પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ત્રયોવિંશતિતમઃ પ્રકાર ૨૩

દોહા -
પુરૂષોત્તમ પધારિયા, બહુ જીવનાં કરવા કાજ ।
સર્વે સામર્થિ સહિત પોતે, આજ આવિયા મહારાજ ।।૧।।
અનેક ઉપાયે કરી હરિ, ખરી આદરી છે વળી ૪ખેપ ।
આ સમે જેનો જન્મ છે, તેને આવિગયું ઘણું ૫ઠેપ ।।૨।।
દાસના દરશન સ્પરશથી, કર્યાં છે બહુનાં કલ્યાણ ।
ત્રિલોકના જીવ તારવા, વડુ મંડાણું છે વા'ણ ।।૩।।
પાર ઉતાર્યા પરિશ્રમ વિના, બેસી નામ રુપિયે નાવ ।
જે જને જપ્યા જીભથી, તે તરિગયા ભવદરિયાવ ।।૪।।

ચોપાઇ -
એવો નામનો છે પરતાપરે, ધન્ય જે જન જપે આપરે ।
પૂર્ણ પુરૂષોત્તમ સુખધામરે, તેણે ધર્યું સહજાનંદ નામરે ।।૫।।
સહજાનંદ સહજાનંદ ગાયરે, તેતો અક્ષરધામમાં જાયરે ।
સહજાનંદ નામ જેને મુખેરે, તેતો બ્રહ્મપુર જાશે સુખેરે ।।૬।।
જેહ મુખે એ નામ ઉચ્ચારરે, તેતો પામી ગયા ભવપારરે ।
સહજાનંદ નામ સમરતાંરે, નથી પરિશ્રમ પાર ઉતરતાંરે ।।૭।।
સહજાનંદ નામ જે વદનેરે, તેતો પહોત્યા બ્રહ્મસદનેરે ।
સહજાનંદ સહજાનંદ ગાતાંરે, નથી કઠણ એને ધામ જાતાંરે ।।૮।।
સહજાનંદ સહજાનંદ કહિયેરે, જાણે એથી પરમ પદ લહિયેરે ।
જેને અખંડ એ છે રટનરે, તેને ન રહે ભવ ૧અટનરે ।।૯।।
સ્વામિનારાયણ શબદેરે, પ્રાણિ વાસ કરે છે બેહદેરે ।
સહજાનંદ નામ સુણ્યું કાનેરે, તેને આવ્યું છે એ ધામ ૨પાનેરે ।।૧૦।।
સહજાનંદ એ નામ સાંભળીરે, જાયે પાપ પૂરવનાં બળીરે ।
સુણિ સ્વામિનારાયણ નામરે, સર્યાં કઇક જીવનાં કામરે ।।૧૧।।
કાને એ નામની ભણક પડિરે, તેને અક્ષરપોળ ઉઘડીરે ।
સ્વામિનારાયણની કીરતિરે, સુણિ રહે નહિ પાપ રતિરે ।।૧૨।।
સ્વામિનારાયણની જે કથારે, સુણે જાયે નહિ જન્મ વૃથારે ।
સ્વામિનારાયણ નામ પદરે, સાંભળતાં આવે સુખ સદરે ।।૧૩।।
છંદ અષ્ટક ને વળી શ્લોકરે, સુણે ભણે પો'ચે બ્રહ્મલોકરે ।
સાખિ શબ્દ સ્વામિનામે જેહરે, સર્વે કલ્યાણકારી છે તેહરે ।।૧૪।।
શ્વાસ ઉશ્વાસે સમરે સ્વામીરે, તેની વ્યાધિ જાયે સર્વે ૩વામીરે ।
રહે રસનાએ ૪રવ એનોરે, ધારા અખંડ ઉચ્ચાર તેનોરે ।।૧૫।।
તેતો પામેછે પરમ પ્રાપતિરે, નથી ફેર તેમાં એક રતિરે ।
એવો નામ તણો પરતાપરે, કહ્યો સહુથી અધિક અમાપરે ।।૧૬।।
જાણે અજાણે જપશે જેહરે, પરમધામને પામશે તેહરે ।
એવું આજ ઉઘાડયું છે બારરે, કરવા બહુ જીવને ભવપારરે ।।૧૭।।
સકાર કે'તાં સર્વે દુઃખ વામેરે, હકાર કે'તાં હરિધામ પામેરે ।
જકાર કે'તાં જયજય જાણોરે, નકાર કે'તાં નિર્ભય પ્રમાણોરે ।।૧૮।।
દકાર કે'તાં ૫દદામા દઈનેરે, પામે ધામ સહજાનંદ કહિનેરે ।
સ્વામિનારાયણ નામ સારરે, જેથી જીવ તર્યા છે અપારરે ।।૧૯।।
કલિયુગમાં કર્યું છે વા'ણરે, રે'વું નારાયણ પરાયણરે ।
નથી એથી વાત કાંય મોટિરે, મર કરે ઉપાય કોઈ કોટિરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ત્રયોવિંશતિતમઃ પ્રકારઃ ।।૨૩।।