યારે, થઇ આકાશવાણી તે વારે ।।૪૩।।
કહે અમથો મરે શિદ આંઇ, પ્રભુ મળશે તુંજા ઘેર ત્યાંઇ । સ્વામી સહજાનંદજી છે જેહ, આજ પ્રકટ પ્રભુ છે તેહ ।।૪૪।।
તારે ગામ આવ્યા તેના જન, થાજે સત્સંગી માની વચન । એવી સુણી આકાશની વાણી, વળ્યો પુંજો તે વિશ્વાસ આણી ।।૪૫।।
દિઠા સંત આવ્યો જ્યારે ઘેર, મળી વાત રહ્યો નહિ ફેર । આવી લાગ્યો સંતને ચરણે, સાધો ! હું છઉં તમારે શરણે ।।૪૬।।
સાચા તમે છો સ્વામીના સંત, તમને મળ્યા છે શ્રીભગવંત । હું તો પરચો પામ્યો છું આજ, માની લેજ્યો તમે મહારાજ ।।૪૭।।
જેનું સ્વામી સહજાનંદ નામ, તેતો પોત્યે છે પૂરણકામ । તેનાં થાય મને દર્શન, એમ થાઓ તમે પરસન્ન ।।૪૮।।
પછી સંતે મેળ્યા ભગવાન, દીધાં પુંજાને દર્શનદાન । અતિ વાત અલૌકિક જાણી, કહી જાણીને તેને મેં વખાણી ।।૪૯।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને ઓગણચાલિશમું પ્રકરણમ્ ।।૧૩૯।।