બાસઠયમું પ્રકરણ

ચોપાઇ-
પોતે દયાળુ હતા ડભાણ, સુંદરવર શ્યામ સુજાણ । ત્યાંથી ચાલીયા અંતરજામી, આવ્યા બુધેજમાં બહુનામી ।।૧।।
હરિભક્ત તિયાં હઠિભાઇ, રહ્યા રાત્ય તિયાં સુખદાઇ । ત્યાંથી આવ્યા પછમે મહારાજ, જીયાં ભક્ત ઓધવ જેરાજ ।।૨।।
રહી રાત્ય એક તેને ઘેર, ત્યાંથી વાલો આવ્યા છે ઝીંઝર । સંગે ભક્ત હતો મેર જેઠો, અતિવૃધ્ધ અંગે વળી દિઠો ।।૩।।
તેને પહેરાવ્યો સુંદર સ્વાંગ, જામો જરી ને સોનેરી પાગ । રહી રાત્ય ને ચાલ્યા દયાળુ, આવ્યા કુંડળમાંહિ કૃપાળુ ।।૪।।
મોટા ભક્ત મામૈયો ને રામ, તેને ઘેર રહ્યા જુગ જામ । ત્યાંથી સારંગપુર આવીયા, દિન ત્રણ સુધી તિયાં રહ્યા ।।૫।।
પછી આવ્યા નાગડકે નાથ, સર્વે સખા છે પોતાને સાથ । તિયાં ભક્ત સુરો સતસંગી, હરિભક્ત જક્તથી અસંગી ।।૬।।
તેને ઘેર ગિરિધર ગયા, દિન ચારસુધી તિયાં રહ્યા । અતિહેતે જમાડયા જીવન, પ્રભુ જનપર છે પ્રસન ।।૭।।
દેવા દર્શન જનમન ભાવ્યાં, સુંદર વસ્ત્ર શ્યામળે મગાવ્યાં । વાલે પહેર્યો સોનેરી સુવાગ, જેણે જોયા તેનાં મોટાં ભાગ્ય ।।૮।।
પછી ત્યાંથી શ્યામળો સધાવ્યા, પોતે નાથ પિપરડીયે આવ્યા । તિયાં ભક્ત પવિત્ર જે પીઠો, તેને ઘેર રહ્યા માવ મીઠો ।।૯।।
ત્યાંથી ચાલીયા સુંદરશ્યામ, ગયા ભક્ત માંતરાને ગામ । ત્યાંથી ભોંયરે ભોજન કીધું, ભક્ત નાજાને દર્શન દીધું ।।૧૦।।
પછી ત્યાંથી આવ્યા ગોખલાણે, જાગ્યાં ભાગ્ય ભક્ત જીવો જાણે । ત્યાંથી ચાલિયા પૂરણકામ, આવ્યા કૃપાળુ કરિયાણે ગામ ।।૧૧।।
તિયાં રહ્યા રાજી થઇ બહુ, આવ્યા દાસ દરશને સહુ । એમ કરતાં હુતાસની આવી, કરી લીળા લાલે મનભાવી ।।૧૨।।
તિયાં ઉડાડયો વાલે ગુલાલ, સર્વે સખા કર્યા રંગે લાલ । વળી કરે ધુન્ય તાલી વાજે, લોક લાજવાળા જોઇ લાજે ।।૧૩।।
કરી ઉત્સવ ને પછી માવ, આપ્યો અલૈયાને શિરપાવ । કહ્યું રાખજ્યો આવો જ વેશ, ફરી આવજ્યો વાળાક દેશ ।।૧૪।।
સખા સંગે લઇ દશ વિશ, કરજ્યો પ્રભુની વાતો હમેશ । એને એટલી આગન્યા કરી, પછી ત્યાંથી પધારીયા હરિ ।।૧૫।।
વસે કોટડે પ્રેમ પુતળી, તેને ઘેર ગયા વાલો વળી । ત્યાંથી પધાર્યા નડાલે ગામ, જીયાં ભક્ત ગંગેવ ને રામ ।।૧૬।।
તિયાં જમાડયા લખમણે રાજ, પછી બંધીયે ગયા મહારાજ । રાત્ય શેઠ જુઠા ઘેર રહ્યા, પછી ગોંડળથી વડે ગયા ।।૧૭।।
ત્યાંથી ભાદરે પ્રભુ પધાર્યા, દેઇ દર્શન મોદ વધાર્યા । પછી ત્યાંથી પિપળિયે આવ્યા, ઘણું માનબાઇ મન ભાવ્યા ।।૧૮।।
ત્યાંથી રણ ઉતરીયા રાજ, આવ્યા કચ્છદેશ મહારાજ । કરી કચ્છમાં કૃપા કૃપાળે, દીધાં દર્શન સહુને દયાળે ।।૧૯।।
વાગડ પાવર કચ્છ અબડાસે, કર્યાં હરિનાં દર્શન દાસે । કરી ભુજે ભીમએકાદશી, પછી પધારીયા વાંણે બેશી ।।૨૦।।
ઉતરી હરિ આવ્યા હાલાર, આપ્યાં દાસને સુખ અપાર । જેજે વાટમાં આવે છે ગામ, તિયાં વાલો કરે વિશરામ ।।૨૧।।
દિયે દર્શન પ્રસન્ન ઘણું, મન છે સોરઠ જાવાતણું । ત્યાંથી આવીયા ગઢ જીરણે, રહ્યા રાત્ય ન જાણિયા કેણે ।।૨૨।।
પછી ત્યાંથી ચાલ્યા અલબેલો, આવ્યા અગત્રાઇ છેલ છબીલો । રહ્યા દિન દશ તિયાં શ્યામ, પછી આવીયા પંચાળે ગામ ।।૨૩।।
ભક્ત શિરોમણિ ઝીણોભાઇ, તિયાં રહ્યા શ્યામ સુખદાઇ । સર્વે જનને દર્શન દીધાં, કરી કૃપા કૃતારથ કીધાં ।।૨૪।।
પછી ત્યાંથી પધારિયા હરિ, આવ્યા માણાવદ્ર મહેર કરી । જીયાં ભક્ત વસે મયારામ, ગોવિંદ ભાણો આંબો વાઘો નામ ।।૨૫।।
વળી વસતા આદિ જે જન, તેને નાથે દિધાં દરશન । પછી ત્યાંથકી આવીયા શ્યામ, દેતા દરશન ગામોગામ ।।૨૬।।
આવ્યા કરિયાણે પોતે કૃપાળુ, દેવા દર્શન સહુને દયાળુ । તિયાં આવીયા છે સંતદાસ, મહામુક્ત અંતરે પ્રકાશ ।।૨૭।।
સદેહે જાય હિમાલાપાર, પોતે ગયા આવ્યા દોયવાર । આપ ઇચ્છાએ આવે ને જાય, બીજા કોઇ થકી ન જવાય ।।૨૮।।
તેની ખબર પુછી અવિનાશે, સર્વે કહી છે તે સંતદાસે । કહે નાથ સુણો સંતદાસ, રહો સતસંગમાં કરી વાસ ।।૨૯।।
એમ કહીને સમશ્યા કિધી, સંતે વાટ હિમાળાની લીધી । પછી તેડાવિયા સર્વે સંત, દેવા દાસને સુખ અત્યંત ।।૩૦।।
મેલ્યા રાજા ભગતને રાજે, કહેજ્યો આવે સહુ દર્શન કાજે । આવ્યા સંત તે સરવે મળી, હતી દેશોદેશ જે મંડળી ।।૩૧।।
સર્વે આવીયા પ્રભુજી પાસ, આવી નિરખિયા અવિનાશ । સામા આવીને મળીયા શ્યામ, પુરી સંતના હૈયાની હામ ।।૩૨।।
પછી બેઠા સંત ને શ્રીહરિ, તેને પુછયું વાલે પ્રેમે કરી । સંત સુખિયા છો તમે સહુ, હમણાં દુબળા દિસો છો બહુ ।।૩૩।।
કાંઇક અધિકું જમજ્યો અન્ન, સુખે થાય પ્રભુનું ભજન । એમ કહ્યું છે દયા કરીને, પણ ત્યાગ વાલો છે હરિને ।।૩૪।।
પછી જનને જમાડયા નાથે, પ્રેમે પિરસ્યું પોતાને હાથે । જે પ્રસાદીને ઇચ્છે છે અજ, તોય મળતી નથી એક રજ ।।૩૫।।
જે પ્રસાદી સારૂં શિવ આપ, સહ્યો પારવતિજીનો શાપ । તે પ્રસાદી પામી સહુ સંતે, દિધી ભાવેકરી ભગવંતે ।।૩૬।।
અતિઅઢળ ઢળ્યા અવિનાશી, શ્યામસુંદરવર સુખરાશી । વળી નાવા જાય જ્યારે નાથ, ત્યારે સંત લિયે સહુ સાથ ।।૩૭।।
તિયાં ફેરવે અશ્વને હરિ, જુવે જન સહુ દ્રગ ભરી । જુવે જનને જીવન પ્રાણ, દેખી વેષને કરે વખાણ ।।૩૮।।
કહે સહુતણુ તેજ વળી, આવ્યું આ સંતમાં સર્વે મળી । એમ કહી રાજી બહુ થીયા, પછી નાથ ઉતારે આવીયા ।।૩૯।।
એમ કરતાં લીળા નિત્ય નવી, પછી જન્માષ્ટમી તે આવી । કર્યો ઉત્સવ અતિ આનંદે, સુખ લીધું સહુ જનવૃંદે ।।૪૦।।
ગામોગામથી આવ્યા હતા દાસ, તેણે નિરખિયા અવિનાશ । તિયાં મેઘ ઝરે ઝરમરીયા, રમે અલબેલો આનંદ ભરિયા ।।૪૧।।
જોઇ જન થયા છે મગન, એમ વિત્યો અષ્ટમીનો દન । એવી લીળા અલબેલે કરી, પછી ત્યાંથી પધારીયા હરિ ।।૪૨।।
આવ્યા સુખપુરે સુખસિંધુ, દિનદયાળ દિનના બંધુ । રહ્યા પોતે તિયાં દિન ચાર, આપ્યાં સંતને સુખ અપાર ।।૪૩।।
ત્યાંથી આવ્યા સારંગપુરે નાથ, સખા સંત સહુ પોતા સાથ । દિયે દર્શન પ્રસન્ન હોઇ, થાય મગન જન મુખ જોઇ ।।૪૪।।
વળી મર્મે બોલે મરમાળો, જાણે જનની છેલ છોગાળો । મર્મે ભરી હરિ કરી હાસ, આપ્યો બાપુભાઇને સંન્યાસ ।।૪૫।।
જેને જેમ થાય છે સમાસ, તેને તેમ કરે અવિનાશ । માટે જાણવા અંતરજામી, પછી સંત પ્રત્યે બોલ્યા સ્વામી ।।૪૬।।
સંતો જાઓ હવે સહુ મળી, ફરો દેશોદેશમાં મંડળી । જેને ભણવું હોય તે ભણજ્યો, સહુ નિયમમાં કુશળ રહેજ્યો ।।૪૭।।
જે જે થાય નિયમમાંથી બારૂં, એતો નથી ગમતું અમારૂં । ત્યારે સંત કહે સત્ય સ્વામી, એમ કહી ચાલ્યા શિશ નામી ।।૪૮।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે અષ્ટમી ઉત્સવ એ નામે બાસઠયમું પ્રકરણમ્ ।।૬૨।।