ચોપાઇ-
અલબેલોજી અંતરજામી, જે કોઇ સર્વે તણા કાવે સ્વામી । તેણે જાણી છે જનની તાણ, ચાલ્યા ગઢડેથી શ્યામ સુજાણ ।।૧।।
આપે અશ્વે થયા અસવાર, સંગે સખા હજારો હજાર । તેપણ તોરંગે થયા તૈયાર, શોભે અશ્વ અતિશે અપાર ।।૨।।
મેલા મજીઠા નીલા નવરંગ, રાતા માતા ને તાતા તોરંગ । હરડા હાંસલા રોઝા રૂપાળા, આકળા ઉતાવળા બાવળા ।।૩।।
વળી ઘોડી ઘણી જાતવંતિ, એકએકથી ઓપે છે અતિ । હર્ણી માણકવર્ણી વિજળી, કપિક્યાડિ કેશર વાંગળી ।।૪।।
લખી લક્ષમી લાડકી લાલ, બેરી બોદલી ચાંદરી ઉતાલ । મલી માછલી રેડી રૂપાળી, પાંખાળી સોઝવાળી શિંગાળી ।।૫।।
તિખિ તાજણ્યું જવાદ્યું જાણો, ફુલમાળ પટુઇ પ્રમાણો । છબિલી ને છોગાળી એ આદિ, ઘણી ઘોડી રૂડી રાયજાદિ ।।૬।।
કર્યાં કાઠીએ સજ્જ કેકાણ, માંડિયાં શંખલાદિ પલાણ । ચડયા માણકીએ મહારાજ, તેણે માંડયા છે સોનેરી સાજ ।।૭।।
ચાલી ઘોડાતણી ઘણી ઘટ, શ્યામ સંગે છે સખા સુભટ । આવે વાટમાંહિ ગામ ઘણાં, કરે દર્શન જન હરિતણાં ।।૮।।
કોઇ કહે રહો ઇયાં રાજ, કોઇ કહે જમી ચાલો મહારાજ । કોઇ કહે રહો ઘડીવાર, અમે ચાલવા છીએ તૈયાર ।।૯।।
એમ આવી આડાં જન ફરે, તેને અલબેલો ઉત્તર કરે । કહે કેડયેથી આવજો તમે, છીએ આજ ઉતાવળા અમે ।।૧૦।।
એમ કહી ધ્રોડવી ઘોડી, માણ્યકવર્ણી જે માણકી રૂડી । જાણ્યું છુટયો કમાનથી તિર, ખર્યો તારો અંબરે અચિર ।।૧૧।।
જાણ્યું પાંખે ઉડયો પન્નગારિ, વેગ તોપ ગોળા થકી ભારી । સખા સહુ રહ્યા સામું જોઇ, સંગે પહોંચી શક્યા નહિ કોઇ ।।૧૨।।
પછી કેડયેથી કીધો છે ધ્રોડ, જોરે હાંકે ઘોડાં જોડાજોડ । ફરકે છોગાં માથે મોટી પાગે, કરે અમર પંખા એવું લાગે ।।૧૩।।
અતિ પર્શેવે પલળ્યાં અંગ, ઘણે શ્વાસે ભરાણા તોરંગ । ત્યારે પોત્યા છે પ્રભુજી પાસ, આંબાતળે દિઠા અવિનાશ ।।૧૪।।
એક કરે ગ્રહિ કેશવાળી, બીજે કરે ગ્રહિ આંબા ડાળી । સામું જોઇને હરિ હસિયા, કહે કેડયે કેમ રહી ગીયા ।।૧૫।।
ત્યારે બોલ્યા સખા કરજોડી, નાથ અમે થાક્યા ધ્રોડીધ્રોડી । પણ કોઇથી પહોંચાણું નહિ, તેહ સારૂં કેડયે ગયા રહી ।।૧૬।।
આવું ધોડશો જો તમે નાથ, તો અમે પહોંચી શકીએ ન સાથ । એમ કહીને જોડીયા પાણ, પછી સંગે ચાલિયા સુજાણ ।।૧૭।।
મેલી ભદ્રા આવી ભોગવતી, ત્યાંથી ઉતર્યા સાબરમતી । સંગે હતા સંન્યાસી ને સંત, બ્રહ્મચારી ને ભક્ત અનંત ।।૧૮।।
ત્યાંથી ચાલ્યા છે લાડીલો લાલ, આવ્યા વાલ્યમજી વરતાલ । તેનું સતસંગીને થયું જાણ, આવ્યા સામૈયે સર્વે સુજાણ ।।૧૯।।
તાલ મૃદંગ ત્રાંસા ને ભેરી, સુંદર સ્વરે શરણાઇ ઘેરી । રણશિંગા ને ઢોલ દદામાં, ગાતાં વાતાં આવ્યાં સહુ સામાં ।।૨૦।।
બાળ જોબન ને વૃધ્ધ વળી, આવી લાગ્યાં પાય સહુ લળી । પછી મુનિને પડીયા પાય, વળતાં મળ્યા પરસ્પર માંય ।।૨૧।।
ભાઇ મળ્યા સરવે ભાઇયોને, બાઇયો મળી સર્વે બાઇયોને । પછી ગાતા વાતા આવ્યા ગામ, તૈયે બોલિયા સુંદર શ્યામ ।।૨૨।।
ગામમાંતો છે ભિડય ઘણેરી, સંઘ મનુષ્યે સઘન થઇ શેરી । ચાલો પુરથી પૂરવ દિશે, એમ જનને કહ્યું જગદીશે ।।૨૩।।
તરૂ તળાવ તટે સઘન, શોભે વિવિધ ભાત્યનાં વન । અતિમોટાં ને ઘાટી છે છાંય, મુનિ ઉતરીયા સર્વે ત્યાંય ।।૨૪।।
એક અતિ મોટો ત્યાં આંબલો, ઘણો ઘાટો છાંયો જેનો ભલો । તિયાં ઉતરીયા અવિનાશ, સર્વે બેઠા આવી દાસ પાસ ।।૨૫।।
પછી બોલિયા પ્રાણઆધાર, તમે સાંભળો સહુ નરનાર । આજ તો છે દશમીનો દન, તમે કરો ભોજન સહુ જન ।।૨૬।।
એમ અલબેલે આગન્યા દિધી, સર્વે દાસે તે સાંભળી લિધી । એક ભક્ત બ્રાહ્મણ ગંગાબાઇ, જેને ભાવ ઘણો પ્રભુમાંઇ ।।૨૭।।
રૂડી કરતાં આવડે રસોઇ, કીધાં જમણ મરજી જોઇ । પૂર્યો ભોજન વ્યંજને થાળ, લાવ્યા બેઠા હતા જ્યાં દયાળ ।।૨૮।।
પછી જીવન જમવા કાજ, ઉઠયા મુખે હસિને મહારાજ । કર્યાં ભાવ કરીને ભોજન, પછી દીધું જને આચમન ।।૨૯।।
દિધી પ્રસાદી નિજ દાસને, પછી અલબેલો આવ્યા આસને । બળે બહોળી મેતાબું મશાલ, બેઠા મુનિના મધ્યમાં લાલ ।।૩૦।।
કરતા પ્રશ્ન ઉત્તરની વાત, એમ વહિ ગઇ અર્ધ રાત । પછી પુરમાં પધાર્યા નાથ, સખા પોતાના લઇને સાથ ।।૩૧।।
તિયાં જઇ પોઢયા પ્રાણપતિ, થોડું સોઇ જાગ્યા જનવતિ । તર્ત ઘોડે થયા અસવાર, સર્વે સંઘની લીધી છે સાર ।।૩૨।।
પછી આવ્યા આંબલે મહારાજ, દાસને દેવા દર્શન કાજ । બાલ જોબન વૃધ્ધ વનિતા, આવ્યાં હરિ પાસે હરખતાં ।।૩૩।।
લાવ્યાં વસ્ત્ર વિવિધ ભાત્યનાં, આભૂષણ જુજવી જાત્યનાં । ચંદન પુષ્પ તુલસી ને ધૂપ, દીપ સમીપ નૈવેદ્ય અનુપ ।।૩૪।।
એહ આદિ અનેક સામગરી, લાવ્યાં સહુ સહુના થાળ ભરી । જીયાં બેઠાતા જગજીવન, તિયાં આવ્યા સહુ હરિજન ।।૩૫।।
મુનિ સહિત મહારાજને નિર્ખ્યા, નિર્ખિ જન મનમાંહિ હર્ખ્યા । પછી પૂજા કરી નરનારે, પૂજ્યા પ્રભુ ષોડશ ઉપચારે ।।૩૬।।
પુરૂષે પૂજા તે મુનિની કિધી, દંડવત પ્રદક્ષિણા દિધી । પછી બેઠા સામા જોડી હાથ, નયણે નિર્ખે છે નટવર નાથ ।।૩૭।।
પછી બોલિયા પ્રાણજીવન, તમે સાંભળજ્યો સહુજન । તમને જે મળી છે મૂરતિ, તેને નિગમ કહે નેતિ નેતિ ।।૩૮।।
અતિઅપાર અક્ષરાતીત, થઇ તમારે તેસાથે પ્રીત । ભક્ત જક્તમાંહિ છે જો ઘણા, ઉપાસક અવતાર તણા ।।૩૯।।
જેજે મૂરતિ જનને ભાવે, તે મૂરતિ નિજધામ પહોંચાવે । પણ સર્વે પાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ ।।૪૦।।
એવાં સુણી વાલાનાં વચન, જન કહે પ્રભુ ધન્ય ધન્ય । સહુ અંતરે આનંદ પામ્યા, ગયો શોક સંશય સહુ વામ્યા ।।૪૧।।
એમ બહુ દિન સુખ દીધાં, ઘણું જનને મગન કીધાં । પછી બોલિયા પ્રાણજીવન, જાઓ સહુ સહુને ભવન ।।૪૨।।
રહેજ્યો નિર્ભય સહુ નરનારી, રાખજ્યો વ્રતમાન વિચારી । કાર્તિક શુદી એકાદશી દને, કર્યો ઉત્સવ જગજીવને ।।૪૩।।
એવી લીળા કરી વરતાલે, વાલો પધાર્યા દેશ પંચાલે । સહુજનને થાવા આનંદ, ગાય પ્રેમેશું નિષ્કુળાનંદ ।।૪૪।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે પ્રબોધનીનો ઉત્સવ કર્યો એ નામે ઓગણાએંશીમું પ્રકરણમ્ ।।૭૯।।