પૂર્વછાયો-
દિયે પરચા દાસને, દિનબંધુ દીનદયાળ । જોઇ સામર્થી શ્યામની, મન મગન રહે મરાળ ।।૧।।
જણજણ પ્રત્યે જુજવા, આપી પરચા અપાર । તેણે ખુમારી તનમાં, મન મસ્ત રહે નરનાર ।।૨।।
વળી કહું એક વારતા, વિધવિધ કરી વખાણ । સાંભળજ્યો સહુ શ્રવણે, સત્યવાદી જન સુજાણ ।।૩।।
મોટા સંત મહારાજના, વંદુ હું વ્યાપકાનંદ । તેની કીર્તિ સુણતાં, આવે ઉરમાં આનંદ ।।૪।।
ચોપાઇ-
ધન્ય સંત તે વ્યાપકાનંદ, જન સુખદાયી જગવૃંદ । ત્રિશ સંતગુણે તેતો શોભે, કામ ક્રોધ લોભમાં ન ક્ષોભે ।।૫।।
અષ્ટ સિધ્ધિ નવ નિધિ મળે, તેને દેખીને ચિત્ત ન ચળે । એવા સંત શિરોમણી સારા, ધ્યાનવાન પ્રભુજીને પ્યારા ।।૬।।
થઇ જે દિની સહજ સમાધ્ય, દીઠી સામર્થી હરિની અગાધ્ય । સર્વે લોક ધામ ધામધણી, જાણી સામર્થી મહારાજ તણી ।।૭।।
સર્વે કારણના જે કારણ, દેખે હરિને કરી ધારણ । આપે વર્તે પંડે અંડપાર, નહિ દેહદશા તે લગાર ।।૮।।
અણઇચ્છાએ ઉતર્યા ઝાડી, આવ્યો આગળ દેશ અનાડી । તિયાં આવ્યું શહેર એક જાણો, તેનો રાજા મલેચ્છ પ્રમાણો ।।૯।।
તેનો દિવાન વણિક જન, કર્યું રાજકાજ બહુ દન । એક દિન આવ્યો વાંકમાંઇ, કર્યો બંધિવાન રાયે ત્યાંઇ ।।૧૦।।
બહુ દિન બંધિખાને રહ્યો, ત્યાર પછી દંડ તેનો થયો । ઠેરાવિયા રૂપિયા કરોડી, લઇ જામીન ને મૂક્યો છોડી ।।૧૧।।
માસ એકનો કર્યો ઠેરાવો, ભરે રૂપિયા તો નહિ દાવો । નહીં તો કરીએ મુસલમાન, એવી રીત્યના લીધા જમાન ।।૧૨।।
મોટા શેઠના ગળામાં નાખી, છોડયો વણિક સાયદી રાખી । પછી તેણે દંડ દેવા કાજ, વેચ્યો ઘરનો સરવે સમાજ ।।૧૩।।
ઘણા રૂપિયા ઘરના દીધા, બીજા ઉછિ ઉધારે તે લીધા । તોય દંડ પૂરો નવ થયો, દેતાં દેતાં અધૂરો જ રહ્યો ।।૧૪।।
પછી વણિક મરવા વિચાર, આવ્યો શિવાલયે પુરબાર । દિયે પ્રદક્ષિણા ને પોકારે, આવાં કષ્ટથી કોણ ઉગારે ।।૧૫।।
હાયહાય હિન્દુધર્મ જાશે, હાય મનખો હરામ થાશે । એમ શોકમાં કરે પોકાર, દીઠા સાધુ દોય તેહ ઠાર ।।૧૬।।
તેમાં વડેરા વ્યાપકાનંદ, દેખી વણિક પામ્યો આનંદ । આવી લાગ્યો સંત દોય પાય, રુવે નયણે નીર ન માય ।।૧૭।।
તેને ધીરજ દઇ પૂછે સંત, કહે વણિક તારૂં વ્રતંત । કહી વણિકે પોતાની વાત, સુણી સંતે તે સર્વે વિખ્યાત ।।૧૮।।
પછી વ્યાપકાનંદજી કહે, સ્વામિનારાયણ નામ લહે । ધાર નિયમ કર સતસંગ, થાઇશ સુખિયો સર્વે અંગ ।।૧૯।।
પછી તેણે તેમજ કર્યું, સુત નારી સહિત નિયમ ધર્યું । આવ્યો વણિક સંતને ચરણે, ત્યારે વિચાર્યું અશરણ શરણે ।।૨૦।।
હવે કરવું એહનું કાજ, થયા સાબદા પોતે મહારાજ । વાલે લીધો વણિકનો વેશ, સુંદર મોળિડું બાંધિયું શિશ ।।૨૧।।
પહેરી અંગરખી લાંબી બાંય, ચાળ વિશાળ લડસડે પાય । બાંધ્યો કમરે કસુંબી કણો, સોનેરી છેડે શોભે છે ઘણો ।।૨૨।।
તેમાં ખોશી છે સુંદર દોત, કાંધે દુશાલ ઝીણેરે પોત । હસે મુખે પડે ખાડા ગાલ, મોટા ધનાઢય ઝળકે ભાલ ।।૨૩।।
કાંઇ બોલે મુખેથી તોતળિયું, લીધા રૂપૈયા ભરી કોથળિયું । લીધા સેવક સંગે બેચાર, આવ્યા શ્યામળો શહેર મોઝાર ।।૨૪।।
આવી પૂછિયું શેઠનું હાટ, કહે આવ્યા દામ દેવા માટ । માગો નાણું તે તમારૂં લિયો, ખત નાથ કહે પાછું દિયો ।।૨૫।।
ખત દૈશ હું દાસને જ્યારે, અન્ન જળ લઇશ હું ત્યારે । દામ વિના જે પિડાય દાસ, એવો લોભ નહિ અમ પાસ ।।૨૬।।
કહે વેલ્ય મ કરો લગાર, લિયો રૂપૈયા કહે વારંવાર । આપી રૂપૈયા ને ખત લીધું, લઇ વણિકને કર દીધું ।।૨૭।।
એમ પરચો પૂરી દયાળ, ચાલ્યા નાથ ત્યાંથી તતકાળ । વ્યાપકાનંદજીનું વચન, કર્યું સત્ય પોત્યે ભગવન ।।૨૮।।
પૂરી પરચો ચાલ્યા દયાળ, ભક્તાધીન દીનપ્રતિપાળ । વળી વ્યાપકાનંદની વાણી, કરી સત્ય તે સારંગપાણી ।।૨૯।।
તેની વર્ણવીને કહું વાત, વ્યાપકાનંદજીની વિખ્યાત । પછી ત્યાંથી ચાલ્યા દોય સંત, આવ્યા બુદેલખંડે મહંત ।।૩૦।।
તિયાં આવ્યું શહેર એક સારૂં, ઉતરવાનું તો નિત્ય બહારૂં । જોઇ જાયગા સુંદર સૂનિ, તિયાં ઉતરીયા બેઉ મુનિ ।।૩૧।।
તિયાં આવ્યો દ્વિજ એક ભાવી, કહે કરો ભોજન ઘેર આવી । બોલ્યા વ્યાપકાનંદ વિચારી, સારૂં કરાવો ભોજન ત્યારી ।।૩૨।।
પછી સુંદર રસોઇ કરી, આવ્યો વિપ્ર તેડવાને ફરી । તેડી લાવિયો નિજ અગારે, કરી પૂજા ષોડશોપચારે ।।૩૩।।
પછી પિરશું પનવાડે અન્ન, તિયાં વિપ્રસુતે તજ્યું તન । પછી વિપરે કર્યો વિચાર, આવ્યો ધર્મસંકટ આવાર ।।૩૪।।
મુવે મનુષ્યે નહિ જમે સંત, ભૂખ્યા જાશે એ દોષ અત્યંત । પછી હાથ જોડી લાગ્યો પાય, કરે સ્તવન મન અકળાય ।।૩૫।।
કહે વિપ્ર હું મોટો અભાગી, ઘણે દને મળ્યા તમે ત્યાગી । તેને જમાડી લાવો ન લીધો, થયો વ્યર્થ મનોરથ કીધો ।।૩૬।।
આ સમે પામ્યો પુત્ર તે મરણ, કેમ કરૂં હું અશરણ શરણ । પછી બોલિયા સંત સુજાણ, તર્ત મનુષ્ય તજે નહિ પ્રાણ ।।૩૭।।
જાઓ જીવ હશે દેહમાંઇ, જોઇ કહેજ્યો પછી આવી આંઇ । કહે વિપ્ર જોયું વળી વળી, જીવ નિશ્ચે ગયો છે નિકળી ।।૩૮।।
કહે સંત તું જા તિયાં સહિ, સ્વામિનારાયણ નામ લહિ । વિપ્ર કરી વચન વિશવાસ, આવ્યો મૃતક સુતને પાસ ।।૩૯।।
આવી જોયું ત્યાં આશ્ચર્ય પામ્યો, જીવ્યો સુત શોક સર્વે વામ્યો । પછી વિપ્ર પડયો સંતચરણે, આજથી હું છું તમારે શરણે ।।૪૦।।
તમે નહિ મનુષ્ય છો દેવ, આવ્યા મુજસારૂં તતખેવ । એમ પ્રકટ પરચો આપી, ચાલ્યા સંત દ્વિજ દુઃખ કાપી ।।૪૧।।
એમ વ્યાપકાનંદજી વળી, પામ્યા પરચા બહુ હરિ મળી । એમ દીનબંધુ જે દયાળુ, કરે સંતનાં કાજ કૃપાળુ ।।૪૨।।
બહુ પરચા પળે પળે થાય, કવિ કોટયે પણ ન કહેવાય । ઘણી વાવરે સામર્થી શ્યામ, કરે બહુ નિજજનનાં કામ ।।૪૩।।
દિઠું સાંભળ્યું સતસંગ માંય, પળે પળે કરે હરિ સાય । તેણે વર્તે અખંડ આનંદ, ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ ।।૪૪।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ-મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને પરચા પૂર્યા એ નામે એકસો ને ત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૦।।