પૂર્વછાયો-
દેશદેશના દાસનાં, લખિયાં ગામ ને નામ । હવે લખવા પરચા, મારા હૈયામાં ઘણી હામ ।।૧।।
પ્રભુ તિયાં પ્રભુતાઇની, આશ્ચર્ય ન મળે કાંઇ । પૂરણકામ પુરૂષોત્તમ, સરવે સામર્થી જે માંઇ ।।૨।।
તેહ પ્રભુજી પ્રકટી, કર્યાં બહુ બહુ કાજ । લૌકિકમાં અલૌકિક લીળા, દેખાડી મહારાજ ।।૩।।
સમૈયા સદાવ્રત માંહિ, અખૂટ રહ્યાં જે અન્ન । મહારૂદ્ર અતિરૂદ્ર આપે, કર્યા વિષ્ણુજગન ।।૪।।
તેહમાંહિ તલભારની, વળી નાવી ખરચતાં ખોટય । વિના નાણે જગ જાણે, વિપ્ર જમાડયા કોટય ।।૫।।
ચોપાઇ-
તેહ વિના જે પરચા અન્ય, કહું સાંભળજ્યો સહુ જન । પ્રથમ પર્વતભાઇની વાત, કહું વર્ણવી તેહ વિખ્યાત ।।૬।।
કણબી કુળમાં કારણરૂપ, અતિ ઉત્તમ ભક્ત અનુપ । સ્વામી રામાનંદજીને મળી, જેની દેહદશા તેહ ટળી ।।૭।।
પછી સ્વામી સહજાનંદ જેહ, પૂરણબ્રહ્મ પ્રકટયા તેહ । તે પ્રભુ પ્રકટની મૂરતિ, તેથી ન રહેતી વેગળી વૃત્તિ ।।૮।।
તોય ઉપજ્યો એમ વિચાર, કેવો હશે નૃસિંહ અવતાર । હતું અંતર એ વિચાર સમેત, ગયા કૃષિ કરવાને ખેત ।।૯।।
રાખી વૃત્તિ પ્રભુમાં એકતાર, સ્વામી સહજાનંદ મોઝાર । જોઇ મહારાજશ્રીની મૂરતિ, સુખસાગર સુંદર અતિ ।।૧૦।।
પછી જોયું તેને આસપાસ, દિઠો અતિ અતિ પરકાશ । તેમાં ચોવિશ જે અવતાર, દીઠા જુજવા રૂપ આકાર ।।૧૧।।
મત્સ્ય કચ્છ વારાહ નૃસિંઘ, વામન પરશુરામ અનઘ । રામ કૃષ્ણ બુધ્ધ ને કલંકી, પુરૂષઅવતાર અલૌકી ।।૧૨।।
સુયજ્ઞાપુરૂષ જે અનુપ, કપિલ દત્તાત્રેયસ્વરૂપ । સનકાદિક ને બદ્રિપતિ, મહાધ્રુવ વરદેણ મૂરતિ ।।૧૩।।
પૃથુ રૂષભદેવ રાજન, હયગ્રીવ હરિ ધારી તન । હંસમૂરતિ ધનવંતરી, આવ્યા વ્યાસ નારદ તન ધરી ।।૧૪।।
એવાં ચોવિશે હરિનાં રૂપ, એકએકથી અતિ અનૂપ । દિઠાં પર્વત ભાઇએ પોતે, આવ્યો અતિ આનંદ તે જોતે ।।૧૫।।
હૈયે હરખ મુખ બોલે વાણી, દિધાં દરશન નાથ દયા આણી । પછી પ્રેમેશું લાગ્યા છે પાય, અતિ આનંદ ઉર ન માય ।।૧૬।।
જોયાં ચોવિશે રૂપ ચિંતવી, તેણે અતિ સુખ શાંતિ હવી । પછી પ્રકટ પ્રભુનું જે રૂપ, તેમાં સમાણાં સર્વે સ્વરૂપ ।।૧૭।।
તે રૂપ રહ્યું હૃદામોઝાર, દેખે અંતર ભિતર બહાર । અર્ધ ઘડી તે અળગું ન રહે, તેથી સુખ જે ઇચ્છે તે લહે ।।૧૮।।
જેમ ચિંતામણિ હોય કને, જેહ ચાય થાય તેહ તને । લોક પ્રલોક અગમ ન રે, જે જે આપે ઇચ્છે તેહ કરે ।।૧૯।।
તેમ ચિંતામણિ હરિનું રૂપ, જેના અંતરમાં રહ્યું અનુપ । તેહ જન જે ચિંતવે તે થાય, લોક પરલોક ઇચ્છે ત્યાં જાય ।।૨૦।।
વૈકુંઠ ગોલોક શ્વેતદ્વિપ, તેહને દેખે જેમ સમીપ । અક્ષરધામ આદિ લોક જેહ, દેખે સાંભળે કહે વળી તેહ ।।૨૧।।
એમ પરવતભાઇની દ્રષ્ટે, નિરાવર્ણ આવર્ણ નહિ અષ્ટે । એતો વાત અલૌકિક અતિ, લોક પરલોકે જેની ગતિ ।।૨૨।।
એહ રીત્યે પરચા અગણિત, થાય પર્વતભાઇને નિત । એ તો પરચો કહ્યો મેં એક, એવા બીજા થયા છે અનેક ।।૨૩।।
વળી વાત બીજી એક કહું, છે તો અપાર પાર કેમ લહું । ભક્ત એક અનુપમ જાણો, નામ મુળજી જાતિ લુવાણો ।।૨૪।।
હતો જનમાંતરે જીવ સારો, સત્યધર્મ લાગતો તે સારો । પછી જન્મ ધર્યો એણે જ્યારે, મળ્યો કુસંગ ન રહ્યો એવો ત્યારે ।।૨૫।।
કહું જન્મ ધરી જે જે કર્યું, થઇ ચોર પરધન હર્યું । મોટા ચોરમાંહિ તે મોવડી, હરે વસ્તુ જે નજરે પડી ।।૨૬।।
એવા બીજા અવગુણ બહુ, જાણે જન જગતમાં સહુ । ફરે હરવા વસ્તુ હમેશ, તેને અર્થે જાય દેશોદેશ ।।૨૭।।
એક દિન આવ્યો પ્રભુ પાસ, જીયાં હતા હરિ હરિદાસ । ભાવાભાવે થયાં દરશન, થઇ ધારણા ભૂલીયો તન ।।૨૮।।
વળી અંતરવરતિ પાછી, થઇ સહજમાં સમાધિ સાચી । દિઠાં બહુ લોક બહુ ધામ, માન્યો પોતાને પૂરણકામ ।।૨૯।।
પામ્યો સમાધિ સામર્થિ અતિ, ઇચ્છા આવે તિયાં કરે ગતિ । જુવે સુરપુર ને કૈલાશ, સત્ય વૈકુંઠ ગોલોકે વાસ ।।૩૦।।
શ્વેતદ્વિપ ને અક્ષરધામ, દેખે બ્રહ્મનગર નિષ્કામ । આવે જાય તિયાં અહોનિશ, દેખે હરિનાં ધામ હમેશ ।।૩૧।।
તેની આવી કરે વાત વળી, પામે આશ્ચર્ય સહુ સાંભળી । માને પ્રતાપ મહારાજ તણો, શું કહીએ મુખથી ઘણો ઘણો ।।૩૨।।
તપ તીર્થ વ્રત કોટી કરે, દેહ દમિ ભમી ભમી મરે । તોય ન પામે સ્વપને સુખ, માટે મોટયપ શું કહીએ મુખ ।।૩૩।।
પણ કહેવાનું છે એ કારણ, જ્યારે મુળજીને થાય ધારણ । ત્યારે તન મન ભાન ટળે, જ્યારે બ્રહ્મમહોલમાં પળે ।।૩૪।।
ત્યારે વાટમાંઇ મળે વામ, રોકી રાખે બે ઘડી એ ઠામ । તે વાત કરી મહારાજ પાસ, સર્વે સુણી બોલ્યા અવિનાશ ।।૩૫।।
હવે જા જ્યારે ધારણામાંઇ, પળ એક ન રોકાવું ક્યાંઇ । મળે રૂદ્ર તો વાટ મુકાવી, કહેજ્યે થાય તેવું આંહિ આવી ।।૩૬।।
એવું સાંભળી મુળજી ચાલ્યો, જાતાં વાટે રૂદ્રે મળી ઝાલ્યો । કહે જા છ ઉતાવળો કિયાં, ઘડી બે લગી રોકીશ ઇયાં ।।૩૭।।
ત્યાર પછી તને જાવા દૈશ, જો તું અતિ ઉતાવળો હૈશ । ત્યારે મુળજી કહે મહારાજ, તમે રોકશો માં મને આજ ।।૩૮।।
આજ જાવું છે વહેલેરૂં વળી, તારો ખાળ્યો નહિ રહું ખળી । ત્યારે વામ કહે બોલ્ય વિચારી, જા તું જોરે તો નાખું હું મારી ।।૩૯।।
ત્યારે મુળજી કહે સુણ્ય મારી, આજ જટા હું ચૂંથીશ તારી । વદતાં વાદ આવ્યા બેઉબાથે, કરે યુધ્ધ જન જટિસાથે ।।૪૦।।
બેઉ જોધ બરોબર બળી, કોય કેને નાપે લેશ લળી । પછી મુળે મનમાં વિચાર્યું, બળ પ્રકટ પ્રભુનું સંભાળ્યું ।।૪૧।।
ત્યારે આવી સામર્થી અતિ અંગ, કર્યું કપર્દિનું અંગભંગ । પડયા કામારી કડાકો થયો, છુટી જટા છટા સુરશિયો ।।૪૨।।
આસ પાસ જુગલ જોજને, દીઠું સાંભળીયું સહુ જને । જીતી જન આવ્યો પ્રભુ પાસ, કહ્યું થયું જેહ તેહ દાસ ।।૪૩।।
સર્વે સાંભળી આશ્ચર્ય પામ્યાં, વળતાં શ્રીજીચરણે શિશ નામ્યાં । કહે ધન્ય ધન્ય મહારાજ, થયો અલૌકીક પરચો આજ ।।૪૪।।
સુણી સત્સંગી થયા રળિયાત, કુસંગીને કહી નહીં વાત । એમ પરચા નિરંતર ઘણા, કહીએ કેટલા મુળજીતણા ।।૪૫।।
પ્રકટ પ્રભુથી પરચા થાય, તેતો લખતાં કેમ લખાય । કહેતાં સુણતાં આવે આનંદ, માટે કહું છું સુણો જનવૃંદ ।।૪૬।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે પર્વતભાઇ તથા મુળજીને પરચા પુર્યા એ નામે એકસો ને અઠ્ઠાવિશમું પ્રકરણમ્ ।।૧૨૮।।