ચોસઠમું પ્રકરણ

ચોપાઇ-
પછી પોતે ગયા ગુજરાત, રહ્યા ડભાણમાં દોય રાત । હતી સંતની મંડળી સાથ, વળતાં વરતાલે આવિયા નાથ ।।૧।।
તિયાં રહ્યા હરિ સંત સહુ, કરી લીળા આપ્યાં સુખ બહુ । રહ્યા પંચ રાત્ય પોતે તિયાં, પછી યાંથી બુધેજે આવિયા ।।૨।।
ત્યાંથી ચાલીયા સમર્થ સ્વામી, આવ્યા બોચાસણે બહુનામી । બામણ ગામને એકલબારે, પોતા સરસવણિ મહીપારે ।।૩।।
જઇ પાદરે પાછા વળીયા, આવી વરતાલે સંતને મળીયા । ત્યાંથી ચાલી ઉમરેઠે ગયા, દેવા દર્શન પ્રસન્ન થયા ।।૪।।
વાજાં વાજતે પધાર્યા શ્યામ, આવ્યું સામૈયે સઘળું ગામ । દીધાં દાસને દર્શન દાન, રહી રાત્ય ચાલ્યા ભગવાન ।।૫।।
ભાવ ગામના લોકને બહુ, આવ્યાં પુરબારાં મળી સહુ । તેને દર્શન દઇ દયાળ, કરી કલ્યાણ ચાલ્યા કૃપાળ ।।૬।।
સંગે આપ્યો તો ભોજન થાળ, યથાયોગ્ય જમ્યા તે દયાળ । પછી આવ્યા ડડુસર ગામ, કર્યો કઠલાલ્યે વિશરામ ।।૭।।
આંતરોળી ઉંટડિયે મહાદેવ, તિયાં પધાર્યા દેવાધિદેવ । તિયાં શિવનાં દર્શન કીધાં, વસ્ત્ર સર્વે સેવકને દીધાં ।।૮।।
આપ્યા રૂપૈયા મુઠડી ભરી, પછી ત્યાંથી પધારીયા હરિ । આવ્યા લુવાંગ્ય સલકી ગામ, પછી પ્રાંતિયે પધાર્યા શ્યામ ।।૯।।
ત્યાંથી ચાલિયા શ્યામ સુંદર, આવ્યા વાલ્યમજી વિજાપર । ત્યાંથી ગેરિતે ગયા ગોપાળ, વિશનગ્ર પધાર્યા દયાળ ।।૧૦।।
તિયાં જમાડયા બ્રાહ્મણ ઘણા, કરી મોદક મિસરિતણા । ત્યાંથી ગયા ઉંઝે મહેસાણે, તિયાં જનને જમાડયા પરાણે ।।૧૧।।
પછી આવ્યા કર્જિસણ નાથ, સખા સાંખ્યયોગી હતા સાથ । પછી મહારાજ મોટેરે આવ્યા, શહેરના સતસંગી બોલાવ્યા ।।૧૨।।
ત્યાંથી જેતલપુર પધાર્યા, જનને હૈયે હર્ષ વધાર્યા । એમ ફરી હરિ સર્વે ગામ, કર્યાં છે નિજજનનાં કામ ।।૧૩।।
દાસ અર્થે ફર્યા સર્વે દેશ, પછી કર્યો પંચાળે પ્રવેશ । તિયાં દાસને દર્શન દીધાં, મળી નાથ કૃતારથ કીધાં ।।૧૪।।
પછી આવ્યો છે ફાગણ માસ, થયા હોળી રમવા હુલાસ । તિયાં હરિજનને તેડાવ્યા, દશવિશ સંત પણ આવ્યા ।।૧૫।।
પછી સુંદર આણ્યો સમાજ, રંગ કેશર રમવા કાજ । તેલ ફુલેલ ગુલાલ ઘણા, મેલ્યો સમાજ ન રાખી મણા ।।૧૬।।
સખા તાકી રહ્યા છે તૈયાર, જમે જીવન એટલી વાર । જ્યારે જમી લીધું છે જીવન, તિયાં આવીને ઘેરીયા જન ।।૧૭।।
લાવ્યા રંગ સુરંગ ગુલાલ, ઘેરીલીધા છે ઘરમાં લાલ । છાંટે રંગ ઉડે છોળ્યું ઘણી, ચડી ગરદી ગુલાલતણી ।।૧૮।।
રંગ સોરંગે રંગ્યા રંગીલો, રસબસ થયા છે છબીલો । પછી નાથ કહે સુણો તમે, માગો ફગવા તે આપિયે અમે ।।૧૯।।
એમ કરી અલબેલે વાત, સુણી જન થયા રળિયાત । વારૂં માગશું અમે મહારાજ, દેજ્યો રાજી થઇ તમે રાજ ।।૨૦।।
ત્યારે રાજ કહે રાજી છૈયે, માગો મનમાન્યું અમે દૈયે । ત્યારે બોલ્યા જન જોડી હાથ, તમ પાસે એ માગીયે નાથ ।।૨૧।।
મહાબળવંત માયા તમારી, જેણે આવરીયાં નરનારી । એવું વરદાન દિજીયે આપે, એહ માયા અમને ન વ્યાપે ।।૨૨।।
વળી તમારે વિષે જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઇ દન । જેજે લીળા કરો તમે લાલ, તેને સમઝુ અલૌકિક ખ્યાલ ।।૨૩।।
સતસંગી જે તમારા કહાવે, તેનો કેદી અભાવ ન આવે । દેશ કાળ ને ક્રિયાએ કરી, કેદિ તમને ન ભુલીયે હરિ ।।૨૪।।
કામ ક્રોધ ને લોભ કુમતિ, મોહ વ્યાપીને ન ફરે મતિ । તમને ભજતાં આડું જે પડે, માગીયે એ અમને ન નડે ।।૨૫।।
એટલું માગીયે છૈયે અમે, દેજ્યો દયા કરી હરિ તમે । વળી ન માગીએ અમે જેહ, તમે સુણી લેજ્યો હરિ તેહ ।।૨૬।।
કેદિ દેશો માં દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન । કેદિ કુસંગનો સંગ મ દેજ્યો, અધર્મ થકી ઉગારી લેજ્યો ।।૨૭।।
કેદિ દેશોમાં સંસારી સુખ, દેશો માં પ્રભુ વાસ વિમુખ । દેશો માં પ્રભુ જક્ત મોટાઇ, મદ મત્સર ઇરષા કાંઇ ।।૨૮।।
દેશો માં દેહ સુખ સંયોગ, દેશો માં હરિજનનો વિયોગ । દેશો માં હરિજનનો અભાવ, દેશો માં અહંકારી સ્વભાવ ।।૨૯।।
દેશો માં સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય । એ આદિ નથી માગતા અમે, દેશો માં દયા કરીને તમે ।।૩૦।।
પછી બોલિયા શ્યામસુંદર, જાઓ આપ્યો તમને એ વર । મારી માયામાં નહિ મુંઝાઓ, દેહાદિકમાં નહિ બંધાઓ ।।૩૧।।
મારી ક્રિયામાં નહિ આવે દોષ, મને સમઝશો સદા અદોષ । એમ કહ્યું થઇ રળિયાત, સહુએ સત્ય કરી માની વાત ।।૩૨।।
દીધા દાસને ફગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા । એમ રમ્યા રંગભર હોળી, હરિસાથે હરિજન ટોળી ।।૩૩।।
થયા રસબસ રંગભીનો, ચાલો નાવા કહે નાથ દીનો । પછી પોતે થયા અસવાર, સંગે ચાલીયા સખા અપાર ।।૩૪।।
ગાતા વાતા નાવા નાથ ગયા, કરી લીળા નાતાંનાતાં તિયાં । નાહિ નાથ ચાલ્યા સખા સંગે, અતિ આનંદ ભર્યા છે અંગે ।।૩૫।।
આવ્યા સંત બે નાથે બોલાવ્યા, કહો અમ સારૂં ભેટ શું લાવ્યા । કહે સંત લાવ્યા ફુલહાર, નાથ કહે આવો લાવો આ વાર ।।૩૬।।
પછી અશ્વથી હેઠા ઉતર્યા, સંતે પુષ્પના શણગાર કર્યા । કંઠે આરોપ્યા ફુલના હાર, બાંધ્યા બાજુ તે શોભે અપાર ।।૩૭।।
તોરા ગજરા ફુલના ધર્યા, કાને ગુચ્છ તે ફુલના કર્યા । બાંયે બેરખા કંકણ સાર, કર્યા ફુલતણા શણગાર ।।૩૮।।
ધુપ દીપ ઉતારી આરતી, કરી કરજોડીને વિનતિ । કરી પૂજા ને લાગીયા પાય, નિર્ખિ નાથ ત્રપત ન થાય ।।૩૯।।
શ્યામ સલુણો શોભે છે અતિ, મનોહર સુંદર મૂરતિ । નયણાં ભરીને નિર્ખે છે જન, જોઇ જીવન થયા મગન ।।૪૦।।
જયજય કહે નિજદાસ, લીધું સુખ દીધું અવિનાશ । કરી લીળા અલૌકિક શ્યામે, શોભાવંત સારંગપુર ગામે ।।૪૧।।
કર્યો સમૈયો સુંદર જાણો, ફાગણશુદી પુન્યમ પ્રમાણો । તે દિવસે નાથે લીળા કિધી, પછી સર્વને શીખજ દિધી ।।૪૨।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે મહારાજ સારંગપુર પધાર્યા એ નામે ચોસઠમું પ્રકરણમ્ ।।૬૪।।