એકસો ને એકત્રિશમું પ્રકરણ

પૂર્વછાયો-
એક અનુપમ વારતા, સુણજ્યો સુંદર સાર । મુક્તાનંદ મહારાજની, હું કહું કરી વિસ્તાર ।।૧।।
મુક્તાનંદ માહંતને, મળ્યા શ્રીમહારાજ । તોય ઉંડી અંતરે, દલમાંઇ રહેતી દાઝ ।।૨।।
કરે કથા બહુ વારતા, અંતરે વિન ઉછરંગ । સંકોચ રહે શરીરમાં, નહિ અંગમાંહિ ઉમંગ ।।૩।।
તેનો તે સંશય કાપવા, આપવા અતિ આનંદ । વાળી વરતી અંતરે, દેખાડયા શ્રીરામાનંદ ।।૪।।

ચોપાઇ-
મુક્તાનંદ સંત શિરોમણી, મુખે શું કહીએ મોટયપ ઘણી । કરે વાત પ્રભુની વિસ્તારી, સુણી સુખી થાય નરનારી ।।૫।।
એક દિન કરી બહુ વાત, સુણિ સંત થયા રળિયાત । પછી બેઠા આસન પર આવી, દૃષ્ટિ અંતરમાંહિ ઠેરાવી ।।૬।।
ત્યાંતો દિઠા સ્વામી રામાનંદ, નિર્ખિ આવ્યો અંતરે આનંદ । મુક્તાનંદ કહે ધન્ય ધન્ય, દયાસિંધુ દીધાં દર્શન ।।૭।।
કરે સ્તવન મન મોદ ભારી, દેખી સુંદર મૂરતિ સારી । અતિ પ્રસન્ન વદન અનુપ, સુખ મૂરતિ સુંદરરૂપ ।।૮।।
હેતે હસી હસી જુવે સામું, પૂરે નિજસેવકની હામું । વળી કરે વાલપની વાત, સુણો મુક્તાનંદજી વિખ્યાત ।।૯।।
સારૂં સમજ્યા સંત સુજાણ, માન્યા પ્રભુ પ્રકટ પ્રમાણ । સ્વામી સહજાનંદ સુખરૂપ, એજ ઇષ્ટ અમારા અનુપ ।।૧૦।।
સારૂં થયું જે માન્યું સુજાણ, નહિ તો બહુ વિધ્યે થાત હેરાણ । સુણી મુક્તાનંદજીએ વાત, તેણે થયા અતિ રળિયાત ।।૧૧।।
પછી ચાલે બેસે જાગે સુવે, સ્વામી સહજાનંદજીને જુવે । જ્યારે કરે અંતર વરતી, દેખે સુખસાગર મૂરતિ ।।૧૨।।
પછી વાતમાં ચિત્ત ન લાગે, મન મૂર્તિમાંહિ અનુરાગે । એમ રહ્યું દન દોય ચ્યાર, દેખ્યો અલૌકિક ચમતકાર ।।૧૩।।
પછી પોતાના વચન માંય, બહુ જીવને સમાધિ થાય । એમ અલૌકિક રીત્ય જેહ, મુક્તાનંદને દેખાડી તેહ ।।૧૪।।
વળી એક દિન એકાએકી, ચાલ્યા મારગે મુક્ત વિવેકી । આવ્યું અરણ્ય ને ઉવાટ મળી, જીયાં મનુષ્ય માત્ર નહિ વળી ।।૧૫।।
દન થોડો ને જાવાનું દૂર, આવી નદી આડી ભરપૂર । નહિ આરો ઉતરવા લાગ, કાંઠે રહે તો વિડારે વાઘ ।।૧૬।।
નદી નીર તે ઉષર જાણો, લાગી પ્યાસ ને કંઠ સુકાણો । દેખી સમાજ સંકટ તણો, મુક્તાનંદને મોદ છે ઘણો ।।૧૭।।
થાશે ગમતું ગોવિંદતણું, એહમાંહિ શું જાશે આપણું । એમ દૃઢ કર્યો ઉર થાપ, આવ્યા વિપ્રરૂપે હરિ આપ ।।૧૮।।
કહે સાધુ શું કરો છો વિચાર, આવો ઉતારૂં હું નદીપાર । પછી થઇ મુક્તાનંદને મોરે, મુક્યા નદી ઉતારી આ કોરે ।।૧૯।।
કહે ચાલો હું આવું છું કેડયે, એમ કહી રહ્યા નદી તેડયે । મુક્તાનંદે ચાલી પાછું પેખ્યું, વિપ્રરૂપ દ્રષ્ટે નવ દેખ્યું ।।૨૦।।
ત્યારે મુક્તાનંદે મન જાણી, મહાપ્રભુજીએ મહેર આણી । આજ આવ્યો તો કષ્ટ અપાર, તેમાં શ્રીહરિએ કરી સાર ।।૨૧।।
એમ પરચો પૂરી અવિનાશ, અતિ સુખી કર્યા નિજદાસ । એવા બીજા પરચા પણ ઘણા, કહીએ કેટલા મહારાજતણા ।।૨૨।।
વળી કહું એક વાત અનુપ, મોટા સંતની છે સુખરૂપ । એક અખંડાનંદ આનંદી, કામ ક્રોધમાં ન ચડે કદિ ।।૨૩।।
અતિ ત્યાગી ને તપસી તને, સુખ દુઃખમાં ન ડગે મને । ભય વિગ્રહ વિપતિ આવે, માનામાને મન ન ડોલાવે ।।૨૪।।
સદા સુખિયા સમઝણ માંય, હરે ફરે હરિની ઇચ્છાય । ચાલ્યા એક દિવસ એકલા, સંગે સંત નહિ કોઇ ભેળા ।।૨૫।।
આવ્યા અરણ્ય ઉજાડયમાં સોય, જીયાં મનુષ્ય માત્ર નહિ કોય । તિયાં આવી વિંટયા વાઘ ચ્યારે, અખંડાનંદે વિચાર્યું ત્યારે ।।૨૬।।
આજ આવ્યો આ દેહનો કાળ, મારી વાઘ ખાશે તતકાળ । મોડું વહેલું પડત આ દેહ, એહ વાતમાં નહિ સંદેહ ।।૨૭।।
માટે આજ થયું અતિ સારૂં, વાઘ અર્થે આવ્યું તન મારૂં । હવે વેળ્ય ન કરવી કાંઇ, જાઉં વહેલો વાઘ પાસે ધાઇ ।।૨૮।।
ચાલ્યા અખંડાનંદજી જ્યારે, આવ્યા અલબેલો વારે ત્યારે । જાણ્યું જનને મારશે વાઘ, બહુ કષ્ટે થાશે તન ત્યાગ ।।૨૯।।
તેતો મુજથી કેમ સહેવાય, જોઉં હું દાસને દુઃખ થાય । એતો ઘટે નહિ કોઇ કાળ, પછી કોણ કહે મને દયાળ ।।૩૦।।
માટે અવશ્ય એને ઉગારૂં, આજ સંકટમાંહિથી તારૂં । એમ હરિએ કર્યો વિચાર, કરવી અખંડાનંદની વાર ।।૩૧।।
પછી આનંદે અખંડાનંદ, ચાલ્યા સમરતા સહજાનંદ । આવ્યા સિંહસમીપ તે જ્યારે, સિંહ જોઇ રહ્યા સામું ત્યારે ।।૩૨।।
આવ્યા નજીક મુખને પાસ, નહિ તન ને મનમાં ત્રાસ । એમ કહેછે વાઘને વાત, શું જુઓછો કરો મારી ઘાત ।।૩૩।।
ત્યારે વાઘે તે થાપ ઉગામી, અડગ અખંડાનંદ સામી । ત્યાંતો ન ડર્યા નિર્ભય ભાળી, વાઘે થાપ તે પર ન વાળી ।।૩૪।।
આવ્યા વારે પોત્યે ભગવાન, થયું સાવજને ઉર જ્ઞાન । પછી લોટી લાગ્યા વાઘ પાય, આવા સાધુને કેમ મરાય ।।૩૫।।
પછી દઇ પ્રદક્ષિણા ચ્યાર, ગયા વાઘ તે વન મોઝાર । એમ પૂરી પરચો ભગવાન, નાથે ઉગારીયો નિજજન ।।૩૬।।
એક વાત કહું અતિ સાર, કરી જનની જીવને વાર । જેણી રીત્યે ઉગારીયા સંત, કહું તેનું હવે વરતંત ।।૩૭।।
એક કૈવલ્યાનંદ કૃપાળુ, ફરે દેશ પ્રદેશે દયાળુ । વાટ ઓઘટ વિકટ વન, કર્યું ગિરિગુફાએ ગમન ।।૩૮।।
એમ ફરતાં દેશ પ્રદેશ, કર્યો ગુજરધરે પ્રવેશ । ત્યાંથી કર્યું કંકદેશે મન, પોતા ભેળા પંચ મુનિજન ।।૩૯।।
આવ્યા સાભરતીરે સુજાણ, ન જાણે નદી પાસ મેરાણ । અતિ દર્શનની અભિલાષ, મને મહારાજ મળવા આશ ।।૪૦।।
અતિ પ્યાસી ઉદાસી અંતરે, એવા થકા તે આવ્યા સાભરે । પડયા ઉતાવળા પાણીમાંઇ, મને સાન ગમાન ન કાંઇ ।।૪૧।।
નદી મધ્યે આવ્યા મુનિ ધીર, આવ્યું અતિ ઉતાવળું નીર । આવ્યો ઘડેડાટ ઘોડો વળી, થયું વાંસજાળે જળ મળી ।।૪૨।।
તેહ મધ્યે બૂડયા મુનિરાય, પોથી ગોદડી ગઇ તણાય । બૂડીનીસરે મસ્તક બહારૂં, પાણી ઉતરે પેટમાં ખારૂં ।।૪૩।।
થયું મોતતણું મન નિશ્ચે, કિયાં જાય આવ્યા પૂર વચ્ચે । કહે માંહોમાંહિ એમ સંત, આ સમે ભજવા ભગવંત ।।૪૪।।
બીજે રાખવું નહિ ક્યાંય મન, કરો પ્રભુજીનું ચિંતવન । એમ વાત કહેતાં લાગી વાર, આવ્યા વારે ત્યાં વિશ્વઆધાર ।।૪૫।।
લાવ્યા હોડી હરિ જળમાંય, ઝટોઝટ ઝાલ્યા સંત બાંય । હોડીમાંય બેસારિયા હાથે, રાખ્યા સંતને બૂડતા નાથે ।।૪૬।।
પોથી ગોદડી સરવે લીધી, કોય વસ્તુ બૂડવા ન દીધી । સુખે ઉતારી મૂક્યા આ તીરે, કહે જાઓ મુનિ ધીરે ધીરે ।।૪૭।।
એમ ઉગારીયા નિજજન, પૂર્યો પરચો શ્રીભગવન । એમ કરે અનેકની સાય, તેતો મુખે કહ્યું નવ જાય ।।૪૮।।
અષ્ટ સિધ્ધિ નવ નિધિ જેહ, હાથ જોડી ઉભી રહે તેહ । ભવ વૈભવ વસ્ત્ર ને અન્ન, કોઇ વાતે ન પીડાય જન ।।૪૯।।
સદાસુખી દુઃખ નહિ લેશ, હરિ હરે સંકટ હમેશ । પૂરે પરચા અતિ અપાર, કહેશું કથા એ નિરધાર ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી, તથા અખંડાનંદ સ્વામી, તથા કૈવલ્યાનંદ સ્વામીને પરચા પૂર્યા એ
નામે એકસો ને એકત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૧।।