એકસો ને ઓગણત્રિશમું પ્રકરણ

પૂર્વછાયો-
વળી પરચા વર્ણવી, કહું અલૌકિક એહ । સાંભળજ્યો સહુ શ્રવણે, કરી અધિક સનેહ ।।૧।।
મોટા સંત મહારાજના, છે શિરોમણી સંતદાસ । ફરે એકલા ઉત્તરે, જેને નહિ જન મન ત્રાસ ।।૨।।
માની વચન મહારાજનું, ધાર્યું અંતરે અનૂપ । તે દિના તનભાન ભૂલી, થયા તેહ તદરૂપ ।।૩।।
તેની વારતા સાંભળો, લખું છું લવલેશ । જે દેહછતે સિધ્ધદશા પામી, ફરે છે ઉત્તર દેશ ।।૪।।

ચોપાઇ-
ધન્ય ધન્ય સાધુ સંતદાસ, જેને નહિ આ તન અધ્યાસ । પિંડ છતાં પામી સિધ્ધગતિ, ફરે લોક પરલોકે સુમતિ ।।૫।।
તેને કૃપા કરી કહે કૃપાળુ, દેખી આવો દલુજી દયાળુ । તિયાં જાવું તું અવશ્ય અમારે, સરશે અર્થ તે ગયે તમારે ।।૬।।
કહેજ્યો આંહિની સરવે વાત, સુણી દલુ થાશે રળિયાત । બીજા મુક્ત તિયાં ષટ દશ, એક બાઇ સુંદર સુજશ ।।૭।।
તેને કહેજ્યો આશિર વચન, જાઓ વેગેશું વેલેરા જન । સુણી વચન ચાલ્યા સંતદાસ, દૂરદેશમાં દલુજી પાસ ।।૮।।
અતિ અગમ વિકટ વાટ, ઘણું નદીના ઓઘટ ઘાટ । નરતને તિયાં ન જવાય, વાટે મનુષ્ય મનુષ્યને ખાય ।।૯।।
તિયાં ચાલ્યા સંતદાસ જન, માની મહાપ્રભુનું વચન । કરી ઇચ્છા ને મિંચિ છે આંખ્યો, ઉડયું પંડ આવી જાણે પાંખો ।।૧૦।।
પળ એકમાંહિ તિયાં પહોતા, દિઠા દલુજીને મુક્તે સોતા । ઉઠી આવ્યા સામા સંતદાસ, હેતે મળીને બેસાર્યા પાસ ।।૧૧।।
કરી પૂજા મળી વળી જન, પછી ભાવે કરાવ્યાં ભોજન । બેઠા સંતદાસ પાસ દલુ, પૂછયું પ્રશ્ન ભાવે કરી ભલું ।।૧૨।।
કહો સંતદાસ સાચી વાત, સ્વામી સહજાનંદની વિખ્યાત । બોલ્યા સંતદાસ શું હું કહું, આજ વાવરે સામર્થી બહુ ।।૧૩।।
પાપી પામર જીવ જે જગે, તાર્યા કોટી તે દિઠા મેં દ્રગે । દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શૂદ્ર કોઇ, થાય સમાધિ સ્વામીને જોઇ ।।૧૪।।
હોય કોઇ નર વળી નાર, વરતે પિંડ બ્રહ્માંડને પાર । બહુ શાસ્ત્રે સાંભળી મેં વાત, પણ આજની વાત અખ્યાત ।।૧૫।।
ત્યારે દલુજી કહે સુણો સંત, આજ આવ્યા પોતે ભગવંત । બીજા થાય કોટી અવતાર, તેનું કારણ છે નિરધાર ।।૧૬।।
એવી કરી પરસ્પર વાત, સુણી સહુ થયા રળિયાત । એમ વાત કરતાં હુલાસે, રહ્યા છ માસ દલુજી પાસે ।।૧૭।।
પછી દલુજી કહે સુણો જન, જાઓ તિયાં કરો દરશન । જે છે તે ત્યાં જ છે તમે જાણો, એથી અધિક નહિ પ્રમાણો ।।૧૮।।
પછી સંતદાસે શિખ માગી, ચાલ્યા વેગે વળી બડભાગી । આવ્યા સ્વામી સહજાનંદ પાસે, કર્યાં દરશન સંતદાસે ।।૧૯।।
પછી કરી દલુજીની વાત, સાંભળી મહારાજે સાક્ષાત । દલુજી તે મુક્ત અવતાર, એક બાઇ પણ નિરધાર ।।૨૦।।
દિવ્યમૂર્તિ એ જાણજ્યો દોય, અન્ય જનને ભેટય ન હોય । તેનાં દર્શન કર્યાં સંતદાસે, રહી પોત્યે ષટ માસ પાસે ।।૨૧।।
એતો પરચો કહ્યો મેં એક, એવા બીજા થયા છે અનેક । પછી રહ્યા તિયાં કાંઇ દન, વળતા એમ બોલ્યા ભગવન ।।૨૨।।
સંતદાસને કહ્યું સાનમાં, જાઓ તમે બદરિવનમાં । નરનારાયણ ઋષિરાય, જે રહ્યા છે બદ્રિવન માંય ।।૨૩।।
એકરૂપ અમારૂં છે એહ, બીજું પ્રકટ દેખોછો તેહ । બહુરૂપે બહુધામે રહું છું, ત્યાંના વાસીને સુખ દઉછું ।।૨૪।।
પણ બદ્રિકાશ્રમના વાસી, અતિત્યાગ વૈરાગ્યે તપસી । માટે એ છે વાલા મને અતિ, તેને જોઇ આવો મહામતિ ।।૨૫।।
પછી ચાલ્યા ત્યાંથી સંતદાસ, નરનારાયણ ઋષિ પાસ । એતો વાત છે આશ્ચર્યકારી, જોજ્યો સહુ અંતરે વિચારી ।।૨૬।।
આ દેહે જે જાવું ઉત્તર દેશ, હિમાદ્રિપર કરી પ્રવેશ । તેતો આ શરીરે ન જવાય, જાય તે તો ઇશ્વર કહેવાય ।।૨૭।।
એવી સામર્થિ જે થકી આવે, તેતો સર્વનું કારણ કાવે । તેની આજ્ઞા લઇ સંતદાસે, ચાલ્યા ઉત્તરખંડે હુલાસે ।।૨૮।।
અતિ વસમા વિકટ ઘાટ, તનધારીને નહીં જાવા વાટ । એવી વાટે ચાલ્યા વીતરાગી, ગયા હિમાળાપાર સુભાગી ।।૨૯।।
પછી આવી ત્યાં પથરા નદી, તનધારી તરે નહિ કદી । ધાતુ કાષ્ઠાદિક વસ્તુ કાંઇ, થાય પથર પડે પાણીમાંઇ ।।૩૦।।
એવે ગુણે જુક્ત જાણી નીર, પગ ન બોળ્યો બેસીયા તીર । કરતા અંબુ ઉતરવા વિચાર, એવે સમે આવ્યા ઋષિ ચ્યાર ।।૩૧।।
કહે કિયાં જાવું મુનિજન, મુનિ કહે જાવું બદ્રિકાવન । કહે ઋષિ ચાલો અમસાથ, મિંચો આંખ્યો ઉતરીયે પાથ ।।૩૨।।
મિચ્યાં લોચન ન કરી વાર, આવ્યા દશ જોજન જળપાર । તિયાં દિઠું છે આશ્રમ સારૂં, બેઠા ઋષિ જ્યાં લાખ હજારૂં ।।૩૩।।
શુભ બદ્રિ અદ્રિ એક સાર, તિયાં ગુફા હજારે હજાર । મધ્યે ગુફા દીઠી એક ઘેરી, તેતો નરનારાયણ કેરી ।।૩૪।।
તિયાં પહોંત્યા પોત્યે સંતદાસ, ઉઠી આપે મળ્યા અવિનાશ । બહુ હેતે કર્યું સનમાન, ભલે આવ્યા કહે ભગવાન ।।૩૫।।
આપ્યાં ઋષિએ અમળ જળ, પછી જમાડયાં સુંદર ફળ । ત્યાર પછી પૂછયું ઋષિરાય, કહો મહાપ્રભુનો મહિમાય ।।૩૬।।
કહે નરનારાયણ નાથ, શું કરે છે હરિ ઋષિસાથ । કહે સંતદાસ શું હું કહું, આજ વાત અલેખે છે બહુ ।।૩૭।।
વાવરે છે સામર્થી જે શ્યામ, કહેતાં મન વાણી પામે વિરામ । તેતો જાણો છો સરવે નાથ, પૂછયું માટે કહું જોડી હાથ ।।૩૮।।
એમ પૂછતાં શુભ સમાચાર, કહ્યા સંતદાસે નિરધાર । એમ કહેતાં સાંભળતાં વળી, થઇ સંધ્યા સુંદર નિરમળી ।।૩૯।।
બેઠા શુભાસને બેઉ વીર, આવ્યા દર્શને મુનિ સુધીર । નયણાં ભરીને નિરખ્યા નાથ, પછી મળ્યા સંતદાસ સાથ ।।૪૦।।
સહુ બોલાવે હેત સમેત, હૈયે ભાવ દેખાડે છે હેત । કહે નારાયણ સુણો સંત, આતો ઋષિ છે ત્યાગી અત્યંત ।।૪૧।।
કોઇકને વીતે વર્ષ બાર, ત્યારે એક દિન કરે આહાર । કોઇક ને વીતે ષટ વર્ષ, ત્યારે લાગે છે ભૂખ ને તરસ ।।૪૨।।
કોઇક જમે વરસે એક, ષટ માસવાળા છે અનેક । કોઇ કરે છે મહિને આહાર, પક્ષવાળા હજારો હજાર ।।૪૩।।
સર્વે જન સમાધિયે સુખી, કોઇ રીત્યે ઋષિ નથી દુઃખી । સર્વેનાં છે તપમય તન, અંતરવૃત્તિયે કરે ભજન ।।૪૪।।
જ્યારે ઇચ્છે અન્ન જળ જેહ, આપી જાય સિધ્ધિ સદ્ય તેહ । એમ વાત કરી નરવીરે, સુણી સંતદાસજી સુધીરે ।।૪૫।।
એમ કરતાં વીત્યા કાંઇ દિન, કર્યું માનસરે જાવા મન । ત્યારે સંતને કહે નરવીર, ન્હાશો નીરે નહિ ખમે શરીર ।।૪૬।।
માટે વણ નાહ્યે વહેલા વળજ્યો, મુનિસહિત જોઇ મને મળજ્યો । પછી માનસરે ગયા જન, દિઠાં હંસ કમળનાં વન ।।૪૭।।
જોઇ પાછા વળ્યા ઋષિરાય, નાહ્યા સંતદાસજી તે માંય । વ્યાપી શીત ને ઠર્યું શરીર, લાવ્યા ઉપાડી જ્યાં નરવીર ।।૪૮।।
પછી બહુ તાપે તપાડયું તન, ત્યારે સચેત થયા મુનિજન । પછી લાગ્યા નારાયણ પાય, રહ્યા માસ પક્ષ મુનિ ત્યાંય ।।૪૯।।
પછી નરવીર કહે સંતદાસ, તમે જાઓ મહાપ્રભુ પાસ । જે છે તેતો સરવે છે તિયાં, શાને બેસી રહો સાધુ ઇયાં ।।૫૦।।
એમ કહી શિખ દીધી નાથ, મોકલ્યા ઋષિ ચ્યારને સાથ । તે ઉતારી ગયા નદી પાર, વળ્યા પાછા કરી નમસ્કાર ।।૫૧।।
ચાલ્યા મુનિ હૈયામાં હુલાસે, આવ્યા સુંદર દેશ કૈલાસે । તેનો હઠયોગી જે નરેશ, આવી આપ્યો તેને ઉપદેશ ।।૫૨।।
રાજા જાતો સમાધિમાં જ્યારે, રહેતો ષટમાસ સુધી ત્યારે । રાજ સાજ સુત ને કલત્ર, તિયાં સાંભરતું તું નિરંત્ર ।।૫૩।।
તેને સંતદાસે સુખી કિધો, અન્યભાવ ઉગવા ન દીધો । કરાવ્યાં પ્રકટનાં દર્શન, થઇ સુખી રાયે તજ્યું તન ।।૫૪।।
ફુટી તાળુ ને નિસર્યા પ્રાણ, ચાલ્યો સત્સંગ કરી સુજાણ । ત્યાંથી સંતદાસજી સધાવ્યા, એક વેરવાલે ગામ આવ્યા ।।૫૫।।
ઝાલ્યા તસ્કર કરીને તેણે, અતિપ્રહાર કરી બાંધ્યા એણે । હેરૂ જાણી દિયે દુઃખ બહુ, કરે મારવા મનસુબો સહુ ।।૫૬।।
તેનાં સગાંવાલાં જન જેહ, આવ્યા નાથ રૂપ ધરી તેહ । મળી વળી મુકાવિયો જન, ચાલ્યા દાસને દઇ દરશન ।।૫૭।।
ત્યાંથી સંતદાસજી સધાવ્યા, ઘણે દને ગુજરધર આવ્યા । જેતલપુર ડભાણ ગામ, દિન દશ કર્યો વિશરામ ।।૫૮।।
પછી ત્યાંથી આવ્યા પ્રભુ પાસ, મળ્યા નાથ સાથે સંતદાસ । સનમુખ બેસી સંતજને, કહ્યું જે જે પૂછયું ભગવને ।।૫૯।।
કરી સુંદર વારતા સાને, સમજી સુણી નહિ કેણે કાને । કહ્યું અલૌકિક જે આખ્યાન, સમજે સંત કહે શ્રીભગવાન ।।૬૦।।
પછી નાથ કહે ધન્ય ધન્ય, તમ જેવો બીજો નહિ જન । તમે પામિયાછો સિધ્ધ ગતિ, માટે સહુથી મોટા તમે અતિ ।।૬૧।।
હવે ફરો સતસંગમાંઇ, કરો વાત તમે દીઠી ત્યાંઇ । એવા સમર્થ સંત વિખ્યાત, પામ્યા જેથી તેની સઇ વાત ।।૬૨।।
વાત મોટી છે મહારાજતણી, કહી ન જાય મુખથી ઘણી । હરિ હરિજનનો મહિમાય, કહે યથારથ ન કહેવાય ।।૬૩।।


ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ-મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે સંતદાસજીને પરચા પૂર્યા એ નામે એકસો ને ઓગણત્રિશમું પ્રકરણમ્ ।।૧૨૯।।