પૂર્વછાયો-
સુંદર શહેર સુરતના, સતસંગી સર્વ સુજાણ । પ્રભુજી ત્યાં પધારિયા, જનહેતે જીવન પ્રાણ ।।૧।।
ચોપાઇ-
પછી ત્યાંથી ચાલિયા દયાળ, દીઠી વાટે વાટિકા વિશાળ । જોઇ જાયગા સુંદર સારી, વહે પાસે નિરમળ વારી ।।૨।।
તિયાં વિવિધ્યનાં વેલી વન, બીજાં જનને રહેવા ભવન । તિયાં ઉતરીયા અવિનાશ, આવ્યા દરશને બહુ દાસ ।।૩।।
લાવ્યા હાર પૂજા બહુ પેર, આવ્યા જન જેમ સિંધુલેર । કરી પૂજા લાગે સહુ પાય, વાલા આવા રહેજ્યો ઉરમાંય ।।૪।।
એમ સ્તવન કરે બહુ જન, કહે ભલે આવ્યા ભગવન । આજ અમપર અઢળ ઢળ્યા, બહુ દનના વાયદા વળ્યા ।।૫।।
એવી સાંભળી દાસની વાણી, હેતે બોલાવ્યા પોતાના જાણી । પછી જને કરાવ્યાં ભોજન, જમ્યા ભાવ જોઇ ભગવન ।।૬।।
જમ્યા સખા બહુ મુનિજન, પછી થઇ સંધ્યા વીત્યો દન । રહ્યા રાત્ય સુખે એહ ઠામે, પછી શું શું કર્યું સુખધામે ।।૭।।
પોઢી જાગિયા જીવનપ્રાણ, કરવા બહુ જીવનાં કલ્યાણ । કર્યો નિત્ય વિધિ તે દયાળે, દયાસિંધુ દીનપ્રતિપાળે ।।૮।।
ત્યાંથી ઉઠયા પોતે ભગવાન, દિધાં દાસને દર્શન દાન । પછી જન લાવ્યા સુખપાલ, સુંદર દર્પણે દિશે વિશાલ ।।૯।।
તેણે બેઠા પછી બહુનામી, અલબેલોજી અંતરજામી । વાજે વાજીંત્ર આગે અપાર, ધાયાં દરશને સહુ નરનાર ।।૧૦।।
ધીરે ધીરે ધરે પગ ભોઇ, જન મગન થયા નાથ જોઇ । પછી શિવાલય ગયા સુજાણ, કરવા બહુ જીવનાં કલ્યાણ ।।૧૧।।
ત્યાંથી વળ્યા છે દીનદયાળ, કહ્યું જન થયો પ્રભુ થાળ । હતી રસોઇ નજીક પાસ, જને જમાડિયા અવિનાશ ।।૧૨।।
પછી પ્રેમેશું પૂજીયા નાથ, સુંદર વસ્ત્ર પહેરાવિયાં હાથ । ચર્ચ્યાં ચંદન અત્તર ભારી, અર્પિ હાર આરતી ઉતારી ।।૧૩।।
પછી આગે ઉભા જોડી હાથ, જયજય બોલે મુખે ગાથ । પૂજી નાથ લીધો લાવો ભારે, પછી પ્રભુજી આવ્યા ઉતારે ।।૧૪।।
તિયાં શોભે સુંદર આંબલી, ઘણી ઘાટિ છે છાંયા જો ભલી । તિયાં બેઠા આવી બહુનામી, અલબેલો જે અંતરજામી ।।૧૫।।
કહે મુનિ પ્રત્યે ભગવંત, જમી સજ્જ થાઓ સહુ સંત । આજ જાવું છે શહેરમાં સહુને, દેવા દર્શન જન બહુને ।।૧૬।।
એવી વાત કરી જ્યારે વાલે, માની લીધી તે સહુ મરાલે । ત્યાંતો ત્યાર થયાંતાં ભોજન, જમી સજ્જ થયા મુનિજન ।।૧૭।।
એમ કરતાં વીતિ ઘડી ચાર, આવ્યો સામો શહેર સરદાર । તેનું નામ અર્દેશરજી છે, અતિ ડાહ્યો જાતે પારશી છે ।।૧૮।।
મોટા પુરાણી પંડિત સંગે, આવ્યો તેડવા અતિ ઉમંગે । રથ વેલ્ય પાલખી પેદળ, બહુ વાજીંત્ર સંગે સબળ ।।૧૯।।
આવી લાગ્યો પ્રભુજીને પાય, નિર્ખિ હરખ્યો અતિ મનમાંય । પછી અલબેલો અઢળ ઢળ્યા, નાથ બાથ ભરી તેને મળ્યા ।।૨૦।।
નાથ કહે સુખી છો તન મને, કહે સુખી હું આજ દર્શને । બહુ દિનની જોતોતો વાટ, વાલા તમારાં દર્શન માટ ।।૨૧।।
બહુ તાણ્યું તમે અમસાથે, આજ મહેર કરી મુજ માથે । જેમ આવ્યા છો આજ લહેરમાં, તેમ નાથ પધારો શહેરમાં ।।૨૨।।
કરે દર્શન સહુ નરનાર, થાય બહુ જીવ ભવપાર । નાથ કહે સારૂં ચાલશું ત્યાંઇ, પણ રહેવા રૂડું બહુ આંઇ ।।૨૩।।
પછી તર્ત થયા અસવાર, ચાલ્યા સુરત શહેર મોઝાર । આગે પલટણ પાળા અપાર, બીજાં મનુષ્ય હજારો હજાર ।।૨૪।।
વાજે વિવિધનાં વાજાં વળી, ઢોલ ત્રાંસા કાંસાં ને વાંસળી । ભેરી ભુંગળ રણશિંગાં તૂરી, રૂડી શરણાયું સ્વર પૂરી ।।૨૫।।
થાય ઘોર નગારાંની ઘણી, બહુ શોભે અસવારી બણી । ચાલે ધીરે ધીરે પગ ધરે, જુવે જન તેનાં મન હરે ।।૨૬।।
શોભે શ્યામળો સુંદર ઘોડે, સારા સખા બીજા બહુ જોડયે । શોભે સુરવાળ શ્વેત અંગી, શિશે રેંટો કસુંબી સોરંગી ।।૨૭।।
ઢોળે ચમર તે પર દાસ, શોભે અતિરૂડા અવિનાશ । કેડે રથ વેલ ગાડી ઘણી, બહુ શોભા પાલખીની બણી ।।૨૮।।
એમ શોભે છે બહુ સમાજ, ચાલ્યા મુનિ સંગે મહારાજ । બીજાં બહુ જન સંગે સુજાણ, ચાલ્યા જેમ ઉલટયો મેરાણ ।।૨૯।।
ચડી ગર્દ ઢંકાણો ગગન, જેમ ઘટા કાઢી ચડયો ઘન । એવી રીત્યે પ્રભુજી પધાર્યા, જનને મન મોદ વધાર્યા ।।૩૦।।
આવ્યા શહેરમાં સુંદર શ્યામ, ધાયાં દર્શને પુરૂષ ને વામ । આવી ઉભા છે બહુ બજારે, લેખું ન થાય લાખ હજારે ।।૩૧।।
કૈક ચડયાં અટારી ઝરુખે, કૈક ગઢ ઘર વળી ગોખે । પહેરી નીલી પીળી લાલ સાડી, શ્વેત શોભે જેમ ફુલવાડી ।।૩૨।।
જેમ વ્યોમે વિમાનની હાર, એમ ઉંચાં ચડયાં નરનાર । હાથ જોડી બોલે એમ જન, જયજય નાથ ધન્ય ધન્ય ।।૩૩।।
ભલે પધારિયા તમે નાથ, આજ સહુ અમે થયાં સનાથ । તેની વંદના માની મોરાર, આવ્યા ઉતારે વાડી મોઝાર ।।૩૪।।
પછી બેઠા અગાશિએ આપ, નિર્ખિ બહુ જન થયા નિષ્પાપ । દેતાં દર્શન આથમ્યો દન, પછી ભૂધરે કર્યાં ભોજન ।।૩૫।।
જમી પોઢીયા પ્રાણ આધાર, વીતી રજની થયું સવાર । ત્યારે જાગિયા જગજીવન, દીધાં સહુ જનને દર્શન ।।૩૬।।
પછી હિંડોળો સુંદર સાર, લાવ્યો ભાવે ભગત સુતાર । તે ઉપર બેઠા અવિનાશ, નિર્ખિ મગન થયાં નિજદાસ ।।૩૭।।
તિયાં વાજે વાજીંત્ર અપાર, જેજે શબ્દ બોલે નરનાર । ગાન તાને ગાય ગુણિજન, કરે મુનિજન કીરતન ।।૩૮।।
આવે લોક હજારે હજાર, કરે દરશન નરનાર । થાય રસોઇ સુંદર સારી, જમાડે જન પંક્તિ બેસારી ।।૩૯।।
અતિ આનંદ ઉત્સવ થાય, બહુ હર્ષ ભર્યા દિન જાય । એમ કરતાં વીત્યા દિન દોઇ, બોલ્યો પુરપતિ રાજી હોઇ ।।૪૦।।
બહુ મતપંથ છે સંસાર, તેતો દામ ને વામના યાર । આતો ધન ત્રિયા દોય ત્યાગી, જેની લગની સાહેબશું લાગી ।।૪૧।।
આવા સંત નથી જગમાંય, એનાં દરશન કહો કેમ થાય । મહેર કરી એ આંહિ પધારે, નહિ તો અવશ્ય જાવું ત્યાં મારે ।।૪૨।।
એવો ભાવ ભૂપતિનો જાણી, પોતે પધાર્યા સારંગપાણી । અતિ આદર દઇ રાજન, પૂછયા પૂછવા જેવા જે પ્રશ્ન ।।૪૩।।
તેનો ઉત્તર દીધો દયાળ, સુણી રાજી થયો છે ભૂપાળ । કહી સંપ્રદાય ઉધ્ધવી રીત્ય, લખી લીધી રાયે કરી પ્રીત્ય ।।૪૪।।
પછી બહુ કરી સનમાન, પધરાવ્યા પાછા ભગવાન । બીજા રાજા રહે પુરમાંઇ, પ્રભુ પધારિયા વળી ત્યાંઇ ।।૪૫।।
તેણે અતિ કર્યું સનમાન, ભાવે ભરી પૂજ્યા ભગવાન । ચુવા ચંદન ગુલાબ વારી, આણ્યું અત્તર સુગંધી ભારી ।।૪૬।।
તેણે પૂજી પછી જોડયા હાથ, કરી સ્તવન નામિયું માથ । કહે ભલે પધાર્યા મહારાજ, થયા પાવન સહુ અમે આજ ।।૪૭।।
એમ કરી વિનતિ ભૂપાળ, પાછા પધરાવિયા દયાળ । પછી શિરપાવ છાબ ભરીને, લાવ્યા ઉતારે આપ્યા હરિને ।।૪૮।।
વળતે દિવસ અરદેશરે, પ્રભુ પધરાવ્યા નિજઘેરે । સર્વે મુનિ સહિત મહારાજ, પધરાવ્યા સમારી સમાજ ।।૪૯।।
દીપ મશાલો મેતાબુ વાશી, બહુ કાંચ હાંડિયો પ્રકાશી । મધ્યે ઢોલિયો સુંદર ઢાળી, તેપર પધરાવ્યા વનમાળી ।।૫૦।।
પછી પૂજીયા દીનદયાળ, ત્યાર પછી પૂજીયા મરાળ । પછી થયા ઉત્તર ને પ્રશ્ન, કર્યાં સંતે પછી કીરતન ।।૫૧।।
સુણી રાજી થયા સહુ જન, પછી ત્યાંથી ચાલ્યા ભગવન । આવી ઉતારે રજની રહ્યા, જમી સવારે સાબદા થયા ।।૫૨।।
આવ્યા વળાવવા સહુ મળી, બહુ ગાજતે વાજતે વળી । ધીરે ધીરે દેતા દરશન, આવ્યા પુર બહારા ભગવન ।।૫૩।।
બેઠા બાગ મસ્તુમાં બે ઘડી, આપી અર્દેશરને પાઘડી । પછી તર્ત થયા અસવાર, આવ્યા ગામ કોશાલ મોઝાર ।।૫૪।।
રહી રાત્ય બેઠા રથે રાજ, ખાંતે ખેડવા સારૂં મહારાજ । આપે સારથી થઇ સુજાણ, કર્યાં અંકલેશ્વરે મેલાણ ।।૫૫।।
ત્યાંથી નર્મદા ઉતરિયા નાથ, પછી વેરિયો મુનિનો સાથ । પોતે આવિયા કેલોદ ગામ, રહી રાત્ય ત્યાં ચાલિયા શ્યામ ।।૫૬।।
આવ્યા આમોદમાં દયા કરી, જમ્યા સખા સહિત શ્રીહરિ । પછી તર્ત કરી છે તૈયારી, ચાલ્યા જનતણા હિતકારી ।।૫૭।।
આવ્યા કારેલી ગામે કૃપાળુ, મહી સહિ ઉતર્યા દયાળુ । પછી રહ્યા બદલપુરે રાત, ત્યાંથી પધારિયા પરભાત ।।૫૮।।
આવ્યાં આડાં ખંભાતનાં જન, તેને દઇ ચાલ્યા દરશન । ત્યાંથી આવ્યા ગુડેલે ગોપાળ, કર્યાં આપે ત્યાં શાક રસાળ ।।૫૯।।
જમી જમાડિયા નિજજન, પછી ત્યાંથી ચાલ્યા ભગવન । આવી રાત્ય ધોલેરામાં રહ્યા, ત્યાંથી કારીયાણિયે આવિયા ।।૬૦।।
એમ કરી બહુનાં કલ્યાણ, આવ્યા ગઢડે શ્યામ સુજાણ । સારા વરષમાં સુખરાશી, માગશર શુદી એકાદશી ।।૬૧।।
તેદિ આવિયા સુરત જઇ, જન બહુને અભયદાન દઇ । કર્યો દિગ્વિજય જગમાંઇ, ખોટા ગુરુ રહ્યા ખત્તા ખાઇ ।।૬૨।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે મહારાજ સુરત પધાર્યા ને અર્દેશરને પાઘ આપી એ નામે પંચાણુંમું પ્રકરણમ્ ।।૯૫।।